પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીના રાષ્ટ્ર જોગ સંબોધનનો મૂળપાઠ

Posted On: 25 DEC 2021 11:01PM by PIB Ahmedabad

મારા વ્હાલા દેશવાસીઓ, આપ સૌને ક્રિસમસની શુભકામનાઓ. આપણે આ વર્ષના અંતિમ સપ્તાહમાં છીએ. 2022 બસ આવવાનું જ છે. આપ સૌ 2022ના સ્વાગતની તૈયારીઓમાં વ્યસ્ત છો પરંતુ ઉત્સાહ અને ઉમંગની સાથે જ આ સમય સાવધ રહેવાનો પણ છે.

આજે દુનિયાના અનેક દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કારણે સંક્રમણ વધી રહ્યું છે. ભારતમાં પણ અનેક લોકો ઓમિક્રોનથી સંક્રમિત થયાનું જાણમાં આવ્યું છે. હું આપ સૌને આગ્રહ કરીશ કે ભયભીત ના થશો, હા, સાવધ રહો, સતર્ક રહો. માસ્ક-તેનો ભરપૂર ઉપયોગ કરો અને હાથ થોડી થોડી વારે ધોવા, આ વાતો આપણે ભૂલવાની નથી.

આજે જ્યારે વાયરસ મ્યુટેટ થઈ રહ્યો છે તો આપણા પડકારોનો સામનો કરવાની તાકાત અને આત્મવિશ્વાસ પણ મલ્ટીપ્લાઈ થઈ રહ્યા છે. આપણો ઈનોવેટિવ સ્પિરિટ વધી રહ્યો છે. આજે દેશની પાસે 18 લાખ આઈસોલેશન બેડ છે. 5 લાખ ઓક્સિજન સપોર્ટેડ બેડ છે. 1 લાખ 40 હજાર આઈસીયુ બેડ છે. આઈસીયુ અને નોન-આઈસીયુ બેડને મેળવી દઈએ તો 90 હજાર બેડ ખાસ કરીને બાળકો માટે પણ છે. આજે દેશમાં 3 હજારથી વધુ પીએસએ ઓક્સિજન પ્લાન્ટ્સ કામ કરી રહ્યા છે. 4 લાખ ઓક્સિજન સિલિન્ડર્સ દેશભરમાં આપવામાં આવ્યા છે. રાજ્યોને જરૂરી દવાઓનો બફર ડોઝ તૈયાર કરવામાં સહાયતા કરવામાં આવી રહી છે, તેમને પૂરતા પ્રમાણમાં ટેસ્ટિંગ કિટ્સ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

સાથીઓ,

કોરોના વૈશ્વિક મહામારી સામેની લડાઈનો અત્યાર સુધીનો અનુભવ એ જ દર્શાવે છે કે વ્યક્તિગત સ્તરે તમામ દિશા-નિર્દેશોનું પાલન, કોરોના સામેની લડાઈનું ખૂબ મોટું હથિયાર છે. અને બીજું હથિયાર છે વેક્સિનેશન. આપણા દેશે પણ આ બીમારીની ગંભીરતાને સમજીને ખૂબ અગાઉથી વેક્સિન નિર્માણ પર મિશન મોડમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. વેક્સિન પર રિસર્ચની સાથે સાથે જ, અપ્રુવલ પ્રોસેસ, સપ્લાઈ ચેઈન, વિતરણ, તાલીમ, આઈટી સપોર્ટ સિસ્ટમ, સર્ટિફિકેશન પર પણ આપણે સતત કામ કર્યુ.

આ તૈયારીઓનું જ પરિણામ હતું કે ભારતે આ વર્ષે 16 જાન્યુઆરીથી પોતાના નાગરિકોને વેક્સિન આપવાનું શરૂ કરી દીધું હતું. આ દેશના તમામ નાગરિકોનો સામુહિક પ્રયાસ અને સામુહિક ઈચ્છાશક્તિ છે કે આજે ભારત 141 કરોડ વેક્સિન ડોઝના અભૂતપૂર્વ અને ખૂબ મુશ્કેલ લક્ષ્યને પાર કરી ચૂક્યું છે.

