પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

નવી દિલ્હીમાં રિપબ્લિક સમિટ 2026માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

प्रविष्टि तिथि: 22 JUN 2026 10:24PM by PIB Ahmedabad

સ્વર સાધના, મનોકામના, આરાધના - આવી શુભ શરૂઆત પછી, તમારો આ કાર્યક્રમ ચાલુ રહ્યો હોત તો બહુ સારું થાત. આપ સૌને મારા નમસ્કાર.

હું રિપબ્લિક ટીવી નેટવર્કના તમામ દર્શકોને મારા અભિનંદન પાઠવું છું, જે હવે ઘણી ભાષાઓમાં પ્રસારિત થાય છે. આ સમિટમાં ભાગ લેવા આવેલા તમામ સાથીઓનું પણ હું સ્વાગત કરું છું. 24 કલાક ચાલતી ન્યૂઝ ચેનલોમાં બ્રેકિંગ ન્યૂઝનું ઘણું મહત્વ હોય છે. અને આજકાલ જો તમે દુનિયામાં ગમે ત્યાં જુઓ તો આખી દુનિયા બ્રેકિંગ ન્યૂઝ મોડમાં હોય તેવું લાગે છે. આટલી ધમાલ વચ્ચે તમે આ સમિટનું આયોજન કરી રહ્યા છો અને તેમાં ભાગ લઈ રહ્યા છો, અને તેથી તમે વિશેષ અભિનંદનને પાત્ર છો. આ વખતે, તમારી ચર્ચાની થીમ પણ એટલી જ મહત્વપૂર્ણ છે: ગ્રેટ પાવર ઇન્ડિયા: નેશન ફર્સ્ટ (મહાન શક્તિ ભારત: રાષ્ટ્ર પ્રથમ).

સાથીઓ,

આપણા શાસ્ત્રો કહે છે: યતો ધર્મસ્તતો જયઃ! - એટલે કે, વિજય અને શક્તિનું મૂળ ધર્મ છે. અને ધર્મ એટલે કર્તવ્ય, ધર્મ એટલે ન્યાય, ધર્મ એટલે સમાનતા, ધર્મ એટલે સંવાદ, ધર્મ એટલે કરુણા. આ જ સાર 'નેશન ફર્સ્ટ' ની ભાવનામાં સમાયેલો છે. ભારત પોતાની શક્તિને આ જ દ્રષ્ટિકોણથી જુએ છે, તેને આ જ ત્રાજવે તોલે છે.

સાથીઓ,

ભારત પાસે બીજો એક અનોખો ગુણ છે, જેનો હવે વિશ્વએ પણ સ્વીકાર કર્યો છે. આપણે એવી પ્રજા નથી કે જે ક્ષણિક ઘટનાઓ પર ઉતાવળમાં પ્રતિક્રિયા આપે. આપણે એક એવો રાષ્ટ્ર છીએ જેણે વિકાસ અને વિનાશ બંને જોયા છે, અને તેને સહન પણ કર્યા છે. આપણે આપણી ચેતનામાં યુગોની મેમરી ચિપ ધરાવતો દેશ છીએ - સહસ્ત્રાબ્દીઓની મેમરી ચિપ ધરાવતો દેશ. એટલા માટે ભારત આજે જે કરી રહ્યું છે - અને હું આ પૂરી જવાબદારી સાથે કહું છું - ભારત આજે જે કરી રહ્યું છે તે આગામી હજાર વર્ષનું ભવિષ્ય લખશે. વિશ્વને આ ભારતની સૌથી મોટી ગેરંટી છે. ભારત માત્ર ઝડપથી વિકસતું અર્થતંત્ર નથી, તે એક વિશ્વસનીય અર્થતંત્ર પણ છે. એક ઉભરતી શક્તિ હોવાની સાથે — અને તમે તો ડિક્શનરી લંબાવીને તેને સુપરપાવર પણ કહી દીધી — હું ચોક્કસ કહીશ કે ભારત એક ભરોસાપાત્ર શક્તિ છે. હજુ થોડા દિવસો પહેલા જ હું જી-7 સમિટમાંથી પરત ફર્યો છું, અને દરેક નેતા, દરેક દેશ ખૂબ સારી રીતે સમજે છે કે આજના ભારત માટે 'નેશન ફર્સ્ટ' એ સૌથી મોટો મંત્ર છે, સર્વોચ્ચ સિદ્ધાંત છે.

