પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઈન્દોરમાં મ્યુનિસિપલ ઘન કચરા આધારિત ગોબર-ધન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું


"સમય જતાં, ઇન્દોર વધુ સારું બદલાયું પરંતુ ક્યારેય દેવી અહિલ્યાબાઈની પ્રેરણા ગુમાવી નહીં અને આજે ઇન્દોર સ્વચ્છતા અને નાગરિક ફરજની યાદ પણ અપાવે છે"

“કચરામાંથી ગોબર્ધન, ગોબર ધનમાંથી સ્વચ્છ ઈંધણ, સ્વચ્છ ઈંધણમાંથી ઊર્જા એ જીવનની પુષ્ટિ કરતી સાંકળ છે”

"આવનારાં બે વર્ષમાં 75 મોટી મ્યુનિસિપલ સંસ્થાઓમાં ગોબર ધન બાયો સીએનજી પ્લાન્ટ્સની સ્થાપના કરવામાં આવશે"

"સરકારે સમસ્યાઓના ફટાફટ ઉકેલના કામચલાઉ ઉપાયોને બદલે કાયમી ઉકેલ આપવાનો પ્રયાસ કર્યો છે"

"2014થી દેશની કચરાના નિકાલની ક્ષમતામાં 4 ગણો વધારો થયો છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી છુટકારો મેળવવા માટે 1600થી વધુ સંસ્થાઓ સામગ્રી પુનઃપ્રાપ્તિ સુવિધાઓ મેળવી રહી છે"

“ભારતના મોટાભાગના શહેરોને વોટર પ્લસ બનાવવાનો સરકારનો પ્રયાસ છે. સ્વચ્છ ભારત મિશનના બીજા તબક્કામાં આના પર ભાર મૂકવામાં આવી રહ્યો છે”

"આપણે આપણા સફાઈ કાર્યકરોનાં તેમનાં પ્રયત્નો અને સમર્પણ માટે ઋણી છીએ"

