PIB Backgrounder
જીએસટીનાં નવ વર્ષ: કરવેરાનું સરળીકરણ, ભારતનું સશક્તિકરણ
प्रविष्टि तिथि:
30 JUN 2026 2:15PM by PIB Ahmedabad
જીએસટી (GST) એ કેન્દ્ર અને રાજ્યોના વિખરાયેલા કર માળખાના સ્થાને એક સંકલિત માળખું અમલમાં મૂકીને ભારતની પરોક્ષ કર પ્રણાલીમાં એક મોટો બદલાવ આણ્યો છે. તેણે એક સમાન રાષ્ટ્રીય બજાર બનાવવામાં અને 'એક રાષ્ટ્ર, એક કર'ના વિઝનને સાકાર કરવામાં મદદ કરી છે. વર્ષ 2017માં તેના અમલીકરણથી લઈને અત્યાર સુધી, જીએસટી સતત સુધારાઓ, ડિજિટલ પ્રણાલીઓ અને કેન્દ્ર-રાજ્ય વચ્ચેના મજબૂત સમન્વય દ્વારા વિકસિત થયો છે. વર્ષ 2025ના નેક્સ્ટ-જનરેશન જીએસટી સુધારાઓએ નીચા દરો, મુક્તિઓ અને સરળ પ્રક્રિયાઓ દ્વારા માળખાને વધુ સરળ બનાવ્યું છે. આ પગલાંનો ઉદ્દેશ્ય પરિવારો, એમએસએમઈ (MSMEs), ખેડૂતો, કારીગરો, નિકાસકારો અને વિવિધ વ્યાપાર ક્ષેત્રોને લાભ પહોંચાડવાનો છે.
જીએસટી: ભારતના કર સુધારણાની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ
1લી જુલાઈ 2017ના રોજ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST) ની શરૂઆત એ ભારતના સુધારાની સફરમાં એક ઐતિહાસિક સિદ્ધિ હતી. “એક રાષ્ટ્ર, એક કર”નો સિદ્ધાંત હવે એક વાસ્તવિકતા બની ગયો છે, જે ભારતને એક સંકલિત કર પ્રણાલી તરફ આગળ વધવામાં મદદ કરી રહ્યો છે.
છેલ્લા નવ વર્ષોમાં, જીએસટીએ ભારતના 'એક ભારત - શ્રેષ્ઠ ભારત'ના વિઝનને મજબૂત બનાવ્યું છે. તેણે તર્કસંગત કર દરો અને પ્રમાણભૂત પ્રક્રિયાઓ દ્વારા પારદર્શિતા, જવાબદારી અને આર્થિક વૃદ્ધિ આણી છે.
જીએસટીએ 17 જુદા-જુદા કર અને 13 સેસ (ઉપકર) ને એક સમાન માળખામાં સમાવી લીધા છે. અગાઉ, ભારતની પરોક્ષ કર પ્રણાલીમાં કેન્દ્ર અને રાજ્ય સ્તરના કેટલાક વેરા સામેલ હતા, જેના કારણે દરો અને માળખામાં તફાવત સર્જાતો હતો. આનાથી વ્યાપાર અને ઉદ્યોગો માટે છુપા ખર્ચ ઉમેરાતા હતા અને કર પર કર લાગતો હતો, જેને ઘણીવાર "ટેક્સ ઓન ટેક્સ" તરીકે ઓળખવામાં આવતો હતો. આ ઉપરાંત, એક મજબૂત આઈટી (IT) ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સમર્થિત આ પ્રણાલીનો ઉદ્દેશ્ય કરનો વ્યાપ વધારવાનો અને કર શિસ્તમાં સુધારો કરવાનો હતો.
જીએસટીની મુખ્ય વિશેષતાઓ
જીએસટીના માળખાએ કેટલીક મુખ્ય વિશેષતાઓને એકસાથે લાવી છે જે વ્યાખ્યાયિત કરે છે કે કર કેવી રીતે વસૂલવામાં આવશે અને તેનું સંચાલન કેવી રીતે થશે.
લાગુ પડવાની ક્ષમતા: જીએસટી હેઠળ, ઉત્પાદન, વેચાણ કે સેવા પર અલગ-અલગ કર વસૂલવાને બદલે માલ કે સેવાઓના "પુરવઠા" પર કર વસૂલવામાં આવે છે.
ગંતવ્ય-આધારિત વપરાશ કર: જીએસટી એ ગંતવ્ય-આધારિત વપરાશ કર છે. આનો અર્થ એ થાય છે કે કર તે રાજ્યને મળે છે જ્યાં માલ અથવા સેવાઓનો અંતિમ વપરાશ થાય છે.
