પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ભારત સરકારના સચિવો સાથે ત્રીજી ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી


પ્રધાનમંત્રીએ સચિવોને દેશના ભવિષ્યને કેવી રીતે આકાર આપવો તે અંગે દીર્ઘકાલીન દ્રષ્ટિકોણથી વિચારવા આહ્વાન કર્યું

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ડેટા એ રાષ્ટ્રીય સંપત્તિ અને ભવિષ્ય માટેનું સાધન છે; તેમણે ડેટાના વધુ ઇન્ટરઓપરેબિલિટી (આંતર-કાર્યક્ષમતા) અને અસરકારક ઉપયોગ પર ભાર મૂક્યો

પ્રધાનમંત્રીએ કહ્યું કે સાઇલો (વિભાગીય તફાવતો) એ માત્ર એક સંગઠનાત્મક સમસ્યા નથી પરંતુ માનસિકતાની પણ સમસ્યા છે; તેમણે અધિકારીઓને પોતાનાપણાની ભાવનાથી કામ કરવાનો આગ્રહ રાખ્યો

પ્રધાનમંત્રીએ અધિકારીઓ વચ્ચે અનૌપચારિક આંતરક્રિયા (સંવાદ) અને ટીમ ભાવના કેળવવાના મહત્વ પર ભાર મૂક્યો

પ્રધાનમંત્રીએ નીતિનિર્માણમાં નવા દ્રષ્ટિકોણ લાવવા માટે સરકારી વિભાગો, યુનિવર્સિટીઓ અને યુવાનો વચ્ચે વધુ જોડાણ માટે આહ્વાન કર્યું

પ્રધાનમંત્રીએ માનવીય હસ્તક્ષેપ અને નિર્ણયશક્તિ સુનિશ્ચિત કરવાની સાથે AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ના અસરકારક ઉપયોગ માટે આહ્વાન કર્યું

પ્રધાનમંત્રીએ ભારતની સંરક્ષણ ક્ષમતાને વધુ મજબૂત કરવા અને વૈશ્વિક સ્તરે તેને વધુ સ્પર્ધાત્મક બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો

સચિવોએ મુખ્ય પ્રાથમિકતાઓ અને અમલીકરણના પડકારો અંગે પોતાના દ્રષ્ટિકોણ રજૂ કર્યા

प्रविष्टि तिथि: 20 AUG 2026 9:37PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે 7, લોક કલ્યાણ માર્ગ સ્થિત તેમના નિવાસસ્થાને ભારત સરકારના સચિવો સાથે ત્રીજી ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી, સુરક્ષા અને વિદેશી બાબતો તેમજ ગવર્નન્સ (સુશાસન) સાથે સંકળાયેલા મંત્રાલયો અને વિભાગોના ભવિષ્યના કાર્યસૂચિ અંગે ચર્ચા કરી હતી.

બે જૂથના સચિવો સાથે અગાઉથી જ વિચાર-વિમર્શ થઈ ચૂક્યો છે તેનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સચિવોએ તાત્કાલિક મુદ્દાઓ અને આંકડાઓ વિશે વિચારવા ઉપરાંત, દેશના ભવિષ્યને કેવી રીતે આકાર આપવો તે અંગે દીર્ઘકાલીન દ્રષ્ટિકોણથી પણ વિચારવું જોઈએ.

સાઇલોઝ (વિભાગીય તફાવતો) ની પડકારજનક સ્થિતિ પર ચર્ચા કરતા પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સાઇલોઝ એ માત્ર સંગઠનાત્મક સમસ્યા નથી પરંતુ માનસિકતાની પણ સમસ્યા છે. તેમણે કહ્યું કે સાઇલોઝ આડા અને ઊભા (હોરિઝોન્ટલ અને વર્ટિકલ) બંને હોઈ શકે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે અધિકારીઓએ તેમની જવાબદારીઓની માલિકી લેવી જોઈએ અને પોતાનાપણાની ભાવનાથી કામ કરવું જોઈએ.

સહિયારા પ્રયાસોના મહત્વ પર ભાર મૂકતાં, પ્રધાનમંત્રીએ કોવિડ-19 મહામારી અને પશ્ચિમ એશિયા સંકટના અનુભવનો ઉલ્લેખ કર્યો, જ્યારે વિવિધ વિભાગોના અધિકારીઓએ સાથે મળીને અસરકારક રીતે કામ કર્યું હતું. તેમણે કહ્યું કે આવા સમન્વય તંત્રો સરકારની કાર્યસંસ્કૃતિનો એક કુદરતી હિસ્સો બનવા જોઈએ.

