ગ્રામીણ વિકાસ મંત્રાલય
કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમરે રોજગાર સર્જન, ગ્રામીણ ગૃહનિર્માણ, માળખાકીય સવલતોના વિકાસ તેમજ ગ્રામીણ આજીવિકાને વધુ મજબૂત બનાવવા સંદર્ભે ઘડાયેલી ગ્રામીણ વિકાસ યોજનાઓનો કોવિડ-19 સંબંધિત આવશ્યક તકેદારીઓ સાથે સક્રિયપણે અમલ કરવા જણાવ્યું
રાજ્યોના ગ્રામીણ વિકાસ મંત્રીઓ સાથે યોજાયેલી વીડિયો કોન્ફરન્સને સંબોધતાં તેમણે MGNREGS હેઠળ જળ સંચય, ભૂગર્ભ જળનાં રિચાર્જ તેમજ સિંચાઈના કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા ઉપર ભાર મૂક્યો હતો; PMGSY હેઠળ મંજૂર થયેલા માર્ગ પ્રોજેક્ટો હાથ ધરવા તેમજ અધૂરા માર્ગ પ્રોજેક્ટો શરૂ કરવા માટે કામની સત્વરે ફાળવી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું
શ્રી તોમરે જણાવ્યું કે પ્રધાન મંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 2.21 કરોડ ઘર માટે મંજૂરી અપાઈ છે, જેમાંથી 1 કરોડ 86 હજાર ઘરનાં બાંધકામ પૂરાં થયાં છે
Posted On:
29 APR 2020 8:36PM by PIB Ahmedabad
દેશમાં કોરોના વાયરસના ચેપની અસર ન હોય તેવાં વિસ્તારોમાં 20મી એપ્રિલ, 2020ના રોજથી અપાયેલી છૂટછાટોને પગલે નિયંત્રણ હેઠળ ન મૂકાયા હોય તેવા વિસ્તારોમાં મહાત્મા ગાંધી રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ (એમજીનરેગા), પ્રધાન મંત્રી આવાસ યોજના ગ્રામીણ (પીએમએવાય-જી), પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના (પીએમજીએસવાય) અને નેશનલ રુરલ લાઈવ્લીહૂડ મિશન (એનઆરએલએમ) હેઠળ કામ શરૂ કરવા બાબતે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ અને કૃષિ તેમજ ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમર અને ગ્રામીણ વિકાસનાં રાજ્ય કક્ષાનાં મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ આજે (બુધવારે) રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોના ગ્રામીણ વિકાસ મંત્રીઓ અને સંલગ્ન અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી, જે બે કલાક લાંબી ચાલી હતી.
કેન્દ્રીય મંત્રીએ કોવિડ-19ના પ્રસરણને પગલે ઊભા થયેલા પડકારો અત્યંત ગંભીર હોવાનું જણાવીને આ પડકારોને વિકાસ અને ગ્રામીણ માળખાકીય સવલતો તેમજ ગૃહનિર્માણ, ગ્રામીણ વિસ્તારોમાં રોજગારની તકો તેમજ ગ્રામીણ આજીવિકામાં વૈવિધ્યીકરણને સહાયરૂપ થવાના અવસરમાં ફેરવવા રાજ્યોના મંત્રીઓ અને અધિકારીઓને વિનંતી કરી હતી.
તેમણે રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશોને જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષે ગ્રામીણ વિકાસ મંત્રાલયે તેમને 36,400 કરોડનું ભંડોળ આપ્યું છે. મંત્રાલયે રૂા. 33,300 કરોડ એમજીનરેગા હેઠળ મંજૂર કર્યાં છે, જેમાંથી રૂા. 20,624 કરોડ પાછલા વર્ષોમાં વેતન અને માલસામાનની બાકી તમામ ચૂકવણીઓ ચૂકતે કરવા માટે આપ્યાં છે. આ મંજૂર થયેલી રકમ જૂન, 2020 સુધી એમજીનરેગા હેઠળના ખર્ચને પહોંચી વળવા પર્યાપ્ત છે. મંત્રીએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ખાતરી આપી કે વિવિધ ગ્રામીણ વિકાસ કાર્યક્રમો માટે પર્યાપ્ત નાણાંકીય સાધનો ઉપલબ્ધ રહેશે.
