પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી ઉત્તર પ્રદેશના ઝાંસીમાં ‘રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વ’માં ઉપસ્થિત રહ્યા
રાણી લક્ષ્મીબાઇ અને સ્વતંત્રતાના 1857ના સંગ્રામનાં નાયકો-નાયિકાઓને શ્રદ્ધાંજલિ અર્પી, મેજર ધ્યાનચંદને યાદ કર્યા
એનસીસી એલમ્ની એસોસિયેશનના પહેલા સભ્ય તરીકે પ્રધાનમંત્રીની નોંધણી
“એક તરફ આપણા દળોની શક્તિ વધી રહી છે, એ સાથે જ ભવિષ્યમાં દેશની રક્ષા કરવા સક્ષમ યુવાઓ માટે આધાર પણ તૈયાર થઈ રહ્યો છે”
“સરકારે સૈનિક શાળાઓમાં દીકરીઓનો પ્રવેશ શરૂ કર્યો છે. 33 સૈનિક સ્કૂલોમાં કન્યા વિદ્યાર્થીઓનો પ્રવેશ આ સત્રથી શરૂ પણ થઈ ચૂક્યો છે”
“લાંબા સમય સુધી ભારત વિશ્વમાં સૌથી મોટા શસ્ત્રો ખરીદદારોમાં રહ્યું છે પણ આજે દેશનો મંત્ર છે- મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ”
Posted On:
19 NOV 2021 7:16PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના ઝાંસીમાં ‘રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વ’માં હાજરી આપી હતી. ઝાંસીના કિલ્લાના પરિસરમાં આયોજિત ‘રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વ’ને ઉજવતા ભવ્ય સમારોહમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંરક્ષણ મંત્રાલયની કેટલીય નવી પહેલને રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ પરિયોજનાઓમાં એનસીસી એલમ્ની એસોસિયેશન, પ્રધાનમંત્રીની આ એસોસિયેશનના પ્રથમ સભ્ય તરીકે નોંધણી કરવામાં આવી હતી; એનસીસી કૅડેટ્સ માટે નેશનલ પ્રોગ્રામ ઑફ સિમ્યુલેશન; રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા કિઓસ્ક,; રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક માટેની મોબાઇલ એપ; ભારતીય નૌકા દળનાં જહાજો માટે ડીઆરડીઓએ ડિઝાઇન કરેલ અને વિક્સાવેલ આધુનિક ઈલેક્ટ્રોનિક વૉરફેર સ્યુટ ‘શક્તિ’; હળવા લડાકુ હૅલિકૉપ્ટર્સ અને ડ્રોન્સનો સમાવેશ થાય છે. તેમણે ઉત્તર પ્રદેશ સંરક્ષણ ઔદ્યોગિક કોરિડોરના ઝાંસી નોડ ખાતે ભારત ડાયનેમિક્સ લિમિટેડના રૂ. 400 કરોડના પ્રોજેક્ટનું ભૂમિપૂજન પણ કર્યું હતું.
ઝાંસીના ગરૌઠા ખાતે પ્રધાનમંત્રીએ 600 મેગાવૉટના અલ્ટ્રામેગા સોલર પાવર પાર્કનો પણ શિલાન્યાસ કર્યો હતો. આ સોલર પાવર પાર્ક રૂ. 300 કરોડથી વધુના ખર્ચે નિર્મિત થઈ રહ્યો છે અને સસ્તી વીજળી અને ગ્રિડની સ્થિરતાના બેવડા લાભો પૂરાં પાડવામાં મદદ કરશે. પ્રધાનમંત્રીએ ઝાંસીમાં અટલ એક્તા પાર્કનું પણ ઉદઘાટન કર્યું હતું. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીનાં નામથી નામાભિધાન કરાયેલ આ પાર્ક રૂ. 11 કરોડથી વધુના ખર્ચે બન્યો છે અને 40,000 ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલો છે. એમાં લાઈબ્રેરી પણ હશે, અને શ્રી અટલ બિહારી વાજપેયીની પ્રતિમા પણ. આ પ્રતિમાનું નિર્માણ જાણીતા શિલ્પકાર અને સ્ટેચ્યુ ઑફ યુનિટીના રચયિતા એવા શ્રી રામ સુથારે કર્યું છે.