વ્યાપ અને સમાનતા: તે લગભગ તમામ માલ અને સેવાઓ પર લાગુ થાય છે, જેમાં માનવ વપરાશ માટેના આલ્કોહોલિક લિકરને તેના દાયરાની બહાર રાખવામાં આવ્યો છે. તે દેશભરમાં સમાન કર દરો લાગુ કરીને વધુ સમાનતા લાવે છે. એવી 5 વસ્તુઓ છે જેના પર જીએસટી કાઉન્સિલ દ્વારા મંજૂરી આપવામાં આવે ત્યારે જીએસટી લગાવી શકાય છે.
જીએસટી કાઉન્સિલ: કાઉન્સિલ જીએસટી અંગેના મુખ્ય નિર્ણયો પર માર્ગદર્શન આપે છે અને દેશભરમાં તેના અમલીકરણમાં મદદ કરે છે.
સહકારી સંઘવાદનું નિર્માણ
જીએસટી કાઉન્સિલે નિર્ણય લેવાની પ્રક્રિયામાં કેન્દ્ર અને રાજ્યોને એકસાથે લાવીને સહકારી સંઘવાદને મજબૂત બનાવ્યો છે. તે એક વૈધાનિક સંસ્થા છે જેણે નિયમિતપણે મુદ્દાઓની સમીક્ષા કરીને અને ઉભરતા પડકારોનો સામનો કરીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ લવચીક અભિગમે અર્થતંત્રને ટેકો આપવા માટે કર પ્રણાલીમાં સમયસર ફેરફારો અને સુધારાઓ કરવાની મંજૂરી આપી છે.
ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ નેટવર્ક (GSTN): GSTN, જે 50% કેન્દ્ર સરકાર અને 50% રાજ્ય સરકારની માલિકીની કંપની છે, તે જીએસટી પ્રણાલી માટે સમાન ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે. તે વિવિધ ડિજિટલ સેવાઓ સક્ષમ કરીને કેન્દ્ર, રાજ્યો, કરદાતાઓ અને અન્ય હિતધારકોને મદદ કરે છે.
દ્વિમુખી જીએસટી (Dual GST): જીએસટી દ્વિમુખી માળખું ધરાવે છે જ્યાં કેન્દ્ર રાજ્યની અંદર થતા પુરવઠા પર સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (CGST) વસૂલે છે અને રાજ્યો સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (SGST) વસૂલે છે. બે રાજ્યો વચ્ચે થતા માલ અને સેવાઓના તમામ આંતર-રાજ્ય પુરવઠા પર ઈન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (IGST) વસૂલવામાં આવે છે. આઈજીએસટીના દરો સામાન્ય રીતે સીજીએસટી/એસજીએસટી કરતા બમણા (2x) હોય છે.
નેક્સ્ટ-જનરેશન જીએસટી સુધારાઓ
જીએસટી કાઉન્સિલની 56મી બેઠકે સામાન્ય લોકોના જીવનમાં સુધારો કરવા અને વ્યવસાયો માટે કર પ્રક્રિયાઓને સરળ બનાવવા માટે નેક્સ્ટ-જેન જીએસટી સુધારાઓને મંજૂરી આપી હતી. આ સુધારાઓ હેઠળ દરો અને મુક્તિઓમાં સુધારો કરવામાં આવ્યો હતો, જે 22 સપ્ટેમ્બર 2025 થી અમલમાં આવ્યો છે. જીએસટી 2.0 (GST 2.0) તરીકે ઓળખાવવામાં આવેલા આ સુધારાઓ કર સુધારણાના એક નવા તબક્કાને ચિહ્નિત કરે છે જે વૃદ્ધિની સંભાવનાઓને મજબૂત બનાવે છે.
વિગતવાર વિહંગાવલોકન અહીં ઉપલબ્ધ છે: જીએસટી સુધારા 2025: સામાન્ય માણસને રાહત, વ્યવસાયોને પ્રોત્સાહન.
મુખ્ય પગલાં
સુવ્યવસ્થિત કર દરનું માળખું: કરનું માળખું મુખ્યત્વે બે સ્લેબ - 5% અને 18% માં ફેરવાઈ ગયું છે.
