પ્રધાનમંત્રીનું કાર્યાલય

ગ્લોબલ ગોલકિપર એવોર્ડ સમારોહમાં પ્રધાનમંત્રીએ પ્રસ્તુત કરેલા સ્વિકૃતિ સંબોધનનો મૂળપાઠ

Posted On: 25 SEP 2019 7:12AM by PIB Ahmedabad

શ્રીમતી અને શ્રીમાન ગેટ્સ,

મહાનુભાવો,

મિત્રો,

આપ સૌએ જે સન્માન આપ્યું છે, તેના માટે હું તમારો હૃદયપૂર્વક ખૂબ-ખૂબ આભારી છું. આ સન્માન મારું નથી પરંતુ તે કરોડો ભારતીયોનું છે જેમણે સ્વચ્છ ભારતના સંકલ્પને માત્ર સિદ્ધ જ નથી કરી બતાવ્યો પરંતુ પોતાની રોજબરોજની જિંદગીમાં પણ ઢાળ્યો છે. બિલ અને મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન પાસેથી પુરસ્કાર પ્રાપ્ત કરવો, મારા માટે બે અન્ય કારણોના લીધે પણ વિશેષ છે. પહેલું, સ્વચ્છ ભારત મિશનમાં આ ફાઉન્ડેશન એક મહત્વના ભાગીદારના રૂપમાં ભારતના દૂર-સુદૂરના વિસ્તારોમાં કામ કરી રહ્યું છે. બીજું, બિલ અને મિલિન્ડા ગેટ્સ જે રીતે વ્યક્તિગત જીવનમાં અનેક સફળતાઓ પ્રાપ્ત કર્યા પછી હવે સામાજિક જીવનમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે, તેને હું ખૂબ જ પ્રશંસાની દૃષ્ટિએ જોઉં છું.

સાથીઓ,

મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી પર મને આ પુરસ્કાર પ્રાપ્ત થવો મારી માટે વ્યક્તિગત રૂપે પણ ખૂબ મહત્વપૂર્ણ છે. આ તે વાતનું પ્રમાણ છે કે જો 130 કરોડ લોકોની જનશક્તિ, કોઈ એક સંકલ્પને પૂરો કરવામાં લાગી જાય તો કોઇપણ પડકાર પર જીત હાંસલ કરી શકાય તેમ છે. મને યાદ છે કે જ્યારે પાંચ વર્ષ પહેલા મેં સ્વચ્છ ભારતનો ઉલ્લેખ કર્યો હતો તો કયા પ્રકારની પ્રતિક્રિયા આવી હતી. આજે પણ ઘણી વાર લોકો મને મેણા મારે છે. પરંતુ જ્યારે એક લક્ષ્યને લઈને એક ઉદ્દેશ્યને લઇને કામ કરવામાં આવે છે, પોતાના કામ માટે પ્રતિબદ્ધતા હોય છે, તો આવી વાતોનું મહત્વ નથી રહી જતું. મારી માટે મહત્વ રાખે છે, 130 કરોડ ભારતીયોમાં, સ્વચ્છતાની માટે એક વિચાર વિકસિત થવો. મારી માટે મહત્વ રાખે છે, 130 કરોડ ભારતીયોનો તે દરેક પ્રયાસ જે તેમણે સ્વચ્છ ભારતની માટે કર્યો છે. અને એટલા માટે, હું આ સન્માન તેભારતીયોને સમર્પિત કરું છું જેમણે સ્વચ્છ ભારત મિશનને એક જનઆંદોલનમાં બદલ્યું, જેમણે સ્વચ્છતાને પોતાની દૈનિક જિંદગીમાં સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની શરૂઆત કરી. આજે મને તે વડીલ મહિલા યાદ છે જેણે ગામમાં શૌચાલય બનાવવા માટે પોતાની બકરીઓ વેચી દીધી હતી. આજે મને તે નિવૃત્ત શિક્ષક યાદ આવી રહ્યા છે જેમણે શૌચાલયોના નિર્માણ માટે પોતાનું આખે આખું પેન્શન દાનમાં આપી દીધું. આજે મને તે મહિલા યાદ આવી રહી છે જેણે ઘરમાં શૌચાલય બનાવવા માટે પોતાનું મંગળસૂત્ર સુદ્ધા વેચી નાખ્યું.