સમારોહને સંબોધતા પ્રધાનમંત્રીએ વીરતા અને શક્તિની પરાકાષ્ઠા રાણી લક્ષ્મીબાઇની જન્મજયંતીની નોંધ લીધી હતી અને કહ્યું કે આજે ઝાંસીની આ ભૂમિ આઝાદીના ભવ્ય અમૃત મહોત્સવની સાક્ષી બની છે! અને આજે, નવું મજબૂત અને શક્તિશાળી ભારત આ ભૂમિ પર આકાર લઈ રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે રાણી લક્ષ્મીબાઇનાં જન્મ સ્થળ એટલે કે કાશીનું પ્રતિનિધિત્વ કરતા તેમને ગર્વની લાગણી થાય છે. પ્રધાનમંત્રીએ ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વ, કારતકી પૂર્ણિમા અને દેવ-દીપાવલીની પણ ઉષ્માભરી શુભકામનાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રીએ શૌર્ય અને બલિદાનના ઇતિહાસમાં યોગદાન આપનારાં ઘણાં નાયકો-નાયિકાઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી. “આ ભૂમિ વીરાંગના ઝલ્કારી બાઇની વીરતા અને સૈન્ય પરાક્રમની પણ સાક્ષી રહી છે જેઓ રાણી લક્ષ્મીબાઇનાં અવિભાજ્ય સાથી હતાં. 1857ના સ્વતંત્રતા સંગ્રામનાં અમર નાયિકાને પણ હું વંદન કરું છું. આ ભૂમિ પરથી ભારતીય વીરતા અને સંસ્કૃતિની અમર ગાથાઓ લખનારા, ભારતને ગૌરવાન્વિત કરનારા ચંદેલો અને બુંદેલોને પણ હું પ્રણામ કરું છું. હું બુંદેલખંડના ગર્વને નમન કરું છું, હજીય બલિદાનનું અને માતૃભૂમિની રક્ષા કાજે બલિદાનનું પ્રતીક છે એવા વીર આલ્હા ઉદેલોને નમન કરું છું” એમ પ્રધાનમંત્રીએ કહી સંભળાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ ઝાંસીના સપૂત મેજર ધ્યાન ચંદને પણ યાદ કર્યા હતા અને રમતગમતમાં શ્રેષ્ઠતા માટે સર્વોચ્ચ પુરસ્કાર આ હૉકી દંતકથારૂપ વ્યક્તિનાં નામે પુન:નામાભિધાન કરવા વિશે વાતો કરી હતી.
પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે આજે એક બાજુ આપણા દળોની તાકાત વધી રહી છે પણ એની સાથે ભવિષ્યમાં દેશની રક્ષા કાજે સક્ષમ યુવાઓ માટેની ભૂમિકા પણ તૈયાર થઈ રહી છે. શરૂ થઈ રહેલી 100 સૈનિક શાળાઓ આગામી સમયમાં, દેશનું ભવિષ્ય શક્તિશાળી હાથોમાં સોંપવા કામ કરશે. તેમણે કહ્યું કે સરકારે સૈનિક શાળાઓમાં દીકરીઓનો પ્રવેશ શરૂ કર્યો છે. 33 સૈનિક શાળાઓમાં, કન્યા વિદ્યાર્થીઓનો પ્રવેશ આ સત્રથી શરૂ થઈ ચૂક્યો છે. રાણી લક્ષ્મીબાઇ જેવી દીકરીઓ પણ આ સૈનિક શાળાઓમાંથી બહાર આવશે જે દેશના સંરક્ષણ, સલામતી અને વિકાસની જવાબદારી એમનાં ખભે ઉપાડી લેશે.
એનસીસી એલ્મની એસોસિયેશનના પ્રથમ સભ્ય તરીકે નોંધાયેલા પ્રધાનમંત્રીએ સાથી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને દેશની સેવામાં આગળ આવવા અને જે રીતે શક્ય હોય એ રીતે યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
ઐતિહાસિક ઝાંસીનો કિલ્લો એમની પશ્ચાદભૂમાં હતો ત્યારે પ્રધાનમંત્રીએ કહ્યું કે વીરતાના અભાવે ભારત કદી કોઇ જંગ હાર્યું નથી. જો રાણી લક્ષ્મીબાઇ પાસે સંસાધનો અને આધુનિક શસ્ત્રો બ્રિટિશરોની સમકક્ષ હોત તો દેશની આઝાદીનો ઈતિહાસ અલગ જ હોત, એમ તેમણે કહ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે લાંબા સમયથી ભારત વિશ્વમાં શસ્ત્રોના સૌથી મોટા ખરીદનાર દેશોમાં રહ્યું છે. પણ આજે દેશનો મંત્ર છે- મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ. આજે ભારત એના દળોને આત્મનિર્ભર બનાવવા કામ કરે છે. આ સાહસમાં ઝાંસી મોટી ભૂમિકા ભજવશે એમ તેમણે ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રી કહ્યું કે ‘રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વ’ જેવા કાર્યક્રમો સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાનું વાતાવરણ સર્જવામાં લાંબી મજલ કાપશે. તેમણે કહ્યું કે આવી જ ભવ્ય રીતે આપણે આપણા રાષ્ટ્રીય નાયકો અને નાયિકોને ઉજવવાની જરૂર છે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1773379)
Visitor Counter : 268
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam