પ્રધાનમંત્રીનું કાર્યાલય

26.04.2020ના રોજ ‘મન કી બાત 2.0’ના 11માં એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 26 APR 2020 11:46AM by PIB Ahmedabad

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આપ સર્વે લોકડાઉનમાંમન કી બાતસાંભળી રહ્યા છો. આ મન કી બાતમાટે આવનારા વિચારો, ફોન કોલની સંખ્યા સામાન્ય રૂપથી ઘણી વધારે છે. કેટલાય વિષયોને પોતાનામાં સમાવીને, તમારી આ મનની વાતો, મારા સુધી પહોંચી છે. મેં કોશિશ કરી છે કે તેમને વધુમાં વધુ વાંચી શકું, સાંભળી શકું. તમારી વાતોથી કેટલીયે એવી બાબતો જાણવા મળી છે જેના પર આ દોડાદોડીમાં ધ્યાન નથી જતું. મારું મન કરે છે કે યુદ્ધ વચ્ચે થઈ રહેલી આ મન કી બાતમાં, તેવી જ કેટલીક બાબતોને આપ બધા દેશવાસીઓ સાથે વહેંચું.

સાથીઓ, ભારતની કોરોના સામેની લડાઈ સાચા અર્થમાં PEOPLE DRIVEN છે. ભારતમાં કોરોના સામેની લડાઈ જનતા લડી રહી છે, આપ લડી રહ્યા છો, જનતાની સાથે મળીને શાસન-પ્રશાસન લડી રહ્યું છે. ભારત જેવો વિશાળ દેશ, જે વિકાસ માટે પ્રયત્નશીલ છે, ગરીબી સાથે નિર્ણાયક લડાઈ લડી રહ્યો છે. તેની પાસે કોરોના સામે લડવાનો અને જીતવાનો આ જ એક ઉપાય છે. અને આપણે ભાગ્યશાળી છીએ કે આજે આખો દેશ, દેશનો દરેક નાગરિક, દરેક લોકો, આ લડાઈના સિપાઈ છે, લડાઈનું નેતૃત્વ કરી રહ્યા છે. તમે ક્યાંય પણ નજર નાખો, તમને ખબર પડી જશે કે ભારતની લડાઈ PEOPLE DRIVEN છે. જ્યારે આખું વિશ્વ આ મહામારીના સંકટ સામે ઝઝૂમી રહ્યું છે. ભવિષ્યમાં જ્યારે તેની ચર્ચા થશે, તેની રીતભાતની વાત થશે, મને વિશ્વાસ છે કે ભારતની આ ‘PEOPLE DRIVEN’ લડાઈ, તેની જરૂર ચર્ચા થશે. આખા દેશમાં, શેરીઓમાં, દરેક જગ્યાએ આજે લોકો એકબીજાની મદદ કરવા માટે આગળ આવ્યા છે. ગરીબો માટે ખાવાથી લઈને રેશનિંગની પણ વ્યવસ્થા થાય, લોકડાઉનનું પાલન થાય, હોસ્પિટલોની વ્યવસ્થા થાય, મેડિકલ ઈક્વીપમેન્ટનું દેશમાં જ નિર્માણ થાય આજે આખો દેશ, એક લક્ષ્ય , એક દિશા, સાથે-સાથે ચાલી રહ્યો છે. તાળી, થાળી, દિવો, મીણબત્તી આ દરેક વસ્તુઓએ જે ભાવનાને જન્મ આપ્યો. જે જુસ્સાથી દેશવાસીઓએ કંઈક કરવાનું નક્કી કરી લીધું દરેકને આ વાતે પ્રેરિત કર્યા છે. શહેર હોય કે ગામ, એવું લાગી રહ્યું છે કે જાણે દેશમાં એક બહુ મોટો મહાયજ્ઞ ચાલી રહ્યો છે, જેમાં દરેક પોતાનું યોગદાન આપવા આતુર છે. આપણા ખેડૂત ભાઈ-બહેનોને જ જોઈ લો, એક તરફ તેઓ આ મહામારી વચ્ચે પોતાના ખેતરોમાં દિવસ-રાત મહેનત કરી રહ્યા છે અને એ વાતની પણ ચિંતા કરી રહ્યા છે કે દેશમા કોઈપણ ભૂખ્યું ન સૂવે. દરેક વ્યક્તિ, પોતાના સામર્થ્ય પ્રમાણે આ લડાઈ લડી રહી છે. કોઈ ભાડાં માફ કરી રહ્યા છે, તો કોઈ પોતાનું આખું પેન્શન અથવા પુરસ્કારરૂપે મળેલા નાણાંને PM CARES માં જમા કરાવી રહ્યા છે. કોઈ ખેતરનું બધું શાકભાજી દાન કરી રહ્યું છે તો કોઈ દરરોજ સેંકડો ગરીબોને મફત ભોજન કરાવી રહ્યું છે. કોઈ માસ્ક બનાવી રહ્યું છે, કેટલાય આપણા મજૂર ભાઈ-બહેનો quarantine માં રહીને, જે શાળામાં રહે છે, તેનું રંગકામ કરી રહ્યા છે.

સાથીઓ, બીજાની મદદ માટે આપની અંદર, હૃદયના કોઈ ખૂણામાં, જે આ ઉભરતો ભાવ છે, એ જ કોરોના સામે ભારતની આ લડાઈને તાકાત આપી રહ્યો છે. તો આ લડાઈને હકીકતમાં PEOPLE DRIVEN બનાવી રહ્યા છે અને અમે જોયું છે કે ગત કેટલાક વર્ષોમાં આપણા દેશમાં આ મિજાજ બન્યો છે, સતત મજબૂત થતો રહ્યો છે. પછી તે કરોડો લોકો દ્વારા ગેસ સબસિડી છોડવાનું હોય, લાખો સિનિયર સિટિઝન દ્વારા રેલવેની સબસિડી છોડવાનું હોય, સ્વચ્છ ભારત અભિયાનનું નેતૃત્વ લેવાનું હોય, ટોઈલેટ બનાવવાના હોય, અગણિત વાતો એવી છે. આ બધી વાતોથી ખબર પડે છે કે, આપણે બધાએ એક મન, એક મજબૂત દોરાથી જોડી દીધા છે. એક થઈને દેશ માટે કંઈક કરવાની પ્રેરણા આપી છે.

મારા પ્રિય દેશવાસીઓ, હું ખૂબ જ નમ્રતાપૂર્વક, બહુ જ આદર સાથે આજે 130 કરોડ દેશવાસીઓની આ ભાવનાને મસ્તક ઝુકાવી નમન કરું છું. આપ, આપની ભાવનાને અનુરૂપ દેશ માટે આપની રૂચીના હિસાબે, સમય અનુસાર, કંઈક કરી શકો, તેને માટે સરકારે એક ડિજિટલ પ્લેટફોર્મ પણ તૈયાર કર્યું છે. આ પ્લેટફોર્મ છે, - coronawarriors.gov.in. હું ફરી કહું છું, coronawarriors.gov.in. સરકારે આ પ્લેટફોર્મના માધ્યમથી તમામ સામાજિક સંસ્થાઓના Volunteers, civil societyના પ્રતિનિધીઓ અને સ્થાનિક તંત્રને એકબીજા સાથે જોડી દીધા છે. બહુ જ ઓછા સમયમાં આ પોર્ટલ સાથે સવા કરોડ લોકો જોડાઈ ગયા છે. તેમાં ડૉક્ટર, નર્સથી લઈને આપણી આશા, એએનએમ બહેનો, આપણા એનસીસી, એનએસએસના સાથીઓ, અલગ અલગ field ના તમામ professionals, તેમણે આ પ્લેટફોર્મને પોતાનું પ્લેટફોર્મ બનાવી લીધું છે. આ લોકો સ્થાનિક સ્તર પર crisis management plan બનાવનારાઓને અને તેને પૂર્ણ કરવામાં પણ બહુ મદદ કરે છે. આપ પણ coronawarriors.gov.in સાથે જોડાઈને દેશની સેવા કરી શકો છો, Covid Warriors બની શકો છો.

સાથીઓ, દરેક મુશ્કેલ ઘડી, દરેક લડાઈ, કંઈકને કંઈક પાઠ આપે છે. કંઈકને કંઈક શીખવાડીને જાય છે, શીખામણ આપે છે. તો કોઈ શક્યતાઓનો માર્ગ બતાવે છે અને કોઈ નવા લક્ષ્યસ્થાનની દિશા પણ દેખાડે છે. આ પરિસ્થિતીમાં આપ બધા દેશવાસીઓએ, જે સંકલ્પ શક્તિ દેખાડી છે, તેમાં, ભારતમાં એક નવા બદલાવની શરૂઆત પણ થઈ છે. આપણો બિઝનેસ, આપણા કાર્યાલયો, આપણી શિક્ષણ સંસ્થાઓ, આપણું મેડિકલ સેક્ટર, દરેક, ઝડપથી નવા ટેકનિકલ બદલાવ તરફ જઈ રહ્યા છે. ટેક્નોલોજીના ફ્રન્ટ પર તો ખરેખર એવું લાગી રહ્યું છે કે દેશનો દરેક INNOVATOR નવી પરિસ્થિતી અનુસાર કંઈકને કંઈક નવું નિર્માણ કરી રહ્યો છે.

