રેલવે મંત્રાલય
ભારતીય રેલવે આગની ઘટનાઓ રોકવા માટે કોચમાં બહુસ્તરીય અગ્નિ સુરક્ષાના પગલાં સુનિશ્ચિત કરે છે
દરેક કોચમાં ઓછામાં ઓછા બે અગ્નિશામક યંત્રો, પેન્ટ્રી કાર પર વોટર મિસ્ટ અગ્નિશામક યંત્રો અને પેસેન્જર ઇમરજન્સી કોમ્યુનિકેશન સુવિધાઓ કોચની સુરક્ષાને મજબૂત બનાવે છે
સંકલિત રેલ મદદ હેલ્પલાઇન 139 મુસાફરો માટે ઇમરજન્સી સહાય મેળવવાની ઝડપી સુવિધા પૂરી પાડે છે
ઇમરજન્સીના કિસ્સામાં, ભારતીય રેલવેનું પ્રાથમિક કેન્દ્રબિંદુ લોકોના જીવન બચાવવા, ઇજાગ્રસ્તોની સારવાર કરવા અને ફસાયેલા મુસાફરોને રાહત પૂરી પાડવા પર છે: શ્રી અશ્વિની વૈષ્ણવ
177 અકસ્માત રાહત ટ્રેનો (ARTs), 100 બ્રેકડાઉન ક્રેન્સ અને 170 મેડિકલ રાહત યુનિટ્સ રેલવેની ઇમરજન્સી રેસ્પોન્સ વ્યવસ્થાને મજબૂત બનાવે છે
प्रविष्टि तिथि:
05 AUG 2026 3:24PM by PIB Ahmedabad
ભારતીય રેલવે તેના તમામ ઝોનમાં રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં વિવિધ પરિબળોના સંયોજનને કારણે બની શકતી આગની ઘટનાઓ સહિતની તમામ સંભવિત આપત્તિઓ માટે નિવારણ, સજ્જતા, પ્રતિભાવ અને પુનઃપ્રાપ્તિ માટે સતત કાર્યરત છે.
ભારતીય રેલવે દ્વારા તેના રેલવે સ્ટેશનો પર લેવામાં આવેલા મહત્વના અગ્નિ સુરક્ષાના પગલાં નીચે મુજબ છે:
- રેલવે સ્ટેશનો પર આગના કિસ્સામાં ઉપયોગ કરવા માટે પોર્ટેબલ અગ્નિશામક યંત્રો પૂરા પાડવામાં આવે છે.
- રેલવે સ્ટેશનો પર આગના કિસ્સામાં ઉપયોગ કરવા માટે રેતી અને પાણી સાથેની ફાયર બકેટ પણ પૂરી પાડવામાં આવે છે.
- ભારતીય રેલવે એ સુનિશ્ચિત કરે છે કે તેનો ફ્રન્ટલાઈન સ્ટાફ ઇમરજન્સીનો સામનો કરવા માટે હંમેશા તૈયાર રહે. આ માટે સ્ટેશન મેનેજર, ટ્રેન મેનેજર (ગાર્ડ), કોમર્શિયલ-કમ-ટિકિટ ક્લાર્ક, લોકો પાયલટ, આસિસ્ટન્ટ લોકો પાયલટ વગેરે જેવા ફ્રન્ટલાઈન સ્ટાફ માટેના તાલીમ મોડ્યુલમાં ફાયર ફાઇટીંગ, ફર્સ્ટ એઇડ સ્કિલ્સ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- 'ઇન્ડિયન રેલવેઝ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ' (IRIDM), જે એક વિશિષ્ટ તાલીમ સંસ્થા છે, તે 'ગોલ્ડન અવર' માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા ટ્રેન ક્રૂ અને ઓન-બોર્ડ સ્ટાફ, જેમ કે ટ્રેન ટિકિટ એક્ઝામિનર, AC કોચ સ્ટાફ અને એસ્કોર્ટિંગ સ્ટાફ જેવા પ્રથમ પ્રતિસાદકર્તાઓને (first responders) તાલીમ આપવા માટે ફાયર ફાઇટીંગ, ફર્સ્ટ એઇડ, ટ્રોમા મેનેજમેન્ટ વગેરેના નિયમિત અભ્યાસક્રમો યોજે છે.
- રેલવે સ્ટેશનો અને કંટ્રોલ રૂમના અધિકારીઓ માટે નજીકની ફાયર બ્રિગેડ, પોલીસ, તબીબી સુવિધાઓ, એમ્બ્યુલન્સ, જિલ્લા વહીવટીતંત્ર, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) વગેરેનો સંપર્ક કરવા માટે યોગ્ય કોમ્યુનિકેશન પ્રોટોકોલ નક્કી કરવામાં આવ્યા છે. તેમના સંપર્ક નંબરો તમામ સંબંધિત રેલવે અધિકારીઓને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
- મોટા રેલવે સ્ટેશનો પર રિલે રૂમ અને ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ રૂમમાં ઓટોમેટિક ફાયર એલાર્મ પૂરા પાડવામાં આવી રહ્યા છે.
