પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ દેશવાસીઓને દેશની વિવિધતામાં એકતાનો ઉત્સવ ઉજવવા માટે આહ્વાન કર્યું
પોસ્ટેડ ઓન:
31 OCT 2019 1:18PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતની એવી સમૃદ્ધ વિવિધતા અને હજારો વર્ષો જુની જીવનશૈલીની પ્રશંસા કરી હતી, જે દેશની એકતા જાળવવામાં અને આપણને એકજૂથ રહેવામાં કોઇપણ સમસ્યાઓને ઉકેલવામાં મદદરૂપ થઇ શકે છે.
કેવડિયા ખાતે આજે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જંયતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને પ્રધાનમંત્રી સંબોધિત કરી રહ્યાં હતા.
તેમણે કહ્યું કે, “આપણી વિવિધતામાં એકતાનું આપણને ગૌરવ છે. આપણે તેમાંથી આપણું સન્માન અને ઓળખ મેળવીએ છીએ.”
“આપણે આપણી વિવિધતામાં એકતાની ઉજવણી કરીએ. આપણે આપણી વિવિધતામાં કોઇપણ વિરોધાભાસ શોધવાના બદલે, તેમાં આપણી એકતાનો મજબૂત તાતણો શોધીએ.”
તેમણે કહ્યું કે, “વિવિધતાની ઉજવણી, વિવિધતાનો ઉત્સવ વાસ્તવમાં આપણા દિલમાં રહેલા એકતાના તારને સ્પર્શે છે.”
“આપણે જ્યારે આપણા જીવનમાં રહેલી વિવિધ રીતભાતો, પરંપરાઓને આદર આપીએ તો પછી આપણને સૌહાર્દનો અનુભવ થશે અને તેનાથી ભાઇચારો આવશે, તેથી જ દરેક ક્ષણે આપણે આપણા આ રાષ્ટ્ર નિર્માણ માટે આપણી વિવિધતાની ઉજવણી કરવાની છે.”
તેમણે કહ્યું કે, “આ વિવિધતા ભારતની એક એવી શક્તિ છે, જે સમગ્ર દુનિયામાં બીજે ક્યાંય મળી શકતી નથી. શકંરાચાર્યએ દક્ષિણ ભારતમાંથી આવીને ઉત્તર ભારતમાં મઠોની સ્થાપના કરી અને બંગાળમાંથી આવેલા સ્વામી વિવેકાનંદે દક્ષિણના કન્યાકુમારીમાં જ્ઞાન મેળવ્યું.”
“પટણામાં જન્મેલા ગુરુ ગોવિંદ સિંહે પંજાબમાં ખાલસા પંથની સ્થાપના કરી છે અને રામેશ્વરમમાં જન્મેલા એ.પી.જે. અબ્દુલ કલામે દિલ્હીમાં દેશનો સર્વોચ્ચ હોદ્દો સંભાળ્યો છે.”
ભારતના બંધારણના પ્રારંભમાં આવતા શબ્દો “આપણે ભારતવાસીઓ (We the people)”નો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, “આ માત્ર કોઇ બંધારણ સાથે સંકળાયેલા શબ્દો નથી પરંતુ તે ભારતની હજારો વર્ષ જુની જીવન પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે.”
“જ્યારે સરદાર પટેલ ભારતમાં આવેલા 500થી વધુ રજવાડાઓને એક કરવાના મહામુશ્કેલ કાર્યમાં જોડાયેલા હતા ત્યારે, તેમની ચુંબકિય શક્તિના કારણે જ મોટાભાગના રજવાડાઓ એક દેશમાં સામેલ થવા માટે તેમના તરફ ખેંચાયા હતા.”
તેમણે કહ્યું કે, આજે દેશોની સભ્યતામાં ભારતની સદભાવના અને પ્રભાવ વધી રહ્યા છે અને તે બધુ જ આપણી એકતાના કારણે થઇ રહ્યું છે.
