પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી કાર્યાલયે કોરોના વાઇરસ અંગે પ્રતિભાવ અને તૈયારીઓની સમીક્ષા કરી

આજની બેઠક PMO દ્વારા યોજાતી સમીક્ષાની શ્રેણીમાં સૌથી તાજેતરની હતી; પ્રથમ બેઠકનું આયોજન 25 જાન્યુઆરી 2020ના રોજ થયું હતું



બેઠકમાં પૂર્વ-સક્રિય ‘સહિયારી સરકારના અભિગમ’નો પૂનરોચ્ચાર કરવામાં આવ્યો; કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સ્તરે વિવિધ જાહેર સત્તામંડળોના જવાબદારીના ચોક્કસ ક્ષેત્રો ઓળખી કાઢવામાં આવ્યા



લોક ભાગીદારી અભિગમ દ્વારા વ્યાપક સ્તરે ખાનગી ક્ષેત્ર અને સમુદાયોની મોટાપાયે ભાગીદારી પર ભાર મૂકવામાં આવ્યો



પરીક્ષણની સુવિધાઓમાં વિસ્તરણ અને રોગના હોટ સ્પોટ્સનું મેપિંગ અને ઉપલબ્ધ તબીબી સુવિધાઓ કરવા માટે GIS ડેટા બેઝ તૈયાર કરવા સહિત વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા



Posted On: 04 MAR 2020 5:35PM by PIB Ahmedabad

             પ્રધાનમંત્રીના અગ્ર સચિવ શ્રી પી.કે. મિશ્રાની અધ્યક્ષતામાં આજે કોરોના વાઇરસના મુદ્દે તૈયારીઓ અને પ્રતિભાવોની સમીક્ષા કરવા માટે આંતર મંત્રાલય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આજની બેઠક PMO ખાતે સ્થિતિની જાણકારી મેળવવા માટે શ્રેણીબદ્ધ બેઠકોમાંથી તાજેતરની બેઠક હતી. પ્રથમ બેઠક 25 જાન્યુઆરીના રોજ યોજવામાં આવી હતી. આજની બેઠકમાં કેબિનેટ સચિવ, વિદેશ સચિવ, સ્વાસ્થ્ય, નાગરિક ઉડ્ડયન, માહિતી અને પ્રસારણ, જહાજ, પર્યટન મંત્રાલયના સચિવો, ચેરમેન (એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા), સચિવ (સરહદી વ્યવસ્થાપન), MHA અને સંરક્ષણ દળોના વરિષ્ઠ અધિકારીઓ, રાષ્ટ્રીય આપત્તિ વ્યસ્થાપન સત્તામંડળ (NDMA), નીતિ આયોગ અને પ્રધાનમંત્રીની કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

             વિરાટ જનસમુદાય અને આ બીમારીના મુખ્ય કેન્દ્રથી ભૌગોલિક દૃષ્ટિએ ખૂબ જ સમીપતા હોવા છતાં પૂર્વ-સક્રિયતા સાથે અત્યાર સુધી લેવામાં આવેલા પગલાંથી ભારતમાં વાઇરસનો ફેલાવો નિયંત્રિત રહ્યો હોવાની તમામ ઉપસ્થિતોએ પ્રશંસા કરી હતી. સાથે સાથે, એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે, રાજ્યોની ભાગીદારી સાથે સહિયારી સરકારનો અભિગમ અપનાવીને અત્યાર સુધી લેવામાં આવેલા પગલાંની અસરકારકતા વધુ મજબૂત કરવા પર ધ્યાન આપવામાં આવે.

             આ બેઠકમાં સંખ્યાબંધ મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી. આપણી સજ્જતાના સ્તરને વધુ ઉન્નત કરવા માટે ગઈકાલથી અત્યાર સુધીમાં બે મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે જેમાં, તમામ આંતરરાષ્ટ્રીય વિમાનમથકો અને દરિયાઇ બંદરો પર થર્મલ ઇમેજરી સાધનોના ઉપયોગ દ્વારા સાર્વત્રિક સ્ક્રિનિંગની રજૂઆત તેમજ વિદેશથી પરત આવનારા પર્યટકો અને પ્રવાસીઓએ પોતે મુલાકાત લીધી હોય તેવા સ્થળો ફરજિયાતપણે જાહેર કરવાનો નિર્ણય છે. તમામ ઉપસ્થિતિઓએ આ બંને પગલાંના અમલીકરણ માટે નોંધ લીધી હતી. ગૃહમંત્રાલયને આ બાબતે રાજ્ય સરકારો સાથે ખૂબ નીકટતાથી કામ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે જેમાં સંબંધિત જિલ્લા વહીવટી અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા છે જેથી આપણી ભૂમિ સરહદો પર એકીકૃત ચેક પોસ્ટ્સ (ICP) પર સ્ક્રિનિંગ પ્રોટોકોલનું પાલન સુનિશ્ચિત થઇ શકે. રાષ્ટ્રીય ઇન્ફોર્મેટિક્સ કેન્દ્ર દ્વારા ઇમીગ્રેશન બ્યૂરો અને MHAને આ સંબંધે જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે.

