ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિએ ‘ઓર્ગેનાઈઝર’ સાપ્તાહિકના 80મા સ્થાપના દિવસને સંબોધિત કર્યો


ઓર્ગેનાઈઝર “રાષ્ટ્રના આત્માનો અવાજ” બની રહ્યું છે: ઉપરાષ્ટ્રપતિ

ઉપરાષ્ટ્રપતિએ ભારતના લોકશાહી વિમર્શમાં ઓર્ગેનાઈઝરના આઠ દાયકાના યોગદાનની પ્રશંસા કરી

ઉપરાષ્ટ્રપતિએ કટોકટી દરમિયાન ઓર્ગેનાઈઝરની ભૂમિકાને યાદ કરી, કહ્યું કે સાહસિક પત્રકારત્વ લોકશાહીને મજબૂત બનાવે છે

સેન્સરશીપ સામે ઓર્ગેનાઈઝરની લડાઈએ સ્વતંત્ર ભારતમાં મીડિયાની સ્વતંત્રતાને મજબૂત બનાવી: ઉપરાષ્ટ્રપતિ

प्रविष्टि तिथि: 03 JUL 2026 7:53PM by PIB Ahmedabad

 ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાક્રીષ્નને આજે જણાવ્યું હતું કે લોકશાહી ત્યારે ખીલે છે જ્યારે પ્રેસ તથ્યોને માન આપીને, વિશ્વસનીયતા જાળવીને અને ઉચ્ચ વ્યાવસાયિક ધોરણોનું પાલન કરીને માહિતી આપે છે, પ્રશ્નો પૂછે છે અને જાણકારીપૂર્ણ જાહેર ચર્ચાઓને પ્રોત્સાહન આપે છે. તેમણે ઉમેર્યું કે પ્રેસની સ્વતંત્રતા ત્યારે જ અર્થપૂર્ણ છે જ્યારે તેનો ઉપયોગ સાહસ અને જવાબદારી સાથે કરવામાં આવે.

નવી દિલ્હીના ઈન્ડિયા હેબિટેટ સેન્ટર ખાતે ઓર્ગેનાઈઝર સાપ્તાહિકના 80મા સ્થાપના દિવસના સમારોહને સંબોધિત કરતા, ઉપરાષ્ટ્રપતિએ આ પ્રકાશના 80 વર્ષની સફરને "પેઢીઓ સુધી જાહેર વિમર્શ માટે સાતત્ય, સ્થિતિસ્થાપકતા અને સતત પ્રતિબદ્ધતા" તરીકે વર્ણવી હતી. 1949માં સેન્સરશીપ સામેના તેના કાનૂની પડકારનો ઉલ્લેખ કરતા, તેમણે કહ્યું કે આ ઘટના સ્વતંત્ર ભારતમાં મીડિયાની સ્વતંત્રતાના વિકાસમાં એક સીમાચિહ્નરૂપ બની, જે મુશ્કેલ પ્રશ્નો ઉઠાવવા માટે તૈયાર હોય તેવા સ્વતંત્ર પ્રેસના મહત્વને મજબૂત બનાવે છે.

ઉપરાષ્ટ્રપતિએ નોંધ્યું હતું કે દાયકાઓથી, ઓર્ગેનાઈઝરે એકતા, અખંડિતતા, સુરક્ષા, સંસ્કૃતિ અને શાસનને લગતી રાષ્ટ્રીય ચર્ચાઓમાં સક્રિયપણે ભાગ લીધો છે. તેમણે જમ્મુ અને કાશ્મીર, પ્રજા પરિષદ આંદોલન, ચીન અને પાકિસ્તાન સાથેના યુદ્ધો દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા, સ્વદેશી, રામ જન્મભૂમિ આંદોલન અને ભારતના જાહેર જીવનમાં અન્ય ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ સાથેના તેના જોડાણનો ઉલ્લેખ કર્યો હતો.