ભાઈઓ અને બહેનો,

હમણાં તાજેતરમાં જ કોઈ દેશમાં, આવું કોઈ અભિયાન સાંભળવા કે જોવા નથી મળ્યું. આ અભિયાન શરુભલે અમારી સરકારે કર્યું હતું, પરંતુ તેની કમાન જનતાએ પોતે પોતાના હાથમાં લીધી હતી. તેનું જ પરિણામ હતું કે વીતેલા પાંચ વર્ષોમાં દેશમાં રેકોર્ડ 11 કરોડથી વધુ શૌચાલયોનું નિર્માણ કરી શકાયું. તેનું જ પરિણામ છે કે 2014થી પહેલા જ્યાં ગ્રામિણ સ્વચ્છતાની મર્યાદા 40 ટકાથી પણ ઓછી હતી, આજે તે વધીને લગભગ 100 ટકા પહોંચી રહી છે. જરા વિચારો, આઝાદી પછી 70 વર્ષમાં 40 ટકા કરતા ઓછી અને 5 વર્ષમાં લગભગ 100 ટકા. પરંતુ હું માનું છું કે સ્વચ્છ ભારત મિશનની સફળતા, કોઇપણ આંકડાથી ઉપર છે. આ મિશને જો સૌથી વધુ લાભ કોઈને પહોંચાડ્યો છે તો તે દેશના ગરીબને, દેશની મહિલાઓને. જેઓ સાધન સંપન્ન છે, તેમની માટે ઘરોમાં બે બે ત્રણ ત્રણ શૌચાલયો બનાવડાવવા એ પણ સામાન્ય વાત છે. પરંતુ શૌચાલય ના હોવાનો અર્થ શું હતો, તેનેએવી વ્યક્તિ ખૂબ સારી રીતે જાણતો હતો કે જે આ સુવિધાથી વંચિત હતો. ખાસ કરીને, મહિલાઓને, દીકરીઓ બહેનોની માટે તો શૌચાલય ના હોવું, તેમના જીવનની સૌથી મોટી મુશ્કેલીઓમાંથી એક હતી. તે તેમની ગરિમા, તેમની ઈજ્જતની વિરુદ્ધ હતું. આ મારો વ્યક્તિગત અનુભવ છે કે બધી જ પરિસ્થિતિ જાણ્યા છતાં, આ વિચારધારા જનહોતી કે ઘરમાં શૌચાલયનું નિર્માણ કેટલું મહત્વનું છે. તમે કલ્પના કરી શકો છો કે સવારથી લઇને આખો દિવસ, મહિલાઓ સાંજ થવાની રાહ જોયા કરતી હતી. ખુલ્લામાં શૌચથી થનારી બીમારીઓની સાથે જ, એ રાહ તેમને બીમારીઓની વધુ નજીક ધકેલી રહી હતી.

શૌચાલય ના હોવાના કારણે અનેક બાળકીઓએ પોતાની શાળાનો અભ્યાસ વચ્ચેથી જ છોડવો પડતો હતો. આપણી દીકરીઓ ભણવા માંગતી હતી, પરંતુ શૌચાલયની ગેરહાજરી, તેમને શાળા છોડીને ઘરે બેસવા માટે મજબૂર કરી રહી હતી. દેશની ગરીબ મહિલાઓને, દીકરીઓને આ સ્થિતિમાંથી કાઢવી એ મારી સરકારની જવાબદારી હતી અને અમે તેને સંપૂર્ણ શક્તિ વડે નિભાવી છે, પૂરી ઈમાનદારીથી નિભાવી. આજે મારી માટે એ ખૂબ સંતોષની વાત છે કે સ્વચ્છ ભારત મિશન, લાખો જિંદગીઓને બચાવવાનું માધ્યમ બન્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો અહેવાલ છે કે સ્વચ્છ ભારતના કારણે 3 લાખ જિંદગીઓને બચાવવાની સંભાવના બની છે. એ જ રીતે યુનિસેફે અનુમાન લગાવ્યું છે કે ગામડામાં રહેનારા તે દરેક પરિવાર જે પોતાના ઘરોમાં શૌચાલયો બનાવડાવી રહ્યા છે તેને ઓછામાં ઓછા 50 હજાર રૂપિયાની બચત થઇ રહી છે. મને જણાવવામાં આવ્યું છે કે બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના એક અહેવાલમાં પણ આવ્યું છે કે ભારતમાં ગ્રામીણ સ્વચ્છતા વધવાથી બાળકોમાં હૃદયની બીમારીઓ ઓછી થઇ છે અને મહિલાઓના બોડી માસ ઇન્ડેક્સમાં પણ સુધારો આવ્યો છે. સ્વચ્છતાના આ જ બધા ફાયદાઓને જોતા મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે તેઓ સ્વતંત્રતા કરતા વધુ સ્વચ્છતાને મહત્વપૂર્ણ માને છે. આજે મને એ વાતની ખુશી છે કે મહાત્મા ગાંધીએ સ્વચ્છતાનું જે સપનું જોયું હતું, તે હવે સાકાર થવા જઈ રહ્યું છે. ગાંધીજી કહેતા હતા કે એક આદર્શ ગામડું ત્યારે જ બની શકે છે જ્યારે તે સંપૂર્ણ રીતે સ્વચ્છ હોય. આજે આપણે ગામડુંજ નહી, સમગ્ર દેશને સ્વચ્છતાના મામલામાં આદર્શ બનાવવા તરફ આગળ વધી રહ્યા છીએ.

