વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
વેપાર અને રોકાણ પર ભારત-કમ્બોડિયા સંયુક્ત કાર્ય જૂથની ત્રીજી બેઠક કમ્બોડિયાના ફ્નોમ પેન્હ ખાતે યોજાઈ
2025-26માં ભારત-કમ્બોડિયા દ્વિપક્ષીય વેપાર 36%થી વધુ વધીને 406.78 મિલિયન ડોલર થયો
प्रविष्टि तिथि:
24 AUG 2026 5:13PM by PIB Ahmedabad
વેપાર અને રોકાણ પર ભારત-કમ્બોડિયા સંયુક્ત કાર્ય જૂથ (JWGTI)ની ત્રીજી બેઠક 24 ઓગસ્ટ 2026ના રોજ કમ્બોડિયાના ફ્નોમ પેન્હ (Phnom Penh) ખાતે યોજાઈ હતી. આ બેઠકની સહ-અધ્યક્ષતા વાણિજ્ય વિભાગ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, ભારતના જોઈન્ટ સેક્રેટરી શ્રી અમિત વર્મા અને વાણિજ્ય મંત્રાલય, કમ્બોડિયાના ડાયરેક્ટર જનરલ ઓફ ઈન્ટરનેશનલ ટ્રેડ શ્રી લોંગ કેમવિચેટ દ્વારા કરવામાં આવી હતી.
બંને પક્ષોએ દ્વિપક્ષીય વેપારમાં પ્રોત્સાહક ગતિ નોંધાવી હતી, જે અગાઉના નાણાકીય વર્ષમાં 299 મિલિયન ડોલરથી વધીને 2025-26 માં 36% થી વધુ વધીને 406.78 મિલિયન ડોલર પહોંચ્યો હતો, જેમાં એપ્રિલ-જૂન 2026 ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે વધુ 63.25% ની વૃદ્ધિ નોંધાઈ હતી. કમ્બોડિયા હાલમાં ASEANમાં ભારતનો 8મો સૌથી મોટો વેપારી ભાગીદાર છે, જે આ જૂથ સાથે ભારતના કુલ વેપારના 0.31% હિસ્સો ધરાવે છે, જે વૃદ્ધિ માટે નોંધપાત્ર અવકાશ દર્શાવે છે.
આ બેઠકમાં પરંપરાગત દવામાં સહયોગ અને ભાગીદારી, ઈ-ગવર્નન્સ મોડ્યુલ્સ, ભારતીય ફાર્માકોપિયાની માન્યતા, વેપારના આંકડાઓનું સમાધાન અને ફ્લેગશિપ ટ્રેડ ફેર તથા વ્યાપારી પ્રતિનિધિમંડળો અંગેની માહિતી શેર કરવા સહિતના માધ્યમો દ્વારા વેપારને વિવિધ અને ગાઢ બનાવવાના રસ્તાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠકે 2 જૂન 2026ના રોજ ફ્નોમ પેન્હ ખાતે KHQR-સક્ષમ વેપારીઓ પાસે UPI સ્વીકૃતિના સફળ લોન્ચિંગનું પણ સ્વાગત કર્યું હતું, અને કમ્બોડિયન પેમેન્ટ એપ્લિકેશન્સને ભારતમાં UPI QR કોડ સ્કેન કરવા માટે સક્ષમ કરવાના આગામી તબક્કા અંગે ચર્ચા કરી હતી, જે કમ્બોડિયન મુસાફરોને ભારતમાં UPI-સક્ષમ ટર્મિનલ્સનો સીમલેસ ઉપયોગ કરવાની મંજૂરી આપશે.
બેઠકમાં કસ્ટમ સહયોગ પરના મોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (MoU) પર બંને પક્ષો વચ્ચેની સંમતિનું વધુ સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઝડપી હસ્તાક્ષર કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી, જે કસ્ટમ પ્રક્રિયામાં એકરૂપતા લાવશે.
બંને પક્ષોએ કૃષિ અને બજાર પહોંચના મુદ્દાઓમાં સહયોગ, ડાઈઝ (dyes) અને પિગમેન્ટ્સના વેપારનો વિસ્તાર, બેંકિંગ અને વીમા ક્ષેત્રના સહયોગ અંગે પણ વધુ ચર્ચા કરી હતી. બંને પક્ષોએ ભારત અને કમ્બોડિયા વચ્ચે દ્વિપક્ષીય રોકાણ સંધિને પૂર્ણ કરવા માટેની ચર્ચાનું પણ સ્વાગત કર્યું હતું અને તેના પર વહેલા હસ્તાક્ષર કરવા માટે સંમતિ આપી હતી.
JWGTIની સંસ્થાકીય સ્થાપના પછીની આ ત્રીજી બેઠક હતી અને આ બેઠકે ભારત-કમ્બોડિયા વેપાર અને આર્થિક ભાગીદારીની ઊંડાઈ અને વધતી ક્ષમતાને પુનરોચ્ચાર કરી હતી. JWGTIની આગામી બેઠક 2027માં ભારતમાં યોજાશે.
ત્રીજી ભારત-કમ્બોડિયા JWGTI બેઠક સિવાય, શ્રી અમિત વર્માએ કમ્બોડિયાના અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ મહામહિમ તિથ રિથિપોલ સાથે પણ મુલાકાત કરી હતી. ચર્ચાઓમાં દ્વિપક્ષીય વેપાર અને રોકાણને મજબૂત કરવા, ફાર્માસ્યુટિકલ્સમાં સહયોગ અને સફળ UPI–KHQR ડિજિટલ પેમેન્ટ્સ કનેક્ટિવિટીનો સમાવેશ થાય છે. બંને પક્ષોએ બંને દેશો વચ્ચેની ભાગીદારીને ઊંડી બનાવવા માટે તેમની સહિયારી પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરી હતી.
શ્રી અમિત વર્માએ કમ્બોડિયામાં ઇન્ડિયન બિઝનેસ ચેમ્બર (IBCC)ના સભ્યો સાથે પણ મુલાકાત કરી હતી. ચર્ચાઓ દ્વિપક્ષીય વેપાર કરારની ચર્ચાઓને ઝડપી બનાવવા, કમ્બોડિયામાં ભારતીય રોકાણને સરળ બનાવવા અને શિક્ષણ, હેલ્થકેર, IT, કૃષિ અને પ્રવાસન સહિતના 5-7 પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોની ઓળખ કરવા પર કેન્દ્રિત હતી.
આ બેઠકમાં ભારતમાં “ઇન્વેસ્ટ ઇન કમ્બોડિયા” રોડશો યોજવા પર પણ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં આસિયાન બજારોમાં પહોંચ મેળવવા માંગતી ભારતીય કંપનીઓ માટે કમ્બોડિયાને ઉત્પાદન આધાર તરીકે સ્થાપિત કરવા અને JWGTI ને ખાનગી ક્ષેત્રનું ફીડબેક આપવા માટે IBCC/FICCI/JBC માટે એક વ્યવસ્થા ઉભી કરવાનો સમાવેશ થાય છે.

SM/BS/JD
(रिलीज़ आईडी: 2302788)
आगंतुक पटल : 9