સાથીઓ,

હજુ થોડા દિવસો પહેલા જ આપણી સરકારે 12 વર્ષ પૂર્ણ કર્યા છે. અર્નબે તો તમને તેના માટે તાળીઓ પાડવા પણ મજબૂર કર્યા. જો તમે છેલ્લા બાર વર્ષની સિદ્ધિઓને તોલશો, તો તમને જણાશે કે દરેક નિર્ણય, દરેક પગલાં, દરેક પ્રયાસના કેન્દ્રમાં 'નેશન ફર્સ્ટ' ની ભાવના રહેલી છે. સ્વચ્છ ભારત અભિયાનથી લઈને મેક ઇન ઇન્ડિયા સુધી, ખાદી પર ભાર મૂકવાથી લઈને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહિત કરવા સુધી - આ બધી પહેલો એટલા માટે સફળ થઈ કારણ કે દેશના લોકોએ રાષ્ટ્રને સર્વોપરી રાખ્યું અને પોતાનું કર્તવ્ય નિભાવ્યું. હું આ દેશના નાગરિકોને નમન કરું છું.

સાથીઓ,

અહીં આપણી સાથે આપણા સાથી શ્રી શ્રીધર વેમ્બુજી છે. જ્યારે આપણા ઉદ્યોગસાહસિકો 'નેશન ફર્સ્ટ'ની ભાવના સાથે ચાલે છે, જ્યારે તેઓ દેશની જરૂરિયાતોને સમજીને પોતાના લક્ષ્યો નક્કી કરે છે, ત્યારે સંસ્થાઓનું નિર્માણ થાય છે અને દેશ સમૃદ્ધ થાય છે. મને ખબર નથી કે શ્રી વેમ્બુજીના કામ વિશે અહીં કેટલી ચર્ચા થઈ છે, પરંતુ તાજેતરમાં હું ફ્રાન્સમાં વિવાટેકમાં ગયો હતો. ત્યાં અંદાજે 1.5 થી 2 લાખ યુવાનો હતા. જ્યારે હું અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ યુવાનોની નવીનતાઓ જોવા માટે અલગ-અલગ સ્ટોલ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અમે ઝોહોના સ્ટોલ પર આવ્યા. આ નવું સર્જન શું છે તે સમજવા માટે ત્યાં એકત્રિત થયેલા યુરોપિયન યુવાનોની ભીડ જોઈને મને આશ્ચર્ય થયું અને ગર્વની લાગણી થઈ. કદાચ ભારતમાં આની એટલી ચર્ચા નથી થતી, પણ મેં ફ્રાન્સમાં જે જોયું તે અદ્ભુત હતું. તમને ખૂબ ખૂબ અભિનંદન.

સાથીઓ,

સરકારી નીતિ અને નિર્ણયોમાં 'નેશન ફર્સ્ટ' ની અસર આપણા આદિવાસી વિસ્તારોમાં જોઈ શકાય છે. હું અહીં કોઈ ફિલોસોફી આપવા નથી આવ્યો, પરંતુ હું કેટલાક સાદા ઉદાહરણો શેર કરું જેથી તમે સમજી શકો કે કામ કેવી રીતે થાય છે. હું આદિવાસી વિસ્તારોની વાત કરું છું - 10 કરોડથી વધુની વસ્તી ધરાવતો આદિવાસી સમાજ. આપણે બધા જાણીએ છીએ કે દાયકાઓથી ત્યાં માઓવાદી આતંકે પગપેસારો કર્યો હતો. 21મી સદીમાં પણ આ આતંકવાદીઓએ તે વિસ્તારોમાં એક પણ સુવિધા પહોંચવા દીધી નહોતી. કોઈ સરકારી વાહન ત્યાંથી પસાર થઈ શકતું નહોતું; તેમને ગોળીઓથી વીંધી દેવામાં આવતા. ઘણી સરકારો આવી અને ગઈ, પેઢીઓ વીતી ગઈ, અને એવું લાગતું હતું કે હિંસાની આ કમનસીબી કાયમ રહેશે. તમે કલ્પના કરી શકો છો - 2004 થી 2014 ની વચ્ચે, તે દસ વર્ષમાં, માઓવાદી આતંકને કારણે 17,000થી વધુ હિંસક ઘટનાઓ બની અને લગભગ 7,000 લોકોએ જીવ ગુમાવ્યા.