સાથીઓ, દેશ જ્યારે એક ટીમ બનીને કામ કરે છે ત્યારે શું થાય છે, તે આપણે અનુભવ કરી રહ્યા છીએ. આજે કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, તેમનો દરેક વિભાગ અને સંસ્થા રાહત માટે હળીમળીને ખૂબ જ SPEED થી કામ કરી રહ્યા છે. આપણા એવિએશન સેક્ટર માં કામ કરી રહેલા લોકો હોય, રેલવે કર્મચારી હોય, તેઓ દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. જેથી દેશવાસીઓને ઓછામાં ઓછી મુશ્કેલી પડે. તમારામાંથી કદાચ ઘણા લોકોને ખબર હશે કે દેશના દરેક ભાગમાં દવાઓ મોકલવા માટે લાઈફ લાઈન ઉડાનનામથી એક વિશેષ અભિયાન ચાલી રહ્યું છે. આપણા આ સાથીઓએ, આટલા ઓછા સમયમાં દેશની અંદર જ ત્રણ લાખ કિલોમીટરનું હવાઈ ઉડ્ડયન કર્યું છે અને 500 ટનથી પણ વધારે મેડિકલ સામગ્રી, દેશના ખૂણે-ખૂણે, તમારા સુધી પહોંચાડી છે. તેવી જ રીતે રેલવેના સાથીઓ, પણ લોકડાઉનમાં પણ સતત મહેનત કરી રહ્યા છે. જેથી દેશના સામાન્ય લોકોને જરૂરી વસ્તુઓની અછત ન રહે. આ કામ માટે ભારતીય રેલવે લગભગ 60 થી વધુ રેલ માર્ગ પર 100થી પણ વધુ પાર્સલ ટ્રેન ચલાવી રહ્યું છે. તેવી જ રીતે દવાઓની આપૂર્તિ માટે આપણા પોસ્ટ વિભાગના લોકો, ઘણી મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. આપણા આ બધા સાથીઓ સાચા અર્થમાં કોરોના warriors જ છે.

સાથીઓ, ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજહેઠળ ગરીબોના અકાઉન્ટમાં પૈસા સીધા ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. વૃદ્ધાવસ્થા પેન્શનપૂરું પાડવામાં આવ્યું છે. ગરીબોને ત્રણ મહિના મફત ગેસ સિલિન્ડર, કરિયાણું જેવી સુવિધા પણ આપવામાં આવી રહી છે. આ બધા કામોમાં સરકારના અલગ-અલગ વિભાગોના લોકો, બેન્કિંગ સેક્ટરના લોકો, એક ટીમની રીતે દિવસ-રાત કામ કરી રહ્યા છે. અને હું આપણા દેશની રાજ્ય સરકારોની, પણ એ વાત માટે પ્રશંસા કરીશ કે આ મહામારી સામે લડવા માટે ઘણી જ સક્રિય ભૂમિકા નિભાવી રહી છે. સ્થાનિક તંત્ર, રાજ્ય સરકારો જે જવાબદારી નિભાવી રહ્યા છે, કોરોના સામેની લડાઈમાં બહુ મોટી ભૂમિકા છે. તેમનો આ પરિશ્રમ ઘણો જ પ્રશંસનીય છે.

મારા પ્રિય દેશવાસીઓ, દેશભરમાં સ્વાસ્થ્ય સેવાઓથી જોડાયેલા લોકોએ હમણાં હાલમાં જ જે અધ્યાદેશ લાવવામાં આવ્યો છે, તેના પર પોતાનો સંતોષ વ્યક્ત કર્યો છે. આ અધ્યાદેશમાં કોરોના warriors સાથે હિંસા, પરેશાની, અને તેમને કોઈપણ રીતે જખ્મી કરનારા લોકો સામે ઘણી સખત સજાની જોગવાઈ કરવામાં આવી છે. આપણા ડૉક્ટર, નર્સ, પેરા-મેડિકલ સ્ટાફ, કોમ્યુનિટી હેલ્થ વર્કર અને આવા દરેક લોકો, જે દેશને કોરોના મુક્તકરવામાં દિવસ-રાત લાગેલા છે, તેમની રક્ષા કરવા માટે આ પગલું જરૂરી હતું.

મારા પ્રિય દેશવાસીઓ, આપણે બધા અનુભવ કરી રહ્યા છીએ કે આ મહામારી સામે, આ લડાઈ દરમિયાન, આપણે આપણા જીવનને, સમાજને, આપણી આસપાસ થઈ રહેલી ઘટનાઓને, એક FRESH દ્રષ્ટિકોણથી જોવાનો મોકો પણ મળ્યો છે. સમાજના દૃષ્ટિકોણમાં પણ ઘણો બદલાવ આવ્યો છે. આજે આપણા જીવન સાથે જોડાયેલી દરેક વ્યક્તિના મહત્વનો, આભાસ આપણને થાય છે. આપણા ઘરમાં કામ કરનારા લોકો હોય, આપણી જરૂરિયાતોને પૂરી કરવા માટે કામ કરનારા આપણા સામાન્ય કામદારો હોય, પડોસની દુકાનમાં કામ કરનારા લોકો હોય, આ બધાની કેટલી મોટી ભૂમિકા છે આપણને તે અનુભવ થઈ રહ્યો છે. તેવી જ રીતે જરૂરી સેવાઓની ડિલિવરી કરનારા લોકો, બજારમાં કામ કરનારા આપણા મજૂર ભાઈ-બહેનો, આપણી  આસપાસના ઓટોચાલક, રિક્શાચાલક આજે આપણે અનુભવ કરી રહ્યા છીએ કે આ બધા વગર આપણું જીવન કેટલું મુશ્કેલ હોઈ શકે છે.