Posted On: 19 FEB 2022 2:50PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ઈન્દોરમાં “ગોબર-ધન (બાયો-સીએનજી) પ્લાન્ટ”નું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું હતું. મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઈ સી. પટેલ; મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ; કેન્દ્રીય મંત્રીઓ શ્રી હરદીપ સિંહ પુરી, ડૉ. વીરેન્દ્ર કુમાર અને શ્રી કૌશલ કિશોર સહિત અન્યો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રીએ તેમનાં સંબોધનની શરૂઆત રાણી અહિલ્યાબાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને અને ઈન્દોર શહેર સાથેનાં તેમનાં જોડાણને યાદ કરીને કરી હતી. તેમણે કહ્યું કે ઈન્દોરનો ઉલ્લેખ દેવી અહિલ્યાબાઈ હોલ્કર અને તેમની સેવાની ભાવનાનાની યાદ અપાવે છે. સમય જતાં, ઈન્દોર વધુ સારી રીતે બદલાયું પરંતુ દેવી અહિલ્યાબાઈની પ્રેરણા ક્યારેય ગુમાવી નથી અને આજે ઈન્દોર સ્વચ્છતા અને નાગરિક ફરજની યાદ પણ અપાવે છે, એમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. શ્રી મોદીએ કાશી વિશ્વનાથ ધામ ખાતે દેવી અહિલ્યાબાઈની સુંદર પ્રતિમાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ ગોબર ધનનાં મહત્વ પર ભાર મૂક્યો હતો અને કહ્યું કે ભીનો શહેરી ઘરનો કચરો અને ઢોર અને ખેતરનો કચરો એ ગોબર ધન છે. તેમણે કહ્યું કે કચરામાંથી ગોબરધન, ગોબર ધનમાંથી સ્વચ્છ ઈંધણ, સ્વચ્છ ઈંધણમાંથી ઊર્જા એ જીવનની પુષ્ટિ કરતી સાંકળ છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે આગામી બે વર્ષમાં 75 મોટી મ્યુનિસિપલ સંસ્થાઓમાં ગોબર ધન બાયો સીએનજી પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે. "આ ઝુંબેશ ભારતીય શહેરોને સ્વચ્છ, પ્રદૂષણ મુક્ત અને સ્વચ્છ ઊર્જાની દિશામાં ઘણું આગળ વધશે", એમ તેમણે કહ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે માત્ર શહેરોમાં જ નહીં, ગામડાંઓમાં પણ ગોબર ધન પ્લાન્ટ લગાવવામાં આવી રહ્યા છે, જેનાથી ખેડૂતોને વધારાની આવક મળી રહી છે. આનાથી ભારતની આબોહવા પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવા સાથે રખડતાં અને અસમર્થિત પશુઓની સમસ્યાનો સામનો કરવામાં મદદ મળશે, એમ તેમણે જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લાં સાત વર્ષો દરમિયાન સરકારે સમસ્યાઓના ફટાફટ-સુધારાના કામચલાઉ ઉપાયોને બદલે કાયમી ઉકેલ આપવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે સ્વચ્છ ભારત મિશનના બીજા તબક્કામાં, સરકાર હજારો એકર જમીન રોકી રાખેલા  લાખો ટન કચરાને દૂર કરવા માટે કામ કરી રહી છે, આ કચરો હવા અને જળ પ્રદૂષણનું કારણ બને છે જે ઘણા રોગો તરફ દોરી જાય છે. સ્વચ્છ ભારત ઝુંબેશને કારણે મહિલાઓનાં ગૌરવમાં વધારો થયો અને શહેરો અને ગામડાઓનું સુંદરીકરણ થયું છે. હવે ભીના કચરાના નિકાલ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, એમ તેમણે જણાવ્યું હતું. સરકાર આગામી 2-3 વર્ષમાં કચરાના આ ડુંગરોને ગ્રીન ઝોન્સમાં બદલવાનો પ્રયાસ કરી રહી છે. 2014થી દેશની કચરાના નિકાલની ક્ષમતામાં 4 ગણો વધારો થયો છે તે અંગે પણ તેમણે ખુશી વ્યક્ત કરી હતી. સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી મુક્તિ મેળવવા માટે 1600થી વધુ સંસ્થાઓને સામગ્રી પુનઃપ્રાપ્તિ સુવિધાઓ મળી રહી છે.

પ્રધાનમંત્રીએ સ્વચ્છતા અને પર્યટન વચ્ચેની કડીને પણ રેખાંકિત કરી હતી અને કહ્યું હતું કે સ્વચ્છતા પ્રવાસન તરફ દોરી જાય છે અને નવી અર્થવ્યવસ્થાને જન્મ આપે છે. તેમણે આ જોડાણનાં ઉદાહરણ તરીકે સ્વચ્છ શહેર તરીકે ઈન્દોરની સફળતામાં રસ દર્શાવ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, “ભારતના વધુ ને વધુ શહેરોને વોટર પ્લસ બનાવવાનો સરકારનો પ્રયાસ છે. સ્વચ્છ ભારત મિશનના બીજા તબક્કામાં આના પર ભાર મૂકવામાં આવી રહ્યો છે."

પ્રધાનમંત્રીએ પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણમાં વધારાનો ઉલ્લેખ કર્યો હતો જે છેલ્લાં 7-8 વર્ષમાં 1 ટકાથી વધીને 8 ટકાની આસપાસ થયો છે. આ સમયગાળા દરમિયાન ઇથેનોલનો પુરવઠો નોંધપાત્ર રીતે વધીને 40 કરોડ લિટરથી વધીને 300 કરોડ લિટર થયો, જેનાથી ખાંડની મિલો અને ખેડૂતોને મદદ મળી છે.

