પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ આરોગ્ય ક્ષેત્રમાં અંદાજપત્રની જોગવાઇઓના અસરકારક અમલીકરણ માટે આયોજિત વેબિનારમાં સંબોધન કર્યું


તંદુરસ્ત ભારત માટે સરકાર ચાર તરફી વ્યૂહનીતિ સાથે આગળ વધવા માટે કામ કરી રહી છે: પ્રધાનમંત્રી

આરોગ્ય ક્ષેત્રમાં ભારતે દર્શાવેલી મજબૂતી અને દૃઢતાની હવે આખી દુનિયા સ્પષ્ટપણે પ્રશંસા કરી રહી છે: પ્રધાનમંત્રી

ભારતે દવાઓ અને તબીબી ઉપકરણોના ઉત્પાદન માટે જરૂરી કાચા માલની આયાત ઘટાડવા પર કામ કરવું જોઇએ: પ્રધાનમંત્રી

Posted On: 23 FEB 2021 12:29PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરોગ્ય ક્ષેત્ર માટે અંદાજપત્રમાં કરવામાં આવેલી જોગવાઇઓના અસરકારક અમલીકરણ માટે યોજવામાં આવેલા વેબિનારને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન કર્યું હતું.

આ વેબિનારને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ વર્ષના અંદાજપત્રમાં આરોગ્ય ક્ષેત્ર માટે ફાળવવામાં આવેલું બજેટ અભૂતપૂર્વ છે અને પ્રત્યેક નાગરિકને બહેતર આરોગ્ય સંભાળ પૂરી પાડવા માટેની સરકારની કટિબદ્ધતા દર્શાવે છે.

શ્રી મોદીએ ગત વર્ષે મહામારીના કારણે ઉભી થયેલી દરેક મુશ્કેલીઓ અને પડકારજનક પરિસ્થિતિને યાદ કરી હતી અને તેવા પડકારજનક તબક્કામાંથી બહાર આવવામાં તેમજ સંખ્યાબંધ લોકોના જીવ બચાવવામાં મળેલી સફળતા અંગે ખુશીની લાગણી પણ વ્યક્ત કરી હતી. તેમણે આ સિદ્ધિ પ્રાપ્ત કરવાનો શ્રેય સરકાર અને ખાનગી ક્ષેત્રોના સહિયારા પ્રયાસોને આપ્યો હતો.

પ્રધાનમંત્રીએ કેવી રીતે ભારતમાં પરીક્ષણ માટેની 2500 લેબોરેટરીનું નેટવર્ક ઉભું કરી શકાયું અને કેવી રીતે માત્ર એક ડઝન પરીક્ષણોમાંથી 21 કરોડ પરીક્ષણોના સીમાચિહ્નરૂપ આંકડા સુધી પહોંચવામાં સફળતા મળી તે બાબતો યાદ કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાએ આપણને શીખવ્યું છે કે આપણે માત્ર આજે જ મહામારી સામે લડવાનું છે એવું નથી પરંતુ, દેશને ભવિષ્યમાં કોઇપણ આવી પરિસ્થિતિ માટે તૈયાર પણ કરવાનો છે. આથી, આરોગ્ય સંભાળ સંબંધિત પ્રત્યેક ક્ષેત્રને મજબૂત કરવામાં આવે એ પણ એટલું જ જરૂરી છે.

તેમણે જણાવ્યું હતું કે, આપણે તબીબી ઉપકરણોથી માંડીને દવાઓ, વેન્ટીલેટરથી માંડીને રસી, વૈજ્ઞાનિક સંશોધનોથી માંડીને દેખરેખના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડૉક્ટરોથી માંડીને રોગશાસ્ત્રીઓ સુધી દરેક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે જેથી દેશ ભવિષ્યમાં કોઇપણ આરોગ્ય સંબંધિત આપદાનો સામનો કરવા માટે સંપૂર્ણ તૈયાર રહે.

પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વચ્છ ભારત યોજના પાછળ પણ આ જ પ્રેરણા છે. આ યોજના અંતર્ગત, એવું નક્કી કરવામાં આવ્યું છે કે, દેશમાં જ સંશોધનથી માંડીને પરીક્ષણ અને સારવાર સુધીની આધુનિક ઇકો-સિસ્ટમ વિકસાવવામાં આવશે. આનાથી દરેક પ્રકારે આપણી ક્ષમતાઓમાં વધારો થશે.

પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, 15મા નાણાં પંચ દ્વારા કરવામાં આવેલી ભલામણો અનુસાર, આરોગ્ય સેવાને ધ્યાનમાં રાખીને સ્થાનિક સંગઠનોને વધુ રૂપિયા 70,000 કરોડ મળશે. મતલબ કે, સરકાર માત્ર આરોગ્ય સંભાળમાં રોકાણ કરવા પર ધ્યાન નથી આપી રહી પરંતુ, દેશમાં છેવાડાના વિસ્તારો સુધી આરોગ્ય સંભાળ સેવાઓના વિસ્તરણ અને પહોંચ સુનિશ્ચિત કરવા માટે પણ ભાર આપી રહી છે. તેમણે ખાસ જણાવ્યું હતું કે, માત્ર આરોગ્યમાં સુધારો કરવા માટે નહીં પરંતુ રોજગારીની તકોમાં પણ વધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને રોકાણ કરવામાં આવે તે સુનિશ્ચિત થવું જોઇએ.

શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારતે કોરોના મહામારીના સમય દરમિયાન આરોગ્ય ક્ષેત્રમાં જે પ્રકારે પોતાના અનુભવ અને કૌશલ્યના આધારે પોતાની મજબૂતી અને દૃઢતા બતાવી છે તેના કારણે હવે આખી દુનિયા સ્પષ્ટપણે ભારતના સામર્થ્યની પ્રશંસા કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, સમગ્ર દુનિયામાં દેશના આરોગ્ય ક્ષેત્રની પ્રતિષ્ઠા અને તેના પર લોકોના વિશ્વાસમાં અનેકગણો વધારો થયો છે અને હવે દેશે આ બાબતને અનુલક્ષીને ભવિષ્ય તરફ આગળ વધવા માટે કામ કરવાનું છે.

તેમણે કહ્યું હતું કે, ભારતીય ડૉક્ટરો, ભારતીય નર્સો, ભારતીય પેરા મેડિકલ સ્ટાફ, ભારતીય દવાઓ અને ભારતીય રસીની માંગ સમગ્ર દુનિયામાં વધશે.

તેમણે કહ્યું હતું કે, દુનિયાનું ધ્યાન ચોક્કસપણે ભારતની તબીબી શિક્ષણ પ્રણાલી તરફ ખસશે અને ભારતમાં તબીબી અભ્યાસ કરવા માટે વિદેશમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવશે.

શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, મહામારીના સમય દરમિયાન વેન્ટિલેટર્સ અને ઉપકરણોના વિનિર્માણમાં આપણે હરણફાળ ભર્યા પછી આપણે વધુ ઝડપ સાથે આગળ વધવાનું છે કારણ કે, આના માટેની આંતરરાષ્ટ્રીય માંગમાં પણ વધારો થયો છે.

તેમણે વેબિનારના સહભાગીઓને પ્રશ્ન કર્યો હતો કે, શું ભારત આખી દુનિયાને ઓછા ખર્ચમાં તમામ જરૂરી તબીબી ઉપકરણો પૂરાં પાડવાનું સપનું ના જોઇ શકે? શું આપણે વપરાશકર્તાને અનુકૂળ હોય તેવી ટેકનોલોજી સાથે પરવડે તેવા અને ટકાઉક્ષમ ધોરણે ભારતને વૈશ્વિક પૂરવઠાકાર બનાવવા પર ધ્યાન આપી શકીએ?

