સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય
PM વિશ્વકર્મા યોજના હેઠળ ૩૦ લાખ કારીગરોની નોંધણી સાથે યોજનાએ ત્રણ વર્ષ પૂર્ણ કર્યા
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શ્રી શુભેન્દુ અધિકારીએ પરંપરાગત કારીગરોને સશક્ત બનાવવા માટે રાજ્યની કટિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો
પીએમ વિશ્વકર્મા હેઠળ 30 લાખ લાભાર્થીઓ નોંધાયા; આશરે 24.50 લાખ લોકોએ મૂળભૂત કૌશલ્ય તાલીમ મેળવી છે: MSME કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝી
મહિલા ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવવી એ મજબૂત પરિવારો, સમુદાયો અને સમૃદ્ધ વિકસિત ભારતના નિર્માણની ચાવી છે: રાજ્ય મંત્રી શોભા કરંદલાજે
માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSME) મંત્રાલયે પશ્ચિમ બંગાળના કોલકાતામાં ધનો ધાન્યો ઓડિટોરિયમ ખાતે આ પ્રસંગની ઉજવણી કરી
પોસ્ટેડ ઓન:
18 SEP 2026 1:00AM by PIB Ahmedabad
ભારત સરકારના માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSME) મંત્રાલયે પશ્ચિમ બંગાળના કોલકાતા સ્થિત ધનો ધાન્યો ઓડિટોરિયમ ખાતે પીએમ વિશ્વકર્મા યોજનાની 3જી વાર્ષિકીની ઉજવણી કરી. આ પ્રસંગે આ યોજનાના અમલીકરણના ત્રણ વર્ષ પૂર્ણ થવાનું ચિહ્નિત કર્યું અને પરંપરાગત કારીગરો અને શિલ્પકારોની આજીવિકા, કૌશલ્ય અને ઉદ્યોગસાહસિક ક્ષમતાઓને મજબૂત કરવા માટે સરકારના સતત પ્રયાસો પર પ્રકાશ પાડ્યો.
પરંપરાગત કારીગરો અને શિલ્પકારોને વ્યાપક સમર્થન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરીને મે 2026 માં પશ્ચિમ બંગાળ પીએમ વિશ્વકર્માના અમલીકરણ માટે જોડાયું હતું. કોલકાતામાં આ ઉજવણીએ કૌશલ્ય તાલીમ, આધુનિક સાધનો, સંસ્થાકીય ધિરાણ અને માર્કેટ લિંકેજ દ્વારા વિશ્વકર્માઓને સશક્ત બનાવવામાં યોજનાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

'પીએમ વિશ્વકર્મા' યોજનાની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે, વિશ્વકર્મા કારીગરોની સમૃદ્ધ પરંપરાગત કળા અને હસ્તકળાને પ્રદર્શિત કરતા એક પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય MSME મંત્રી શ્રી જીતન રામ માંઝી, MSME રાજ્ય મંત્રી સુશ્રી શોભા કરંદલાજે, પશ્ચિમ બંગાળ સરકારના MSME અને ટેક્સટાઇલ મંત્રી શ્રી દીપક બર્મન તથા પશ્ચિમ બંગાળ સરકારના MSME અને ટેક્સટાઇલ રાજ્ય મંત્રી શ્રી અશોક દિંડા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શને પશ્ચિમ બંગાળના વિશ્વકર્મા કારીગરોને તેમની પરંપરાગત કારીગરી અને ઉદ્યોગસાહસિક કૌશલ્યો રજૂ કરવા માટે એક મંચ પૂરું પાડ્યું હતું.

જનસભાને સંબોધતા, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શ્રી શુભેન્દુ અધિકારીએ રાજ્યના પરંપરાગત કારીગરો અને શિલ્પકારોને કૌશલ્ય તાલીમ અને ધિરાણ સહાય આપવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે પીએમ વિશ્વકર્મા પાછળના પરિવર્તનકારી દ્રષ્ટિકોણ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો અને દેશભરના કારીગરો અને શિલ્પકારોની આજીવિકા મજબૂત કરવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકાનો સ્વીકાર કર્યો હતો. પશ્ચિમ બંગાળમાં પીએમ વિશ્વકર્માની પ્રગતિની રૂપરેખા આપતા તેમણે જણાવ્યું હતું કે આ યોજના હેઠળ 7 લાખથી વધુ અરજીઓ મળી છે. તેમણે જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળ સરકાર વિશ્વકર્માઓને યોજના હેઠળના લાભો મેળવવા સક્ષમ બનાવવા માટે સહાયક સુવિધાઓ પૂરી પાડવાની પ્રક્રિયાને ઝડપી બનાવશે. મુખ્યમંત્રીએ ભારત સરકારના MSME મંત્રાલય સાથે મળીને સમગ્ર પશ્ચિમ બંગાળમાં પીએમ વિશ્વકર્માના અસરકારક અને સમયસર અમલીકરણ માટે રાજ્ય દ્વારા સંકલિત પ્રયાસોની ખાતરી આપી હતી. તેમણે સંબંધિત રાજ્ય એજન્સીઓને આઉટરીચ અને અમલીકરણ મજબૂત કરવા આહવાન કર્યું જેથી આ યોજનાના લાભો દરેક પાત્ર કારીગર અને શિલ્પકાર સુધી પહોંચે.

