ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય

રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડ ઇશ્યુ કરાયું હોય તેવા બિન NFSA લાભાર્થીઓને ખાદ્યાન્ન પૂરું પાડવામાં આવશે


77 રેકમાં અંદાજે 2.16 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્નનો જથ્થો સમગ્ર દેશમાં પૂરો પાડીને FCIએ નવો વિક્રમ સ્થાપિત કર્યો

Posted On: 09 APR 2020 8:46PM by PIB Ahmedabad

ભારત સરકારે ભારતીય ખાદ્યાન્ન નિગમ (FCI)ને નિર્દેશ આપ્યા છે કે, સમગ્ર દેશમાં રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યું હોય તેવા NFSA હેઠળ ન આવરી લેવામાં આવેલા તમામ લાભાર્થીઓને ત્રણ મહિના સુધી વ્યક્તિ દીઠ 5 કિલો ખાદ્યાન્ન 21 રૂપિયા કિલો ઘઉં અને 22 રૂપિયા કિલો ચોખાના ભાવે એકસમાન રીતે આ યોજના હેઠળ પૂરું પાડવામાં આવે. રાજ્યોને આ જથ્થો જૂન 2020 સુધી ત્રણ મહિના સુધી દર મહિને અથવા એકવખતમાં મેળવવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

રાહત કાર્યોમાં સંકળાયેલા NGO/સખાવતી સંગઠનોને સહાય કરવાના આશયથી સરકારે FCIને નિર્દેશો આપ્યા છે કે, આવા સંગઠનોને જથ્થામાં કોઇપણ પ્રકારની ઉપલી મર્યાદા રાખ્યા વગર સમગ્ર દેશમાં એકસમાન રીતે 21 રૂપિયા કિલો ઘઉં અને 22 રૂપિયા કિલો ચોખાના ભાવે ખાદ્યાન્નનો જથ્થો પૂરો પાડવામાં આવે. આ નિર્દેશોના કારણે કોવિડ-19 મહામારીના સમયગાળા દરમિયાના સમાજના દરેક વર્ગને વાજબી કિંમતે ખાદ્યાન્નનો પૂરવઠો સુનિશ્ચિતિ કરીને સમગ્ર દેશમાં ખાદ્યાન્નના પૂરવઠાની સ્થિતિ પર હિતકારક પ્રભાવ પડશે તેવી અપેક્ષા છે

5.3 લાખ વ્યાજબી ભાવની દુકાનો (FPS) હેઠળ આવરી લેવામાં આવેલા 81 કરોડથી વધુ લોકો સાથેના દુનિયામાં સૌથી મોટા ખાદ્યાન્ન સુરક્ષા તંત્રને પૂરતું અનાજ ઉપલબ્ધ કરાવવા માટે સમગ્ર દેશમાં ખાદ્યાન્નના જથ્થાના પરિવહન માટે FCI દ્વારા એક મહા કવાયત હાથ ધરવામાં આવી છે તેના ભાગરૂપે 09.04.2020ના રોજ FCIની કામગીરીએ એક નવો વિક્રમ સ્થાપિત કર્યો હતો. આ દિવસે FCI દ્વારા સમગ્ર દેશમાં ટ્રાન્સપોર્ટ એજન્સીઓ દ્વારા 77 રેકમાં અંદાજે 2.16 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્નનું પરિવહન કરીને આ વિક્રમ સ્થાપિત કરવામાં આવ્યો હતો. દેશમાં લૉકડાઉનનો અમલ કરાયો ત્યારથી અત્યાર સુધીમાં FCI દ્વારા કુલ 2.5 મિલિયન મેટ્રિક ટન ખાદ્યાન્નના જથ્થાનું પરિવહન કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળ 81 કરોડ લોકોને 3 મહિનામાં વ્યક્તિ દીઠ દર મહિને 5 કિલો ખાદ્યાન્નનો જથ્થો આપવામાં આવી રહ્યો છે. FCI તેમના વિતરણ આયોજન દ્વારા દરેક રાજ્યમાં આટલા મોટા જથ્થામાં ખાદ્યાન્ન પહોંચડવાનો પડકાર પૂરો કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. PMGKAY હેઠળ પશ્ચિમ બંગાળ રાજ્યની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે એપ્રિલ મહિનાના અંત સુધીમાં 6 લાખ મેટ્રિક ટન બોઇલ ચોખાનો વિક્રમી જથ્થો પહોંચાડવા માટે પણ વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છત્તીસગઢ, તેલંગાણા અને ઓડિશામાંથી બોઇલ ચોખાનો જથ્થો પહોંચાડવાની યોજના બનાવવામાં આવી છે કારણ કે આ રાજ્યો સમગ્ર દેશની બોઇલ ચોખાની જરૂરિયાતમાં સૌથી વધુ યોગદાન આપે છે. જોકે, રાજ્યમાં આવનારા બોઇલ ચોખાના વિપુલ જથ્થાનો સંગ્રહ કરવા માટે પૂરતા પ્રમાણમાં જગ્યા ઉભી કરવા માટે, FCI દ્વારા પહેલાંથી જ પશ્ચિમ બંગાળ સરકારને તેમના ગોદામોમાંથી હાલમાં ઉપલબ્ધ ઘઉંનો જથ્થો ઝડપથી ઉપાડીને અન્યત્ર ખસેડવાની વિનંતી કરવામાં આવી છે.

લૉકડાઉન પછી અભૂતપૂર્વ સ્તરે જથ્થાના પરિવહનની કામગીરી ઉપરાંત, FCI દ્વારા આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ વગેરે રાજ્યોમાં ચોખાની પ્રાપ્તિની કામગીરી પણ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન વગેરે ઘઉંના મુખ્ય પ્રાપ્તિ રાજ્યોમાં શિયાળુપાકના ઘઉંનો જથ્થો સ્વીકારવાની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સામાજિક અંતરના સલામતી પ્રોટોકોલ અનુસાર સંબંધિત રાજ્ય સરકારો દ્વારા નક્કી કરવામાં આવેલી પ્રાપ્તિની યોજનાઓ અનુસાર આ કામગીરી ચાલી રહી છે. રવિ મોસમમાં 40 MMT ઘઉં અને 9MMT ચોખાની અપેક્ષિત પ્રાપ્તિને ધ્યાનમાં રાખતા, રાષ્ટ્રીય જથ્થામાં ખાદ્યાન્નનો જથ્થો સંપૂર્ણ ભરાઇ જશે જેથી સમગ્ર દેશમાં ખાદ્યાન્નની સુરક્ષા માટે કોઇ જોખમ ન રહે તે સુનિશ્ચિત થઇ શકશે.

વધુ વિગતો માટે, કૃપા કરીને નીચેની લિંક પર ક્લિક કરો:

  1. PMGKAY હેઠળ તમામ લાભાર્થીઓને ખાદ્યાન્નની વધારાની ફાળવણી માટે જથ્થો ઉપાડવા અંગે રાજ્ય અનુસાર માહિતી
  2.  લૉકડાઉનના સમય દરમિયાન રાજ્ય અનુસાર લોડ કરવામાં આવેલા રેકની વિગતો
  3.  લૉકડાઉનના સમય દરમિયાન રાજ્ય અનુસાર અનલૉડ કરવામાં આવેલા રેકની વિગતો

 

*****



(Release ID: 1612768) Visitor Counter : 289