આજકાલ સોશિયલ મીડિયા માં આપણે લોકો સતત જોઈ રહ્યા છીએ કે, લોકડાઉન દરમિયાન લોકો પોતાના આ સાથીઓને ન માત્ર યાદ કરી રહ્યા છે, તેમની જરૂરિયાતોનું ધ્યાન રાખી રહ્યા છે, પરંતુ તેમના વિશે ઘણાં જ સન્માન સાથે લખી પણ રહ્યા છે. આજે, દેશના દરેક ખૂણામાંથી એવું ચિત્ર આવી રહ્યું છે કે લોકો સફાઈ કર્મીઓ પર પુષ્પ વર્ષા કરી રહ્યા છે. પહેલાં તેમના કાર્યને કદાચ આપ NOTICE નહોતા કરતા. ડૉક્ટર હોય, સફાઈ કર્મી હોય, અન્ય સેવા કરનારા લોકો હોય એટલું જ નહીં આપણી પોલીસ વ્યવસ્થાને લઈને પણ સામાન્ય લોકોની વિચારસરણીમાં ઘણો બદલાવ આવ્યો છે. પહેલાં પોલીસ વિશે વિચારતાં જ નકારાત્મકતા સિવાય આપણને કંઈ દેખાતું જ નહોતું. આપણા પોલીસકર્મીઓ આજે ગરીબો, જરૂરિયાતવાળા લોકોને ખાવું પહોંચાડી રહ્યા છે, દવા પહોંચાડી રહ્યા છે. જેવી રીતે દરેક મદદ માટે પોલીસ સામે આવી રહ્યા છે તેનાથી POLICING ના માનવીય અને સંવેદનશીલ પાસાઓ આપણી સામે ઉભરીને આવી રહ્યા છે, આપણા મનને ઢંઢોળી દીધું છે, આપણા હ્રદયને સ્પર્શી ગયા છે. એક એવો મોકો કે, જેમાં આમ જનતા પોલીસ સાથે ભાવાત્મક રીતે જોડાઈ રહી છે. આપણા પોલીસ કર્મીઓએ તેને, જનતાની સેવાના એક મોકાના રૂપમાં લીધું છે અને મને વિશ્વાસ છે કે આ ઘટનાઓથી, આવનારા સમયમા સાચા અર્થમાં ઘણો જ સકારાત્મક બદલાવ આવી શકે છે અને આપણે આ સકારાત્મકતાને ક્યારેય પણ નકારાત્મકતાના રંગથી ન રંગવી જોઈએ.

સાથીઓ, આપણે સાંભળીએ છીએ કે પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ, આ શબ્દોને એક સાથે જોઈએ અને તેની પાછળનો ભાવ જોઈએ તો આપને જીવનને સમજવાનુ પણ એક નવુ દ્વાર ખૂલતુ દેખાશે. જો માનવ પ્રકૃતિની ચર્ચા કરીએ  તો આ મારું છે, હું આનો ઉપયોગ કરું છું’, તેને અને આ ભાવનાને ઘણી જ સ્વાભાવિક માનવામાં આવે છે. કોઈને તેમાં કોઈ વાંધો હોતો નથી. તેને આપણે પ્રકૃતિકહી શકીએ છીએ. પરંતુ જે મારું નથી’, ‘જેના પર મારો હક નથીતેને હું બીજા પાસેથી છીનવી લઉં છું, તેને છીનવીને ઉપયોગમાં લઉં છું, ત્યારે આપણે તેને વિકૃતિ કહી શકીએ. આ બંનેથી પણ ઉપર, પ્રકૃતિ અને વિકૃતિથી ઉપર, જ્યારે કોઈ સંસ્કારિત-મન વિચારે છે અથવા વ્યવહાર કરે છે તો આપણને સંસ્કૃતિનજરે પડે છે. જ્યારે કોઈ પોતાના હકની વસ્તુ, પોતાની મહેનતથી કમાયેલી વસ્તુ, પોતાની જરૂરીયાત ની વસ્તુ, ઓછી હોય કે વધુ, તેની પરવા કર્યા વગર કોઈ વ્યક્તિની જરૂરિયાતને જોતાં, પોતાની ચિંતા છોડી દઈને પોતાના હકના હિસ્સાને વહેંચીને કોઈ બીજાની જરૂરિયાતો પૂરી કરે  છે તે જ સંસ્કૃતિછે. સાથીઓ જ્યારે કસોટીનો કાળ હોય છે, ત્યારે આ ગુણોનું પરીક્ષણ થાય છે.

