પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી મોદીએ ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરમાં 9 મેડિકલ કોલેજનું ઉદઘાટન કર્યું


સિદ્ધાર્થનગર, ઇટાહ, હરદોઇ, પ્રતાપગઢ, ફતેહપુર, દેવરિયા, ગાઝીપુર, મિર્ઝાપુર અને જૌનપુરને નવી મેડિકલ કોલેજ મળી

“ઉત્તર પ્રદેશની ડબલ એન્જિન સરકાર એ ઘણાં કર્મયોગીઓની દાયકાઓની આકરી મહેનતનું પરિણામ છે”

“આ મેડિકલ કોલેજમાંથી બહાર પડનારા યુવા તબીબોને લોક સેવા માટે માધવ પ્રસાદ ત્રિપાઠીનું નામ સતત પ્રેરણા આપતું રહેશે”

“ઉત્તર પ્રદેશના પૂર્વાંચલની છબી અગાઉ મેનિન્જાઇટિસના લીધે ખરડાઈ હતી, તે હવે પૂર્વીય ભારતમાં આરોગ્યનો નવો પ્રકાશ પ્રદાન કરવા જઇ રહ્યું છે”

“સરકાર સંવેદનશીલ હોય તો જ તેના મનમાં ગરીબોની પીડા સમજવા માટે દયાનો ભાવ હોય છે અને ત્યારે જ આ પ્રકારની સિદ્ધિઓ સર્જાય છે”

“રાજ્યમાં આટલી બધી મેડિકલ કોલેજ સમર્પિત થવી અભૂતપૂર્વ છે. આવું પહેલાં થયું નહોતું અને હવે થઈ રહ્યું છે અને હવે તે શા માટે થઈ રહ્યું છે તેનું માત્ર એક જ કારણ છે – રાજકીય ઇચ્છાશક્તિ અને રાજકીય પ્રાથમિકતા”

“વર્ષ 2017 સુધીમાં ઉત્તર પ્રદેશમાં સરકારી મેડિકલ કોલેજમાં માત્ર 1900 મેડિકલ સીટ હતી. ડબલ એન્જિન સરકારે માત્ર છેલ્લાં ચાર વર્ષમાં જ 1900 કરતા વધુ સીટ ઉમેરી છે”

Posted On: 25 OCT 2021 11:59AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થ નગરમાં 9 મેડિકલ કોલેજનું ઉદઘાટન કર્યું. આ નવ મેડિકલ કોલેજ સિદ્ધાર્થનગર, ઇટાહ, હરદોઇ, પ્રતાપગઢ, ફતેહપુર, દેવરિયા, ગાઝીપુર, મિર્ઝાપુર અને જૌનપુર જિલ્લામાં છે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને મુખ્યમંત્રી તથા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશ સરકાર એ ઘણાં કર્મયોગીઓની દાયકાઓની આકરી મહેનતનું પરિણામ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સિદ્ધાર્થનગરે દેશને સ્વર્ગીય માધવ પ્રસાદ ત્રિપાઠીજીના રૂપમાં એક સમર્પિત લોક પ્રતિનિધિ આપ્યો છે, જેનો અથાગ પરિશ્રમ દેશને આજે મદદરૂપ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે સિદ્ધાર્થનગરની નવી મેડિકલ કોલેજનું નામ માધવબાબુના નામ ઉપરથી રાખવું એ જ તેમની સેવાઓને સાચી શ્રદ્ધાંજલિ છે. આ કોલેજમાં તૈયાર થઇ બહાર નીકળનારા યુવા ડોક્ટર્સને માધવબાબુનું નામ લોક સેવા માટે સતત પ્રેરિત કરતું રહેશે, એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું.   

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે 9 નવી મેડિકલ કોલેજની રચના સાથે આશરે અઢી હજાર નવા બૅડનું સર્જન થયું છે, 5 હજાર કરતા વધુ તબીબો અને પેરામેડિક્સ માટે રોજગારના નવા અવસરોનું સર્જન થવા પામ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ સાથે દર વર્ષે હજારો યુવાઓ માટે તબીબી શિક્ષણનો એક નવો પથ ખુલી ગયો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે અગાઉની સરકારોમાં મેનિન્જાઇટિસના કારણે પૂર્વાંચલની છબી ખરડાઈ હતી. એ જ પૂર્વાંચલ, એ જ ઉત્તર પ્રદેશ હવે પૂર્વીય ભારતને આરોગ્યનો એક નવો પ્રકાશ પ્રદાન કરવા જઇ રહ્યું છે, તેવું પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ સંસદનો એ બનાવ યાદ કર્યો હતો કે જેમાં ઉત્તર પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીએ એક સાંસદ તરીકે રાજ્યની નબળી તબીબી વ્યવસ્થાની વેદનાનું સંસદમાં વર્ણન કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે ઉત્તર પ્રદેશની જનતા એ જોઇ રહી છે કે યોગીજીને લોકોએ સેવાની તક પ્રદાન કરી તો તેમણે એન્કેફ્લાઇટિસને આગળ વધતો રોકી દીધો તથા આ વિસ્તારના હજારો બાળકોના જીવ બચાવી લીધા. સરકાર સંવેદનશીલ હોય તો જ તેનામાં ગરીબોની પીડા સમજવા માટે દયાનો ભાવ હોય છે અને ત્યારે જ આવી સિદ્ધિઓ સર્જાય છે. એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આ રાજ્યમાં આટલી બધી મેડિકલ કોલેજ સમર્પિત થવી એ અભૂતપૂર્વ બાબત છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે અગાઉ આવું થયું નહોતું અને હવે તે થઈ રહ્યું છે જેનું માત્ર એક જ કારણ છે – રાજકીય ઇચ્છાશક્તિ અને રાજકીય પ્રાથમિકતા. પ્રધાનમંત્રીએ સ્પષ્ટ જણાવ્યું કે દિલ્હીમાં 7 વર્ષ પૂર્વેની પાછલી સરકારો અને ઉત્તર પ્રદેશમાં 4 વર્ષ પૂર્વેની પાછલી સરકાર મત માટે કામ કરતી હતી અને મતની ગણતરી મુજબ માત્ર થોડીક ડિસ્પેન્સરી અથવા થોડીક નાની હોસ્પિટલની માત્ર જાહેરાત કરીને સંતોષ માની લેતી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે લાંબા સમય સુધી અથવા તો ઇમારત બનતી નહોતી, અને જો ઇમારત હોય તો મશીન ન હોય, અને જો બંને હોય તો ડોક્ટર્સ કે બીજો સ્ટાફ ન હોય. લોકો પાસેથી હજારો કરોડો રૂપિયા લૂંટી લેનારું ભ્રષ્ટાચારનું ચક્ર સતત ફરતું રહેતું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વર્ષ 2014 પહેલાં આપણા દેશમાં મેડિકલ સીટની સંખ્યા 90,000 કરતા ઓછી હતી. છેલ્લાં 7 વર્ષ દરમિયાન સમગ્ર દેશમાં 60,000 નવી મેડિકલ સીટ્સ ઉમેરાઈ છે. અહીં ઉત્તર પ્રદેશમાં પણ વર્ષ 2017 સુધી સરકારી મેડિકલ કોલેજમાં માત્ર 1900 મેડિકલ બેઠક હતી. જ્યારે ડબલ એન્જિનની સરકારના કાર્યકાળમાં છેલ્લાં માત્ર 4 વર્ષમાં જ 1900 કરતા વધુ સીટની વૃદ્ધિ થઈ છે. 

 

 

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1766281) Visitor Counter : 295