પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ લખનઉમાં 'આઝાદી@75 - નવું શહેરી ભારતઃ પરિવર્તન પામી રહેલી શહેરી ભૂમિ' પરિષદ અને પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યુ


પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશમાં 75 જિલ્લાઓમાં 75,000 લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના - શહેરી (PMAY-U) ઘરોની ચાવીઓ સોંપી

સ્માર્ટ સિટી મિશન અને અમૃત અંતર્ગત ઉત્તર પ્રદેશની 75 શહેરી વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યુ /આધારશિલા મૂકી

લખનઉ, કાનપુર, વારાણસી, પ્રયાગરાજ, ગોરખપુર, ઝાંસી અને ગાઝિયાબાદ માટે ફેમ-II અંતર્ગત 75 બસોને લીલી ઝંડી દર્શાવી

લખનઉમાં બાબા સાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટી (BBAU)માં શ્રી અટલ બિહારી વાજપેયી અધ્યાપક પીઠની સ્થાપના કરવાની જાહેરાત કરી

આગ્રા, કાનપુર અને લલિતપુરના ત્રણ લાભાર્થીઓ સાથે અનૌપચારિક, સ્વયંભૂ વાર્તાલાપ હાથ ધર્યો

"PMAY અંતર્ગત શહેરોમાં 1.13 કરોડથી વધારે આવાસ એકમો બાંધવામાં આવ્યાં અને તેમાંથી, 50 લાખ ઘરોનું નિર્માણ કરીને દેવામાં આવ્યું અને ગરીબોને સુપરત કરવામાં આવ્યાં"

"PMAY અંતર્ગત દેશમાં આશરે 3 કરોડ ઘરો બાંધવામાં આવ્યાં છે, તમે તેની કિંમત અંદાજી શકો છો. આ લોકો 'લખપતિ' બની ગયા છે"

"આજે આપણે કહેવું પડશે 'પહેલે આપ' - ટેકનોલોજી પહેલા"

"શહેરી મંડળો LED સ્ટ્રીટ લાઇટ લગાવીને દર વર્ષે આશરે

Posted On: 05 OCT 2021 1:32PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લખનઉમાં 'આઝાદી@75 - નવું શહેરી ભારતઃ પરિવર્તન પામી રહેલી શહેરી ભૂમિ' પરિષદ અને પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ પ્રસંગે કેન્દ્રિય મંત્રીઓ શ્રી રાજનાથસિંહ, શ્રી હરદીપ પુરી, શ્રી મહેન્દ્રનાથ પાંડે, શ્રી કૌશલ કિશોર, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આંનંદીબેન પટેલ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના 75 જિલ્લામાં 75,000 પ્રધાનમંત્રી આવાસ યોજના- શહેરી (PMAY-U) ઘરોની ચાવીઓ ડિજિટલ રીતે લાભાર્થીઓને સોંપી હતી અને ઉત્તર પ્રદેશમાં યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ રીતે વાર્તાલાપ કર્યો હતો. તેમણે સ્માર્ટ સિટી મિશન અને અમૃત અંતર્ગત ઉત્તર પ્રદેશની 75 શહેરી વિકાસ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યુ હતું / આધારશિલા મૂકી હતી, લખનઉ, કાનપુર, વારાણસી, પ્રયાગરાજ, ગોરખપુર, ઝાંસી અને ગાઝિયાબાદ સહિત સાત શહેરો માટે ફેમ-II અંતર્ગત 75 બસોની લીલી ઝંડી દર્શાવી હતી અને ભારત સરકારના આવસ અને શહેરી બાબતોના મંત્રાલયની વિવિધ મહત્ત્વપૂર્ણ યોજનાઓ અંતર્ગત અમલમાં મુકવામાં આવી રહેલી 75 પરિયોજનાઓનો સમાવેશ કરતી કોફી ટેબલ બૂકનું વિમોચન કર્યુ હતું. પ્રધાનમંત્રીએ લખનઉ ખાતે બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી (BBAU)માં શ્રી અટલ બિહારી વાજપેયી અધ્યાપક પીઠની સ્થાપનાની પણ જાહેરાત કરી હતી.

