પ્રધાનમંત્રીનું કાર્યાલય

ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન યોજના અંગેના વૅબિનારને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 05 MAR 2021 3:28PM by PIB Ahmedabad

નમસ્કાર!

આટલી મોટી સંખ્યામાં હિંદુસ્તાનના તમામ ખૂણેથી આપ સૌ આ મહત્ત્વપૂર્ણ વૅબિનારમાં સામેલ થયા છો એ જ એનું મહત્ત્વ  દર્શાવે છે. હું હૃદયથી આપ સૌનું સ્વાગત કરું છું. આપ સૌ એ વાતથી પરિચિત છો કે બજેટમાં અમલીકરણને લઈને આ વખતે એક વિચાર મનમાં આવ્યો અને એક નવો પ્રયોગ અમે કરી રહ્યા છે અને જો આ પ્રયોગ સફળ રહ્યો તો કદાચ ભવિષ્યમાં પણ બહુ લાભ થશે. અત્યાર સુધી આવા ઘણાં વૅબિનાર થયા છે. મને દેશના આવા અગ્રણી હજારો લોકો સાથે બજેટ વિશે વાતચીત કરવાની તક મળી છે.

આખો દિવસ વૅબિનાર ચાલ્યા છે અને બહુ જ સરસ રોડમૅપ, અમલીકરણ માટે બહુ સારાં સૂચનો આપ તરફથી આવ્યા છે. એવું લાગે છે કે સરકાર કરતા આપ સૌ લોકો બે પગલાં વધારે આગળ,  બહુ ઝડપથી જવાના મિજાજમાં છો. આ મારા માટે પોતાની રીતે જ બહુ સુખદ ખબર છે અને મને વિશ્વાસ છે કે આજે આ ચર્ચામાં પણ આપણા લોકોની કોશિશ એ રહે કે દેશનું બજેટ અને દેશ માટે નીતિઓ બનાવવી એ માત્ર સરકારી પ્રક્રિયા ન બની રહે. દેશના વિકાસ સાથે સંકળાયેલા દરેક હિતધારકોની એમાં  અસરકારક સામેલગીરી હોય. આ જ ક્રમમાં આજે ઉત્પાદન ક્ષેત્ર ‘મેક ઈન ઈન્ડિયા’ને ઉર્જા આપતા આપ સૌ મહત્ત્વપૂર્ણ સાથીઓ સાથે આ ચર્ચા થઈ રહી છે. જેમ મેં આપને જણાવ્યું, વીતેલા સપ્તાહોમાં અલગ અલગ ક્ષેત્રોના લોકો સાથે બહુ જ ફળદાયી સંવાદ થયો છે, બહુ જ મહત્ત્વના નવીન સૂચનો આવ્યાં છે. આજના આ વૅબિનારનું ધ્યાન ખાસ રીતે પીએલઆઇ- પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ્સ સાથે જોડાયેલું છે.

સાથીઓ,

વીતેલા 6-7 વર્ષોમાં અલગ અલગ સ્તરે મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહિત કરવા માટે અનેક સફળ પ્રયાસ કરવામાં આવ્યા છે. એમાં આપ સૌનું યોગદાન પ્રશંસનીય રહ્યું છે. હવે આ પ્રયાસોને આગામી સ્તર પર લઈ જવા માટે વધારે મોટાં પગલાં ભરવાના છે, પોતાની ઝડપ અને વ્યાપને બહુ વધારવાના છે. અને કોરોનાના ગત એક વર્ષના અનુભવ બાદ મને ખાતરી છે કે ભારત માટે આ માત્ર એક અવસર નથી. ભારત માટે, દુનિયા માટે આ એક જવાબદારી છે, દુનિયા પ્રત્યે ભારતની એક જવાબદારી પણ છે. અને એટલે આપણે બહુ ઝડપથી આ દિશામાં આગળ વધવાનું જ છે. આપ સૌ એ સારી રીતે જાણો જ છો કે ઉત્પાદન, અર્થવ્યવસ્થાના દરેક ભાગોને કેવી રીતે રૂપાંતર કરે છે, કેવી રીતે એમનો પ્રભાવ પેદા થાય છે, કેવી રીતે એક ઈકો સિસ્ટમનું સર્જન થાય છે. આપણી સમક્ષ દુનિયાભરના ઉદાહરણ છે જ્યાં દેશોએ પોતાની ઉત્પાદન ક્ષમતાઓને વધારીને દેશના વિકાસને ગતિ પ્રદાન કરી છે. વધેલી ઉત્પાદન ક્ષમતાઓ દેશમાં રોજગાર ઉત્પાદનને પણ એટલું જ વધારે છે.

