પ્રધાનમંત્રીનું કાર્યાલય
વૈશ્વિક કોવિડ-19 શિખર બેઠકમાં પ્રધાનમંત્રીની ટિપ્પણીઓ: મહામારીનો અંત લાવીએ અને વધુ સારી આરોગ્ય સલામતીના નિર્માણના હવે પછીના કદમ માટે તૈયાર થઈએ
Posted On:
22 SEP 2021 10:49PM by PIB Ahmedabad
મહાનુભાવો,
કોવિડ-19 મહામારી અભૂતપૂર્વ વિક્ષેપ બની રહી. અને, એ હજી સમાપ્ત થઈ નથી. વિશ્વભરમાં હજુ ઘણા હિસ્સાઓમાં રસીકરણ બાકી છે. એટલે જ રાષ્ટ્રપતિ શ્રી બાઇડેન દ્વારા આ પહેલ સમયસરની અને આવકાર્ય છે.
મહાનુભાવો,
ભારતએ હંમેશા માનવતાને એક પરિવાર ગણી છે. ભારતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગે ખર્ચ અસરકારક નિદાન કિટ્સ, દવાઓ, તબીબી સાધનો અને પીપીઈ કિટ્સ બનાવી છે. આ ઘણા વિક્સતા દેશોને પરવડે એવા વિકલ્પો પૂરા પાડી રહ્યાં છે. અને, અમે 150થી વધુ દેશોને દવાઓ અને તબીબી પુરવઠો વહેંચ્યો છે. ભારતમાં વિશ્વની પહેલી ડીએનએ આધારિત રસી સહિત બે સ્વદેશી રીતે વિક્સાવાયેલી રસીઓને “ઈમરજન્સી યુઝ ઑથોરાઇઝેશન” મળ્યું છે.
વિવિધ રસીઓના લાયસન્સ્ડ ઉત્પાદનમાં પણ ઘણી ભારતીય કંપનીઓ સંકળાયેલી છે.
આ વર્ષની શરૂઆતમાં, અમે અન્ય 95 દેશો તેમજ સંયુક્ત રાષ્ટ્રો શાંતિ રક્ષકો સાથે રસી ઉત્પાદનને વહેંચ્યું હતું અને અમે જ્યારે બીજી લહેરમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક પરિવારની જેમ વિશ્વ પણ ભારતની સાથે ઊભું રહ્યું હતું.
ભારતને જે પરસ્પરાવલંબન અને સમર્થન મળ્યું છે એ માટે હું આપ સૌનો આભાર માનું છું.
મહાનુભાવો,
ભારત હવે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચલાવી રહ્યું છે. તાજેતરમાં, અમે એક જ દિવસમાં આશરે 2.5 કરોડ લોકોને રસી આપી હતી. અમારી પાયાની આરોગ્ય વ્યવસ્થાએ અત્યાર સુધીમાં 80 કરોડથી વધુ ડૉઝ આપ્યા છે.
20 કરોડથી વધુ ભારતીયોનું રસીકરણ પૂર્ણ થયું છે. આ અમારા કો-વિન તરીકે જાણીતા નવીન ડિજિટલ પ્લેટફોર્મના ઉપયોગ થકી સમર્થ બન્યું છે.
વહેંચણીની ભાવનાને અનુરૂપ, ભારતે કો-વિન તેમજ અન્ય ઘણાં ડિજિટલ સમાધાનોને ઓપન સોર્સ સૉફટવેર તરીકે મુક્ત રીતે ઉપલબ્ધ કરાવ્યા છે.
મહાનુભાવો,
નવી અને નવી ભારતીય રસીઓ વિક્સાવાઇ રહી છે ત્યારે અમે હાલની રસીઓની ઉત્પાદન ક્ષમતાને પણ વધારી રહ્યા છીએ.
અમારું ઉત્પાદન વધતા, અમે અન્યોને પણ રસી પુરવઠો ફરી શરૂ કરી શકીશું. આ માટે, કાચી સામગ્રીની પુરવઠાની સાંકળ ખુલ્લી રાખવી જ રહી.
અમારા ક્વૉડ ભાગીદારોની સાથે અમે ઇન્ડો-પેસિફિક પ્રદેશ માટે રસી ઉત્પાદન કરવા ભારતની નિર્માણ શક્તિઓનો લાભ લઈ રહ્યા છીએ.
ભારત અને દક્ષિણ આફ્રિકાએ કોવિડ રસીઓ, નિદાન સામગ્રી અને દવાઓ માટે વિશ્વ વ્યાપાર સંગઠન-ડબલ્યુટીઓ ખાતે TRIPS જતું કરવાની દરખાસ્ત મૂકી છે.
આનાથી મહામારી સામેની લડાઇને ઝડપથી વધારી શકાશે. આપણે મહામારીની આર્થિક અસરોને ઉકેલવા પર પણ ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે.
આ માટે, રસીકરણના પ્રમાણપત્રોને પરસ્પર સ્વીકારીને આંતરરાષ્ટ્રીય મુસાફરીને વધારે સરળ બનાવવી જોઇએ.
મહાનુભાવો,
હું ફરી એક વાર આ સમિટના હેતુઓ અને રાષ્ટ્રપતિ શ્રી બાઇડેનના વિઝનને પુષ્ટિ આપું છું.
મહામારીનો અંત લાવવા ભારત વિશ્વ સાથે કાર્ય કરવા તૈયાર ઊભું છે.
આભાર.
આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad &nbs…
(Release ID: 1757121)
Visitor Counter : 237
Read this release in:
Manipuri
,
English
,
Urdu
,
Marathi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam