પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કુશીનગર આંતરરાષ્ટ્રીય હવાઇમથકનું ઉદ્ઘાટન કર્યું


“કુશીનગર આંતરરાષ્ટ્રીય હવાઇમથક સમગ્ર દુનિયામાં બૌદ્ધ સમુદાયની ભક્તિને શ્રેષ્ઠ વંદન સમાન છે”


“બહેતર કનેક્ટિવિટી અને ભક્તો માટે સુવિધાઓનું સર્જન કરવા માટે ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલા સ્થળોના વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે”


“ઉડાન યોજના હેઠળ 900 કરતાં વધારે નવા રૂટને માન્યતા આપવામાં આવી છે, 350 રૂટ કાર્યાન્વિત પણ થઇ ગયા છે. 50થી વધારે નવા હવાઇમથકો અથવા અગાઉ જે સેવામાં ઉપયોગમાં લેવાતા નહોતા તેનું પરિચાલન શરૂ કરવામાં આવ્યું છે”

“ઉત્તરપ્રદેશમાં, કુશીનગર હવાઇમથક પહેલાં 8 હવાઇમથકોએ પહેલાંથી જ કામ કરવાનું શરૂ કરી દીધું છે. લખનઉ, વારાણસી અને કુશીનગર બાદ જેવાર આંતરરાષ્ટ્રીય હવાઇમથકનું કામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત, અયોધ્યા, અલીગઢ, આઝમગઢ, ચિત્રકૂટ, મોરાદાબાદ અને શ્રાવસ્ટીમાં હવાઇમથકની પરિયોજનાઓનું કામ ચાલી રહ્યું છે”

“એર ઇન્ડિયા અંગેનો નિર્ણય ભારતમાં ઉડ્ડયન ક્ષેત્રને નવી ઉર્જા પ્રદાન કરશે”

“તાજેતરમાં શરૂ કરવામાં આવેલી ડ્રોન નીતિ કૃષિથી માંડીને આરોગ્ય, આપત્તિ વ્યવસ્થાપનથી માંડીને સંરક્ષણ સહિતના શ્રેણીબદ્ધ ક્ષેત્રોમાં જીવન પરિવર્તનકારી ફેરફારો લાવી રહી છે”

Posted On: 20 OCT 2021 11:24AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કુશીનગર આંતરરાષ્ટ્રીય હવાઇમથકનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત સમગ્ર દુનિયામાં બૌદ્ધ સમાજની આસ્થાનું કેન્દ્ર છે. તેમણે આજથી શરૂ કરવામાં આવેલી કુશીનગર આંતરરાષ્ટ્રીય હવાઇમથકની સુવિધાને બૌદ્ધ સમાજની ભક્તિને શ્રેષ્ઠ વંદન સમાન ગણાવી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ પ્રદેશ ભગવાન બુદ્ધની આત્મજાગૃતિથી મહાપરિનિર્વાણ સુધીની સમગ્ર સફરનો સાક્ષી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, આજે આ મહત્વપૂર્ણ પ્રદેશ સીધો જ આખી દુનિયા સાથે જોડાઇ રહ્યો છે.

પ્રધાનમંત્રીએ બહેતર કનેક્ટિવિટી અને ભક્તો માટે સુવિધાઓનું નિર્માણ કરીને ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલા સ્થળોના વિકાસ પર આપવામાં આવી રહેલા વિશેષ ધ્યાન પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ કુશીનગર ખાતે ઊતરાણ થયેલી શ્રીલંકાની ફ્લાઇટ અને તેમાં આવેલા પ્રતિનિધિમંડળને આવકાર્યા હતા. મહર્ષિ વાલ્મિકીની આજે જન્મજયંતિ હોવાથી તેમને વંદન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશ આજે સૌના સાથ અને સૌના પ્રયાસની મદદથી સૌના વિકાસની દિશામાં આગેકૂચ કરી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, “કુશીનગરનો વિકાસ ઉત્તરપ્રદેશ અને કેન્દ્ર સરકારની મુખ્ય પ્રાથમિકતાઓમાંથી એક છે.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પર્યટન તેના દરેક સ્વરૂપમાં, ભલે તે આસ્થા હોય કે પછી આરામદાયક વેકેશન માટે હોય, તમામ સ્થિતિમાં રેલવે, માર્ગ, હવાઇમાર્ગ, જળમાર્ગ, હોટેલો, હોસ્પિટલો, ઇન્ટરનેટ કનેક્ટિવિટી, સ્વચ્છતા, કચરાના નિકાલ માટેની ટ્રીટમેન્ટ અને સ્વચ્છ પર્યાવરણ માટે અક્ષય ઊર્જાના ઉપયોગ સહિત તે આધુનિક માળખાકીય સુવિધાઓથી પરિપૂર્ણ હોય તે જરૂરી છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “આ બધી જ બાબતો એકબીજા સાથે આંતરિક રીતે જોડાયેલી છે અને આ બધી જ સગવડો ઊભી કરવા માટે એકસાથે તેના પર કામ કરવામાં આવે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે 21મી સદીનું ભારત ફક્ત આ અભિગમ સાથે જ આગળ વધી રહ્યું છે.”

પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે, ઉડાન યોજના હેઠળ છેલ્લા કેટલાક વર્ષમાં 900 કરતાં વધારે નવા રૂટને માન્યતા આપવામાં આવી છે જેમાંથી 350 કરતાં વધારે રૂટ પર તો સેવાઓ શરૂ પણ કરી દેવામાં આવી છે. 50 કરતાં વધારે નવા હવાઇમથકો અથવા અગાઉ જેને સેવા માટે ઉપયોગમાં લેવામાં આવતા નહોતા તેનું પરિચાલન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશમાં એર કનેક્ટિવિટીમાં સતત સુધારો થઇ રહ્યો હોવાથી રાજ્યમાં ઉડ્ડયન ક્ષેત્ર સંબંધે હાથ ધરવામાં આવેલા વિકાસ કાર્યો પર પ્રકાશ પાડ્યો હતો. ઉત્તરપ્રદેશમાં કુશીનગર હવાઇમથક પહેલાં 8 હવાઇમથકો પહેલાંથી જ કાર્યાન્વિત કરવામાં આવ્યા છે. લખનઉ, વારાણસી અને કુશીનગર પછી હવે જેવાર આંતરરાષ્ટ્રીય હવાઇમથકનું કામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત, અયોધ્યા, અલીગઢ, આઝમગઢ, ચિત્રકૂટ, મોરાદાબાદ અને શ્રાવસ્ટીમાં પણ હવાઇમથકની પરિયોજનાઓનું કામ ચાલી રહ્યું છે.

એર ઇન્ડિયા સંબંધે તાજેતરમાં લેવામાં આવેલા નિર્ણયનો સંદર્ભ ટાંકતા પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, આ પગલું દેશમાં ઉડ્ડયન ક્ષેત્રને વ્યાવસાયિકરૂપે ચલાવવામાં મદદરૂપ થશે અને તેનાથી સુવિધા અને સલામતીને પ્રાથમિકતા આપી શકાશે. તેમણે ઉમેર્યું હતું કે, “આ પગલું ભારતમાં ઉડ્ડયન ક્ષેત્રમાં નવી ઊર્જાનો સંચાર કરશે. આવો જ એક મોટો સુધારો નાગરિકોના ઉપયોગ માટે સંરક્ષણ એરસ્પેસને ખુલ્લી કરવા સંબંધિત છે.” આ પગલું વિવિધ હવાઇ રૂટ પર અંતર ઓછું કરશે. પ્રધાનમંત્રીએ એવું પણ જણાવ્યું હતું કે, તાજેતરમાં શરૂ કરવામાં આવેલી ડ્રોન નીતિ કૃષિથી માંડીને આરોગ્ય, આપત્તિ વ્યવસ્થાપનથી માંડીને સંરક્ષણ સહિતના શ્રેણીબદ્ધ ક્ષેત્રોમાં જીવન પરિવર્તનકારી ફેરફારો લાવી રહી છે

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં શરૂ કરવામાં આવેલો પ્રધાનમંત્રી ગતિ શક્તિ - રાષ્ટ્રીય માસ્ટર પ્લાન સુશાસનમાં સુધારો લાવવાની સાથે સાથે માર્ગ, રેલવે, હવાઇ વગેરે પરિવહનના તમામ માધ્યમો એકબીજાને સહકાર આપે અને એકબીજાની ક્ષમતામાં વધારો કરે તેવું પણ સુનિશ્ચિત કરશે.

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1765120) Visitor Counter : 278