- OHE માંથી આગ લાગવાના કિસ્સામાં સ્ટેશન માસ્ટર્સ ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE) નો વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરી શકે તે માટે રેલવે સ્ટેશનો પર કંટ્રોલ ફોન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
- આગ જેવી ઇમરજન્સી સ્થિતિમાં લોકોને બહાર કાઢવા માટે માર્ગદર્શન આપવા સ્ટેશનો પર પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરી શકાય છે.
- મુસાફરો/જનતાને જ્વલનશીલ વસ્તુઓ ન લઈ જવાના મહત્વ વિશે જાગૃત કરવા માટે નિયમિતપણે જાહેરાતો કરવામાં આવે છે.
- મોટા રેલવે સ્ટેશનો પર મુસાફરોના સામાનનું સ્કેનિંગ કરવામાં આવે છે.
- મુસાફરો દ્વારા જ્વલનશીલ સામગ્રીના વહનને રોકવા માટે સંવેદનશીલ સમયગાળા દરમિયાન ઝુંબેશ ચલાવવામાં આવે છે.
- ઇલેક્ટ્રિકલ શોર્ટ-સર્કિટના કારણે આગ લાગવાની શક્યતા રોકવા માટે સ્ટેશનો પરની ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સની નિયમિત જાળવણી કરવામાં આવે છે. ઇલેક્ટ્રિકલ પેનલ્સમાં મિનિએચર સર્કિટ બ્રેકર્સ (MCB) અને મોલ્ડેડ કેસ સર્કિટ બ્રેકર્સ (MCCB) નો ઉપયોગ થાય છે. સ્ટેશનો પર ઇમરજન્સી લાઈટ્સની જોગવાઈ કરવામાં આવી છે.
- ઇમરજન્સી દરમિયાન લોકોને બહાર નીકળવામાં મદદ કરવા માટે સ્ટેશનો પર એક્ઝિટ (બહાર નીકળવાના માર્ગો) સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યા છે.
- અગ્નિશામક કટોકટી દરમિયાન ઉપયોગ કરવા માટે કોચમાં પાણી ભરવાની સુવિધા ધરાવતા મોટા રેલવે સ્ટેશનો પર પર્યાપ્ત પાણીનો સંગ્રહ ઉપલબ્ધ છે.
- રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર જ્વાળા આધારિત રસોઈ (flame based cooking) કરવાની મંજૂરી નથી.
- રેલવે સ્ટેશનો અને ઓફિસ બિલ્ડીંગોમાં તેમજ તેની આસપાસની તમામ ઇલેક્ટ્રિકલ ફેસિલિટીઝનું નિયમિત ઓડિટ/સેફ્ટી ડ્રાઇવ યોજવામાં આવે છે.
ભારતીય રેલવેની ટ્રેનોમાં અગ્નિ સુરક્ષામાં ટ્રેનની ડિઝાઇન, ઉત્પાદન, જાળવણી અને કામગીરીના તમામ તબક્કાઓનો સમાવેશ થાય છે. ભારતીય રેલવેની ટ્રેનોમાં આગની ઘટનાઓ ન બને તે સુનિશ્ચિત કરવા માટે મોટી સંખ્યામાં પગલાં લેવામાં આવ્યા છે, જેમાંથી મુખ્ય પગલાં નીચે મુજબ છે:
- ભારતીય રેલવેના તમામ કોચમાં ઓછામાં ઓછા બે અગ્નિશામક યંત્રોની જોગવાઈ.
- અગાઉ જણાવ્યા મુજબ પાવર કાર અને પેન્ટ્રી કારના આગ સંવેદનશીલ વિસ્તારોમાં ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેશન સિસ્ટમ પૂરી પાડવામાં આવી છે.
- અગાઉ જણાવ્યા મુજબ પ્રવર્તમાન માર્ગદર્શિકા મુજબ કોચમાં ફાયર અને સ્મોક ડિટેક્શન સિસ્ટમ પૂરી પાડવામાં આવી છે.
- પેન્ટ્રી કાર અને પાવર કાર પર તબક્કાવાર રીતે વોટર મિસ્ટ ટાઇપના અગ્નિશામક યંત્રો પૂરા પાડવામાં આવી રહ્યા છે.
- આગ લાગવાના કિસ્સામાં બહાર નીકળવા માટે કોચમાં ઇમરજન્સી વિન્ડોની જોગવાઈ.
