પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ 16મી લોકસભાની અંતિમ બેઠકને સંબોધન કર્યું

प्रविष्टि तिथि: 13 FEB 2019 8:48PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 16મી લોકસભાની છેલ્લી બેઠકને સંબોધન કર્યું હતું.

તેમણે ગૃહની કુશળ કામગીરી હાથધરવા બદલ અધ્યક્ષ શ્રીમતી સુમિત્રા મહાજનની ભૂમિકાની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ 16મી લોકસભાનાં કાર્યકાળ દરમિયાન સંસદીય બબાતોનાં મંત્રીઓની ભૂમિકાઓને પણ બિરદાવી હતી. તેમણે સંસદીય બાબતોનાં ભૂતપૂર્વ મંત્રી સ્વ. અનંત કુમારની સેવાઓને પણ યાદ કરી હતી.

પ્રધાનમંત્રીએ ગૃહને સંબોધન કરતાં કહ્યું હતું કે, દેશમાં ત્રણ દાયકા પછી સંપૂર્ણ બહુમતી ધરાવતી સરકાર રચાઈ હતી. લોકસભાનાં સત્રોની સફળતા પર બોલતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 17માંથી કુલ 8 સત્રોમાં 100 ટકા કામગીરી જોવા મળી હતી અને સંપૂર્ણ ઉત્પાદકતા 85 ટકા રહી છે.

પ્રધાનમંત્રીએ સભ્યોને અભિનંદન આપતા કહ્યું હતું કે, શાસક અને વિપક્ષનાં દરેક સભ્યોએ લોકસભાનાં આ કાર્યકાળ દરમિયાન લોકોનાં હિત માટે નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ લોકસભા મહિલા સાંસદોની સૌથી વધુ સંખ્યા માટે યાદ રહેશે, કુલ મહિલા સાંસદોમાંથી 44 તો પહેલીવાર સાંસદ બન્યાં છે. મહિલા સાંસદોની ભાગીદારીને બિરદાવતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મંત્રીમંડળમાં મહિલાઓને પહેલીવાર મહત્તમ સંખ્યામાં મંત્રીઓ તરીકે સ્થાન મળ્યું છે અને અમારી સરકાર સુરક્ષા પર મંત્રીમંડળીય સમિતિમાં બે મહિલા મંત્રીઓ ધરાવે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતનો આત્મવિશ્વાસ અત્યાર સુધીની ટોચ પર છે. હું તેને સકારાત્મક સંકેત ગણીશ, કારણ કે આ પ્રકારનો આત્મવિશ્વાસ વિકાસને વેગ આપે છે.

તેમણે ઉમેર્યું હતું કે, અત્યારે ભારત દુનિયામાં છઠ્ઠું સૌથી મોટું અર્થતંત્ર છે અને 5 ટ્રિલિયનનું અર્થતંત્ર બનવાની નજીક છે.

ઊર્જા, ડિજિટલ ટેકનોલોજી, અંતરિક્ષ, ઉત્પાદનનાં વિવિધ ક્ષેત્રોમાં ભારતની સફળતાઓનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વિશ્વ અત્યારે જળવાયુ પરિવર્તન વિશે ચર્ચા કરે છે ત્યારે ભારતે આ વિષચક્રમાંથી મુક્તિ અપાવવા આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની રચના કરવાનો પ્રયાસ કર્યો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે દુનિયા આપણને ગંભીરતાપૂર્વક લઈ રહી છે, કારણ કે આપણા દેશમાં સંપૂર્ણ બહુમતી ધરાવતી સરકાર છે અને એનો શ્રેય વર્ષ 2014માં નાગરિકોએ આપેલા જનાદેશને જાય છે.

પ્રધાનમંત્રીએ ભારતની વિદેશી નીતિ પર બોલતા કહ્યું હતુ કે, છેલ્લાં પાંચ વર્ષમાં ભારતે નેપાળમાં ધરતીકંપ દરમિયાન રાહત કામગીરીઓ, માલદિવમાં જળસંકટ હોય કે યમનમાં નાગરિકોને ઉગારવાની માનવીય કામગીરી હોય દરેકમાં મોટી ભૂમિકા ભજવી છે. ભારતનાં સોફ્ટ પાવર વિશે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે યોગને વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત થઈ છે. ઘણા દેશોમાં અત્યારે બાબા સાહેબ આંબેડકર જયંતિ અને મહાત્મા ગાંધીજયંતિની ઉજવણી કરવામાં આવે છે.

પોતાની સરકારની કામગીરી વિશે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આશરે 219 ખરડાઓ પ્રસ્તુત કરવામાં આવ્યાં હતા અને 203 ખરડાને મંજૂરી આપવામાં આવી હતી.

કાળાનાણાં અને ભ્રષ્ટાચાર સામે સરકારનાં કડક વલણ પર ભાર મૂકતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ લોકસભાએ નાદારી અને દેવાળિયાપણાની આચારસંહિતા, ભાગેડુ આર્થિક અપરાધી ધારો જેવા કડક કાયદાઓ પસાર કર્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ લોકસભાએ જીએસટીનો કાયદો પસાર કર્યો છે. જીએસટીની પ્રક્રિયા સહકાર અને સંઘવાદનાં જુસ્સાને પ્રતિબિંબિત કરે છે.

પ્રધાનમંત્રી મોદીએ સરકારની અન્ય પહેલો વિશે પણ વાત કરી હતી, જેમાં આધાર, આર્થિક રીતે પછાત વર્ગો (ઇડબલ્યુએસ) માટે 10 ટકા અનામત, માતૃત્વનો લાભ સામેલ છે. પ્રધાનમંત્રીએ એક મોટી પહેલ વિશે જણાવ્યું હતું કે, 1400થી વધારે બિનજરૂરી અને નકામાં કાયદાઓને 16મી લોકસભા દરમિયાન રદ કરવામાં આવ્યા છે.

તેમણે 16મી લોકસભા દરમિયાન ગૃહની કામગીરીને સમર્થન અને યોગદાન આપવા તેમજ સરળતાપૂર્વક ચલાવવા માટે દરેક સભ્યોનો આભાર માનીને પોતાનું સંબોધન પૂર્ણ કર્યું હતું.

 

RP


(रिलीज़ आईडी: 1564391) आगंतुक पटल : 202
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , Assamese , Urdu , Marathi , Tamil , Kannada , English , हिन्दी , Bengali