ભારત પણ હવે આ જ અભિગમ સાથે બહુ ઝડપથી કામ કરવા માગે છે, આગળ વધવા માગે છે. આ ક્ષેત્રમાં અમારી સરકાર ઉત્પાદનને ઉત્તેજન આપવા માટે એક પછી એક સતત સુધારા કરી રહી છે. અમારી રણનીતિ અને નીતિ, દરેક રીતે સ્પષ્ટ છે. અમારો વિચાર છે- મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ અને અમારી અપેક્ષા છે, ઝીરો ઈફેક્ટ, ઝીરો ડિફેક્ટ- શૂન્ય પ્રભાવ, શૂન્ય ઊણપ. ભારતની કંપનીઓ અને ભારતમાં કરાઇ રહેલા ઉત્પાદનને વૈશ્વિક રીતે સ્પર્ધાત્મક બનાવવા માટે આપણે દિવસ-રાત એક કરવા પડશે. આપણો ઉત્પાદન ખર્ચ, ઉત્પાદનની ગુણવત્તા અને કાર્યક્ષમતા વૈશ્વિક બજારમાં પોતાની ઓળખ બનાવે એ માટે આપણે ભેગા મળી કામ કરવું પડશે. અને આપણા ઉત્પાદનો સરળ એટલે કે યુઝર ફેન્ડલી પણ હોવા જોઇએ, ટેકનોલોજીમાં સૌથી આધુનિક હોવા જોઇએ, પરવડે એવા હોવા જોઇએ, લાંબા સમય સુધી ટકે એવા હોવા જોઇએ. કૉર કમ્પિટન્સી સાથે સંકળાયેલા ક્ષેત્રોમાં કટિંગ એજ ટેકનોલોજી અને રોકાણને આપણે વધુ ને વધુ આકર્ષિત કરવા પડશે. અને ચોક્કસપણે જ આમાં ઇન્ડસ્ટ્રીના આપ તમામ સાથીઓની સક્રિય ભાગીદારી પણ એટલી જ આવશ્યક છે. સરકાર આ જ ફોકસ સાથે આપ સૌને સાથે લઈને આગળ વધવાનો પ્રયાસ કરી રહી છે. પછી તે ઈઝ ઑફ ડુઇંગ બિઝનેસ પર જોર આપવાનું હોય, અનુપાલનના બોજાને ઘટાડવાનો હોય, પરિવહન ખર્ચ ઘટાડવા માટે મલ્ટીમોડેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની વાત હોય કે પછી જિલ્લા સ્તરે નિકાસ હબ્સનું નિર્માણ હોય, દરેક સ્તરે કામ કરાઈ રહ્યું છે.