આગ્રાની રહેવાસી શ્રીમતી વિમલેશ સાથે વાતચીત દરમિયાન લાભાર્થીએ પ્રધાનમંત્રીને જણાવ્યું હતું કે તેણે પીએમ આવાસ સહિત ગેસ સિલિન્ડર, શૌચાલય, વીજળી, નળ જોડાણ અને રેશન કાર્ડ જેવી અન્ય યોજનાઓમાંથી લાભ મેળવ્યો છે. પ્રધાનમંત્રીએ તેમને સરકારી યોજનાઓનો લાભ ઉઠાવવાનું અને તેમના બાળકોને ખાસ કરીને પુત્રીઓને શિક્ષિત કરવા જણાવ્યું હતું.

કાનપુરના રામ જાનકીજી સાથે વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીએ દૂધ વિક્રેતાને પ્રશ્ન પૂછ્યો હતો કે, શું તેમણે સ્વામિત્વ યોજનામાંથી લાભ મેળવ્યો છે કે નહીં. લાભાર્થીએ જણાવ્યું હતું કે, તેમણે 10 હજાર રૂપિયાની લોન મેળવી છે અને તે નાણાનું તેણીના વ્યવસાયમાં રોકાણ કર્યુ છે. પ્રધાનમંત્રીએ તેણીને વ્યવસાયમાં ડિજિટલ લેવડ-દેવડ વધારવા આગ્રહ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ લલિતપુરની પીએમ આવાસ યોજનાની લાભાર્થી શ્રીમતી બબિતા પાસેથી તેણીની આજીવિકા અને યોજના અંગે પોતાના અનુભવ અંગે માહિતી મેળવી હતી. તેમણે જણાવ્યું હતું કે, જન ધન ખાતાઓએ સીધા જ લાભાર્થીના ખાતામાં નાણાનું હસ્તાંતર કરવામાં મદદ કરી છે. ટેકનોલોજી સૌથી વધારે ગરીબોને મદદ કરે છે. પ્રધાનમંત્રીએ તેમને સ્વામિત્વ યોજનાના લાભો મેળવવા જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ લાભાર્થીઓ સાથે ખૂબ જ હળવા અને પ્રફુલ્લિત મને સંવાદ કર્યો હતો. આ સંવાદ ખૂબ જ અનૌપચારિક અને સ્વયંભૂ રીતે યોજાયો હતો.

એકત્રિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેવી પરિસ્થિતિ જેમાં તમામ મિલકતો ઘરના પુરુષોના નામ પર હોય છે, તે પ્રણાલીમાં ફેરફારની જરૂર છે અને તે દિશામાં દૃઢ પગલાં ભરતાં પીએમ આવાસ યોજના અંતર્ગત 80 ટકાથી વધારે ઘરો મહિલાઓના નામે નોંધાયેલા છે અથવા તે સંયુક્ત માલિકી ધરાવે છે.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને અટલ બિહારી વાજપેયી જેવા રાષ્ટ્રીય દિર્ઘદૃષ્ટા આપવા બદલ લખનઉનો આભાર વ્યક્ત હતો, જેઓ સંપૂર્ણપણે માં ભારતીને સમર્પિત હતાં. તેમણે જાહેર કર્યુ હતું કે, "આજે તેમની સ્મૃતિમાં, બાબા સાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીમાં અટલ બિહારી વાજપેયી અધ્યાપક પીઠ સ્થાપવામાં આવી રહી છે."

પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બાંધવામાં આવતા મકાનોની સંખ્યામાં અગાઉની સંખ્યાઓની સરખામણીએ ધરખમ વધારો કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે માહિતી આપી હતી કે, શહેરોમાં આજદિન સુધીમાં 1.13 કરોડ કરતાં વધારે રહેઠાણના એકમોનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેમાંથી 50 લાખ કરતાં વધારે મકાનો પહેલાંથી જ બાંધકામ કરીને ગરીબોને સોંપી દેવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, શહેરી ગરીબ લોકોના ત્રણ કરોડ પરિવારો કે જેઓ ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા અને તેમની પાસે પાકી છત નહોતી અને તેમને લખપતિ બનવાની તક મળી છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, “પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ, દેશમાં લગભગ 3 કરોડ મકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તમે તેમની કિંમતનો અંદાજ લગાવી શકો છો. આ લોકો હવે લખપતિ બની ગયા છે. પ્રધાનમંત્રીએ વધુમાં ટાંક્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં હાલમાં કરવામાં આવેલા વિતરણ પહેલાં, અગાઉની સરકારોએ યોજનાઓના અમલીકરણમાં પાછીપાની કરી હતી કારણ કે 18000 કરતાં વધારે મકાનો મંજૂરી તો આપવામાં આવી હતી પરંતુ તેમના સમયમાં વાસ્તવમાં 18 મકાનોનું પણ બાંધકામ કરવામાં આવ્યું નહોતું. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, યોગી આદિત્યનાથના નેતૃત્વમાં વર્તમાન સરકાર સત્તામાં આવ્યા બાદ 9 લાખ કરતાં વધારે આવાસ એકમો શહેરી ગરીબોને સોંપવામાં આવ્યા અને 14 લાખ એકમો બાંધકામના વિવિધ તબક્કાઓ હેઠળ છે. આ મકાનો આધુનિક સુવિધાઓથી સજ્જ છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકારે શહેરી મધ્યમ વર્ગના લોકોને મુશ્કેલીઓ અને પડકારોમાંથી બહાર લાવવા માટે શક્ય હોય તેવા તમામ પ્રયાસો ગંભીરતાપૂર્વક કર્યા છે. રીઅલ એસ્ટેટ નિયામક સત્તામંડળ (RERA) અધિનિયમ આ દિશામાં લેવામાં આવેલું એક મોટું પગલું છે. આ કાયદાથી સમગ્ર આવાસ ક્ષેત્રને અવિશ્વાસ અને કૌભાંડો સામે રક્ષણ માટે મદદ મળી રહી છે અને તેનાથી તમામ હિતધારકોને સશક્ત બનાવવામાં પણ મદદ મળી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, શહેરી સંગઠનો દર વર્ષે LED સ્ટ્રીટ લાઇટ્સ લગાવીને અંદાજે રૂપિયા 1000 કરોડ બચાવી રહ્યાં છે. તેમણે માહિતી આપી હતી કે, આ રકમનો ઉપયોગ અન્ય સરકારી કાર્યોમાં થઇ રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, LEDના ઉપયોગના કારણે શહેરોમાં રહેતા લોકોના વીજળીના બીલમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતમાં છેલ્લા 6-7 વર્ષમાં ટેકનોલોજીના ઉપયોગના કારણે શહેરી ક્ષેત્રમાં ખૂબ જ મોટાપાયે પરિવર્તન આવ્યું છે. ટેકનોલોજી એકીકૃત આદેશ અને નિયંત્રણ કેન્દ્રોનો આધાર છે. આ કેન્દ્રો આજે સમગ્ર દેશમાંથી 70 શહેરોમાં કાર્યરત છે. પ્રધાનમંત્રીએ પહેલે આપની સંસ્કૃતિ માટે ઓળખાતા શહેરમાં કહ્યું હતું કે, 'આજે આપણે કહેવાનું છે કે 'પહેલા આપ' – ટેકનોલોજી ફર્સ્ટ'.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત, રસ્તા પરના ફેરિયાઓને બેંકો સાથે જોડવામાં આવી રહ્યાં છે. આ યોજના હેઠળ, 25 લાખ કરતાં વધારે લાભાર્થીઓને 2500 કરોડ રૂપિયાથી વધુની સહાય આપવામાં આવી છે. આમાં ઉત્તરપ્રદેશના 7 લાખથી વધુ લાભાર્થીઓએ સ્વનિધિ યોજનાનો લાભ લીધો છે. તેમણે ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા બદલ વિક્રેતાઓની પ્રશંસા કરી.

પ્રધાનમંત્રીએ આજે જણાવ્યું હતું કે, ભારતની મેટ્રો સેવા ઝડપથી દેશના મોટા શહેરોમાં વિસ્તરણ પામી રહી છે. 2014માં, મેટ્રો સેવાનો કુલ રૂટ 250 કિમી કરતાં ઓછી લંબાઈનો હતો પરંતુ, આજે મેટ્રો લગભગ 750 કિમી લંબાઈના રૂટ પર મેટ્રો ટ્રેનો ચાલી રહી છે. તેમણે ઉમેર્યું કે, દેશમાં હવે 1000 કિલોમીટરથી વધુ મેટ્રો ટ્રેક પર કામ ચાલી રહ્યું છે.



(Release ID: 1761082) Visitor Counter : 381