આપે પાછલા દિવસોમાં જોયું હશે કે ભારતે પોતાના સંસ્કારોને અનુરૂપ, આપણા વિચારોને અનુરૂપ, આપણી સંસ્કૃતિને આગળ ધપાવતા કેટલાક નિર્ણયો લીધા છે. સંકટની આ પળમાં દુનિયા માટે પણ, સમૃદ્ધ દેશો માટે પણ દવાઓનું સંકટ વધારે રહ્યું છે. એક એવો સમય છે કે જો ભારત દુનિયાને દવા ન આપે તો કોઈ ભારતને દોષી ન માને. દરેક દેશ સમજે છે કે ભારત માટે પણ તેની પ્રાથમિકતા પોતાના દેશના નાગરિકોના જીવન બચાવવાની છે. પરંતુ સાથીઓ ભારતે, પ્રકૃતિ, વિકૃતિના વિચારથી પણ આગળ રહીને નિર્ણય લીધો. ભારતે પોતાની સંસ્કૃતિને અનુરૂપ નિર્ણય લીધો. આપણે ભારતની આવશ્યકતાઓ માટે જે કરવાનું હતું, તેનો પ્રયાસ તો વધાર્યો જ પરંતુ દુનિયાભરથી આવી રહેલી માનવતાની રક્ષાની માગ પર પણ સંપૂર્ણ ધ્યાન આપ્યું. આપણે વિશ્વના દરેક જરૂરિયાતવાળાઓ સુધી દવાઓ પહોંચાડવાનું બીડું ઉઠાવ્યું અને માનવતાના આ કામને કરીને દેખાડ્યું. આજે જ્યારે, મારી અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે ફોન પર વાત થાય છે તો તેઓ ભારતની જનતાનો આભાર જરૂર વ્યક્ત કરે છે. જ્યારે તે લોકો કહે છે ‘Thank you India’, ‘Thank you people of India’ તો દેશ માટે ગર્વ વધી જાય છે. આવી જ રીતે આ સમયમાં દુનિયાભરમાં ભારતના આયુર્વેદ અને યોગના મહત્વને પણ લોકો ઘણા વિશિષ્ટ ભાવથી જોવે છે. સોશિયલ મીડિયા પર જુઓ, દરેક જગ્યાએ IMMUNITY વધારવા માટે, કેવી રીતે, ભારતના આયુર્વેદ અને યોગની ચર્ચા થઈ રહી છે. કોરોનાની દ્રષ્ટિથી, આયુષ મંત્રાલયે IMMUNITY વધારવા માટે જે, પ્રોટોકોલ આપ્યો છે, મને વિશ્વાસ છે કે તમે લોકો તેનો પ્રયોગ જરૂર કરતા હશો. ગરમ પાણી, કાવો અને જે અન્ય દિશા-નિર્દેશ, આયુષ મંત્રાલયે બહાર પાડ્યા છે તે આપ આપની દિનચર્યામાં સમાવશો, તો આપને ઘણાં લાભ થશે.

સાથીઓ, આમ તો એ દુર્ભાગ્ય રહ્યું કે કેટલીય વખત આપણે, આપણી જ શક્તિઓ અને સમૃદ્ધ પરંપરાને ઓળખવાની ના પાડી દઈએ છીએ. પરંતુ જ્યારે વિશ્વનો કોઈ બીજો દેશ evidence based research ના આધાર પર આ વાત કરે છે. આપણી જ FORMULA આપણને શીખવાડે છે તો આપણે તેને તરત લઈ લઈએ છીએ. કદાચ, તેની પાછળ બહુ મોટું કારણ, સેંકડો વર્ષોની આપણી ગુલામીનો સમયગાળો રહ્યો છે. તેને કારણે ક્યારેક-ક્યારેક આપણને આપણી જ શક્તિ પર વિશ્વાસ થતો નથી. આપણો આત્મવિશ્વાસ ઓછો દેખાય છે. તેથી આપણે આપણા દેશની સારી વાતોને, આપણા પારંપારિક સિદ્ધાંતોને evidence based research ના આધાર પર, આગળ વધારવાને બદલે તેને છોડી દઈએ છીએ. તેને હીન સમજીએ છીએ. ભારતની યુવા પેઢીએ હવે, આ પડકારોનો સ્વિકાર કરવો પડશે. જેવી રીતે વિશ્વએ યોગનો સહર્ષ સ્વિકાર કર્યો છે, તેવી જ રીતે હજારો વર્ષો જૂના, આપણા આયુર્વેદના સિદ્ધાંતોનો પણ વિશ્વ ચોક્કસ સ્વિકાર કરશે. હા, તેને માટે યુવા-પેઢીએ સંકલ્પ લેવો પડશે અને દુનિયા જે ભાષામાં સમજે છે તે વૈજ્ઞાનિક ભાષામાં આપણે સમજાવવું પડશે, કંઈક કરી દેખાડવું પડશે.