તેમણે કહ્યું કે, “આજે સમગ્ર દુનિયા ભારતને ગંભીરતાથી લે છે અને તે માત્ર આપણી રાષ્ટ્રીય એકતાના કારણે શક્ય બન્યું છે છે. જો ભારત દુનિયામાં સૌથી મોટા અર્થતંત્રો પૈકી એક છે તો, તે પણ માત્ર આપણી રાષ્ટ્રીય એકતાનું જ પરિણામ છે.”
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “જેઓ આપણી વિરુદ્ધ યુદ્ધ જીતી શકતા નથી, તેઓ આપણી એકતાને પડકારી રહ્યા છે. પરંતુ તેઓ ભૂલી ગયા છે કે, વર્ષોની ઇચ્છા પછી પણ, કોઇ આપણામાં રહેલા એકતાના જુસ્સા અને ભાવનાને કોઇ રોળી શક્યું નથી.”
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારતીય બંધારણની 370 કલમે જમ્મુ અને કાશ્મીરમાં ભાગલાવાદી પરિબળો અને આતંકવાદને પ્રોત્સાહન જ આપ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, આ કલમ દાયકાઓ સુધી અસ્તિત્વમાં રહી, જેનાથી દેશનાં લોકો વચ્ચે જૂથવાદની કૃત્રિમ દિવાલ પેદા થઈ હતી.
પ્રધાનમંત્રીએ આજે કેવડિયામાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની ઉજવણી કરવા રાષ્ટ્રીય એકતા દિવસ પ્રસંગે સંબોધન કર્યું હતું.
તેમણે તેમનાં સંબોધનમાં જણાવ્યું હતું કે, કલમ 370 ભાગલાવાદી અભિગમ અને આતંકવાદ સિવાય અન્ય કોઈ બાબતમાં પ્રદાન કર્યું નહોતું. એટલું જ નહીં કલમ 370 સ્વરૂપે ઊભી થયેલી કૃત્રિમ જૂથવાદની દિવાલની બીજી બાજુએ વસતાં આપણાં ભાઈઓ અને બહેનો પણ મૂંઝવણમાં હતાં.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, હવે આ દિવાલ નેસ્તોનાબૂદ થઈ ગઈ છે. સંપૂર્ણ ભારતમાં એકમાત્ર જમ્મુ અને કાશ્મીર એવું રાજ્ય હતું, જ્યાં આ કલમ 370નું અસ્તિત્વ હતું.
તેમણે કહ્યું હતું કે, “છેલ્લાં ત્રણ દાયકામાં આતંકવાદી કૃત્યોને કારણે 40,000થી વધારે લોકોએ જીવ ગુમાવ્યાં છે, અનેક માતાઓ તેમનાં સંતાનો ગુમાવ્યાં છે, અનેક બહેનોએ તેમનાં ભાઈઓ ગુમાવ્યાં છે અને બાળકોએ તેમનાં માતાપિતાઓ ગુમાવ્યાં છે.”
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જે લોકો આપણી સામે યુદ્ધ જીતી શકતાં નથી, તેઓ આપણી એકતા અને અખંડિતતાને પડકાર ફેંકી રહ્યાં છે. પણ તેઓ ભૂલી જાય છે કે, વર્ષોથી તેમની અનેક નાપાક હરકતો ફળીભૂત થઈ નથી, તેઓ આપણી અંદર રહેલી એકતાને તોડી શક્યાં નથી, આપણી વચ્ચે ભાગલાં પડાવી શક્યાં નથી.”
તેમણે કહ્યું હતું કે, “સરદાર પટેલનાં આશીર્વાદ સાથે દેશે આ પ્રકારનાં ભાગલાવાદી પરિબળોને પરાસ્ત કરવા થોડાં અઠવાડિયા અગાઉ મોટો નિર્ણય લીધો છે અને એ છે ભારતીય બંધારણમાંથી કલમ 370ને નાબૂદ કરવાનો.”
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “એકવાર સરદાર પટેલે ટિપ્પણી કરી હતી કે, જો જમ્મુ અને કાશ્મીરનું કોકડું ઉકેલવાની જવાબદારી મને સુપરત કરવામાં આવી હોત, તો એને ઉકલવામાં આટલો લાંબો સમય લાગ્યો ન હોત.”