લક્ઝરી અને સિન ગુડ્સ ટેક્સ: આવકનું સંતુલન જાળવી રાખવા સાથે વધુ ન્યાયી કર માળખું સુનિશ્ચિત કરવા માટે લક્ઝરી અને સિન ગુડ્સ પર 40% દર રજૂ કરવામાં આવ્યો છે. આમાં લોટરી/ઓનલાઈન ગેમિંગ, તમાકુ, એરેટેડ ડ્રિંક્સ, હાઈ-એન્ડ કાર, યૉચ અને ખાનગી એરક્રાફ્ટનો સમાવેશ થાય છે.
સરળ પાલન: જીએસટી 2.0 નોંધણી અને રિટર્ન ફાઇલિંગને પણ સરળ બનાવે છે, જ્યારે રિફંડની પ્રક્રિયા ઝડપી બનાવે છે અને ખર્ચ ઘટાડે છે. આનાથી વ્યવસાયો, ખાસ કરીને એમએસએમઈ અને સ્ટાર્ટઅપ્સ માટે પ્રક્રિયાગત સરળતા રહે છે.
નીચો ખર્ચ, વ્યાપક પ્રભાવ
દરોમાં ઘટાડા ઉપરાંત, જીએસટી 2.0 ખર્ચ ઘટાડીને, પરવડે તેવી ક્ષમતામાં સુધારો કરીને, કર પાલન અને આર્થિક પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરીને ભારતના વૃદ્ધિ ચક્રને ટેકો આપી રહ્યું છે. વ્યાપક ક્ષેત્રીય પહોંચ સાથે, જીએસટી 2.0 નો ઉદ્દેશ્ય નિકાસ, કારીગરો, ખેડૂતો અને ટકાઉ ઉત્પાદનને લાભ પહોંચાડવાનો છે.

પરિવારો અને ગ્રાહકો માટે રાહત:
- સસ્તી વસ્તુઓ અને સેવાઓ વપરાશમાં વધારો લાવે છે અને બચતને ટેકો આપે છે.
- વીમા અને આવશ્યક દવાઓ પર જીએસટી મુક્તિથી પારિવારિક સુરક્ષા મજબૂત થાય છે અને આરોગ્યસંભાળ સુધીની પહોંચ સુધરે છે.
એમએસએમઈ અને ઉદ્યોગો માટે પ્રોત્સાહન:
- સિમેન્ટ, હસ્તકલા જેવા મુખ્ય ઇનપુટ્સ અને ક્ષેત્રો પર જીએસટીના દરો ઘટવાથી ઉત્પાદન ખર્ચ નીચો આવે છે અને વ્યવસાયોની સ્પર્ધાત્મકતા સુધરે છે.
- સરળ માળખું વર્ગીકરણ સંબંધિત વિવાદો ઘટાડે છે અને વ્યવસાયો માટે કર સંબંધી નિર્ણયો સરળ બનાવે છે. સમય જતાં, આ કરનો વ્યાપ વધારવામાં અને આવકની વૃદ્ધિમાં મદદ કરે છે.
- ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરની સુધારણા સ્થાનિક મૂલ્યવર્ધનને વેગ આપે છે અને નિકાસને પ્રોત્સાહન આપે છે.
એમએસએમઈ અને નાના કરદાતાઓ માટે કર પાલનની સરળતા
એમએસએમઈ, સ્ટાર્ટઅપ્સ અને નાના કરદાતાઓ માટે કર પાલન સરળ બનાવવા માટે સમય જતાં કેટલાક પગલાં પણ રજૂ કરવામાં આવ્યા છે.
હાયર એકઝેમ્પશન (વધુ મુક્તિ): એપ્રિલ 2019 થી અમલી બને તે રીતે, માલના સપ્લાયર્સ માટે જીએસટી નોંધણીની મર્યાદા ₹20 લાખથી વધારીને ₹40 લાખ કરવામાં આવી હતી. કમ્પોઝિશન સ્કીમની મર્યાદા પણ ₹75 લાખથી વધારીને ₹1.5 કરોડ કરવામાં આવી હતી (કેટલાક વિશેષ શ્રેણીના રાજ્યો સિવાય).
કમ્પોઝિશન સ્કીમ આ સ્કીમ નાના કરદાતાઓ માટે બનાવવામાં આવી છે જે તેમને ટર્નઓવર પર નિશ્ચિત દરે જીએસટી ચૂકવવાની મંજૂરી આપે છે. આમાં ઓછા દસ્તાવેજો અને સરળ રિટર્ન-ફાઇલિંગની જરૂરિયાતો સામેલ છે.
