પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી દેશના ટોચના શિખ આગેવાનોને મળ્યા


‘વીર બાલ દિવસ’ની જાહેરાત દ્વારા ચાર સાહિબજાદેના સન્માન માટે શિખ સમુદાયના આગેવાનોએ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો

‘વીર બાલ દિવસ’ ચાર સાહિબજાદેના યોગદાન અને બલિદાન અંગે દેશના તમામ ખૂણાના બાળકોમાં જાગૃત્તિ લાવશે : પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રીએ શિખ સમુદાયની સેવાની ભાવનાની પ્રશંસા કરી અને કહ્યું વિશ્વને આ અંગે વધુ જાગૃત કરવાની જરૂર છે
શિખ સમુદાયના કલ્યાણ માટે મારી સરકાર સંપૂર્ણપણે વચનબદ્ધ છે : પ્રધાનમંત્રી

શિખ સમુદાયના કલ્યાણ માટે સતત પગલા ભરવા બદલ પ્રતિનિધિમંડળે પ્રધાનમંત્રીનો આભાર માનતા કહ્યું, આ બાબત દર્શાવે છે કે તેઓ હૃદયથી શિખ છે

પોસ્ટેડ ઓન: 18 FEB 2022 7:02PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે 7 લોક કલ્યાણ માર્ગ ખાતે સમગ્ર દેશના મોખરાના શિખ આગેવાનોને મળ્યા હતા. પ્રતિનિધિમંડળે શિખ સમુદાયના કલ્યાણ માટે સતત કાર્યરત રહેવા તથા પગલાં ભરવા બદલ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો અને ખાસ કરીને 26મી ડિસેમ્બરને વીર બાળ દિવસ જાહેર કરીને ચાર સાહિબજાદેનું સન્માન કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. પ્રતિનિધિ મંડળના પ્રત્યેક સદસ્યએ સિરોપાવ અનેસિરી સાહિબ દ્વારા પ્રધાનમંત્રીનું સન્માન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દેશના ઘણા પ્રાંતના લોકોને ચાર સાહિબજાદેના યોગદાન અને બલિદાન અંગે જાણકારી નથી. તેમણે યાદ અપાવી હતી કે જ્યારે પણ તેઓ શાળામાં બાળકો સમક્ષ સંબોધન કરતા હોય છે ત્યારે તેઓ હંમેશાં ચાર સાહિબજાદેનો ઉલ્લેખ કરતા હોય છે. 26મી ડિસેમ્બરને વીર બાલ દિવસ તરીકે જાહેર કરવાના નિર્ણયથી દેશના તમામ ખૂણાના બાળકોમાં તેમના વિશેની જાણકારી આવશે.

પ્રધાનમંત્રીએ પોતાની મુલાકાત લેવા બદલ શિખ સમુદાયના આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમના માટે મારા ઘરના દ્વાર હંમેશાં ખુલ્લા છે. તેમણે શિખ સમુદાય સાથેના તેમના સંપર્ક અને પંજાબમાં તેમના રોકાણ દરમિયાન સમુદાય સાથે એક સાથે વિતાવેલા સમયની યાદ અપાવી હતી.

પ્રધાનમંત્રીએ શિખ સમુદાયની સેવાની ભાવનાને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વને આ અંગે વધુ જાગૃત કરવાની જરૂર છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેમની સરકાર શિખ સમુદાયના કલ્યાણ માટે સંપૂર્ણપણે વચનબદ્ધ છે. તેમણે આ અંગે સરકારે લીધેલા કેટલાક પગલાંઓ અંગે  પણ ચર્ચા કરી હતી. તેમણે અફઘાનિસ્તાનથી ગુરુ ગ્રંથ સાહિબને સંપૂર્ણ સન્માન સાથે પરત લાવવા માટે કરાયેલી ખાસ વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે શિખ યાત્રાળુઓ માટે કરતારપુર સાહિબ કોરિડોર ખુલ્લો મૂકવા માટે સરકાર દ્વારા રાજકીય ચેનલ મારફતે કરેલા પ્રયાસની પણ ચર્ચા કરી હતી.

શ્રી મનજિન્દરસિંઘ સિરસાએ જણાવ્યું હતું કે વીર બાલ દિવસની ઉજવણી કરવાના નિર્ણયથી ચાર સાહિબજાદેના બલિદાન અંગે દેશભરમાં જાગૃત્તિ આવશે. જાથેદાર તખ્ત શ્રી પટણા સાહિબે કરતારપુર સાહિબ કોરિડોરને ફરીથી ખુલ્લો મૂકવા તથા લંગર પરથી જીએસટી નાબૂદ કરવા જેવા લેવાયેલા પગલા બદલ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે શિખ સમુદાય માટે પ્રધાનમંત્રીએ લીધેલા સંખ્યાબંધ પગલાથી એ પુરવાર થાય છે કે તેઓ હૃદયથી શિખ છે. રાષ્ટ્રીય લઘુમતિ પંચના ભૂતપૂર્વ ચેરમેન શ્રી તારલોચન સિંઘે જણાવ્યું હતું કે સ્વતંત્રતા બાદ પહેલી વાર શિખ સમુદાયના યોગદાનને માન્યતા મળી છે જેમણે ભાગલા દરમિયાન મોટી સંખ્યામાં જીવનનું બલિદાન આપ્યું હતું. તેમણે શિખ સમુદાયના યોગદાનને વિશ્વના મંચ પર રજૂ કરવા બદલ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1799431) મુલાકાતી સંખ્યા : 244