આજે ભારતની વયસ્ક જનસંખ્યામાંથી 61 ટકાથી વધુ જનસંખ્યાને વેક્સિનના બંને ડોઝ લાગી ચૂક્યા છે. આ રીતે, વયસ્ક જનસંખ્યામાંથી લગભગ 90 ટકા લોકોને વેક્સિનનો એક ડોઝ લગાવી દેવાયો છે. આજે દરેક ભારતવાસી એ વાત પર ગર્વ કરશે કે આપણે દુનિયાનું સૌથી મોટું, સૌથી વિસ્તરિત અને કઠિન ભૌગૌલિક સ્થિતિઓની વચ્ચે, આટલું સુરક્ષિત વેક્સિનેશન અભિયાન ચલાવ્યું.

અનેક રાજ્યો અને ખાસ કરીને ટુરિઝમની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ રાજ્યો જેમકે ગોવા, ઉત્તરાખંડ, હિમાચલ જેવા રાજ્યોએ 100 ટકા સિંગલ ડોઝ વેક્સિનેશનનું લક્ષ્ય હાંસલ કરી લીધું છે. આજે દેશના દુરસુદૂર ગામોમાંથી જ્યારે 100 ટકા વેક્સિનેશનના સમાચાર આવે છે તો મનને સંતોષ થાય છે.

આ પ્રમાણ છે આપણી હેલ્થ સિસ્ટમની મજબૂતીનું, આપણી ટીમ ડિલિવરીનું, આપણા હેલ્થ વર્કર્સના ડેડિકેશન અને કમિટમેન્ટનું અને દેશના સામાન્ય માનવીની શિસ્ત અને વિજ્ઞાનમાં તેના વિશ્વાસનું. આપણા દેશમાં ટૂંક સમયમાં જ નેઝલ વેક્સિન અને દુનિયાની પ્રથમ ડીએનએ વેક્સિન પણ શરૂ થશે.

સાથીઓ,

કોરોના વિરુદ્ધ ભારતની લડાઈ શરૂઆતથી જ વૈજ્ઞાનિક સિદ્ધાંતો, વૈજ્ઞાનિક પરામર્શ અને વૈજ્ઞાનિક પદ્ધતિ પર આધારિત રહી છે. ગત 11 મહિનાથી દેશમાં વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે. દેશવાસીઓ તેના લાભ પણ અનુભવી રહ્યા છે. તેમનું રોજિંદું જીવન સામાન્ય થઈ રહ્યું છે. આર્થિક ગતિવિધિઓ પણ દુનિયાના અનેક દેશોની તુલનામાં ઉત્સાહજનક રહી છે.

પરંતુ સાથીઓ,

આપણે સૌ જાણીએ છીએ કે કોરોના હજુ ગયો નથી. એવામાં સતર્કતા ખૂબ જરૂરી છે. દેશને સુરક્ષિત રાખવા માટે, દેશવાસીઓને સુરક્ષિત રાખવા માટે અમે સતત કામ કર્યુ છે. જ્યારે વેક્સિનેશન શરૂ થયું તો તેમાં પણ વૈજ્ઞાનિક સૂચનોના આધારે જ એ નક્કી કરવામાં આવ્યું કે પ્રથમ ડોઝ કોને આપવાનું શરૂ કરવામાં આવે, પ્રથમ અને બીજા ડોઝ વચ્ચે કેટલું અંતર હોય, સ્વસ્થ લોકોને ક્યારે વેક્સિન લાગે, જેમને કોરોના થઈ ચૂક્યો છે તેમને ક્યારે વેક્સિન લાગે અને જેઓ કો-મોર્બિડિટીથી ગ્રસ્ત છે તેમને ક્યારે વેક્સિન લાગે.

આવા નિર્ણયો સતત કરવામાં આવ્યા અને આ પરિસ્થિતિઓને સંભાળવામાં ખૂબ મદદરૂપ સાબિત થયા છે. ભારતે પોતાની સ્થિતિ-પરિસ્થિતિને અનુસાર, ભારતના વિજ્ઞાનીઓના સૂચનો પર જ પોતાના નિર્ણય લીધા છે.

