પ્રવાસન મંત્રાલય

શરૂઆતના પાંચ દિવસોમાં ‘ભારતમાં નિરાધાર– Stranded In India’ પોર્ટલ પર સમગ્ર દેશમાંથી 769 વિદેશી પ્રવાસીઓએ નોંધણી કરાવી

આ પોર્ટલના માધ્યમથી મદદની વિનંતી કરી રહેલા લોકોને વિવિધ પ્રકારે મદદ પહોંચાડવામાં આવી

Posted On: 06 APR 2020 11:59AM by PIB Ahmedabad

પર્યટન મંત્રાલય ભારત સરકાર દ્વારા 31 માર્ચ 2020ના રોજ એક પોર્ટલ www.strandedinindia.com ની શરૂઆત કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય કોવિડ-19 વૈશ્વિક મહામારીના કારણે લાદવામાં આવેલ લૉકડાઉનની સ્થિતિના લીધે ભારતના જુદા-જુદા ભાગોમાં અટવાઈ ગયા છે તેવા વિદેશી પ્રવાસીઓને ઓળખવાનો, તેમને મદદ કરવાનો અને તેમને સુવિધા પહોંચાડવાનો છે. આવા પ્રવાસીઓએ પોતાની જાતને પોર્ટલ પર જઈ લોગ ઇન કરવાની રહેશે, કેટલીક મૂળભૂત સંપર્કની વિગતો અને તેઓ જો કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તો તે વર્ણવવાની રહેશે. આ પોર્ટલ ચાલુ થયાના 5 દિવસમાં, સમગ્રદેશમાંથી 769 વિદેશી પ્રવાસીઓ આ પોર્ટલ પર નોંધાઈ ચૂક્યા છે.

પ્રત્યેક રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત વહીવટીતંત્રએ આવા વિદેશી પ્રવાસીઓને સહાયતા કરવા માટે એક નોડલ ઓફિસરની પસંદગી કરી છે. પર્યટન મંત્રાલયની 5 પ્રાદેશિક કચેરીઓ સતત પોર્ટલ પર નોંધવામાં આવેલ સહાયતાની વિનંતીઓ અંગે અને જો જરૂર પડે તો વિદેશીઓને મૂળભૂત સહાયતા પૂરી પાડવા અંગે તમામ નોડલ અધિકારીઓ સાથે સંપર્કમાં છે. પર્યટન મંત્રાલયની પ્રાદેશિક કચેરીઓ અટવાયેલા વિદેશીઓ દ્વારા સામનો કરવામાં આવી રહેલ વિઝાના મુદ્દા અંગે બ્યુરો ઓફ ઈમિગ્રેશન તેમજ એફઆરઆરઓ– FRROsની સાથે પણ સંપર્ક સાધી રહી છે. દેશ/રાજ્યમાં મુસાફરી કરવાની અને આવા વિદેશીઓને પોતાના વતન દેશમાં પરત મોકલી આપવા અંગેની વિનંતીઓ વિષે પણ વિદેશ મંત્રાલય, ગૃહ મંત્રાલય અને લાગે વળગતા દૂતાવાસો/હાઈ કમીશન/રાજદૂતો સાથે ચર્ચા વિચારણા ચાલી રહી છે.

આ પોર્ટલ અટવાયેલા વિદેશી પ્રવાસીઓ સાથે ઈમેઈલ, ટેલીફોન અને તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવેલ સહાયતાની જરૂરિયાતના પ્રકારને અનુરૂપ વ્યક્તિગત રૂપે પણ સંપર્ક સાધવાની દૃષ્ટીએ ઘણું ઉપયોગી અને અસરકારક સાબિત થઇ રહ્યું છે. તેમને ભારતમાં તેમના વતન દેશની અધિકૃત વિદેશી કચેરીઓ સાથે જોડવામાં આવી રહ્યા છે અને ભારતની બહાર તેમના વતન દેશમાં ઘરે પાછા ફરવા માટે ફલાઈટો અંગેની જુદી જુદી માહિતી પૂરી પાડવામાં આવી છે. જ્યારે પણ જરૂર પડે ત્યારે તેમને મેડીકલ સહાયતા, ભોજન અને આવાસની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવી રહી છે.

એક મહિલા કે જે અમેરિકન નાગરિક હતી તે કોવિડ-19ના લૉકડાઉન દરમિયાન બિહારના સુપૌલ જીલ્લામાં ફસાઈ ગઈ હતી જ્યારે તેના દીકરાની દિલ્હીમાં સર્જરી ચાલી રહી હતી. પોર્ટલે જરૂરી આંતર-મંત્રાલય, આંતર-વિભાગીય અને આંતર-રાજ્ય સંકલન સાધ્યો અને તેણીને વિશેષ સાધન પરવાનગી દ્વારા દિલ્હી આવવા માટેની પરવાનગી આપવામાં આવી. તેણી સુરક્ષિત રીતે પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી ગઈ છે અને તેણીએ સંલગ્ન તમામ સંસ્થાઓ દ્વારા આ માટે કરવામાં આવેલ પ્રયાસો બદલ પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

બે કોસ્ટા રિકા નાગરિકો કે જેઓ સર્જરી (મેડીકલ પર્યટન) માટે ચેન્નાઈ આવ્યા હતા અને સર્જરી બાદ તેઓ ચેન્નાઈમાં જ અટવાઈ ગયા હતા. રાજ્ય સરકાર, કોસ્ટા રિકા દુતાવાસ અને હોટલ કે જ્યાં આ પ્રવાસીઓ રોકાયા હતા તેમની સાથે ઘનિષ્ઠ સંકલન સાધીને આ ગભરાયેલા પ્રવાસીને સાંત્વના આપી અને હવે તેઓ બંને સુરક્ષિત અને શાંત છે. 

એક ઓસ્ટ્રેલિયન પ્રવાસી પોતાના પરિવારની સાથે અમદાવાદમાં અટવાઈ ગયેલ હતો. પ્રવાસીને એપિલેપ્સીની બીમારી છે અને લૉકડાઉનના કારણે ઓસ્ટ્રેલિયન ડૉક્ટર્સ દ્વારા લખી આપવામાં આવેલ દવા તેને અહિયાં નહોતી મળી રહી. આ સ્થિતિમાં તેણે પોર્ટલના માધ્યમથી જિલ્લા કલેકટરની કચેરીને સંપર્ક સાધ્યો જ્યાંથી તેની દવા માટેની વ્યવસ્થા કરવામાં આવી. પ્રવાસીને પૂરતી માત્રામાં દવા પહોંચાડવામાં આવી અને આ સાથે જ ભોજન અને સ્થાનિક પરિવહનની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. હવે તેઓ સ્વસ્થ અને સુરક્ષિત છે.

ઉપર જણાવ્યો એ તો અનેકમાંનો માત્ર એક જ પ્રસંગો છે, પોર્ટલે આ પ્રકારે અનેક વિદેશીઓને સંકટના સમયમાં જરૂરી મદદ પૂરી પાડવામાં સહાયતા કરી છે. આવનારા દિવસોમાં આ પોર્ટલ પોતાનો ઉદ્દેશ્ય પૂરો કરવાનું કાર્ય ચાલુ રાખશે અને સરકાર ભારતમાં વિદેશી મહેમાનોના રોકાણ દરમિયાન તેમના આરામદાયક રોકાણ અને સુખાકારીની ખાતરી આપવા માટે કટિબદ્ધ છે. “અતિથી દેવો ભવ”ની ભાવના એ જ અતુલ્ય ભારતના મૂળમાં રહેલી છે.

GP/RP


(Release ID: 1611639)