અગાઉની સરકારોથી વિપરિત, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વર્તમાન સરકાર માત્ર એક વિશેષાધિકાર પ્રાપ્ત સમૂહના બદલે સર્વાંગી રીતે આરોગ્ય મુદ્દાઓ પર ધ્યાન આપી રહી છે. આથી, માત્ર સારવાર પર નહીં પરંતુ સુખાકારી પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

તેમણે ઉમેર્યું હતું કે, નિવારણથી સંભાળ સુધીનો સર્વગ્રાહી અને સંકલિત અભિગમ અપનાવવામાં આવ્યો છે.

તેમણે કહ્યું હતું કે, તંદુરસ્ત ભારત માટે સરકાર ચાર તરફી વ્યૂહનીતિ સાથે આગળ વધવા પર કામ કરી રહી છે.

આમાંથી પહેલી બાબત છે "બીમારીઓનું નિવારણ અને સુખાકારીને પ્રોત્સાહન”. સ્વચ્છ ભારત અભિયાન, યોગ, સગર્ભા મહિલાઓ તેમજ બાળકોની સમયસર સંભાળ અને સારવાર જેવા વિવિધ પગલાં તેનો જ એક હિસ્સો છે.

બીજી બાબત છે, “ગરીબમાં ગરીબ વ્યક્તિને સસ્તી અને અસરકારક સારવાર પૂરી પાડવી”. આયુષમાન ભારત અને પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રો જેવી યોજનાઓ આ દિશામાં કામ કરી રહી છે.

ત્રીજી બાબત છે, “આરોગ્ય સંબંધિત માળખાગત સુવિધાઓ અને આરોગ્ય સંભાળ સંબંધિત પ્રોફેશનલ્સની સંખ્યા અને ગુણવત્તામાં વૃદ્ધિ”. છેલ્લા 6 વર્ષથી, દેશમાં એઇમ્સ જેવી સંસ્થાઓમાં વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે અને મેડિકલ કોલેજોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે જે આ દિશામાં હાથ ધરાયેલા પ્રયાસો છે.

ચોથી બાબત તરીકે તેમણે, “અવરોધોમાંથી બહાર આવવા માટે મિશન મોડ પર કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો. મિશન ઇન્દ્રધનુષનું વિસ્તરણ દેશમાં આદિવાસી અને અંતરિયાળ વિસ્તારો સુધી કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, 2030 સુધીમાં દુનિયામાંથી TB નાબૂદ કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે જ્યારે ભારત તેના કરતાં પાંચ વર્ષ વહેલાં જ એટલે કે, 2025 સુધીમાં દેશમાંથી TB નાબૂદ કરવાનું લક્ષ્ય ધરાવે છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, કોરોના વાયરસને રોકાવા માટે અપનાવવામાં આવેલા પ્રોટોકોલની જેવા જ પ્રોટોકોલ TBના નિવારણ માટે અપનાવવામાં આવ્યા છે કારણ કે આ બીમારી પણ ચેપગ્રસ્ત વ્યક્તિના ડ્રોપલેટ્સના કારણે ફેલાય છે. માસ્ક પહેરવું અને વહેલા નિદાન તેમજ સારવાર પણ TBના નિવારણ માટેના ખૂબ મહત્વપૂર્ણ પાસાં છે.

પ્રધાનમંત્રીએ કોરોના સમય દરમિયાન આયુષ ક્ષેત્રએ હાથ ધરેલા પ્રયાસોને બિરદાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આપણાં આયુષની માળખાગત સુવિધાઓના કારણે દેશને રોગપ્રતિકારકતા વધારવા અને વૈજ્ઞાનિક સંશોધન કરવાના સંબંધમાં ખૂબ જ મોટી સહાય પ્રાપ્ત થઇ છે. તેમણે કહ્યું હતું કે, કોવિડ-19ને નિયંત્રણમાં રાખવા માટે, રસીની સાથે-સાથે પરંપરાગત ઔષધીઓ અને મસાલાઓના ઉપયોગની અસરનો સમગ્ર દુનિયાએ અનુભવ કર્યો છે. તેમણે જાહેરાત કરી રહી કે, WHO ભારતમાં વૈશ્વિક પરંપરાગત ઔષધી કેન્દ્ર ઉભું કરવા જઇ રહ્યું છે.