ભાઈઓ અને બહેનો,

સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનાના સમયથી જ તેનો પ્રમુખ ઉદ્દેશ્ય લોકોના જીવનને વધુ સારું બનાવવાનો રહ્યો છે. સ્વચ્છ ભારત મિશને માત્ર ભારતના કરોડો લોકોના જીવનને વધુ સારું જ નથી બનાવ્યું, તેમની ગરિમાની રક્ષા પણ કરી છે અને વધુમાં સંયુક્ત રાષ્ટ્રના લક્ષ્યોને પણ પ્રાપ્ત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે.

યુનિસેફના એક અન્ય અહેવાલના વિષયમાં હું તમને યાદ અપાવવા માંગું છું. આ અહેવાલમાં સામે આવ્યું છે કે વીતેલા પાંચ વર્ષોમાં ભૂગર્ભ જળની ગુણવત્તા ઘણી સુધરી છે અને હું માનું છું કે તેમાં પણ ઘણું મોટું યોગદાન સ્વચ્છ ભારત મિશનનું છે. સ્વચ્છ ભારત મિશનનો એક બીજો પ્રભાવ છે જેની ચર્ચા બહુ ઓછી થઇ છે. આ અભિયાન દરમિયાનબનાવવામાં આવેલા 11 કરોડથી વધુ શૌચાલયોએ ગ્રામિણ સ્તર પર આર્થિક પ્રવૃત્તિનું એક નવું દ્વાર પણ ખોલી નાખ્યું છે. શૌચાલય નિર્માણની માટે એકત્રિત કરવામાં આવેલ કાચા માલે, રાની મિસ્ત્રીના રૂપમાં મહિલાઓના કામે, ખૂબ પાયાના સ્તર પર ગરીબોને રોજગારીના નવા અવસરો આપ્યા.

સાથીઓ,

લોકશાહીનો સીધો અર્થ એ છે કે વ્યવસ્થાઓ અને યોજનાઓના કેન્દ્રમાં લોક એટલે કે લોકો રહેવા જોઈએ. એક સશક્ત લોકશાહી એ જ હોય છે જે જનતાની જરરીયાતને કેન્દ્રમાં રાખીને નીતિઓનું નિર્માણ કરે છે. અને જ્યારે જનતા જનાર્દનની અપેક્ષા અને જરૂરીયાત, સરકારની નીતિઓ અને નિર્ણય એક મંચ પર હોય છે, તો જનતા પોતે જ યોજનાઓને સફળ બનાવી દેતી હોય છે. સ્વચ્છ ભારત અભિયાનમાં લોકશાહીની આ શક્તિની પણ ઝલક છે. સ્વચ્છ ભારત મિશનની સફળતા, બંધારણની એક વ્યવસ્થાને પણ જીવંત કરવાનું ઉદાહરણ છે.