તેમણે પશ્ચિમ બંગાળમાં MSME મંત્રાલયની વિવિધ યોજનાઓ અને પહેલોના અમલીકરણની પ્રશંસા કરી હતી, જેમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા, રોજગારી ઉભી કરવા, એન્ટરપ્રાઇઝ વિકાસને સમર્થન આપવા અને રાજ્યમાં MSME ઇકોસિસ્ટમને મજબૂત કરવામાં તેમના યોગદાનની નોંધ લીધી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પહેલોનું અસરકારક અમલીકરણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના દ્રષ્ટિકોણને સાકાર કરવામાં યોગદાન આપશે.

MSME મંત્રાલયના કેન્દ્રીય મંત્રી શ્રી જીતન રામ માંઝીએ 'પીએમ વિશ્વકર્મા' યોજનાની સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 17 સપ્ટેમ્બર 2023ના રોજ શરૂ કરવામાં આવેલી આ યોજનાનો ઉદ્દેશ્ય પરંપરાગત કારીગરો અને હસ્તકલાકારોને કૌશલ્ય તાલીમ, આધુનિક ટૂલકિટ (સાધનો), ધિરાણ અને બજાર સહાય પૂરી પાડીને સશક્ત બનાવવાનો છે. તેમણે જણાવ્યું હતું કે 'પીએમ વિશ્વકર્મા' હેઠળ અત્યાર સુધીમાં 30 લાખ લાભાર્થીઓની નોંધણી થઈ ચૂકી છે, જેમાંથી લગભગ 24.50 લાખ લાભાર્થીઓએ પાયાની કૌશલ્ય તાલીમ મેળવી છે. ઇન્ડિયા પોસ્ટ દ્વારા 18.15 લાખ આધુનિક ટૂલકિટનું વિતરણ કરવામાં આવ્યું છે, જ્યારે 6.18 લાખ વિશ્વકર્માઓએ વાર્ષિક 5%ના રાહત દરે ₹1 લાખ સુધીની લોન મેળવી છે, જેની કુલ રકમ ₹5,297 કરોડ થાય છે.

કેન્દ્રીય MSME રાજ્ય મંત્રી, સુશ્રી શોભા કરંદલાજે પીએમ વિશ્વકર્માની ત્રીજી વાર્ષિકી ઉજવણીમાં હાજરી આપતા લાભાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને તેમની ઉદ્યોગસાહસિકતાની યાત્રા માટે શ્રેષ્ઠ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે તેમને પીએમ વિશ્વકર્મા હેઠળ ઉપલબ્ધ તકો અને સમર્થનનો સંપૂર્ણ ઉપયોગ કરવા અને સફળ ઉદ્યોગસાહસિક બનવા તરફ પ્રયત્ન કરવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે નોંધ્યું હતું કે આ કાર્યક્રમ પશ્ચિમ બંગાળ માટે વિશેષ મહત્વ ધરાવે છે, જે તાજેતરમાં પીએમ વિશ્વકર્મામાં જોડાયું છે, જે રાજ્યમાં આ યોજના હેઠળ MSME મંત્રાલયના પ્રથમ કાર્યક્રમને અંકિત કરે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મહિલા ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવવાથી મજબૂત પરિવારો, સમુદાયો અને સમૃદ્ધ વિકસિત ભારતના નિર્માણમાં સિંહફાળો રહેશે.

પશ્ચિમ બંગાળ સરકારના MSME અને ટેક્સટાઇલ મંત્રી શ્રી દીપક બર્મને જણાવ્યું હતું કે પીએમ વિશ્વકર્મા પરંપરાગત કારીગરો અને શિલ્પકારો માટે એક પરિવર્તનકારી પહેલ તરીકે ઉભરી આવી છે, જે તેમને ટકાઉ આજીવિકા તરફ સક્ષમ બનાવે છે અને મજબૂત સાહસોનું નિર્માણ કરે છે. તેમણે આર્થિક વિકાસમાં યોગદાન આપવા અને પ્રોત્સાહિત કરવા માટે કારીગરો માટે નવા માર્ગો ઉભા કરવાની સાથે ભારતના સમૃદ્ધ કારીગરી વારસાને જાળવી રાખવા માટે ભારત સરકારના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