- સુધારેલી અગ્નિ સુરક્ષા માટે સીટ/બર્થ, પેનલ્સ, ફ્લોરિંગ, ઇન્સ્યુલેશન, ટોઇલેટ વગેરે માટે કોચમાં વૈશ્વિક ફાયર-રિટાર્ડન્ટ ધોરણો મુજબ ફાયર-રિટાર્ડન્ટ સામગ્રીનો ઉપયોગ.
- કોચમાં ફાયર-રિટાર્ડન્ટ E-બીમ કેબલનો ઉપયોગ.
- ઇલેક્ટ્રિકલ ખામીઓ/સર્જથી થતા નુકસાનને રોકવા માટે ઇલેક્ટ્રિકલ સર્કિટમાં ફ્યુઝ, મિનિએચર સર્કિટ બ્રેકર (MCBs) અને મોટર પ્રોટેક્શન સર્કિટ બ્રેકર્સ (MPCBs) ના સ્વરૂપમાં સુરક્ષાના વિવિધ સ્તરોનો ઉપયોગ.
- ઇલેક્ટ્રિકલ કેબિનેટ્સમાં એરોસોલ આધારિત ફાયર સપ્રેશન સિસ્ટમની જોગવાઈ.
- વધુમાં, અમૃત ભારત અને વંદે ભારત સ્લીપર ટ્રેનોમાં નવી પેઢીની સામગ્રી ફિટ કરીને વૈશ્વિક ધોરણોને અનુરૂપ સામગ્રીનું અપગ્રેડેશન નિયમિતપણે કરવામાં આવી રહ્યું છે.
- આગને રોકવા માટે મુસાફરોને "શું કરવું" અને "શું ન કરવું" તે વિશે માહિતી આપવા અને જાગૃત કરવા માટે તમામ કોચમાં વ્યાપક માહિતી માટે "ફાયર નોટિસ" પ્રદર્શિત કરવી. અગાઉ જણાવ્યા મુજબ, આમાં કોઈ પણ જ્વલનશીલ સામગ્રી, વિસ્ફોટકો ન લઈ જવા, કોચની અંદર ધૂમ્રપાન પર પ્રતિબંધ અને દંડ વગેરે અંગેના સંદેશાઓ શામેલ છે.
- કોચમાં જ્વાળા આધારિત રસોઈ બનાવવા પર પ્રતિબંધ.
- વંદે ભારતના દરેક કોચમાં 4 ઇમરજન્સી ટોક બેક યુનિટની જોગવાઈ છે. આ કટોકટીના કિસ્સામાં ટ્રેન મેનેજર/લોકો-પાયલટ સાથે મુસાફરોના સંચારને સરળ બનાવે છે. વંદે ભારત ટ્રેનમાં પેસેન્જર ઇમરજન્સી એલાર્મ બટન આપવામાં આવ્યા છે. ઇમરજન્સી ઉપયોગ માટે દરેક કોચમાં આવા 4 પુશ બટન આપવામાં આવ્યા છે.
- રેલ મદદ નામની એક સંકલિત હેલ્પલાઇન છે જેને ઇમરજન્સી દરમિયાન સહાય મેળવવા માટે 139 નંબર દ્વારા એક્સેસ કરી શકાય છે.
જ્યારે ઉપરોક્ત પગલાંઓએ ભારતીય રેલવેને પ્રથમ સ્થાને આગની ઘટનાઓ બનતી અટકાવવામાં મદદ કરી છે, ત્યારે ભારતીય રેલવે આગ જેવી ઇમરજન્સી પરિસ્થિતિઓને અસરકારક રીતે પહોંચી વળવા માટે હંમેશા તૈયાર છે.
કોઈપણ અસામાન્ય ઘટના કે આગ લાગવાના કિસ્સામાં ભારતીય રેલવે હંમેશા ઝડપી અને અસરકારક રીતે પ્રતિભાવ આપવા માટે તૈયાર છે. આવી ઇમરજન્સીના કિસ્સામાં, પ્રથમ પ્રતિસાદકર્તા રેલવે સ્ટાફ હોય છે જેમને આવી ઇમરજન્સીને અસરકારક રીતે સંભાળવાની તાલીમ આપવામાં આવે છે. આવી ઇમરજન્સી અંગેની માહિતી મળતાં જ, ભારતીય રેલવે પોતાના સેટઅપ, સાધનો, ડોકટરો અને સ્ટાફનો ઉપયોગ કરીને તાત્કાલિક પ્રતિભાવ આપે છે, તેમજ તાત્કાલિક બચાવ અને રાહત કાર્ય હાથ ધરવા માટે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર સાથે પણ સંકલન કરે છે.
પ્રારંભિક ધ્યાન લોકોના જીવન બચાવવા, ઇજાગ્રસ્તોની સારવાર કરવા અને ફસાયેલા મુસાફરોને રાહત પૂરી પાડવા પર છે.
