પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને માલદીવનાં રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ વચ્ચે મંત્રણા પછી સંયુક્ત પ્રેસ નિવેદન

Posted On: 17 NOV 2018 7:39PM by PIB Ahmedabad

પ્રજાસત્તાક માલદીવનાં રાષ્ટ્રપતિ મહામહિમ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહે એમનાં રાષ્ટ્રપતિ પદનાં શપથગ્રહણ સમારંભમાં સહભાગી થવા બદલ ભારતનાં પ્રધાનમંત્રી મહામહિમ નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યુ હતુ અને એમનો આભાર માન્યો હતો.

પ્રધાનમંત્રી મોદીએ શપથગ્રહણ સમારંભમાં એમને આમંત્રણ આપવાની વિશેષ ચેષ્ટા બદલ રાષ્ટ્રપતિ સોલિહનો આભાર માન્યો હતો. તેમણે શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે આવશ્યક લોકશાહીને મજબૂત કરવા બદલ પ્રજાસત્તાક માલદીવનાં લોકોને ભારતની પ્રજાની શુભેચ્છા પણ પાઠવી હતી.

બંને નેતાઓએ ભારત અને માલદીવ વચ્ચે સંબંધોને ગાઢ બનાવવાની દ્રઢતાની સાથે માલદીવનાં રાષ્ટ્રપતિ તરીકે શ્રી સોલિહની વરણી સાથે બંને દેશો વચ્ચે સહકાર અને મૈત્રીપૂર્ણ સંબંધોનાં ગાઢ જોડાણને પુનઃસ્થાપિત કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

બંને નેતાઓ એમની બેઠક દરમિયાન હિંદ મહાસાગરમાં શાંતિ અને સુરક્ષા જાળવવાનાં મહત્ત્વ પર તેમજ વિસ્તાની સ્થિરતા માટે એકબીજાની ચિંતાઓ અને આકાંક્ષાઓને ધ્યાનમાં રાખવા સંમત થયાં હતાં.

બંને નેતાઓએ હિંદ મહાસાગર વિસ્તાર અને એની સાથે દુનિયામાં આતંકવાદનો સામનો કરવા સહકાર વધારવા માટેની કટિબદ્ધતા અને સમર્થન વ્યક્ત કર્યું હતું.

રાષ્ટ્રપતિ સોલિહે રાષ્ટ્રપતિ પદ તરીકેની જવાબદારી સંભાળી છે અને તેમનો દેશે આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યો હોવાની જાણકારી પ્રધાનમંત્રી મોદીને આપી હતી. બંને નેતાઓએ એવા માર્ગોની ચર્ચા કરી હતી, જેમાં ભારત સતત ભાગીદારી વિકસાવી શકે, ખાસ કરીને માલદીવનાં લોકોને  આપેલાં વચનો પૂર્ણ કરવા નવી સરકાર મદદ કરી શકે એ દિશામાં કામ કરવા. રાષ્ટ્રપતિ સોલિહે ખાસ કરીને હાઉસિંગ અને માળખાગત વિકાસનાં ક્ષેત્રોમાં વૃદ્ધિ માટેની જરૂરિયાત તેમજ બહારનાં ટાપુઓમાં પાણી અને સુએઝ સિસ્ટમ સ્થાપિત કરવા માટેની સુવિધાઓ વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રી મોદીએ સતત અને સ્થિર સામાજિક અને આર્થિક વિકાસ હાંસલ કરવા માલદીવને સહાય કરવા ભારતની દ્રઢ કટિબદ્ધતાની ખાતરી રાષ્ટ્રપતિ સોલિહને આપી હતી. તેમણએ શક્ય તમામ રીતે મદદ કરવાની ભારતની તૈયારી પણ વ્યક્ત કરી હતી અને સૂચન કર્યું હતું કે, બંને પક્ષોનાં પ્રતિનિધિઓએ માલદીવની જરૂરિયાતો મુજબ વિગતો તૈયાર કરવા વહેલામાં વહેલી તકે બેઠક યોજવી પડશે.

પ્રધાનમંત્રી મોદીએ બંને દેશોનાં પારસ્પરિક લાભ માટે વિવિધ ક્ષેત્રોમાં માલદીવમાં રોકાણ કરવા ભારતીય કંપનીઓ માટે તકો વધારવાની વાતને આવકારી હતી. બંને દેશનાં મોટી સંખ્યામાં લોકો એકબીજાનાં દેશોમાં પ્રવાસ કરે છે એ હકીકત સમજીને બંને નેતાઓએ વીઝાની સરળ પ્રક્રિયાઓ માટેની જરૂરિયાત પર સંમતિ પણ વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ સોલિહને વહેલામાં વહેલી તકે ભારતની સત્તાવાર મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું હતું. રાષ્ટ્રપતિ સોલિહે આમંત્રણનો આનંદ સાથે સ્વીકાર કર્યો હતો.

માલદીવનાં વિદેશ મંત્રી 26 નવેમ્બરનાં રોજ ભારતની સત્તાવાર મુલાકાત લેશે, જેનો ઉદ્દેશ વધું ચર્ચા-વિચારણા કરી અને ભારતમાં માલદીવનાં રાષ્ટ્રપતિ સોલિહની આગામી સત્તાવાર મુલાકાતની તૈયારી કરવાનો છે.

રાષ્ટ્રપતિ સોલિહે આશા વ્યક્ત કરી હતી કે, પ્રધાનમંત્રી મોદી નજીકનાં ભવિષ્યમાં માલદીવની સત્તાવાર મુલાકાત લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ એમનું આમંત્રણ સ્વીકાર્યુ હતુ.

 

RP



(Release ID: 1553082) Visitor Counter : 154