પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શહીદ દિવસ પર કોલકાતાના વિક્ટોરિયા મેમોરિયલ હોલમાં બિપ્લોબી ભારત ગૅલરીનું ઉદ્ઘાટન કર્યું


"હું બંગાળનાં લોકોને વિનંતી કરીશ કે બીરભૂમ હિંસા જેવી ઘટનાઓના ગુનેગારોને અને આવા ગુનેગારોને પ્રોત્સાહિત કરનારાઓને ક્યારેય માફ ન કરે"

"આજે દેશ તેના ઇતિહાસને, તેના ભૂતકાળને ઊર્જાના જીવંત સ્ત્રોત તરીકે જુએ છે"
"નવું ભારત દેશની વિરાસતને વિદેશથી પરત લાવી રહ્યું છે જ્યાં પ્રાચીન મૂર્તિઓની મુક્તપણે દાણચોરી કરવામાં આવતી હતી"
"બિપ્લોબી ભારત ગૅલરી એ પશ્ચિમ બંગાળના વારસાને જાળવવા અને વધારવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુરાવો છે"

"ભારતમાં હેરિટેજ ટુરિઝમ વધારવા માટે દેશવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે"

"ભારત-ભક્તિ, ભારતની એકતા અને અખંડિતતાની શાશ્વત અનુભૂતિ આજે પણ આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ"

“ભારતનું નવું વિઝન આત્મવિશ્વાસ, આત્મનિર્ભરતા, પ્રાચીન ઓળખ અને ભાવિ ઉત્થાનનું છે. આમાં, ફરજની ભાવના સર્વોચ્ચ મહત્વ ધરાવે છે"

"ક્રાંતિ, સત્યાગ્રહના પ્રવાહો અને સ્વાતંત્ર્ય સંગ્રામના સર્જનાત્મક આવેગને રાષ્ટ્ર ધ્વજના ભગવા, સફેદ અને લીલા દ્વારા રજૂ કરવામાં આવે છે"
“નવાં ભારત માટે, ભગવો કર્તવ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા, સફેદ સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ અને સબ કા પ્રયાસનું પ્રતિનિધિત્વ કરે છે; લીલો રંગ પર્યાવરણની જાળવણી માટે છે અને વાદળી ચક્ર દેશની બ્લૂ ઈકોનોમી માટે છે.

"ભારતની વધતી જતી નિકાસ એ આપણા ઉદ્યોગ, આપણા MSMEs, આપણી ઉત્પાદન ક્ષમતા અને આપણાં કૃષિ ક્ષેત્રની મજબૂતાઈનું પ્રતીક છે."

Posted On: 23 MAR 2022 7:51PM by PIB Ahmedabad

શહીદ દિવસના અવસરે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વિક્ટોરિયા મેમોરિયલ હોલમાં, વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બિપ્લોબી ભારત ગૅલરીનું ઉદ્ઘાટન કર્યું હતું. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ શ્રી જગદીપ ધનખર અને કેન્દ્રીય મંત્રી શ્રી જી. કિશન રેડ્ડી સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રીએ તેમનાં સંબોધનની શરૂઆત બીરભૂમમાં હિંસક ઘટનાના પીડિતો માટે શોક વ્યક્ત કરીને કરી હતી અને આશા વ્યક્ત કરી હતી કે રાજ્ય સરકાર આવા જઘન્ય અપરાધના ગુનેગારોને સજા સુનિશ્ચિત કરશે. તેમણે કેન્દ્ર તરફથી તમામ સહકારની ખાતરી આપી હતી. "હું બંગાળના લોકોને પણ વિનંતી કરીશ કે આવી ઘટનાઓને અંજામ આપનારા અને આવા ગુનેગારોને પ્રોત્સાહિત કરનારાઓને ક્યારેય માફ ન કરે", એમ તેમણે ઉમેર્યું હતું.

શહીદ દિવસ પર શહીદોને યાદ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવનાં બલિદાનની ગાથાઓ આપણને બધાને દેશ માટે અથાક મહેનત કરવાની પ્રેરણા આપે છે. “આપણા ભૂતકાળનો વારસો આપણા વર્તમાનને માર્ગદર્શન આપે છે, આપણને વધુ સારું ભવિષ્ય બનાવવા માટે પ્રેરણા આપે છે. તેથી, આજે દેશ તેના ઇતિહાસને, તેના ભૂતકાળને ઊર્જાના જીવંત સ્ત્રોત તરીકે જુએ છે”, એમ તેમણે કહ્યું હતું.

