પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને બ્રિટનનાં પ્રધાનમંત્રી મહામહિમ બોરિસ જૉહન્સન વચ્ચે ટેલીફોન પર વાત થઈ
Posted On:
12 MAR 2020 9:25PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બ્રિટનનાં પ્રધાનમંત્રી મહામહિમ બોરિસ જૉહન્સન સાથે ફોન પર વાત કરી હતી.
બંને નેતાઓએ નવા દાયકામાં ભારત અને બ્રિટન વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધારે મજબૂત કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેઓ સંમત થયા હતા કે, આ ભાગીદારી બંને દેશો વચ્ચેનાં સંબંધોને ગાઢ બનાવવાનાં ઉદ્દેશ તરફ વિસ્તૃત રૂપરેખા ઘડવામાં ઉપયોગી થશે.
બંને નેતાઓએ જળવાયુ પરિવર્તન, ખાસ કરીને કોઅલિશન ફોર ડિઝાસ્ટર રિસાયલન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (સીડીઆરઆઈ)નાં સંદર્ભમાં ભારત અને બ્રિટન વચ્ચેનાં સાથસહકારનાં સંબંધ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ ચાલુ વર્ષનાં અંતમાં ગ્લાસગૉમાં આયોજિત સીઓપી-26માં આમંત્રણ આપવા બદલ પ્રધાનમંત્રી જૉહન્સનનો આભાર માન્યો હતો.
બંને પ્રધાનમંત્રીઓએ કોવિડ-19 રોગચાળા પર અભિપ્રાયોનું આદાન-પ્રદાન કર્યું હતું. પ્રધાનમંત્રી શ્રી મોદીએ બ્રિટનનનાં આરોગ્ય મંત્રી શ્રીમતી નાદિન ડોરીસનો કોરોનાવાયરસ માટેનો ટેસ્ટ પોઝિટિવ આવવા પર ચિંતા વ્યક્ત કરી હતી અને તેમની તબિયતમાં ઝડપથી સુધારો થાય એવી શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રી મોદીએ પારસ્પરિક અનુકૂળ તારીખો પર શ્રી જૉહન્સનને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.
SD/GP/RP
(Release ID: 1606222)