કટોકટી દરમિયાન આ પ્રકાશના રોલને શ્રદ્ધાંજલિ આપતા, શ્રી સી. પી. રાધાક્રીષ્નને નોંધ્યું હતું કે ઓર્ગેનાઈઝર અને તેનું સિસ્ટર પબ્લિકેશન 'ધ મધરલેન્ડ' બંધારણીય લોકશાહીના رક્ષણ માટે પ્રતિબદ્ધ લોકો માટે રેલી પોઈન્ટ બન્યા હતા. તેમણે અવલોકન કર્યું કે આવી ક્ષણો આપણને યાદ અપાવે છે કે પ્રેસ ફ્રીડમ તેનું સાચું મૂલ્ય ત્યારે જ મેળવે છે જ્યારે તેનો ઉપયોગ સાહસ સાથે કરવામાં આવે.

ઉપરાષ્ટ્રપતિએ શ્રી પ્રફુલ્લ કેતકર અને શ્રી ગૌતમ ચૌબે દ્વારા લિખિત પુસ્તક 'હિન્દુત્વ ડિસકોર્સ આફ્ટર ઇન્ડિપેન્ડન્સ – રીડિંગ વિથ ઓર્ગેનાઈઝર પેજીસ' અને ડૉ. ઉજ્વલા ચક્રદેવ દ્વારા લિખિત 'ટેમ્પલ્સ બિયોન્ડ ભારત'નું વિમોચન પણ કર્યું હતું. 'હિન્દુત્વ ડિસકોર્સ આફ્ટર ઇન્ડિપેન્ડન્સ'નો ઉલ્લેખ કરતા, શ્રી સી. પી. રાધાક્રીષ્નને કહ્યું કે ઓર્ગેનાઈઝરના આઠ દાયકાના દસ્તાવેજીકરણ ભારતના રાજકીય, સામાજિક અને બૌદ્ધિક વિકાસનો એક મહત્વપૂર્ણ આર્કાઇવલ રેકોર્ડ છે અને સ્વતંત્ર ભારતમાં હિન્દુત્વ વિમર્શના ઉત્ક્રાંતિમાં એક મૂલ્યવાન બારી પૂરી પાડે છે.

ભારત પ્રકાશન લિમિટેડ, સંપાદકીય ટીમ અને વાચકોને આ મહત્વપૂર્ણ સીમાચિહ્ન બદલ અભિનંદન આપતા, શ્રી સી. પી. રાધાક્રીષ્નને કહ્યું કે તેની કાયમી ટેગલાઇન "રાષ્ટ્રનો અવાજ" મુજબ, ઓર્ગેનાઈઝરે સતત એવા મુદ્દાઓને આગળ કર્યા છે જેને ઘણા લોકો અવગણવાનું પસંદ કરતા હતા. કાર્યક્રમ દરમિયાન શ્રી દત્તાત્રેય હોસબોલે દ્વારા કરવામાં આવેલા અવલોકનોનો ઉલ્લેખ કરતા, તેમણે નોંધ્યું કે ઓર્ગેનાઈઝરે કોઈ સંકુચિત કે સ્વાર્થપ્રેરિત હેતુથી નહીં, પરંતુ વ્યાપક રાષ્ટ્રીય હિત અને ભારતને એક મજબૂત, સમૃદ્ધ અને આત્મવિશ્વાસુ રાષ્ટ્ર તરીકે ઉભરતું જોવાની દ્રષ્ટિ પ્રત્યેની પ્રતિબદ્ધતાથી માર્ગદર્શન મેળવીને “રાષ્ટ્રના આત્માનો અવાજ” તરીકે સેવા આપી છે.

ઉપસ્થિત મહાનુભાવોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ શ્રી દત્તાત્રેય હોસબોલે; ભારત પ્રકાશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અરુણ કુમાર ગોયલ; ઓર્ગેનાઈઝરના સંપાદક શ્રી પ્રફુલ્લ કેતકર; અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, દિલ્હી પ્રાંતના સંઘચાલક ડૉ. અનિલ અગ્રવાલ સામેલ હતા.

SM/JY/JD


(रिलीज़ आईडी: 2280910) आगंतुक पटल : 23
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil , Malayalam