સિમ્પ્લર રિટર્ન ફાઇલિંગ્સ: વર્ષ 2020 માં ત્રિમાસિક રિટર્ન ફાઇલિંગ અને માસિક ચુકવણી (QRMP) સ્કીમ શરૂ કરવામાં આવી છે જેથી ત્રિમાસિક ધોરણે રિટર્ન ફાઇલ કરી શકાય. તે ₹5 કરોડ સુધીનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા કરદાતાઓને આવરી લે છે.
વધુમાં, કોઈપણ વ્યવહાર ન ધરાવતા કરદાતાઓ એસએમએસ (SMS) દ્વારા પણ શૂન્ય (NIL) માસિક જીએસટી રિટર્ન ફાઇલ કરી શકે છે.
નાના વ્યવસાયો અને ઈ-કોમર્સ વેચાણકર્તાઓ માટે સપોર્ટ: ઈ-કોમર્સ ઓપરેટર્સ દ્વારા માલનો આંતર-રાજ્ય પુરવઠો પૂરો પાડતા નાના કરદાતાઓને ઓક્ટોબર 2023 થી ફરજિયાત જીએસટી નોંધણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
ઓછા જોખમ ધરાવતા અરજદારો માટે સરળતા આધારિત નોંધણી યોજના પણ રજૂ કરવામાં આવી છે, જે ત્રણ કામકાજના દિવસોમાં નોંધણીની મંજૂરી આપે છે.
વિવાદો અને ભૂતકાળની માંગણીઓમાં રાહત: જીએસટી અપીલ દાખલ કરવા માટે જરૂરી પ્રિ-ડિપોઝિટની રકમ ઘટાડવા માટે સુધારો કરવામાં આવ્યો છે.
ચોક્કસ શરતોને આધીન, કેટલીક માંગણી નોટિસો માટે વ્યાજ અને દંડની માફી પણ આપવામાં આવી છે. આ નાણાંકીય વર્ષ 2017-18, 2018-19 અને 2019-20 ને આવરી લે છે.
જીએસટી હેઠળ ડેટા-આધારિત કર વહીવટનો ઉદય
જીએસટી સુધારાઓએ કર વહીવટને ટેકનોલોજી-આધારિત માળખા તરફ વધુને વધુ સ્થાનાંતરિત કર્યો છે.
ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ નેટવર્ક (GSTN) પોર્ટલ અને ઈ-ઈન્વોઈસિંગે ઈન્વોઈસ ડેટાના રિયલ-ટાઇમ કેપ્ચરને સક્ષમ કરીને વહીવટને વધુ પારદર્શક બનાવ્યો છે. આનાથી મેન્યુઅલ રિપોર્ટિંગ ઘટ્યું છે, ચોકસાઈ સુધરી છે અને રિપોર્ટિંગમાં વિસંગતતાઓને ન્યૂનતમ કરવામાં મદદ મળી છે.
ઓટોમેશને કરદાતાઓ માટે ફાઇલિંગ પ્રક્રિયા પણ સરળ બનાવી છે. સપ્લાયરની કર જવાબદારીને પ્રાપ્તકર્તાના ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) સાથે મેચ કરવાની પ્રક્રિયાએ કામગીરીને સુવ્યવસ્થિત કરી છે. અગાઉથી ભરેલા (પ્રી-ફિલ્ડ) રિટર્ન, સરળ સુમેળ અને રિયલ-ટાઇમ વેરિફિકેશને ભૂલો ઘટાડી છે અને એકંદર પ્રક્રિયાગત જરૂરિયાતો ઓછી કરી છે.
જીએસટીને મજબૂત કરવા માટે એઆઈ અને ડેટા એનાલિટિક્સનો ઉપયોગ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને ડેટા એનાલિટિક્સ જેવી અદ્યતન તકનીકોનો ઉપયોગ વધુ લક્ષિત રીતે દેખરેખ રાખવા માટે કરવામાં આવી રહ્યો છે. તેઓ ડેટા પેટર્ન અને જોખમ સૂચકાંકોનું વિશ્લેષણ કરીને સંભવિત કરચોરી ઓળખવામાં મદદ કરે છે. આ સાધનો નોંધણી, ચકાસણી વગેરે જેવી વિવિધ પ્રક્રિયાઓમાં લાગુ કરવામાં આવ્યા છે. આનાથી સિસ્ટમ ઉચ્ચ જોખમ ધરાવતા કરદાતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, જ્યારે નિયમોનું પાલન કરતા કરદાતાઓ પર નિયમનકારી જરૂરિયાતો સરળ બને છે.