તેમણે કહ્યું હતું કે, “હું સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી પર આ કલમ 370 નાબૂદ કરવાનાં નિર્ણય તેમને સમર્પિત કરું છું.”
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “મને ખુશી છે કે, આપણો આ નિર્ણય હવે જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખને ઉજ્જવળ ભવિષ્ય અને પ્રગતિનાં પંથ તરફ દોરી જશે.”
જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરમાં તાલુકા વિકાસ પરિષદની ચૂંટણીઓ યોજાઈ હતી. આ ચૂંટણીનો સંદર્ભ આપીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આ ચૂંટણીમાં 98 ટકાથી વધારે મતદાન થયું છે. પંચ અને સરપંચ માટે મતદારોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું હતું અને એમણે મોટો સંદેશ આપ્યો છે.”
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “હવે જમ્મુ અને કાશ્મીરમાં રાજકીય સ્થિરતાનાં યુગની શરૂઆત થશે. વ્યક્તિગત કારણોસર સરકારો બનાવવાની રમતનો અંત આવશે અને પ્રાદેશિક મુદ્દાઓ પર ભેદભાવની લાગણીઓ પણ દૂર થશે.”
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “રાજ્યમાં સહકારી સંઘવાદમાં ખરાં અર્થમાં ભાગીદારીનાં યુગની શરૂઆત થશે. નવા રાજમાર્ગો, નવી રેલવે લાઇનો, નવી શાળાઓ, નવી કોલેજો, નવી હોસ્પિટલોનાં નિર્માણ સાથે જમ્મુ અને કાશ્મીરમાં વિકાસ અને પ્રગતિ નવી ઊંચાઈઓ સર કરશે.”
ઉત્તર-પૂર્વનાં રાજ્યોનાં વિકાસ અને પ્રગતિનો સંદર્ભ આપીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “અત્યારે ઉત્તર પૂર્વનાં રાજ્યોમાં ભાગલાવાદી અભિગમ દૂર થયો છે તથા પ્રગતિ અને વિકાસનાં નવા માર્ગે આ રાજ્યો અગ્રેસર થયા છે. દાયકાઓ જૂની સમસ્યાઓનું હવે સમાધાન થઈ રહ્યું છે. સંપૂર્ણ ઉત્તર-પૂર્વ અત્યારે દાયકાઓ જૂનાં હિંસા અને નાકાબંધીથી મુક્ત થઈ ગયું છે.”
તેમણે કહ્યું હતું કે, “સરદાર પટેલનાં કાર્યમાંથી પ્રેરણા લેવાની સાથે અમે દેશની સંપૂર્ણ આર્થિક, બંધારણીય અને ભાવનાત્મક એકતાને વેગ પ્રદાન કરી રહ્યાં છીએ. આ એક પ્રયાસ છે, જેનાં વિના આપણે એકવીસમી સદીમાં મજબૂત ભારતની કલ્પના ન કરી શકીએ.”
સરદાર પટેલનાં આદર્શોને ટાંકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ઉદ્દેશની એકતા, પ્રયાસની એકતા અને લક્ષ્યાંકોની એકતા – દેશની સ્થિરતા માટે આવશ્યક છે તથા સરદાર પટેલની આ વિચારધારા હતી, જેને આપણે આપણાં ઉદ્દેશો, લક્ષ્યાંકો અને હેતુઓમાં સમાનતાવાદી અભિગમ ધરાવીને સાકાર કરી શકીએ.”
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે આપણે રાષ્ટ્રીય એકતાનાં માર્ગે અગ્રેસર છીએ, ત્યારે આપણે “એક ભારત, શ્રેષ્ઠ ભારત”નાં લક્ષ્યાંકને હાંસલ કરી શકીએ.
DK/NP/DS/RP
(રીલીઝ આઈડી: 1589797)
મુલાકાતી સંખ્યા : 557