પ્રધાનમંત્રીએ બજેટમાં લેવાયેલા એક મહત્વના નિર્ણયની પણ વાત કરી હતી. એવું નક્કી કરવામાં આવ્યું છે કે કોલસા આધારિત વીજ પ્લાન્ટ પણ પરાળી અથવા સ્ટબલનો ઉપયોગ કરશે. "આનાથી ખેડૂતોની મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ મળશે અને એગ્રિ-વેસ્ટમાંથી ખેડૂતોને વધારાની આવક પણ મળશે", એમ તેમણે કહ્યું હતું.

પ્રધાનમંત્રીએ સ્વચ્છતા માટે અથાક મહેનત કરવા બદલ દેશના લાખો સફાઈ કામદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ મહામારી દરમિયાન તેમની સેવાની ભાવના બદલ તેમનો વિશેષ આભાર માન્યો હતો. તેમણે ઉલ્લેખ કર્યો કે કેવી રીતે તેમણે કુંભ દરમિયાન પ્રયાગરાજ ખાતે તેમના પગ ધોઈને સફાઈ કામદારો માટે તેમનું સન્માન દર્શાવ્યું હતું.

પશ્ચાતભૂમિકા

પ્રધાનમંત્રીએ તાજેતરમાં "કચરામુક્ત શહેરો" બનાવવાનાં એકંદર વિઝન સાથે સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 શરૂ કર્યું હતું. સંસાધન પુનઃપ્રાપ્તિને મહત્તમ કરવા માટે "કચરામાંથી કંચન" અને "ચક્રીય અર્થતંત્ર"ના સર્વોચ્ચ સિદ્ધાંતો હેઠળ આ મિશન અમલમાં આવી રહ્યું છે – આ બંને ઇન્દોર બાયો-સીએનજી પ્લાન્ટમાં દાખલારૂપ છે.

આજે ઉદ્ઘાટન કરાયેલા આ પ્લાન્ટની પ્રતિદિન 550 ટન ભીના કાર્બનિક કચરાને અલગ કરવાની ક્ષમતા છે. તે દરરોજ આશરે 17,000 કિલો સીએનજી અને દૈનિક 100 ટન ઓર્ગેનિક ખાતરનું ઉત્પાદન કરે તેવી અપેક્ષા છે. પ્લાન્ટ શૂન્ય લેન્ડફિલ મોડલ પર આધારિત છે, જેમાં કશું જ નકામું  પેદા કરવામાં આવશે નહીં. વધુમાં, આ પ્રોજેક્ટથી બહુવિધ પર્યાવરણીય લાભો પ્રાપ્ત થવાની અપેક્ષા છે, જેમ કે. ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં ઘટાડો, ખાતર તરીકે ઓર્ગેનિક ખાતર સાથે ગ્રીન ઊર્જા પૂરી પાડવી.

ઈન્દોર ક્લિન એનર્જી પ્રાઈવેટ લિમિટેડ, એક વિશેષ હેતુ વાહન (એસપીવી), જે પ્રોજેક્ટના અમલીકરણ માટે બનાવવામાં આવ્યું હતું, તેની સ્થાપના ઈન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશન (આઇએમસી) અને ઈન્ડો એન્વિરો ઈન્ટિગ્રેટેડ સોલ્યુશન્સ લિમિટેડ(IEISL) દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ હેઠળ IEISL દ્વારા ₹150 કરોડના 100 ટકા મૂડી રોકાણ સાથે કરવામાં આવી હતી. ઈન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશન પ્લાન્ટ દ્વારા ઉત્પાદિત ઓછામાં ઓછો 50% સીએનજી ખરીદશે અને તેના પ્રકારની પ્રથમ પહેલમાં 400 સિટી બસો સીએનજી પર ચલાવશે. સીએનજીનો બાકી જથ્થો ખુલ્લાં બજારમાં વેચવામાં આવશે. ઓર્ગેનિક ખાતર કૃષિ અને બાગાયતી હેતુઓ માટે રાસાયણિક ખાતરોનું સ્થાન લેવામાં મદદ કરશે.

SD/GP/JD

 

 



(Release ID: 1799622) Visitor Counter : 217