રેલવે મંત્રાલય

રેલવે તંત્રએ 9 રેલવે સ્ટેશનો પર 2670 કોવિડ સંભાળ બેડ નિયુક્ત કર્યા


દિલ્હી, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્ય સરકારની કોવિડ સંભાળ કોચની માંગ રેલવેએ પૂરી કરી

ઉત્તરપ્રદેશમાં ફૈઝાબાદ, ભડોહી, વારાણસી, બરેલી અને નાઝિબાબાદ ખાતે પણ રાજ્ય સરકારની માંગના આધારે કોવિડ સંભાળ કોચ નિયુક્તિ માટે તૈયાર

દેશભરમાં અંદાજે 4000 કોવિડ સંભાળ કોચમાં લગભગ 64000 કોવિડ સંભાળ બેડની જોગવાઇ

Posted On: 26 APR 2021 6:12PM by PIB Ahmedabad

દેશમાં અત્યારે કોવિડ મહામારીના બીજા તબક્કામાં ઝડપથી વધતા કેસો વચ્ચે કોવિડ સંભાળ કોચની સુવિધાની રાજ્ય સરકારોની માંગને પહોંચી વળવા માટે રેલવે મંત્રાલય દેશભરમાં પોતાના 4000 કોચ (આઇસોલેશન એકમોમાં રૂપાંતરિત)ના કાફલામાં લગભગ 64000 બેડની ક્ષમતા સાથે ખૂબ ઝડપથી કામગીરી કરી રહ્યું છે. વર્તમાન સમયમાં ઉપલબ્ધ ડેટા અનુસાર સુવિધાઓમાં કુલ 81 કોવિડ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે અને તેમાંથી 22 દર્દીને રજા આપવામાં આવી છે અને દર્દીઓની નોંધણીમાં એકધારી ગતિ જળવાઇ છે. આમાંથી એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી.

દિલ્હી, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યના નવ મોટા સ્ટેશનોની નજીકમાં રાખવામાં આવેલા કોચની ઉપયોગિતાની અપડેટ સ્થિતિ નીચે ઉલ્લેખ કર્યા અનુસાર છે:

દિલ્હીમાં રાજ્ય સરકાર દ્વારા 1200 બેડની ક્ષમતા સાથે 75 કોવિડ સંભાળ કોચની માંગ કરવામાં આવી છે જેને રેલવેએ પૂરી કરી છે. 50 કોચ શાકુરબસ્તી ખાતે, 25 કોચ આનંદવિહાર સ્ટેશન ખાતે નિયુક્ત કરવામાં આવ્યા છે. હાલમાં, 5 દર્દીઓને શાકુરબસ્તી ખાતે દાખલ કરવામાં આવ્યા છે અને તેમાંથી એક દર્દીને રજા પણ આપી દેવામાં આવી છે. ગયા વર્ષે (2020) કોવિડના પ્રથમ તબક્કા દરમિયાન, શાકુરબસ્તી ખાતે ઉભી કરવામાં આવેલી સુવિધામાં 857 દર્દીને દાખલ કરવામાં આવ્યા હતા તેઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી હતી.

ભોપાલ (મધ્યપ્રદેશ)માં, રેલવેએ 20 આઇસોલેશન કોચ નિયુક્ત કર્યા છે જેમાં કુલ 292 બેડની ક્ષમતા છે. 3 દર્દીઓને હાલમાં સુવિધા ખાતે દાખલ કરવામાં આવ્યા છે અને તેઓ સુવિધાનો ઉપયોગ કરી રહ્યાં છે.

નંદુરબાર (મહારાષ્ટ્ર) ખાતે, 292 બેડની ક્ષમતા સાથે 24 આઇસોલેશન કોચ નિયુક્ત કરવામાં આવ્યા છે. સુવિધામાં આજદિન સુધીમાં 73 દર્દીઓ દાખલ થયા હોવાનું નોંધાયું છે. આમાંથી કોવિડના હાલના તબક્કા દરમિયાન દાખલ કરવામાં આવેલા 55 દર્દીઓમાંથી 7 દર્દીને રજા આપવામાં આવી છે. નવા 4 દર્દીઓ 26.4.2021ના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. એકમમાં હજુ પણ કોવિડના 326 દર્દીઓ માટે બેડ ઉપલબ્ધ છે.

ઉત્તરપ્રદેશમાં, રાજ્ય સરકાર દ્વારા કોચની માંગ કરવામાં ના આવી હોવા છતાં, ફૈઝાબાદ, ભડોહી, વારાણસી, બરેલી અને નાઝીબાબાદ ખાતે 10 કોચ નિયુક્ત કરવામાં આવ્યા છે જ્યાં કુલ ક્ષમતા 800 બેડ (50 કોચ)ની છે.



(Release ID: 1714202) Visitor Counter : 220