અમારી સરકાર માને છે કે દરેક બાબતમાં સરકારની દખલ ઉકેલને બદલે સમસ્યાઓ વધારે પેદા કરે છે અને એટલે અમે સ્વ-નિયમન, સ્વ-પ્રમાણિત અને સ્વ- પ્રમાણતા એટલે કે એક રીતે દેશના નાગરિકો પર જ વિશ્વાસ મૂકીને આગળ વધવું, એના પર અમે જોર આપી રહ્યા છીએ. અમારો પ્રયાસ આ વર્ષે કેન્દ્ર અને રાજ્ય સ્તરના 6 હજારથી વધારે અનુપાલનોને ઓછાં કરવાનો છે. આ મામલે આપના અભિપ્રાયો, આપનાં સૂચનો બહુ મહત્ત્વપૂર્ણ છે. બની શકે કે વૅબિનારમાં એટલો સમય ન મળે, આપ મને લેખિતમાં મોકલી શકો છો. અમે એને ગંભીરતાથી લેવાના છે કેમ કે અનુપાલનનો બોજો ઓછો થવો જ જોઇએ. ટેકનોલોજી આવી ગઈ છે, દરેક વસ્તુમાં વારંવાર આ ફોર્મ ભરો ને પેલું ફૉર્મ ભરો, આ બધી બાબતોમાંથી મુક્તિ આપવાની છે. આ રીતે, સ્થાનિક સ્તરે નિકાસને ઉત્તેજન આપવા માટે નિકાસકારો અને ઉત્પાદનકર્તાઓને વૈશ્વિક મંચ ઉપલબ્ધ કરાવવા માટે આજે સરકાર અનેક ક્ષેત્રોમાં કામ કરી રહી છે. એનાથી એમએસએમઈ હોય, ખેડૂતો હોય, નાના-નાના હસ્ત શિલ્પીઓ હોય, તમામને નિકાસ માટે બહુ મદદ મળશે.

સાથીઓ,

ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન યોજના (પીએલઆઈ)ની પાછળ પણ ઉત્પાદન અને નિકાસનો વિસ્તાર કરવાની જ અમારી ભાવના છે. વિશ્વભરની ઉત્પાદન કંપનીઓ ભારતને પોતાનું મથક બનાવે અને આપણા ઘરેલુ ઉદ્યોગો, આપણા એમએસએમઈની સંખ્યા અને સામર્થ્યનો વિસ્તાર થાય, એવા વિચારની સાથે અમે આ વૅબિનારમાં નક્કર યોજનાઓને જો સ્વરૂપ આપી શકીએ છીએ તો જે ફિલસૂફી-ભાવના સાથે બજેટ આવ્યું છે એ પરિણામકારી સિદ્ધ થશે. આ યોજનાનો હેતુ અલગ અલગ સેક્ટર્સમાં ભારતીય ઉદ્યોગોની કૉર કાર્યક્ષમતા અને નિકાસમાં વૈશ્વિક હાજરીનો વ્યાપ વધારવાનો છે. મર્યાદિત જગાએ, મર્યાદિત દેશોમાં, મર્યાદિત વસ્તુઓ લઈ જઈને અને હિન્દુસ્તાનના બે-ચાર ખૂણેથી જ નિકાસ થાય, એ સ્થિતિ બદલવી છે. હિન્દુસ્તાનનો દરેક જિલ્લો નિકાસકાર કેમ ન હોય? દુનિયાનો દરેક દેશ ભારતથી આયાત કેમ ન કરે, દુનિયાના દરેક દેશ- દરેક વિસ્તારમાં કેમ ન થાય? દરેક પ્રકારની વસ્તુઓ કેમ ન હોય? પહેલાની યોજનાઓ અને હાલની યોજનાઓમાં આપે પણ એક સ્પષ્ટ ફરક જોયો હશે. પહેલા ઔદ્યોગિક પ્રોત્સાહનો એક ઓપન એન્ડેડ ઇનપુટ બેઝ્ડ સબસિડીની જોગવાઇ જેવા હતા. હવે એને એક પૂરેપૂરી પ્રક્રિયાના માધ્યમથી લક્ષિત અને દેખાવ આધારિત બનાવાયા છે. પહેલી વાર 13 ક્ષેત્રોને આ પ્રકારની યોજનાના કાર્યક્ષેત્રમાં લાવવા અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.