સાથીઓ આમ તો COVID-19 ને કારણે કેટલાય સકારાત્મક બદલાવ, આપણી કામ કરવાની પધ્ધતિ, આપણી જીવનશૈલી અને આપણી આદતોમાં પણ સ્વાભાવિક રીતે પોતાની જગ્યા બનાવી રહ્યા છે. આપે બધાએ અનુભવ્યું હશે કે આ સંકટે, કેવા અલગ અલગ વિષયો પર, આપણી ચેતના અને આપણી સમજણને જાગૃત કર્યા છે. જે અસર, આપણને આપણી આસપાસ જોવા મળી રહી છેતેમાં સૌથી પહેલી છે માસ્ક પહેરવા અને પોતાના ચહેરાને ઢાંકીને રાખવો. કોરોનાને કારણે બદલાતી સ્થિતીમાં, માસ્ક પણ આપણા જીવનનો ભાગ બની રહ્યા છે. આમ, જોકે આપણને તેની આદત ક્યારેય રહી નહોતી કે આપણી આસપાસના ઘણાં લોકો માસ્કમાં જોવા મળે. પરંતુ હવે તેવું જ થઈ રહ્યું છે. હાં... તેનો એ મતલબ નથી કે જે માસ્ક લગાવે છે તે બધા બિમાર છે. અને જ્યારે હું માસ્કની વાત કરું છું તો મને જૂની વાતો યાદ આવે છે. તમને બધાને પણ યાદ હશે. એક જમાનો હતો, કે આપણા દેશના કેટલાય એવા વિસ્તારો હતા કે જ્યાં જો કોઈ નાગરિક ફળ ખરીદતા જોવા મળે તો તેની અડોશ-પડોશના લોકો તેને જરૂર પૂછતા હતા ઘરમાં કોઈ બિમાર છેએટલે કે ફળ ફક્ત બિમારીમાં જ ખાવામાં આવે છે એવી એક ધારણા બનેલી હતી. પરંતુ સમય બદલાયો અને ધારણા પણ બદલાઈ. તેવું જ માસ્કને લઈને, પણ ધારણા હવે બદલાવા જઈ રહી છે. તમે જોશો, માસ્ક સભ્ય સમાજનું પ્રતિક બની જશે. જો બિમારીથી પોતાને બચાવવા છે અને બીજાને પણ બચાવવા છે તો માસ્ક લગાવવા પડશે અને મારૂ તો બહુ SIMPLE સુચન છે ગમછો, મોઢું ઢાંકવાનું છે.

સાથીઓ આપણા સમાજમાં વધુ એક મોટી જાગૃતિ એ આવી છે કે હવે બધા લોકો એમ સમજી રહ્યા છે કે જાહેર સ્થળો પર થૂંકવાથી શું નુકસાન થઈ શકે છે. અહીં-તહી ક્યાંય પણ થૂંકી દેવું, ખોટી આદતોનો ભાગ હતો. તે સ્વચ્છતા અને સ્વાસ્થ્યને પણ ગંભીર પડકાર આપતા હતા. આમ પણ એક રીતે જોઈએ તો આપણે હંમેશાથી આ સમસ્યાને જાણતા આવ્યા છીએ, પરંતુ આ સમસ્યા, સમાજમાંથી સમાપ્ત થવાનું નામ જ નહોતી લેતી. હવે તે સમય આવ્યો છે કે આ ખરાબ આદતને હંમેશ-હંમેશ માટે ખતમ કરી દેવામાં આવે. એવું કહેવાય પણ છે કે , ‘better late than never’. તો ભલે મોડું થયું હોય પરંતુ હવે આ થૂંકવાની આદત છોડી દેવી જોઈએ. આ વાતો જ્યાં  basic hygiene નું સ્તર વધારશે, તો કોરોનાના ચેપને ફેલાવતો રોકવામાં પણ મદદ કરશે.