પ્રધાનમંત્રીએ આજે ​​કહ્યું હતું કે, ન્યુ ઈન્ડિયા દેશની વિરાસતને વિદેશમાંથી પરત લાવી રહ્યું છે જ્યાં પ્રાચીન મૂર્તિઓની દાણચોરી મુક્તપણે કરવામાં આવતી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે 2014 પહેલાના દાયકાઓમાં ભારતમાં માત્ર એક ડઝન પ્રતિમાઓ લાવી શકાઈ હતી. પરંતુ છેલ્લાં 7 વર્ષમાં આ સંખ્યા વધીને 225થી વધુ થઈ ગઈ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે 'નિર્ભિક સુભાષ' પછી, બિપ્લોબી ભારત ગૅલરીના આકારમાં કોલકાતાના સમૃદ્ધ વારસામાં એક નવું મોતી ઉમેરાયું છે. તેમણે કહ્યું કે બિપ્લોબી ભારત ગૅલરી પશ્ચિમ બંગાળની ધરોહરને જાળવવા અને તેને વધારવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. તેમણે માહિતી આપી હતી કે વિક્ટોરિયા મેમોરિયલ, આઇકોનિક ગૅલરીઓ, મેટકાફ હાઉસ વગેરે જેવા રાજ્યના આઇકોનિક લેન્ડમાર્ક્સનું નવીનીકરણ કરવાનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. "આપણી સંસ્કૃતિ, સભ્યતાનાં આ પ્રતીકો ભારતની વર્તમાન અને ભાવિ પેઢીઓને સતત પ્રેરણા આપતા રહેવા દઈએ, આ દિશામાં આ એક મહાન પ્રયાસ છે", એમ તેમણે કહ્યું.

શ્રી મોદીએ માહિતી આપી હતી કે હેરિટેજ ટુરિઝમ વધારવા માટે ભારતમાં રાષ્ટ્રવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે, સ્વદેશ દર્શન જેવી અનેક યોજનાઓ દ્વારા હેરિટેજ ટુરિઝમને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે દાંડી કૂચ માટે સ્મારક, જલિયાંવાલા સ્મારકનું નવીનીકરણ, સ્ટેચ્યુ ઑફ યુનિટી, દીનદયાળ સ્મારક, બાબાસાહેબ મેમોરિયલ, ભગવાન બિરસા મુંડા સ્મારક, અયોધ્યા અને કાશીમાં ઘાટનું બ્યુટિફિકેશન અથવા સમગ્ર ભારતમાં મંદિરોનું નવીનીકરણ, જેવી પહેલો સાથે હેરિટેજ ટુરિઝમ નવી શક્યતાઓ ખોલી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, સદીઓની ગુલામી દરમિયાન ત્રણ પ્રવાહો સંયુક્ત રીતે આઝાદી તરફ દોરી ગયા. આ પ્રવાહો ક્રાંતિ, સત્યાગ્રહ અને જનજાગૃતિના હતા. પ્રધાનમંત્રીએ  ત્રિરંગા, રાષ્ટ્રીય ધ્વજના પ્રતીકવાદ પર લંબાણપૂર્વક વાત કરી હતી. તેમણે કહ્યું કે આ ત્રણેય પ્રવાહો ત્રિરંગાના રંગોમાં રજૂ કરવામાં આવ્યા છે જેમાં કેસરી ક્રાંતિકારી પ્રવાહ, સફેદ સત્યાગ્રહ અને લીલો દેશના રચનાત્મક ધબકારાને દર્શાવે છે. તેમણે કહ્યું કે તેમના માટે રાષ્ટ્ર ધ્વજમાં વાદળી રંગ દેશની સાંસ્કૃતિક ચેતનાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે કહ્યું કે આજે તેઓ રાષ્ટ્રધ્વજના ત્રણ રંગોમાં નવા ભારતનું ભવિષ્ય જુએ છે. કેસરી રંગ આપણને ફરજ અને રાષ્ટ્રીય સુરક્ષા માટે પ્રેરણા આપે છે, સફેદ રંગ સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ અને સબકા  પ્રયાસનો પર્યાય છે; લીલો રંગ પર્યાવરણની જાળવણી માટે છે અને વાદળી ચક્રમાં પ્રધાનમંત્રીએ દેશની બ્લુ ઈકોનોમી જોઈ હતી.