સાથીઓ,

આ પીએલઆઈ જે સેક્ટર માટે છે એને તો એનો લાભ થઈ જ રહ્યો છે, એનાથી એ ક્ષેત્ર સાથે જોડાયેલા સમગ્ર ઈકોસિસ્ટમને બહુ ફાયદો થશે. ઑટો અને ફાર્મામાં પીએલઆઈથી ઑટો પાર્ટ્સ, તબીબી ઉપકરણો અને દવાઓની કાચી સામગ્રી સાથે સંકળાયેલી વિદેશી નિર્ભરતા બહુ ઓછી થઈ જશે. એડવાન્સ સેલ બૅટરીઝ, સોલર પીવી મૉડ્યુલ્સ અને સ્પેશિયાલિટી સ્ટીલને મળનારી મદદથી આપણા દેશમાં ઉર્જા ક્ષેત્ર આધુનિક બનશે. આપણું પોતાનું રૉ મટિરિયલ, આપણું પોતાનું શ્રમ, આપણું પોતાનું કૌશલ્ય, આપણી પોતાની પ્રતિભા, આપણે કેટલી મોટી છલાંગ લગાવી શકીએ છીએ. આ જ રીતે ટેક્સ્ટાઈલ અને ફૂડ પૉસેસિંગ સેક્ટરને મળનારી પીએલઆઈથી આપણા સમગ્ર કૃષિ ક્ષેત્રને લાભ થશે. આપણા ખેડૂતો, પશુપાલકો, માછીમારો એટલે કે સમગ્ર ગ્રામીણ અર્થવ્યવસ્થા પર એની સકારાત્મક અસર પડશે, આવક વધારવામાં મદદ મળશે.

હમણાં આપે ગઈકાલે જ જોયું કે ભારતના પ્રસ્તાવ બાદ સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2023ને, એટલે કે બે વર્ષો બાદ આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ જાહેર કર્યું છે. ભારતના આ પ્રસ્તાવના સમર્થનમાં 70થી વધારે દેશો આવ્યા હતા. અને પછી યુએનની સામાન્ય સભામાં આ પ્રસ્તાવ સર્વસંમતિએ સ્વીકાર કરાયો. આ દેશનું ગૌરવ વધારતી બાબત છે. આ આપણા ખેડૂતો માટે પણ મોટી તક છે અને એમાં પણ ખાસ કરીને નાના ખેડૂતો, જ્યાં સિંચાઈની સુવિધાઓ બહુ ઓછી છે અને જ્યાં મોટું અનાજ પેદા થાય છે, આ મોટા અનાજનું મહત્ત્વ દુનિયા સુધી પહોંચાડવાનું કામ યુએનના માધ્યમથી આપણે જે સૂચવ્યું એ 2023 માટે સ્વીકારાયું છે. ભારતના નાના ખેડૂતોએ જ્યાં સિંચાઈ ઉપલબ્ધ નથી એવા દુર્ગમ વિસ્તારોની ખેતીને, આપણા ગરીબ ખેડૂતોએ આ મોટા અનાજની તાકાત કેટલી છે, પોષક મૂલ્ય કેટલું છે, એમાં વિવિધતા કેટલી હોઇ શકે છે, દુનિયામાં એ પરવડે એવું કઈ રીતે બની શકે છે, આટલી મોટી તક આપણી સમક્ષ છે. જેમ આપણે યોગને દુનિયામાં પ્રચારિત, પ્રસારિત અને પ્રતિષ્ઠિત કર્યો એવી જ રીતે આપણે બધા મળીને ખાસ કરીને એગ્રો પ્રૉસેસિંગવાળા લોકો મળીને જુવાર-બાજરા એટલે કે મોટા અનાજ માટે પણ સમગ્ર વિશ્વમાં પહોંચી શકીએ છીએ.