મારા પ્રિય દેશવાસીઓ, એ સુખદ સંયોગ છે કે આજે જ્યારે આપની સાથે હું મન કી બાતકરી રહ્યો છું તો અક્ષય તૃતિયાનું પવિત્ર પર્વ પણ છે. સાથીઓ ક્ષયનો અર્થ થાય છે વિનાશ, પરંતુ જે ક્યારેય નષ્ટ ન થાય, જે ક્યારેય સમાપ્ત ન થાય તે છે અક્ષય’. આપણા ઘરોમાં આપણે બધા આ પર્વને દર વર્ષે મનાવીએ છીએ પરંતુ આ વર્ષે આપણા માટે તેનું મહત્વ વિશેષ છે. આજના મુશ્કેલ સમયમાં આ એક એવો દિવસ છે જે આપણને યાદ અપાવે છે કે આપણી આત્મા, આપણી ભાવના, અક્ષય છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે ભલે કેટલીયે મુશ્કેલીઓ રસ્તો રોકે, ભલે કેટલીયે આપત્તિઓ આવે, ભલે કેટલીયે બિમારીઓનો સામનો કરવો પડે તેનાથી લડવાની અને ઝઝૂમવાની માનવીય ભાવના અક્ષય છે. માનવામાં આવે છે કે આ એ જ દિવસ છે જે દિવસે ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન સૂર્યદેવના આશિર્વાદથી પાંડવોને અક્ષય પાત્ર મળ્યું હતું. અક્ષય પાત્ર એટલ કે એવું વાસણ કે જેમાં ભોજન ક્યારેય સમાપ્ત થાય જ નહીં. આપણા અન્નદાતા ખેડૂતો દરેક પરિસ્થિતીમાં દેશ માટે, આપણા સહુ માટે, આ જ ભાવનાથી પરિશ્રમ કરે છે. તેમના જ પરિશ્રમથી આજે આપણા બધા માટે, ગરીબો માટે, દેશ પાસે અક્ષય અન્ન ભંડાર છે. આ અક્ષય તૃતિયા પર આપણે આપણા પર્યાવરણ, જંગલ, નદીઓ અને આખી ECO SYSTEM ના સંરક્ષણ  વિશે પણ વિચારવું જોઈએ, જે આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. જો આપણે અક્ષય રહેવા માંગીએ છીએ તો આપણે પહેલાં એ સુનિશ્ચિત કરવું પડશે કે આપણી ધરતી અક્ષય રહે.

શું તમે જાણો છો કે અક્ષય તૃતિયાનું આ પર્વ, દાનની શક્તિ એટલે કે POWER OF GIVING નો પણ એક અવસર છે. આપણે હ્રદયની ભાવનાથી જે કંઈ પણ આપીએ છીએ, હકીકતમાં મહત્વ તેનું જ હોય છે. એ વાત મહત્વપૂર્ણ નથી કે આપણે શું આપીએ છીએ અને કેટલું આપીએ છીએ. સંકટના આ સમયમાં આપણો નાનકડો પ્રયાસ, આપણી આસપાસના ઘણાં લોકો માટે બહુ મોટી મદદ બની શકે છે. સાથીઓ, જૈન પરંપરામાં પણ આ બહુ પવિત્ર દિવસ છે કારણ કે પહેલા તિર્થંકર ભગવાન ઋષભદેવના જીવનનો આ એક મહત્વનો દિવસ રહ્યો છે. તેવામાં જૈન સમાજ તેને એક પર્વના રૂપમાં મનાવે છે તેથી એ સમજવું સહેલું છે કે કેમ આ દિવસે લોકો કોઈપણ શુભકાર્યનો પ્રારંભ કરવાનું પસંદ કરે છે. આજે કંઈક નવું શરૂ કરવાનો દિવસ છે તો તેવામાં શું આપણે બધા મળીને, આપણા પ્રયાસોથી, આપણી ધરતીને અક્ષય અને અવિનાશી બનાવવાનો સંકલ્પ લઈ શકીએ છીએ. સાથીઓ આજે ભગવાન બસવેશ્વરજીની જયંતિ પણ છે. એ મારું સૌભાગ્ય રહ્યું છે કે મને ભગવાન બસવેશ્વરની સ્મૃતિઓ અને તેમના સંદેશાઓ સાથે વારંવાર જોડાવાનો, શીખવાનો મોકો મળ્યો છે. દેશ અને દુનિયામાં ભગવાન બસવેશ્વરના બધા અનુયાયીઓને તેમની જયંતિ પર ઘણી ઘણી શુભેચ્છાઓ.