આ પગલાંની અસર વહીવટી કાર્યક્ષમતા સુધારવા ઉપરાંત ભારતની વ્યાપક મેક્રોઇકોનોમિક સ્થિરતાને પણ ટેકો આપે છે. તેમણે કર સંગ્રહને વધુ અનુમાનિત બનાવ્યો છે, જેનાથી મજબૂત આવકમાં વધારો અને વધુ નાણાંકીય પારદર્શિતાને ટેકો મળ્યો છે.
ઔપચારિકરણના લાભો જીએસટી વૃદ્ધિમાં પ્રતિબિંબિત થાય છે
જીએસટી સંગ્રહ આર્થિક પ્રવૃત્તિનો હાઈ-ફ્રિકવન્સી સંકેત બની ગયો છે. વધતી જતી આવક માત્ર ઊંચા વપરાશ અને વ્યાપારને જ નહીં, પરંતુ વ્યાપક કરદાતા આધાર, મજબૂત રિપોર્ટિંગ પ્રણાલી અને બહેતર કર પાલનને પણ પ્રતિબિંબિત કરે છે.
જીએસટી કરદાતાઓની સંખ્યા વર્ષ 2017 માં 66.5 લાખથી વધીને મે 2026 સુધીમાં 1.65 કરોડ થઈ ગઈ છે. આ અર્થતંત્રના મોટા પાયે ઔપચારિકરણ તરફ નિર્દેશ કરે છે.

વર્ષ 2017-18 માં ગ્રોસ જીએસટી સંગ્રહ આશરે ₹7.4 લાખ કરોડ હતો અને વર્ષો જતાં તેમાં સતત વધારો થયો છે.
છેલ્લા પાંચ વર્ષોમાં, સંગ્રહ 2021-22 માં ~₹13.76 લાખ કરોડથી વધીને 2025-26 માં ~₹22.27 લાખ કરોડ થયો છે. આ ગતિ વેગ 2026-27 માં પણ ચાલુ રહ્યો છે, જેમાં એપ્રિલ-મે 2026 દરમિયાન જીએસટી સંગ્રહ આશરે ₹4.37 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે.
જીએસટીની સતત ચાલતી સુધારણાની સફર
જીએસટી દિવસનું મહત્વ માત્ર એક સીમાચિહ્નરૂપ કર સુધારણાની શરૂઆતની ઉજવણી પૂરતું મર્યાદિત નથી. તે એક સરળ, વધુ પારદર્શક અને સંકલિત પરોક્ષ કર પ્રણાલી બનાવવાની ભારતની સતત મહેનતને પ્રતિબિંબિત કરે છે. જીએસટી 2.0 હેઠળના સુધારાઓ નાગરિકો અને વ્યવસાયોની જરૂરિયાતોને પૂરી કરીને આ પ્રગતિને આગળ ધપાવે છે અને વિકસિત ભારત તરફ ભારતની પ્રગતિને ટેકો આપે છે.
સંદર્ભો
Prime Minister's Office (PMO)
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2163986&lang=1®=3
Ministry of Finance
https://www.indiabudget.gov.in/budget2017-2018/es2016-17/echap01_vol2.pdf
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?ModuleId=3&NoteId=155151®=48&lang=2
https://dor.gov.in/concept-note-gst
https://cbic-gst.gov.in/pdf/01012018-GST-Concept-and-Status.pdf
https://gstcouncil.gov.in/about-us
https://sansad.in/getFile/loksabhaquestions/annex/186/AU2414_pElIGR.pdf?source=pqals
https://sansad.in/getFile/loksabhaquestions/annex/185/AU3545_9tJ3Tw.pdf?source=pqals
https://sansad.in/getFile/loksabhaquestions/annex/183/AU2272_Pzuq3S.pdf?source=pqals
https://sansad.in/getFile/loksabhaquestions/annex/187/AU1430_6jAjKo.pdf?source=pqals
https://tutorial.gst.gov.in/downloads/news/monthly_gst_data_for_mar_2026_for_publishing_final.pdf
https://tutorial.gst.gov.in/downloads/news/final_monthly_gst_data_for_may_2026_for_publishing.pdf
https://sansad.in/getFile/annex/250/AU233.pdf?source=pqars
https://www.gstn.org.in/
World Bank
https://documents1.worldbank.org/curated/en/348501542614212003/pdf/India-develoment-Update-GST-December-2017.pdf
Press Information Bureau
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=154789&ModuleId=3®=48&lang=2
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=155151&ModuleId=3®=48&lang=1
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=155156&ModuleId=3®=48&lang=1
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?ModuleId=3&NoteId=151915®=48&lang=2
Click to See In PDF
SM/DK/JD
(रिलीज़ आईडी: 2279379)
आगंतुक पटल : 11