પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીના આહ્વાનના પગલે આધ્યાત્મિક ગુરુઓએ વોકલ ફોર લોકલને અપનાવ્યું


સંત સમાજે આત્મનિર્ભર ભારત ચળવળને સમર્થન આપ્યું


Posted On: 17 NOV 2020 1:50PM by PIB Ahmedabad

આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે 'વોકલ ફોર લોકલ'ની લોકપ્રિયતા વધારવામાં મદદરૂપ થવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે આધ્યાત્મિક ગુરુઓને કરેલી અપીલને ખૂબ જ પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે અને દેશના સંખ્યાબંધ અગ્રણી આધ્યાત્મિક ગુરુઓ આ ચળવળના સમર્થનમાં આગળ આવ્યા છે. 'સંત સમાજે' ખૂબ જ ઉત્સાહપૂર્વક પ્રધાનમંત્રીના આ અનુરોધને પ્રતિભાવ આપ્યો છે. આધ્યાત્મિક ગુરુઓ જાહેર કટિબદ્ધતા સાથે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે 'વોકલ ફોર લોકલ'નો વધુને વધુ પ્રચાર કરવા માટે આગળ આવ્યા છે અને આ હિતકારી ઉદ્દેશમાં મદદરૂપ થવા માટે સમર્થનનું વચન આપ્યું છે.


પ્રધાનમંત્રીએ ગઇકાલે જૈનાચાર્ય શ્રી વિજય વલ્લભ સુરિશ્વરજી મહારાજની 151મી જન્મજયંતિના પ્રસંગે તેમને સ્મરણાંજલિ રૂપે 'સ્ટેચ્યૂ ઓફ પીસ' નું વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી અનાવરણ કરતી વખતે દેશના તમામ આધ્યાત્મિક ગુરુઓને આ આહ્વાન કર્યું હતું. શ્રી મોદીએ જણાવ્યું હતું કે સ્વતંત્રતાના સંઘર્ષનો પાયો ભક્તિ ચળવળ દ્વારા પૂરો પાડવામાં આવ્યો હતો તેવી જ રીતે, આત્મનિર્ભર ભારતનો પાયો આપણા દેશના સંતો, મહાત્માઓ, મહંતો અને આચાર્યો દ્વારા પૂરો પાડવામાં આવશે. તેમણે આધ્યાત્મિક ગુરુઓને, તેમની સત્સંગ સભાઓમાં અને તેમના અનુયાયીઓ સાથે વાર્તાલાપ દરમિયાન આત્મનિર્ભર ભારત ચળવળને પ્રોત્સાહન આપવા માટે આહ્વાન કર્યું હતું. 


શ્રી શ્રી રવિ શંકર મહારાજે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના આહ્વાનના સમર્થનમાં, આ સંસ્થાના યુવાનો દ્વારા એક એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે અને શ્રી શ્રીએ પુનરુચ્ચાર કર્યો હતો કે, તેઓ રોજબરોજના વપરાશની ચીજોમાં આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ છે.


બાબા રામદેવે પણ આત્મનિર્ભર ભારત ચળવળને આગળ ધપાવવા માટે પતંજલિ અને તેમના અનુયાયીઓનું પૂરતું સમર્થન હોવાનું જાહેર કર્યું હતું. તેમણે આ સંદર્ભે અન્ય આધ્યાત્મિક ગુરુઓના સંપર્કમાં રહીને તેમને પણ 'વોકલ ફોર લોકલ' મંચ પર એક સાથે લાવવા માટે મદદરૂપ થવાની તૈયારી બતાવી હતી.


પ્રધાનમંત્રીના આહ્વાનના પ્રતિભાવમાં સદગુરુ જગ્ગી વાસુદેવે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે "આત્મનિર્ભરતા એ મૂળભૂત તાકાત છે અને એક સ્થિર રાષ્ટ્ર માટે તે આવશ્યક છે. માત્ર એકલા ઉભા રહેવા માટે નહીં પરંતુ રાષ્ટ્રીય તાતણાની સ્થિતિસ્થાપકતા માટે અને દુનિયામાં મહત્વપૂર્ણ રાષ્ટ્ર બનવા માટે આ જરૂરી છે. માત્ર દેશવાસીઓની કટિબદ્ધતા દ્વારા જ આ શક્ય છે.”


સ્વામી અખંડાનંદે આધ્યાત્મિક ગુરુઓ વતી આ બાબતે તેઓ એકજૂથ રહીને સમર્થન આપતા હોવાનું જાહેર કર્યું હતું અને પ્રધાનમંત્રીના આ આહ્વાનને પ્રેરણાદાયી ગણાવ્યું હતું.


ભાગવત કથાકાર અને આધ્યાત્મિક અગ્રણી ગુરુ દેવકી નંદન ઠાકુરે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના આહ્વાનના પગલે તેમના અનુયાયીઓએ 'વોકલ ફોર લોકલ'ને તેમના જીવનનો ઉદ્દેશ બનાવી દીધો છે.


આત્મનિર્ભર ભારત માટેના આહ્વાનને સમર્થન અને પ્રશંસાની ભાવનાનો આધ્યાત્મિક ગુરુઓ તરફથી મળી રહેલા પ્રચંડ પ્રતિસાદમાં પડઘો પડી રહ્યો છે. તેઓ વ્યક્તિગત સ્તરે આ આહ્વાનને સમર્થન આપવાની સાથે સાથે 'સંત સમાજ'ના પ્રતિભાવ માટે સંકલન કરવાની પણ તૈયારી દર્શાવી રહ્યાં છે, તેઓ પોતાના સમર્થકોને 'વોકલ ફોર લોકલ' અપનાવવા માટે અનુરોધ કરી રહ્યાં છે તેમજ આ ઉદ્દેશ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંસાધનો પૂરા પાડવાનું વચન આપી રહ્યાં છે. નીચે દર્શાવેલા સંદેશાઓના માધ્યમથી, આ ચળવળને અપાર સમર્થન મળી રહ્યું હોવાનું જોઇ શકાય છે.

 

 

SD/GP/BT 



(Release ID: 1673437) Visitor Counter : 167