સાથીઓ રમઝાનનો પણ પવિત્ર મહિનો શરૂ થઈ ગયો છે. જ્યારે છેલ્લે રમઝાન મનાવવામાં આવ્યો ત્યારે કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે આ વખતે રમઝાનમાં આટલી મોટી મુસિબતોનો સામનો કરવો પડશે. પરંતુ હવે જ્યારે આખા વિશ્વમાં આ મુસિબત આવી જ ગઈ છે તો આપણી સામે મોકો છે કે આ રમઝાનને સંયમ, સદભાવના, સંવેદનશીલતા અને સેવાભાવનું પ્રતિક બનાવીએ. આ વખતે આપણે પહેલાં થી પણ વધુ ઈબાદત કરીએ, જેથી ઈદ આવતાં અગાઉ જ દુનિયા કોરોનાથી મુક્ત થઈ જાય અને આપણે પહેલાંની જેમ ઉમંગ અને ઉત્સાહ સાથે ઈદ મનાવીએ. મને વિશ્વાસ છે કે રમઝાનના આ દિવસોમાં સ્થાનિક તંત્રના દિશા-નિર્દેશોનું પાલન કરતાં, કોરોના સામે ચાલી રહેલી આ લડાઈને આપણે વધુ મજબૂત કરીશું. માર્ગો પર, બજારોમાં, શેરીઓમાં, physical distancing નું પાલન હજુ પણ ઘણું આવશ્યક છે. હું આજે તે બધા  community leaders પ્રતિ આભાર પ્રગટ કરું છું જે લોકો બે ગજનું અંતર અને ઘરની બહાર ન નીકળવાને લઈને લોકોને જાગૃત કરી રહ્યા છે. ખરેખર કોરોના એ આ વખતે ભારત સહિત, દુનિયાભરમાં તહેવારોની ઊજવણીનુ  સ્વરૂપ જ બદલી નાખ્યું છે. રંગ-રૂપ બદલી નાખ્યા છે. હમણાં ગત દિવસોમાં જ આપણે ત્યાં પણ બિહૂ, બૈસાખી, પુંથડું, વિશૂ, ઓડિયા ન્યૂયર જેવા અનેક તહેવારો આવ્યા. આપણે જોયું કે લોકોએ કેવી રીતે આ તહેવારોને ઘરમાં રહીને, ઘણી સાદગીપૂર્વક અને સમાજ પ્રત્યે શુભચિંતન સાથે, તહેવારોને મનાવ્યા. સામાન્ય રીતે તેઓ આ તહેવારોને પોતાના દોસ્તો અને પરિવાર સાથે સંપૂર્ણ ઉત્સાહ અને ઉમંગ સાથે મનાવતા હતા. ઘરની બહાર નીકળીને પોતાની ખુશી વહેંચતા હતા. પરંતુ આ વખતે દરેક લોકોએ સંયમ રાખ્યો. લોકડાઉનના નિયમોનું પાલન કર્યું. આપણે જોયું છે કે આ વખતે આપણા ઈસાઈ દોસ્તોએ ઈસ્ટરપણ ઘરે જ મનાવ્યો છે. પોતાના સમાજ, પોતાના દેશ પ્રત્યેની જવાબદારી નિભાવવી, આજની ઘણી મોટી જરૂરિયાત છે. ત્યારે જ આપણે કોરોનાના ફેલાવા પર રોક લગાવવામાં સફળ થઈશું. કોરોના જેવી વૈશ્વિક મહામારીને હરાવી શકીશું.

મારા પ્રિય દેશવાસીઓ, આ વૈશ્વિક મહામારીના સંકટ વચ્ચે આપના પરિવારના એક સભ્ય તરીકે, અને આપ બધા પણ મારા પરિવારજન છો, ત્યારે કંઈક સંકેત આપવા, કંઈક ઉપાયો આપવા, એ મારી જવાબદારી બને છે. મારા દેશવાસીઓને, હું આપને આગ્રહ કરીશ આપણે ક્યારેય અતિ આત્મવિશ્વાસમાં ન ફસાઈ જઈએ. આપણે એવો વિચાર ન કરીએ કે આપણા શહેરમાં, આપણા ગામમાં, આપણી શેરીમાં, આપણા કાર્યાલયમાં હજુ સુધી કોરોના પહોંચ્યો નથી તેથી હવે પહોંચવાનો પણ નથી. જુઓ આવી ભૂલ ક્યારેય ના કરતા. દુનિયાનો અનુભવ આપણને ઘણું કહી રહ્યો છે અને આપણે ત્યાં તો સતત કહેવામાં આવે છે કે સાવધાની હટી, દુર્ઘટના ઘટી’. યાદ રાખો, આપણા પૂર્વજોએ આ દરેક વિષયોમાં આપણું બહુ સારું માર્ગદર્શન કર્યું છે. આપણા પૂર્વજોએ કહ્યું છે,

अग्निः शेषम ऋणः शेषम्

व्याधिः शेषम् तथैवच

पुनः पुनः प्रवर्धेत

तस्मात् शेषम् न कारयेत ||’

એટલે કે હળવાશમાં લઈને છોડવામાં આવેલી આગ, ઋણ અને બિમારી, મોકો મળતાં જ ફરીથી વધીને ખતરનાક થઈ જાય છે. તેથી તેનો સંપૂર્ણ રીતે ઉપચાર ઘણો જ આવશ્યક હોય છે. તેથી અતિ-ઉત્સાહમાં સ્થાનિક સ્તર પર, ક્યાંય પણ કોઈ લાપરવાહી થવી જોઈએ નહીં. તેનું હંમેશા આપણે ધ્યાન રાખવું જ પડશે. હું ફરી એકવાર કહીશ બે ગજ અંતર બનાવી રાખો, પોતાને સ્વસ્થ રાખો, ‘બે ગજ અંતર બહુ જ જરૂરી છે’. આ સર્વના ઉત્તમ સ્વાસ્થ્યની કામના કરીને હું મારી વાત સમાપ્ત કરું છું. હવે પછીની મન કી બાતમાં જ્યારે મળીશું ત્યારે આ વૈશ્વિક મહામારીથી થોડી મુક્તિના ખબર દુનિયાભરથી આવે, માનવજાત આ મુસિબતમાંથી બહાર આવે એ જ પ્રાર્થના સાથે આપ સર્વને ખૂબ ખૂબ ધન્યવાદ....

RP



(Release ID: 1618356) Visitor Counter : 489