વર્ષ 2023 માટે હજી આપણી પાસે સમય છે, આપણે સંપૂર્ણ તૈયારી સાથે વિશ્વભરમાં અભિયાન શરૂ કરી શકીએ છીએ. જે રીતે કોરોનાથી બચવા માટે મેડ ઈન ઈન્ડિયા રસી છે, એવી જ રીતે લોકોને બીમાર થતાં બચાવવા માટે, ભારતમાં ઉત્પન્ન થતાં બાજરા પણ, મોટું અનાજ પણ, એનું પોષક મૂલ્ય પણ એટલું જ ઉપયોગી હશે. બાજરી  કે મોટા અનાજની પૌષ્ટિક ક્ષમતાથી આપણે સૌ વાકેફ જ છીએ. એક સમયે રસોડામાં બાજરી-જુવાર બહુ પ્રમુખ રીતે જોવા મળતા. હવે આ ટ્રેન્ડ ફરી આવી રહ્યો છે. ભારતની પહેલ બાદ યુએન દ્વારા 2023ને આંતરરાષ્ટ્રીય જુવાર-બાજરી વર્ષની જાહેરાત, દેશ અને વિદેશમાં બાજરીની માગ ઝડપથી વધારશે. એટલે મારો કૃષિ અને ફૂડ પ્રૉસેસિંગ ક્ષેત્રને આગ્રહ છે કે આ તકનો પૂરો લાભ ઉઠાવે. હું તો આજે પણ, આપના વૅબિનારથી કોઇ સૂચન નીકળે- એક નાનું ટાસ્ક ફૉર્સ બનાવાય જેમાં પબ્લિક-પ્રાઇવેટ ભાગીદારીનું મૉડેલ હોય અને આપણે આ મિલેટ્સ મિશનને દુનિયામાં કેવી રીતે આગળ વધારી શકીએ, એના પર આપણે વિચારી શકીએ છીએ. એવી કઈ વૅરાઇટીઝ બની શકે છે જે દુનિયાના અલગ અલગ દેશોના સ્વાદને અનુકૂળ પણ હોય અને આરોગ્ય માટે બહુ શક્તિવર્ધક હોય.

સાથીઓ,

આ વર્ષના બજેટમાં પીએલઆઇ યોજના સાથે સંકળાયેલી આ યોજનાઓ માટે લગભગ  2 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ઉત્પાદનના સરેરાશ 5% પ્રોત્સાહન રૂપે અપાયા છે. એટલે માત્ર પીએલઆઇ યોજના મારફત જ આવનારા 5 વર્ષોમાં લગભગ 520 અબજ ડૉલરનું ઉત્પાદન ભારતમાં થવાનું અનુમાન છે. અનુમાન એ પણ છે કે જે ક્ષેત્રો માટે આ પીએલઆઇ યોજના બનાવાઈ છે એ સેક્ટરમાં પણ જેટલું કાર્યદળ કામ કરે છે એ લગભગ બમણું થઈ જશે. રોજગાર નિર્માણમાં બહુ મોટી અસર આ પીએલઆઇ યોજનાથી થવાની છે. ઉદ્યોગોને તો ઉત્પાદન અને નિકાસમાં લાભ થશે જ, દેશમાં આવક વધવાથી જે માગ વધશે એનો પણ લાભ થશે એટલે બેવડો લાભ.