સાથીઓ,

ભારતે દાયકાઓ સુધી માત્ર બંધારણીય સમવાયવાદ જ જોયો હતો. અમારી સરકારે તેને સહયોગાત્મક સમવાયવાદમાં બદલવાનો પ્રયાસ કર્યો અને સમયની સાથે હવે આપણે સ્પર્ધાત્મક સહયોગાત્મક સમવાયવાદના માર્ગ પર આગળ વધી રહ્યા છીએ. આ અભિયાનમાં ભારતના જુદા જુદા રાજ્યોએ જે રીતે આગળ વધીને ભાગ લીધો, લોકોને જાગૃત કર્યા, શૌચાલયોના નિર્માણના કામ કર્યા, તે પણ પ્રશંસનીય છે. આ અભિયાન દમ્રિયન કેન્દ્ર સરકારે સ્વચ્છતા સાથે જોડાયેલ તમામ વિષય પર રાજ્ય સરકારોને પારસ્પરિક ભાગીદાર બનાવી. તાલીમથી લઈને ફંડિંગ સુધીમાં કોઈ ખામી નથી છોડવામાં આવી. રાજ્યોને દરેક રીતે મદદ કરવામાં આવી કે તેઓ પોતાના સ્તર પર, પોતાની રીતે સ્વચ્છ ભારત અભિયાનને ગતિ આપે, તેનીસાથે જોડાયેલા સંકલ્પો પુરા કરે. આજે મને ખુશી છે કે સ્વચ્છતા સર્વેક્ષણના માધ્યમથી હવે રાજ્યોમાં આંતરિક સ્પર્ધા જાગી છે કે કયું રાજ્ય સ્વચ્છતા રેન્કિંગમાં સૌથી ઉપર સ્થાન પ્રાપ્ત કરે છે.

મિત્રો અને મહાનુભાવો,

વિશ્વની માટે ભારતના આ યોગદાન વડે મને એટલા માટે પણ ખુશી થાય છે કારણ કે અમે વિશ્વને પોતાનો પરિવાર માન્યો છે. હજારો વર્ષથી અમને એ શીખવાડવામાં આવ્યું છે કે ઉદાર ચરિતાનામ તુ વસુધૈવ કુટુંબકમ. એટલે કે મોટી વિચારધારા ધરાવનારાઓ માટે, મોટા હ્રદયવાળાઓ માટે આખી ધરતી જ એક પરિવાર છે. આથી સ્વચ્છતાઅને આરોગ્યની માટે આંતરરાષ્ટ્રીય સહયોગમાં ભારત મજબૂત ભૂમિકા નિભાવવા માંગે છે. અમે અમારા અનુભવને, અમારી કવાયતને, દુનિયાના અન્ય દેશોની સાથે વહેંચવા માટે તૈયાર છીએ. ભારત, સ્વચ્છતાને લઈને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવાની ખૂબ નજીક છે પરંતુ ભારત બીજા મોટા મિશન પર ઝડપથી કામ કરી રહ્યું છે. ફીટ ઇન્ડિયા મૂવમેન્ટના માધ્યમથી તંદુરસ્તી અને અટકાયતી આરોગ્યકાળજીને પ્રોત્સાહન આપવા માટેનું અભિયાન ચાલી રહ્યું છે. 2025 સુધી અમે ભારતને ટીબીથી મુક્ત કરાવવાનું લક્ષ્ય રાખ્યું છે અને અમે યુનિવર્સલ ઈમ્યુંનીઝેશનની તરફ પણ ઝડપથી આગળ વધી રહ્યા છીએ. રાષ્ટ્રીય પોષણ મિશન વડે એનીમિયા અને સ્ટંટીંગ જેવી સમસ્યાઓ પર પણ ભારત ખૂબ ઝડપથી કાબુ મેળવવાનો છે. જળ જીવન મિશન અંતર્ગત અમારું લક્ષ્ય જળ સંરક્ષણ અને રિસાયકલીંગ પર છે, જેથી કરીને ભારતીયને પૂરતા પ્રમાણમાં અને સ્વચ્છ પાણી મળતું રહે.

અને ભારતે વર્ષ 2022 સુધી સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્તિનું અભિયાન પણ ચલાવ્યું છે. આજે જ્યારથી હું તમારી સાથે વાત કરી રહ્યો છું, ત્યારે પણ ભારતના અનેક ભાગોમાં પ્લાસ્ટિક કચરાને એકત્રિત કરવાનું કામ ચાલી રહ્યું છે. એવા અનેક જનઆંદોલન આજે ભારતમાં ચાલી રહ્યા છે. મને 1.3 બિલીયન ભારતીયોના સામર્થ્ય ઉપર પૂરો વિશ્વાસ છે. મને વિશ્વાસ છે કે સ્વચ્છ ભારત અભિયાનની જેમ જ બાકીના મિશનો પણ સફળ થશે. એ જ આશાની સાથે બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના તમામ સાથીઓને, આ પુરસ્કાર માટે અને અહિં ઉપસ્થિત તમામ સાથીઓને ફરીથી આભારની સાથે મારી વાત સમાપ્ત કરું છું.

ખૂબ-ખૂબ આભાર!

 

RP



(Release ID: 1587010) Visitor Counter : 254