ભારતીય રેલવે પાસે 177 અકસ્માત રાહત ટ્રેનો (ARTs), 100 ઉચ્ચ ક્ષમતા ધરાવતા 140T બ્રેકડાઉન ડીઝલ-હાઇડ્રોલિક ક્રેન્સ અને 170 અકસ્માત રાહત તબીબી સાધનો (ARME) સ્કેલ-I નું નેટવર્ક નિર્ધારિત સ્થળોએ રાખવામાં આવ્યું છે જે સમગ્ર રેલ નેટવર્કને આવરી લે છે. આ ઉપરાંત, તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવા માટે નિર્ધારિત સ્થળોએ અકસ્માતો માટે ARMEs સ્કેલ-II, પોર્ટેબલ મેડિકલ કિટ્સ પણ પૂરી પાડવામાં આવી છે. ARMEs સ્કેલ-I એ વ્હીલ્સ પરની હોસ્પિટલ જેવી છે જેને તબીબી સાધનોના પુરવઠા અને કર્મચારીઓ સાથે સ્થળ પર ઝડપથી મોકલવામાં આવે છે.
આવા અકસ્માતોમાં મદદ માટે રોડ વાહનો, અર્થમુવર્સ, એમ્બ્યુલન્સ વગેરે જેવા વધારાના સાધનો પણ મેળવવામાં આવે છે. આવી ઇમરજન્સીના કિસ્સામાં દરેક અધિકારી અને સ્ટાફની ભૂમિકા નક્કી કરવામાં આવી છે અને તેઓને તેમની ફરજો બજાવવા માટે યોગ્ય રીતે તાલીમ આપવામાં આવી છે અને સત્તા આપવામાં આવી છે.
તે જ સમયે, આગ સહિતની કોઈપણ મોટી અસામાન્ય ઘટનાના અહેવાલ પર, ભારતીય રેલવે સ્થિતિને તાત્કાલિક અને અસરકારક રીતે પહોંચી વળવામાં મદદ કરવા માટે જરૂરી મુજબ જિલ્લા સત્તાવાળાઓ, ફાયર બ્રિગેડ, તબીબી સુવિધાઓ, પોલીસ દળો વગેરે સહિત સ્થાનિક નાગરિક વહીવટીતંત્રને તાત્કાલિક જાણ કરે છે. રેલવે તેમજ આ અન્ય એજન્સીઓ બંને દ્વારા સમન્વયિત પ્રતિભાવ માટે સમગ્ર ભારતીય રેલવેમાં સિસ્ટમ્સ અને પ્રોટોકોલ અમલમાં મુકવામાં આવ્યા છે.
આગ જેવા કિસ્સાઓ સહિત ઇમરજન્સી પરિસ્થિતિઓને પહોંચી વળવા માટેની પ્રક્રિયાઓ અને માર્ગદર્શિકાઓ ઝોન અને ડિવિઝનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન, જનરલ એન્ડ સબ્સિડિયરી રૂલ્સ, એક્સિડન્ટ મેન્યુઅલ અને ઓપરેટિંગ મેન્યુઅલમાં આપવામાં આવી છે. તાત્કાલિક ઇમરજન્સી પ્રતિભાવ માટે રેલવે સ્ટેશનો નજીકના ફાયર સ્ટેશનોની યાદી તેમના ટેલિફોન નંબર તેમજ આસપાસમાં ઉપલબ્ધ તમામ રેલવે અને બિન-રેલવે તબીબી સંસ્થાઓ, ખાનગી તબીબો અને ફર્સ્ટ-એઇડર્સની યાદી જાળવે છે અને પ્રદર્શિત કરે છે.
ભારતીય રેલવે પાસે તેની સિસ્ટમ્સ કોઈપણ ઇમરજન્સીને પહોંચી વળવા માટે પૂર્ણપણે તૈયાર છે તે સુનિશ્ચિત કરવા માટે નિયમિત મોક ડ્રિલ યોજવાની સુવિકસિત સિસ્ટમ છે. ભારતીય રેલવેની અંદરની તમામ બચાવ એજન્સીઓ તેમજ ફાયર બ્રિગેડ, પોલીસ, જિલ્લા સત્તાવાળાઓ, તબીબી પ્રણાલીઓ અને સુવિધાઓ તથા આપત્તિ નિવારણ દળોને સામેલ કરીને ડિવિઝનો દ્વારા સંપૂર્ણ સ્તરની મોક ડ્રિલ યોજવામાં આવે છે. 2025-26 દરમિયાન અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભાવનગર ડિવિઝનમાં આવી ચાર ડ્રિલ સહિત કુલ 71 ફૂલ સ્કેલ મોક ડ્રિલ યોજવામાં આવી હતી.
આ માહિતી કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આજે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં આપવામાં આવી હતી.
SM/DK/JD
(रिलीज़ आईडी: 2294927)
आगंतुक पटल : 13