વર્તમાનમાં, ઓમિક્રોનની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. વિશ્વમાં તેના અનુભવ પણ અલગ-અલગ છે, અનુમાન પણ અલગ-અલગ છે. ભારતના વિજ્ઞાનીઓ પણ તેના પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે, તેના પર કામ કરી રહ્યા છે. આપણા વેક્સિનેશનને આજે જ્યારે 11 મહિના પૂરા થઈ ગયા છે  તો તમામ ચીજોનું વિજ્ઞાનીઓએ અધ્યયન કર્યુ છે અને વિશ્વભરના અનુભવોને જોઈને આજે કેટલાક નિર્ણય લેવામાં આવ્યા છે. આજે અટલજીનો જન્મદિન છે, ક્રિસમસનો તહેવાર છે તો મને થયું કે આ નિર્ણયને આપ સૌની સાથે શેર કરવો જોઈએ.

સાથીઓ,

15 વર્ષથી 18 વર્ષની વય વચ્ચેના જે બાળકો છે, હવે તેમના માટે દેશમાં વેક્સિનેશન શરૂ થશે. 2022માં, 3 જાન્યુઆરીએ,સોમવારના દિવસથી તેની શરૂઆત કરવામાં આવશે. આ નિર્ણય, કોરોના વિરુદ્ધ દેશની લડાઈને તો મજબૂત કરશે જ,  સ્કૂલ-કોલેજોમાં જઈ રહેલા આપણા બાળકોની, અને તેમના માતા-પિતાની ચિંતા પણ ઓછી કરશે.

સાથીઓ,

આપણા સૌનો અનુભવ છે કે જો કોરોના વોરિયર્સ છે, હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સ છે, આ લડાઈમાં દેશને સુરક્ષિત રાખવામાં તેમનું ખૂબ મોટું યોગદાન છે. તેઓ આજે પણ કોરોનાના દર્દીઓની સેવામાં પોતાનો ઘણો સમય વિતાવે છે. આથી, પ્રિકોશનની દ્રષ્ટિએ સરકારે નિર્ણય લીધો છે કે હેલ્થકેર અને ફ્રંટલાઈન વર્કર્સને વેક્સિનના પ્રિકોશન ડોઝ પણ શરૂ કરવામાં આવશે. આની  શરૂઆત 2022માં, 10 જાન્યઆરી, સોમવારના દિવસથી કરવામાં આવશે.

સાથીઓ,

કોરોના વેક્સિનેશનનો અત્યાર સુધીનો એ પણ અનુભવ રહ્યો છે કે જેઓ વધુ વયના લોકો છે અને અગાઉથી જ કોઈને કોઈ ગંભીર બીમારીથી પીડિત છે,  તેમને પ્રિકોશન લેવામાં આવે એ સલાહભર્યુ છે. આને ધ્યાનમાં રાખીને, 60 વર્ષથી ઉપરની વયના કો-મોર્બિડિટીવાળા નાગરિકોને, તેમના ડોક્ટરની સલાહ પર વેક્સિનનો પ્રિકોશન ડોઝનો વિકલ્પ તેમના માટે ઉપલબ્ધ હશે. આ પણ 10 જાન્યુઆરીથી  શરૂ થશે.

સાથીઓ,

મારો આગ્રહ  છે કે અફવા, ભ્રમ અને ડર પેદા કરવાના જે પ્રયાસો ચાલી રહ્યા છે, તેનાથી બચવું જોઈએ, આપણે સૌ દેશવાસીઓએ મળીને અત્યાર સુધી દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન અભિયાન ચલાવ્યું છે.

આવનારા સમયમાં, આપણે આને વધુ ગતિ આપવાની છે અને તેનો વિસ્તાર કરવાનો છે. આપણા સૌના પ્રયાસો જ કોરોના વિરુદ્ધ આ લડાઈમાં દેશને મજબૂત કરશે

આપ સૌનો ખૂબ-ખૂબ આભાર!

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1785242) Visitor Counter : 182