મંત્રીએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને રોજગાર સર્જન, ગ્રામીણ ગૃહનિર્માણ, માળખાકીય સવલતોના વિકાસ તેમજ ગ્રામીણ આજીવિકાને વધુ મજબૂત કરવા સંબંધિત ગ્રામીણ વિકાસ યોજનાઓ કોવિડ-19 સંબંધિત તમામ તકેદારીઓ સાથે સક્રિયપણે અમલમાં મૂકવા જણાવ્યું હતું.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે એમજીનરેગા હેઠળ જળ શક્તિ મંત્રાલય તેમજ જમીન સંસાધનોના વિભાગની યોજનાઓ સાથે સુસંગત રીતે જળ સંચય, ભૂગર્ભ જળનાં રિચાર્જ તેમજ સિંચાઈનાં કાર્યો ઉપર ધ્યાન કેન્દ્રિત રાખવું જોઈએ. આ સંદર્ભે સંયુક્ત માર્ગદર્શિકાઓ અપાયેલી છે. તેમણે રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશોના મંત્રીઓ અને અધિકારીઓને કાર્યો તાત્કાલિક ધોરણે શરૂ કરવા માટે જિલ્લા કક્ષાએ સંબંધિત અધિકારીઓને આ કાર્યો નક્કી કરી, તે માટેનાં સંબંધિત વિભાગો / કચેરીઓ સાથેના સંકલન બાબતે માર્ગદર્શન આપવા જણાવ્યું હતું.
તેમણે એનઆરએલએમ હેઠળ 5.42 લાખ રક્ષણાત્મક મુખાવરણ (ફેસ માસ્ક્સ) તેમજ 3 લાખ લીટર સેનિટાઈઝર્સ અને સાબુ બનાવવા તેમજ દેશના વિવિધ પ્રદેશોમાં ફસાયેલા મજૂરોને ભોજન માટે 10,000થી વધુ સામુદાયિક રસોડાં ચલાવવા વીમેન સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ (મહિલા એસએચજી - સખીમંડળો)ની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે આ રીતે તેમણે કોવિડ-19 સામે રાષ્ટ્રની લડાઈમાં મહાન સેવા પ્રદાન કરી છે.
શ્રી તોમરે જણાવ્યું હતું કે પીએમએવાય (જી) હેઠળ 2.21 કરોડ ઘરો માટે મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી 1 કરોડ 86 હજાર ઘરોનું બાંધકામ સંપન્ન થયું છે. તેમણે એ બાબત ઉપર ભાર મૂક્યો હતો કે ત્રીજા અને ચોથા હપ્તામાં લાભાર્થીઓને નાણાં ચૂકવાઈ ગયાં છે, તેવાં 48 લાખ ઘરોનું નિર્માણ પ્રાથમિકતાના ધોરણે પૂરું કરવું જોઈએ.
પીએમજીએસવાય હેઠળ, મંજૂર થયેલા માર્ગ પ્રોજેક્ટોમાં કાર્યોની ત્વરિત ફાળવણી તેમજ બાકી માર્ગ પ્રોજેક્ટોમાં કામ શરૂ કરવા ઉપર ધ્યાન આપવા પણ તેમણે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે કોન્ટ્રાક્ટરો, સપ્લાયરો, કામદારો વગેરેને કામ શરૂ કરવા માટે પ્રેરિત કરવા જોઈએ.
તમામ રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશો કેન્દ્રીય ગ્રામીણ વિકા, પંચાયતી રાજ અને કૃષિ તેમજ ખેડૂત કલ્યાણ મંત્રી દ્વારા કરાયેલાં તમામ સૂચનો સાથે સંપૂર્ણ સહમત હતાં. ખાસ કરીને ત્રિપુરા, ઉત્તરાખંડ, મણીપુર, સિક્કિમ અને મેઘાલયે એમજીનરેગા હેઠળ ચૂકવવાનાં બાકી તમામ વેતન અને સામાનનાં નાણાં આપવા બદલ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
તમામ રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશોએ ખાતરી આપી હતી કે તેઓ કેન્દ્ર સરકારને સક્રિય સહયોગ આપશે, તેઓ કોવિડ-19ને પગલે ઊભી થયેલી મુશ્કેલીઓને મહત્તમ સંભવ હોય તેટલી ઓછી કરવા માટે ગ્રામીણ વિકાસ યોજનાઓ અસરકારક અને કાર્યક્ષમ રીતે અમલમાં મૂકાય તે સુનિશ્ચિત કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરશે. તેમણે એ વાતની પણ ખાતરી આપી હતી કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય, કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તેમજ ગ્રામીણ વિકાસ મંત્રાલયે જાહેર કરેલી માર્ગદર્શિકાઓને અનુસરવા તેઓ તમામ પ્રયાસો કરશે.
GP/DS
(Release ID: 1619566)