પ્રધાનમંત્રીએ માનવીય હસ્તક્ષેપ અને નિર્ણયશક્તિ સુનિશ્ચિત કરવાની સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના અસરકારક ઉપયોગ માટે આહ્વાન કર્યું. તેમણે માનવીય ક્ષમતા અને નિપુણતા સાથે AI ની ક્ષમતાઓને જોડવાના નવતર માર્ગો શોધવા માટે આહ્વાન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે ડેટા એ રાષ્ટ્રીય સંપત્તિ છે અને ભવિષ્ય માટેનું એક મહત્ત્વનું સાધન છે. તેમણે નોંધ્યું કે સરકાર ડેટાના એકત્રીકરણ, સંગ્રહ અને સંચાલન માટે સંસાધનોનું રોકાણ કરે છે, પરંતુ વિભાગીય સાઇલોઝ અને વિખરાયેલી પ્રણાલીઓને કારણે તેની સંપૂર્ણ ક્ષમતાનો લાભ હંમેશાં મેળવી શકાતો નથી. તેમણે વિવિધ હેતુઓ માટે ડેટા એકત્રિત કરવા અને સંચાલિત કરવાના અભિગમમાં રહેલી ભિન્નતાઓ તરફ ધ્યાન દોર્યું અને વધુ ઇન્ટરઓપરેબિલિટી (આંતર-કાર્યક્ષમતા) તેમજ ડેટાના અસરકારક ઉપયોગને સક્ષમ બનાવતા ઉકેલો શોધવા આહ્વાન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ નીતિનિર્માણમાં નવા દ્રષ્ટિકોણ લાવવા માટે સરકારી વિભાગો, યુનિવર્સિટીઓ અને યુવાનો વચ્ચે વધુ જોડાણ સાધવા આહ્વાન કર્યું. તેમણે કહ્યું કે યુનિવર્સિટીઓ અને યુવાનો સાથેનું વ્યાપક જોડાણ નવા અને બિનપરંપરાગત વિચારો લાવી શકે છે.

પ્રધાનમંત્રીએ સંરક્ષણ ક્ષેત્ર સહિત સંશોધન અને નવીનતા (રિસર્ચ એન્ડ ઇનોવેશન) પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા પણ આહ્વાન કર્યું હતું. તેમણે ભારતની સંરક્ષણ પ્રણાલી અને ઉદ્યોગને વધુ મજબૂત કરવાની અને તેને વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે સંરક્ષણ ક્ષેત્રે નવીન અભ્યાસક્રમો વિકસાવવા અને માનવ સંસાધન વિકાસને મજબૂત કરવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ ભારતના દરિયાઈ ક્ષેત્ર (મેરીટાઇમ સેક્ટર) ને મજબૂત કરવા માટે એક વ્યાપક અભિગમની જરૂરિયાત પર પણ ચર્ચા કરી હતી. તેમણે યાદ કરાવ્યું કે જહાજ નિર્માણ (શિપબિલ્ડિંગ) ને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો આપવામાં આવ્યો હતો અને મિશન મોડમાં તેના નિર્ધારિત ઉદ્દેશ્યો પ્રાપ્ત થઈ રહ્યા છે કે કેમ તેનું મૂલ્યાંકન કરવા જણાવ્યું હતું. તેમણે ભારતને 'પોર્ટ ડેવલપમેન્ટ' (બંદર વિકાસ) થી 'પોર્ટ-લેડ ડેવલપમેન્ટ' (બંદર-આધારિત વિકાસ) તરફ આગળ વધવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો હતો.

પ્રધાનમંત્રીએ ઉત્પાદન એકમો (મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ) અને નિકાસ-લક્ષી એકમો વચ્ચે વધુ સારી કનેક્ટિવિટીની જરૂરિયાત પર ભાર મૂક્યો, જેથી ભારતની ઉત્પાદન અને નિકાસ ક્ષમતાઓને તેના દરિયાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પૂરો લાભ મળી શકે.

જટિલ પડકારોને પહોંચી વળવા અને દીર્ઘકાલીન દ્રષ્ટિકોણથી ભારતના ભવિષ્યને આકાર આપવા માટે પ્રધાનમંત્રીએ સમગ્ર સરકારના સંકલિત અભિગમ (હોલ-ઓફ-ગવર્નમેન્ટ એપ્રોચ), વધુ સારા સમન્વય, નવીન વિચારસરણી અને સહિયારી માલિકીની જરૂરિયાતનો પુનરોચ્ચાર કરીને વક્તવ્ય પૂર્ણ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ અધિકારીઓ વચ્ચે અનૌપચારિક આંતરક્રિયા (સંવાદ) અને ટીમ ભાવના કેળવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે વરિષ્ઠ અધિકારીઓને જૂનિયર સહકર્મીઓ સાથે વધુ વ્યક્તિગત અને અનૌપચારિક જોડાણ વિકસાવવા તેમજ કેડર અને વિભાગોમાં મજબૂત નેટવર્ક બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

સચિવોએ ક્ષેત્રીય પ્રાથમિકતાઓ, ઉભરતા પડકારો અને અમલીકરણના મુદ્દાઓ અંગે પોતાના અનુભવો શેર કર્યા હતા. આ બેઠકમાં કેબિનેટ સચિવ, મુખ્ય મંત્રાલયો અને વિભાગોના સચિવો અને પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) ના વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી.

SM/IJ/JD


(रिलीज़ आईडी: 2301786) आगंतुक पटल : 61
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English