સાથીઓ,

પીએલઆઈ સાથે સંકળાયેલી જે જાહેરાતો થઈ છે એના પર ઝડપથી અમલ થઈ રહ્યો છે. આઇટી હાર્ડવૅર અને ટેલિકૉમ ઉપકરણોના ઉત્પાદન સાથે સંકળાયેલી બે પીએલઆઈ યોજનાઓને કૅબિનેટની મંજૂરી પણ મળી ગઈ છે. મને વિશ્વાસ છે કે આ સેક્ટર્સ સાથે સંકળાયેલા સાથીઓએ એનું મૂલ્યાંકન પણ અત્યાર સુધીમાં કરી લીધું હશે. આઈટી હાર્ડવૅરના કિસ્સામાં આવનારા 4 વર્ષોમાં લગભગ સવા 3 ટ્રિલિયન રૂપિયાનું ઉત્પાદન થવાનું અનુમાન છે. આ યોજનાથી આઈટી હાર્ડવૅરમાં 5 વર્ષો દરમ્યાન ઘરેલુ મૂલ્યવર્ધન પણ હાલના 5-10 ટકાથી વધીને 20-25% સુધી થઈ જવાનું છે. આ રીતે ટૅલિકૉમ ઉપકરણ ઉત્પાદનમાં પણ આવનારા 5 વર્ષોમાં લગભગ અઢી લાખ કરોડ રૂપિયાની વૃદ્ધિ થશે. એમાં પણ લગભગ 2 લાખ કરોડ રૂપિયાની નિકાસ કરવાની સ્થિતિમાં આપણે હોઇશું. ફાર્મા ક્ષેત્રે પણ આવનારા 5-6 વર્ષોમાં એક પ્રકારથી લાખો કરોડો રૂપિયાથી વધારેનું રોકાણ પીએલઆઇ હેઠળ થવાની સંભાવના આપણે નકારી શકતા નથી. મોટું લક્ષ્ય લઈને આપણે ચાલી શકીએ છીએ. આનાથી ફાર્મા સેલમાં લગભગ 3 લાખ કરોડ રૂપિયા અને નિકાસમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની વૃદ્ધિનું અનુમાન છે.

સાથીઓ,

ભારતથી આજે જે વિમાન, વૅક્સિનના લાખો ડૉઝ લઈને દુનિયાભરમાં જઈ રહ્યા છે એ ખાલી આવતાં નથી. એ વિમાનો પોતાની સાથે ભારત પ્રત્યે વધેલો વિશ્વાસ, ભારત પ્રત્યેની આત્મીયતા, એ દેશોના લોકોનો સ્નેહ અને વૃદ્ધો જેઓ બીમાર છે એમનાં આશીર્વાદ, એક ભાવાનાત્મક લાગણી પણ ભરી લાવીને આપણા વિમાનો આવી રહ્યા છે. અને સંકટ કાળમાં જે વિશ્વાસ બને છે એ માત્ર પ્રભાવ પેદા નથી કરતો પણ આ ભરોસો ચિરંજીવી બની જાય છે, અમર બને છે, પ્રેરક હોય છે. ભારત આજે જે રીતે માનવતાની સેવા કરી રહ્યું છે અને નમ્રતાની સાથે કરી રહ્યું છે... આપણે કોઇ અહંકાર સાથે નથી કરતા...આપણે કર્તવ્યભાવથી કરી રહ્યા છી. ‘સેવા પરમો ધર્મ’ એ આપણા સંસ્કાર છે. એનાથી સમગ્ર દુનિયામાં ભારત પોતાની રીતે એક બહુ મોટી બ્રાન્ડ બની ગયું છે. ભારતની શાખ, ભારતની ઓળખ નિરંતર ઊંચાઈ પર પહોંચી રહી છે. અને આ ભરોસો માત્ર વૅક્સિન સુધી જ મર્યાદિત નથી. માત્ર ફાર્મા સેક્ટરની વસ્તુઓ સુધી નથી. જ્યારે એક દેશની બ્રાન્ડ બની જાય છે ત્યારે એની દરેક વસ્તુ પ્રત્યે વિશ્વની દરેક વ્યક્તિનું સન્માન વધી જાય છે, લગાવ વધી જાય છે અને એ એની પહેલી પસંદ બની જાય છે.