સભાને સંબોધતા, ભારત સરકારના MSME મંત્રાલયના સચિવ શ્રી ભરત ખેરાએ છેલ્લા ત્રણ વર્ષમાં આ યોજનાની નોંધપાત્ર સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો અને કૌશલ્ય તાલીમ, આધુનિક સાધનો પૂરા પાડવા, પરવડે તેવા ધિરાણ અને માર્કેટ લિંકેજ દ્વારા પરંપરાગત કારીગરો અને શિલ્પકારોને સશક્ત બનાવવા માટે સરકારની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે સ્પર્ધાત્મકતા વધારવા અને MSMEs માટે વધુ તકો ઉભી કરવા માટે આ ક્ષેત્રને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી MSME મંત્રાલયની યોજનાઓ અને તાજેતરના સુધારાઓ હેઠળની પ્રગતિની રૂપરેખા આપી હતી. પશ્ચિમ બંગાળના વ્યૂહાત્મક મહત્વ પર પ્રકાશ પાડતા તેમણે જણાવ્યું હતું કે રાજ્ય પૂર્વીય અને ઉત્તર-પૂર્વીય પ્રદેશોના પ્રવેશદ્વાર તરીકે અને વિકાસના મુખ્ય પ્રેરક તરીકે ઉભરી રહ્યું છે, જે MSME વૃદ્ધિ માટે નોંધપાત્ર ક્ષમતા પ્રદાન કરે છે.

ભારત સરકારના MSME મંત્રાલયના એડિશનલ સેક્રેટરી અને ડેવલપમેન્ટ કમિશનર ડૉ. રજનીશે પીએમ વિશ્વકર્મા પર એક પ્રેઝન્ટેશન આપ્યું હતું જેમાં તેની મુખ્ય વિશેષતાઓ, સિદ્ધિઓ અને કૌશલ્ય તાલીમ, આધુનિક ટૂલકિટ્સ, ધિરાણ અને માર્કેટ લિંકેજ દ્વારા પરંપરાગત કારીગરો અને શિલ્પકારોને આપવામાં આવતી વ્યાપક સહાયતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે રેખાંકિત કર્યું હતું કે સમગ્ર ભારતમાં 17મી સપ્ટેમ્બર, 2023ના રોજ તેની શરૂઆત થઈ ત્યારથી 30 લાખ લાભાર્થીઓએ અગાઉથી જ યોજના હેઠળ લાભ મેળવ્યા છે અને હવે પશ્ચિમ બંગાળના જોડાણ સાથે, MSME મંત્રાલય રાજ્યમાં આ યોજનાને પૂર્ણ સ્તરે રોલ આઉટ કરવા માટે કટિબદ્ધ છે.



ત્રીજી વાર્ષિકી ઉજવણીના કાર્યક્રમ દરમિયાન, પશ્ચિમ બંગાળના વિશ્વકર્માઓને પીએમ વિશ્વકર્મા આઈડી/સર્ટિફિકેટ્સ, ટૂલકિટ્સ અને પ્રત્યેકને રૂ. 1.00 લાખનો ચેક વિતરિત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળ સરકારના MSME અને ટેક્સટાઇલ રાજ્ય મંત્રી શ્રી અશોક ડિંડા, પશ્ચિમ બંગાળ સરકારના મુખ્ય સચિવ શ્રી મનોજ કુમાર અગ્રવાલ અને પશ્ચિમ બંગાળ સરકારના MSME એડિશનલ ચીફ સેક્રેટરી શ્રી અનૂપ કુમાર અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા. પશ્ચિમ બંગાળના વિવિધ જિલ્લાઓમાંથી 2000થી વધુ વિશ્વકર્માઓ અને પંચાયત હોદ્દેદારોએ ભારત સરકારના MSME મંત્રાલય, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય, નાણાકીય સેવાઓ વિભાગ, નાણા મંત્રાલય, ભારત સરકાર, બેંકો, ઇન્ડિયા પોસ્ટ અને પશ્ચિમ બંગાળ સરકારના અધિકારીઓ સાથે કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

પીએમ વિશ્વકર્માની ત્રીજી વાર્ષિક ઉજવણી કારીગરો અને શિલ્પકારોને ગ્રામીણ ઉદ્યોગસાહસિકોમાંથી પોતાના સાહસો સ્થાપવા તરફ સંક્રમણ સુગમ બનાવવા માટે ભારત સરકારના પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ કાર્યક્રમે પીએમ વિશ્વકર્માના મુદ્રાલેખ એટલે કે "સન્માન, સામર્થ્ય અને સમૃદ્ધિ" ની ઉજવણી કરી.
SM/BS/JD
(રીલીઝ આઈડી: 2312058)
મુલાકાતી સંખ્યા : 6