પ્રધાનમંત્રીએ ખાસ જણાવ્યું હતું કે, આરોગ્ય ક્ષેત્રની પહોંચ અને પરવડતાને આગામી સ્તર સુધી લઇ જવા માટે આ ઉત્તમ તકની ક્ષણ છે. તેમણે આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આરોગ્ય ક્ષેત્રમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ડિજિટલ હેલ્થ મિશનથી સામાન્ય લોકોને તેમની અનુકૂળતાએ અસરકારક સારવાર લેવામાં મદદ મળશે. તેમણે કહ્યું હતું કે, આત્મનિર્ભર ભારત માટે તે આ પરિવર્તનો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આજે ભારત ભલે દુનિયાની ફાર્મસી બની ગયું હોય પરંતુ હજુ પણ કાચા માલ માટે તે આયાત પર નિર્ભર છે. તેમણે અફસોસ કરતા કહ્યું હતું કે, જો આવી નિર્ભરતા રહેશે તો આપણા ઉદ્યોગના ભવિષ્ય માટે તે ઠીક નથી અને ગરીબોને પરવડે તેવી દવાઓ પૂરી પાડવા તેમજ આરોગ્ય સંભાળ આપવા માટે આ બાબત ખૂબ જ મોટા અવરોધરૂપ છે.

પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે, આત્મનિર્ભરતા માટે છેલ્લા કેન્દ્રીય અંદાજપત્રમાં ચાર યોજનાઓ શરૂ કરવામાં આવી છે.

આ અંતર્ગત, દેશમાં દવાઓ અને તબીબી ઉપકરણોના ઉત્પાદન માટે ઉત્પાદન સાથે સંકળાયેલી પ્રોત્સાહન યોજના શરૂ કરવામાં આવી છે. દવાઓ અને તબીબી ઉપકરણો માટે મેગા પાર્ક્સ જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, દેશને સુખાકારી કેન્દ્રો, જિલ્લા હોસ્પિટલો, ગંભીર સારવારના એકમો, આરોગ્ય દેખરેખ માળખાગત સુવિધાઓ, અદ્યતન લેબોરેટરીઓ અને ટેલિમેડિસિનની જરૂરિયાત છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, પ્રત્યેક સ્તરને પ્રોત્સાહન આપવા માટે પ્રત્યેક સ્તરે કામ કરવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, આપણે સુનિશ્ચિત કરવાનું છે કે દેશમાં દરેક વ્યક્તિ, ભલે તે ગરીબમાં ગરીબ હોય કે પછી છેવાડાના વિસ્તારમાં રહેતી હોય, તેમને શક્ય હોય તેવી શ્રેષ્ઠ સારવાર મળે. તેમણે કહ્યું હતું કે, આવું શક્ય બને તે માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને દેશની સ્થાનિક સંસ્થાઓ બહેતર પરિણામો માટે સાથે મળીને કામ કરી રહ્યાં છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જાહેર આરોગ્ય લેબોરેટરીઓના નેટવર્કના નિર્માણ તેમજ PMJAYમાં હિસ્સા માટે ખાનગી ક્ષેત્ર PPP મોડલને સહકાર આપી શકે છે. રાષ્ટ્રીય ડિજિટલ આરોગ્ય મિશન, નાગરિકોની ડિજિટલ આરોગ્ય નોંધણીઓ અને અન્ય અદ્યતન ટેકનોલોજીમાં પણ ભાગીદારી થઇ શકે છે.

 

SD/GP/BT



(Release ID: 1700156) Visitor Counter : 202