આપણી દવાઓ, આપણા મૅડિકલ વ્યવસાયી, ભારતમાં બનેલા તબીબી ઉપકરણો, આ બધાં જ પ્રત્યે પણ આજે ભરોસો વધ્યો છે. આ ભરોસા-વિશ્વાસને સન્માન આપવા માટે આ સમયનો લાભ ઊઠાવવા માટે આપણી દૂરગામી રણનીતિ શું હોય, એના પર ફાર્મા ક્ષેત્રએ આ સમયે  કામ કરવું પડશે. અને સાથીઓ, ભારત પર મૂકાયેલો આ ભરોસો, દરેક ક્ષેત્રમાં, એની મદદથી આગળ વધવાની યોજનાની તક છોડવી જોઈએ નહીં, હું આપને જણાવું છું. અને એ માટે આ સકારાત્મક સ્થિતિઓમાં દરેક ક્ષેત્રે પોતાની રણનીતિ પર મંથન શરૂ કરી દેવું જોઇએ. આ સમય ગુમાવવાનો નથી, આ સમય મેળવવાનો છે, દેશ માટે હાંસલ કરવાનો છે, આપની પોતાની કંપની માટે અવસર છે. અને સાથીઓ, આ વાતો જે હું કહી રહ્યો છું, એ કરવી જરાય મુશ્કેલ નથી. પીએલઆઇ સ્કીમની સફળતાની ગાથા પણ એને બિલકુલ સમર્થન કરે છે કે હા એ સત્ય છે, શક્ય છે. એવી જ એક સફળતાની ગાથા ઈલેક્ટ્રૉનિક ઉત્પાદન ક્ષેત્રની છે. ગયા વર્ષે આપણે મોબાઈલ ફોન અને ઈલેક્ટ્રૉનિક કમ્પોનન્ટ્સ નિર્માણ માટે પીએલઆઈ યોજના શરૂ કરી હતી. મહામારી દરમ્યાન પણ આ સેક્ટરમાં ગત વર્ષે 35 હજાર કરોડ રૂપિયાનું ઉત્પાદન થયું. એટલું જ નહીં, કોરોના કાળમાં પણ આ ક્ષેત્રમાં લગભગ 1300 કરોડ રૂપિયાનું નવું રોકાણ આવ્યું છે. આનાથી હજારો નવી નોકરીઓ આ ક્ષેત્રમાં તૈયાર થઈ છે.

સાથીઓ,

પીએલઆઇ સ્કીમની એક વ્યાપક અસર દેશના એમએસએમઈ ઈકોસિસ્ટમને થવાની છે. આ હું એટલા માટે કહી રહ્યો છું કેમ કે દરેક ક્ષેત્રમાં જે ઍન્કર યુનિટ્સ બનશે એને સમગ્ર વૅલ્યુ ચૅઇનમાં નવા સપ્લાયર બૅઝની જરૂર પડશે. આજે ઍન્સિલરી યુનિટ્સ છે એ મોટા ભાગે એમએસએમઈ સેક્ટરમાં જ બનશે. એમએસએમઈને આવી જ તકો માટે તૈયાર થવાનું કામ પહેલાથી જ શરૂ થઈ ચૂક્યું છે. એમએસએમઈની વ્યાખ્યામાં ફેરફારથી લઈને રોકાણની મર્યાદા વધારવા સુધીના નિર્ણયોથી બહુ લાભ આ સેક્ટરને મળી રહ્યો છે. આજના દિવસે આપણે અહીં બેઠા છીએ તો અમને આપના પ્રો-એક્ટિવ ભાગીદારીની અપેક્ષા પણ છે. પીએલઆઇ સાથે જોડાવામાં આપને કોઇ મુશ્કેલી આવી રહી હોય, જો એમાં કોઇ સુધારા થઈ શકતા હોય, જે બાબતો આપને જરૂરી લાગતી હોય, આપ ચોક્કસ જ મૂકો, મારા સુધી પહોંચાડો.