ભગત સિંહ, સુખદેવ, રાજગુરુ, આઝાદ અને ખુદીરામ બોઝ જેવા ક્રાંતિકારીઓની યુવા વયનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતના યુવાનોએ ક્યારેય પોતાને કોઈથી ઉતરતા કે ઓછા  ન ગણવા જોઈએ. “ભારતના યુવાનો ન કરી શકે એવું કંઈ નથી. એવો કોઈ ધ્યેય નથી કે જે ભારતના યુવાનો હાંસલ ન કરી શકે,” એમ તેમણે કહ્યું.

પ્રધાનમંત્રીએ સ્વતંત્રતા સંગ્રામમાં ચાલતા એકતાના દોરને રેખાંકિત કર્યો હતો જ્યાં વિવિધ પ્રદેશો, ભાષાઓ, સંસાધનો દેશની સેવા અને દેશભક્તિના ઉત્સાહમાં એક થયા હતા. “ભારત ભક્તિ, ભારતની એકતા, અખંડિતતાની આ શાશ્વત લાગણી આજે પણ આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ. તમારી રાજકીય વિચારસરણી ગમે તે હોય, તમે કોઈપણ રાજકીય પક્ષ સાથે સંબંધ ધરાવો છો, પરંતુ ભારતની એકતા અને અખંડિતતા સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન એ ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે સૌથી મોટો વિશ્વાસઘાત હશે”, એમ પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ આગળ કહ્યું, “આપણે નવાં ભારતમાં નવાં વિઝન સાથે આગળ વધવું પડશે. આ નવું વિઝન ભારતના આત્મવિશ્વાસ, આત્મનિર્ભરતા, પ્રાચીન ઓળખ અને ભાવિ ઉત્થાનનું છે. આમાં, ફરજની ભાવના સર્વોચ્ચ મહત્વ ધરાવે છે."

આજે હાંસલ કરાયેલ પ્રોડક્ટ નિકાસના $400 બિલિયન અથવા રૂ. 30 લાખ કરોડના સીમાચિહ્નનો ઉલ્લેખ કરતાં, પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે “ભારતની વધતી જતી નિકાસ એ આપણા ઉદ્યોગ, આપણા MSMEs, આપણી ઉત્પાદન ક્ષમતાની તાકાત અને આપણાં કૃષિ ક્ષેત્રની મજબૂતાઈનું પ્રતીક છે.

આ ગૅલરી સ્વાતંત્ર્ય સંગ્રામમાં ક્રાંતિકારીઓનાં યોગદાન અને બ્રિટિશ સંસ્થાનવાદી શાસન સામેના તેમના સશસ્ત્ર પ્રતિકારને દર્શાવે છે. સ્વાતંત્ર્ય ચળવળનાં મુખ્ય પ્રવાહના વર્ણનમાં આ પાસાને ઘણીવાર તેનું યોગ્ય સ્થાન આપવામાં આવ્યું નથી. આ નવી ગૅલરીનો હેતુ 1947 સુધીની ઘટનાઓનું સર્વગ્રાહી દૃષ્ટિકોણ પ્રદાન કરવાનો અને ક્રાંતિકારીઓ દ્વારા ભજવવામાં આવેલી મહત્વપૂર્ણ ભૂમિકાને પ્રકાશિત કરવાનો છે.

બિપ્લોબી ભારત ગૅલરી રાજકીય અને બૌદ્ધિક પૃષ્ઠભૂમિને દર્શાવે છે જેણે ક્રાંતિકારી ચળવળને વેગ આપ્યો. તે ક્રાંતિકારી ચળવળનો જન્મ, ક્રાંતિકારી નેતાઓ દ્વારા નોંધપાત્ર સંગઠનોની રચના, ચળવળનો ફેલાવો, ભારતીય રાષ્ટ્રીય સેનાની રચના, નૌકા વિદ્રોહનું યોગદાન વગેરે દર્શાવે છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com

 



(Release ID: 1808922) Visitor Counter : 243