             દેશના વિવિધ ભાગોમાં જિલ્લા સ્તરે રાજ્ય સરકારની ભાગીદારીથી યોગ્ય પરીક્ષણ, શંકાસ્પદ દર્દીઓને અલગ રાખવાની વ્યવસ્થા, સંસર્ગનિધેષ સુવિધાઓ શરૂ કરવા માટે તાત્કાલિક અમલ અંગેના નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. MHA, MoD, રેલવે મંત્રાલય અને શ્રમ મંત્રાલય જેવા મંત્રાલયો પણ તેમની સુવિધાઓ અને હોસ્પિટલોના ઉપયોગ દ્વારા સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રયાસોમાં યોગ્ય સહકાર અને પૂરક સહાય આપશે.

             સંબંધિત સલાહકારો દ્વારા શું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ તેની સલાહ સહિત સામાન્ય લોકોમાં સમયસર માહિતીનો પ્રસાર કરવા માટે, માહિતી અને પ્રસારણ મંત્રાલયને સ્વાસ્થ્ય મંત્રાલય તેમજ માનવ સંસાધન વિભાગ અને NDMA સાથે નીકટતાપૂર્વક કામ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉદ્દેશ્ય માટે, સ્વાસ્થ્ય મંત્રાલયે તેમના પ્રવક્તા દ્વારા દૈનિક માહિતી આપવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેથી, સામાન્ય જનતાને વાસ્તવિક સમયના ડેટા ઉપબલ્ધ કરાવવાનું સુનિશ્ચિત થઇ શકે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ‘રોગના હોટસ્પોટ્સ’ અને ઉપલબ્ધ તબીબી સુવિધાઓનું GIS મેપિંગ સક્રિય કરવા માટે NDMA, સંબંધિત એજન્સીઓ અને સરકારી વિભાગે સાથે સંકલન કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે 24 કલાકની મેડિકલ હેલ્પલાઇનની સકારાત્મક અસર અંગે બેઠકમાં માહિતી આપી હતી. આ હેલ્પલાઇન 23 જાન્યુઆરી 2020થી સમગ્ર દેશમાં કાર્યરત છે જેમાં દસ સમર્પિત ટેલિફોન લાઇન ફાળવવામાં આવી છે અને અત્યાર સુધીમાં 6000થી વધુ ફોન કૉલ આવ્યા છે.

             આ વાઇરસના કારણે સામાન્ય જનતાના સ્વાસ્થ્ય સામે ઉભા થયેલા પડકારનો સામનો કરવા માટે સમુદાયો અને સ્થાનિક સંસ્થાઓની ભાગીદારી ખૂબ મહત્વની છે તે બાબત પર બેઠક દરમિયાન પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ખાનગી ક્ષેત્રની ખૂબ મોટાપાટે ભાગીદારી સમાવવામાં આવશે એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું.

             શક્ય હોય ત્યાં સુધી જાહેર મેળાવડામાં ન જવાની જાહેર સ્વાસ્થ્ય તજજ્ઞોની સલાહને ધ્યાનમાં રાખતા, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, તમામ સરકારી વિભાગો અને મંત્રાલયોએ દેશમાં હાલના તબક્કે કોઇપણ પરિષક અથવા આંતરરાષ્ટ્રીય બેઠકોનું આયોજન કરતા પૂર્વે સ્વાસ્થ્ય મંત્રાલય સાથે વિચારવિમર્શ કરવો.

             દિવસ દરમિયાન અગાઉ, માનનીય પ્રધાનમંત્રીએ ટ્વીટ કરી હતી કે, ‘COVID-19 નોવેલ કોરોના વાઇરસનો ફેલાવો ટાળવા માટે સમગ્ર દુનિયામાં નિષ્ણાતોએ જાહેર મેળાવડાનું પ્રમાણ ઘટાડવાની સલાહ આપી છે. આથી, આ વર્ષે મેં કોઇપણ હોળી મિલન કાર્યક્રમમાં ભાગ ના લેવાનું નક્કી કર્યું છે.’



(Release ID: 1605363) Visitor Counter : 157