સાથીઓ,

મુશ્કેલ સમયમાં આપણે બતાવ્યું છે કે સામૂહિક પ્રયાસોથી આપણે મોટાં મોટાં લક્ષ્યો હાંસલ કરી શકીએ છીએ. સહયોગનો આ જ અભિગમ આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરશે. હવે ઉદ્યોગના આપ સૌ સાથીઓએ આગળ વધીને નવી તકો પર કામ કરવાનું છે, ઇન્ડસ્ટ્રીએ હવે દેશ અને દુનિયા માટે શ્રેષ્ઠ ગુણવત્તાવાળા સામાન બનાવવા પર ફૉકસ વધારવાનું છે. ઇન્ડસ્ટ્રીએ ઝડપથી વધતા અને ઝડપથી બદલાતા વિશ્વની જરૂરિયાતો મુજબ નવીનીકરણ કરવાનું છે, રિસર્ચ અને ડેવલપમેન્ટમાં પોતાની ભાગીદારી વધારવાની છે. મૅનપાવરની સ્કિલ અપગ્રેડેશન અને નવી ટેકનોલોજીના ઉપયોગથી ભારતના ઉદ્યોગે આગળ વધીને કામ કરવું પડશે, ત્યારે જ આપણે વૈશ્વિક રીતે સ્પર્ધાત્મક બનીશું. મને વિશ્વાસ છે કે આજના આ મંથનથી ‘ મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ની સફરને આપ સૌના વિચારો, આપ સૌનાં સૂચનો...આનાથી નવી શક્તિ મળશે, નવી તાકાત મળશે, નવી ગતિ મળશે, નવી ઉર્જા મળશે.

હું ફરી આગ્રહ કરીશ કે આપને જે સમસ્યાઓ આવી રહી હોય, સુધારાને લઈને જે પણ આપનાં સૂચનો હોય એ મારા સુધી ચોક્કસ પહોંચાડો, ખુલ્લા મને પહોંચાડો. સરકાર તમારા દરેક સૂચન, દરેક સમસ્યાના ઉકેલ માટે તૈયાર છે. હું એક વાત વધુ કહીશ સરકારના પ્રોત્સાહનોમાં વ્યવસ્થા જે પણ હોય, આપને ક્યારેય એવું લાગે કે દુનિયામાં જે માલ છે, એનાથી આપણો સસ્તો હશે તો વેચાઇ જશે. એ એની જગાએ સાચું હશે પણ એમ માનીને ચાલો કે આ બધાંથી મોટી તાકાત હોય છે ગુણવત્તાની. આપણી પ્રોડક્ટ કેટલી સ્પર્ધામાં ગુણવત્તામાં ટકી રહે છે, તો દુનિયા બે રૂપિયા વધારે આપવા તૈયાર થઈ જતી હોય છે. આજે ભારત એક બ્રાન્ડ બની ગયું છે. હવે આપે માત્ર પોતાની પ્રોડક્ટની ઓળખ બનાવવાની છે. તમારે વધારે મહેનત નહીં પડે. જો મહેનત કરવી જ છે તો ઉત્પાદન ગુણવત્તામાં કરવાની છે. પીએલઆઇનો સૌથી વધારે ફાયદો પીએલઆઇમાં વધારે લાભ મળે એમાં નથી. પીએલઆઇનો વધારે ફાયદો ઉત્પાદન ગુણવત્તા પર જોર આપવામાં છે. આના પર પણ આજની ચર્ચામાં ધ્યાન આપશો, બહુ લાભ થશે.

આપ સૌ આટલી મોટી સંખ્યામાં આ વખતે જોડાઈ રહ્યા છો, આપ આખો દિવસ બેસવાના છો, હું આપનો વધારે સમય લઈશ નહીં. મારા તરફથી આપને ખૂબ ખૂબ શુભકામનાઓ છે. આ સમારોહમાં આવવા બદલ હું આપનો હાર્દિક આભાર વ્યક્ત કરું છું.

ધન્યવાદ.

SD/GP/JD



(Release ID: 1702878) Visitor Counter : 220