પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું


18 વર્ષની વયથી ઉપરના તમામ ભારતીય નાગરિકોને ભારત સરકાર મફત રસી પૂરી પાડશે

રાજ્યો પાસે 25% રસીકરણ હતું એ હવે ભારત સરકાર હાથમાં લેશે: પ્રધાનમંત્રી

ભારત સરકાર રસી નિર્માતાઓના કુલ ઉત્પાદનના 75% ખરીદીને રાજ્યોને નિ:શુલ્ક પૂરી પાડશે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દિવાળી સુધી લંબાવવામાં આવી: પ્રધાનમંત્રી

નવેમ્બર સુધી, 80 કરોડ લોકોને દર મહિને મફત અનાજ મળવાનું ચાલુ રહેશે: પ્રધાનમંત્રી

કોરોના છેલ્લાં 100 વર્ષોની સૌથી ખરાબ આફત: પ્રધાનમંત્રી

આવનારા દિવસોમાં રસીનો પુરવઠો વધવાનો છે: પ્રધાનમંત્રી

નવી રસીઓના વિકાસની પ્રગતિ વિશે પ્રધાનમંત્રીએ માહિતી આપી

બાળકો માટેની રસી અને નાકમાં મૂકવાની રસીનું પરીક્ષણ ચાલી રહ્યું છે: પ્રધાનમંત્રી

રસીકરણ વિશે દહેશત ઊભી કરનારા લોકોની જિંદગીઓ સાથે રમી રહ્યા છે: પ્રધાનમંત્રી

Posted On: 07 JUN 2021 6:46PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001SFWI.jpg

 

 

મહામારીમાં પોતાનાં જીવ ગુમાવનારા લોકો માટે પ્રધાનમંત્રીએ સંવેદનાઓ વ્યક્ત કરી હતી. આ મહામારીને છેલ્લાં 100 વર્ષોની સૌથી મોટી આફત ગણાવતા અને એવી મહામારી જે આધુનિક વિશ્વએ ન તો જોઇ છે કે ન તો અનુભવી, એમ જણાવતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે દેશ ઘણા મોરચે મહામારી સામે લડ્યો છે. શ્રી મોદીએ ઘણી મહત્વની જાહેરાતો કરી હતી.

રસીકરણની વ્યૂહરચના પર ફેરવિચારણા કરવા અને પહેલી મે પહેલાં જે પ્રણાલિ હતી એ પાછી લાવવા માટેની માગણી સાથે ઘણાં રાજ્યો આગળ આવ્યાં છે એટલે પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે રાજ્યો પાસે 25% રસીકરણ છે એ હવે ભારત સરકાર એના હાથમાં લઈ લેશે એમ નક્કી થયું છે. આનો આરંભ બે સપ્તાહમાં થઈ જશે. બે સપ્તાહોમાં નવી માર્ગદર્શિકાઓ અનુસાર કેન્દ્ર અને રાજ્યો જરૂરી તૈયારીઓ કરશે. પ્રધાનમંત્રીએ વધુમાં જાહેરાત કરી હતી કે 21મી જૂનથી, ભારત સરકાર 18 વર્ષની વયથી ઉપરના તમામ ભારતીય નાગરિકોને મફત રસી પૂરી પાડશે. રસી નિર્માતાઓના કુલ ઉત્પાદનના 75% ભારત સરકાર ખરીદી લેશે અને એ રાજ્યોને નિ:શુલ્ક પૂરી પાડવામાં આવશે. રસીઓ માટે કોઇ રાજ્ય સરકાર કોઇ ખર્ચો કરશે નહીં. અત્યાર સુધીમાં, કરોડો લોકોને મફત રસી મળી છે, હવે, 18 વર્ષના વયજૂથનો પણ એમાં ઉમેરો કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ પ્રતિપાદિત કર્યું હતું કે ભારત સરકાર તમામ નાગરિકોને મફત રસી પૂરી પાડશે.

શ્રી મોદીએ માહિતી આપી હતી કે ખાનગી હૉસ્પિટલો દ્વારા 25% રસી સીધી મેળવી લેવાની પ્રણાલિ ચાલુ રહેશે. રાજ્ય સરકારો એ દેખરેખ રાખશે કે ખાનગી હૉસ્પિટલો દ્વારા રસીના જે નિર્ધારિત ભાવો છે એની ઉપર માત્ર 150 રૂપિયા જ સર્વિસ ચાર્જ તરીકે વસૂલે.

અન્ય એક મોટી જાહેરાત કરતા પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દિવાળી સુધી લંબાવવાના નિર્ણયની માહિતી આપી હતી. એનો મતલબ એ કે નવેમ્બર સુધી, 80 કરોડ લોકોને દર મહિને નક્કી કરાયેલી માત્રામાં મફત અનાજ મળવાનું ચાલુ રહેશે. મહામારી દરમ્યાન, સરકાર ગરીબો સાથે એમની તમામ જરૂરિયાતો માટે એના મિત્ર તરીકે ઊભી રહી છે એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું.

એપ્રિલ અને મે મહિના દરમ્યાન, બીજી લહેર દરમ્યાન મેડિકલ ઑક્સિજનની માગમાં થયેલા અભૂતપૂર્વ વધારાને યાદ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકારની તમામ પ્રણાલિઓને યુદ્ધના ધોરણે ગોઠવીને આ પડકારને પહોંચી વળાયો હતો. ભારતના ઇતિહાસમાં, મેડિકલ ઑક્સિજન માટે આ સ્તરની માગ કદી અનુભવાઇ ન હતી એમ શ્રી મોદીએ જણાવ્યું હતું. 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વિશ્વમાં, રસીઓ માટેની જે વૈશ્વિક માગ છે એની સામે રસી ઉત્પાદન કરતી કંપનીઓ અને દેશો બહુ ઓછા છે. આવી સ્થિતિમાં, ભારતમાં બનેલી રસીઓ ભારત માટે મહત્વપૂર્ણ બની. પ્રધાનમંત્રી ધ્યાન દોર્યું હતું કે ભૂતકાળમાં, રસીઓ વિદેશમાં વિક્સાવાય ત્યારબાદ ભારતને દાયકાઓ પછી એ  રસીઓ મળતી હતી. હંમેશા ભૂતકાળમાં આ એવી સ્થિતિમાં પરિણમતું હતું કે અન્ય દેશો રસીનું કામ પૂરું કરી લે તો પણ ભારત રસીકરણ શરૂ સુદ્ધાં કરી શક્તું ન હતું. શ્રી મોદીએ કહ્યું કે મિશન મોડમાં કામ કરીને, અમે 5-6 વર્ષોમાં રસીકરણનું કવરેજ 60 ટકાથી વધારીને 90 ટકા કર્યું હતું. અમે માત્ર ઝડપ જ નથી વધારી પણ અમે રસીકરણનો વ્યાપ પણ વિસ્તાર્યો છે એમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.

આ વખતે, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતે તમામ દહેશતો-શંકાઓનું નિવારણ કર્યું અને સ્પષ્ટ ઇરાદાઓ, સ્પષ્ટ નીતિઓ અને સતત સખત પરિશ્રમ દ્વારા, માત્ર એક નહીં પણ બે મેઇડ ઇન ઇન્ડિયા રસીઓ કોવિડ સામે ભારતમાં શરૂ કરાઇ હતી. આપણા વૈજ્ઞાનિકોએ એમની બૌદ્ધિક શક્તિ પુરવાર કરી. આજ સુધીમાં, રસીના 23 કરોડથી વધુ ડૉઝીસ દેશમાં અપાઇ ચૂક્યા છે.

પ્રધાનમંત્રીએ યાદ અપાવ્યું હતું કે કોવિડ-19ના અમુક હજાર કેસો હતા ત્યારે જ રસીકરણ અંગેના ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી અને સરકાર દ્વારા રસી બનાવતી કંપનીઓને શક્ય તમામ રીતે મદદ કરવામાં આવી છે, સંશોધન અને વિકાસ માટે ફંડ આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે મહાન પ્રયાસો અને કઠોર પરિશ્રમના કારણે આગામી દિવસોમાં રસીનો પુરવઠો વધવાનો છે. તેમણે એમ પણ જણાવ્યું કે આજે, સાત કંપનીઓ વિવિધ પ્રકારની રસીઓ બનાવી રહી છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે વધુ ત્રણ રસીઓની ટ્રાયલ આગળના તબક્કામાં છે. બાળકો માટે અને નેઝલ વૅક્સિન- નાકમાં મૂકવાની રસી માટે પણ પ્રધાનમંત્રીએ વાત કરી હતી.

રસીકરણ ઝુંબેશ અંગે વિવિધ ખૂણેથી આવતા જુદાં જુદાં અભિપ્રાયો વિશે પ્રધાનમંત્રી લંબાણપૂર્વક બોલ્યા હતા. કોરોનાના કેસો ઘટવા લાગ્યા છે ત્યારે રાજ્યો માટે પસંદગીના અભાવ વિશે સવાલો ઉઠ્યા હતા અને કેટલાંક લોકોએ એમ પણ પૂછ્યું હતું કે બધું જ કેન્દ્ર સરકાર જ કેમ નક્કી કરે છે. લૉકડાઉનમાં સ્થિતિસ્થાપકતા અને બધે એક જ લાકડી ન ચાલે એવી દલીલો પણ આગળ કરવામાં આવી. શ્રી મોદીએ કહ્યું કે 16 જાન્યુઆરીથી શરૂ કરીને, એપ્રિલના અંત સુધીમાં, ભારતનો રસીકરણનો કાર્યક્રમ મોટા ભાગે કેન્દ્ર સરકાર હસ્તક જ ચાલતો હતો. તમામ માટે મફત રસીકરણ આગળ વધી રહ્યું હતું અને લોકો એમનો વારો આવે ત્યારે રસી મૂકાવવામાં શિસ્ત બતાવી રહ્યા હતા. આ તમામની વચ્ચે, રસીકરણના વિકેન્દ્રીકરણની માગ ઉઠાવવામાં આવી, અમુક ચોક્કસ વયજૂથને જ અગ્રતા કેમ એવા સવાલો પણ ઊભા કરાયા હતા. ઘણાં પ્રકારના દબાણ કામમાં લેવાયાં અને મીડિયાના અમુક વર્ગે તો એને અભિયાન તરીકે લઈ લીધું હતું.

 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0029KGR.jpg

 

પ્રધાનમંત્રીએ રસીકરણ સામે અફવાઓ ફેલાવતા લોકો સામે ચેતવણી આપી હતી. આવા લોકો લોકોની જિંદગીઓ સાથે રમી રહ્યાં છે અને એમની સામે સતર્ક રહેવાની જરૂર છે એમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.

 

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1725157) Visitor Counter : 398