સાથીઓ,

તમારા માટે આજની હેડલાઇન અથવા અડધા કલાકની ટીવી ડિબેટ હોઈ શકે છે કે માઓવાદી આતંકવાદ ખતમ થઈ ગયો છે. પણ વસ્તુઓ એમ જ નથી થઈ જતી. તેના માટે અથાક પ્રયાસ જરૂરી છે, અને તેથી જ હું વિગતવાર સમજાવવા માંગુ છું. આજકાલ, કેટલાક લોકો બંધારણ લહેરાવતા રહે છે, પરંતુ જ્યારે તેઓ સરકારમાં હતા, ત્યારે નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં "બંધારણ" શબ્દ બોલવા પર પણ તમને ગોળી મારી દેવામાં આવતી હતી. તે સમયે તેઓ ચૂપચાપ બેઠા હતા, તેમના હાથ ધ્રૂજતા હતા, તેઓ બંધારણ પકડી શકવા સક્ષમ નહોતા. કોંગ્રેસને એ પીડાદાયક પરિસ્થિતિથી કોઈ ખાસ ફરક પડતો નહોતો.

સાથીઓ,

2014 પછી, અમે પરિસ્થિતિ બદલવા માટે 'નેશન ફર્સ્ટ' ની ભાવના સાથે આગળ વધ્યા. અમે માત્ર વાતો ન કરી, માત્ર જાહેરાતો ન કરી, અમે કામ કર્યું. અમે નક્સલવાદ-માઓવાદને સંપૂર્ણપણે જડમૂળથી ઉખાડી નાખવાનો સંકલ્પ કર્યો અને આજે આખો દેશ તેનું પરિણામ જોઈ રહ્યો છે. ભારતમાં માઓવાદી આતંકવાદ હવે તેના અંતિમ શ્વાસ ગણી રહ્યો છે.

અને સાથીઓ, ઘણીવાર અંતિમ પરિણામ એટલું વિશાળ અને નોંધપાત્ર હોય છે કે તેની પાછળની મહેનત અદ્રશ્ય રહી જાય છે. હું ખાસ કરીને રિપબ્લિક ટીવીના દર્શકોને આ વિશે જણાવવા માંગુ છું.

સાથીઓ,

તે નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં જ્યાં સામાન્ય લોકો દિવસના અજવાળામાં પણ બહાર નીકળતા ડરતા હતા - અપહરણ, ખંડણી કે લૂંટના ડરથી - જ્યાં વિકાસની વાત કરવી પણ અશક્ય હતી, ત્યાં અમે પ્રગતિના સંકલ્પ સાથે આગળ વધ્યા. છેલ્લા 12 વર્ષમાં અમારી સરકારે આવા વિસ્તારોમાં 12,000 કિલોમીટરથી વધુ રસ્તાઓ બનાવ્યા છે. ઘણી વખત અમારા બાંધકામના સાધનો સળગાવી દેવામાં આવ્યા, કોન્ટ્રાક્ટરોને ભગાડી દેવામાં આવ્યા. જો રસ્તા પર 25 લોકો કામ કરતા હોય, તો કામ ચાલુ રાખી શકાય તે માટે 200 પોલીસ કર્મચારીઓએ તેમની સુરક્ષા કરવી પડતી હતી. અમે આ બધું એટલા માટે કર્યું કારણ કે અમે તે કરવાનો સંકલ્પ કર્યો હતો.

સાથીઓ,

અમે 9,500 થી વધુ મોબાઇલ ટાવર બનાવ્યા. અગાઉ ત્યાં એક પણ ટાવર લગાવી શકાતો નહોતો, અને જો લગાવવામાં આવે તો તેને નષ્ટ કરી દેવામાં આવતો હતો. કારણ કે તેઓ હંમેશા ગુસ્સાને ભડકાવવા માંગતા હતા. અમે લગભગ 45,000 ગામડાઓમાં મોબાઇલ કનેક્ટિવિટી પહોંચાડી. નક્સલ પ્રભાવિત જિલ્લાઓમાં 1,800 થી વધુ બેંક શાખાઓ ખોલવામાં આવી. આશરે 75,000 બેન્કિંગ કોરોસ્પોન્ડન્ટ્સ અને 6,000 થી વધુ નવી પોસ્ટ ઓફિસો સ્થાપિત કરવામાં આવી. અમે માત્ર બોમ્બ, બંદૂક અને ગોળીઓ પર ભરોસો નથી રાખ્યો, સાથીઓ - અમે દિલ જીતવા માટે ઈશ્વરે આપેલી શક્તિની એક-એક બુંદ લગાવી દીધી છે.

સાથીઓ,

દ્રઢ સંકલ્પ સાથે, અમે સામાન્ય લોકોની આશા અને આકાંક્ષાઓ પૂરી કરવા માટે નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં ગયા. તમને આશ્ચર્ય થશે - એક કુખ્યાત નક્સલવાદી, જેના માથા પર કરોડો રૂપિયાનું ઈનામ હતું, તેની માતાને પહેલીવાર અમારી પાસેથી રેશનકાર્ડ મળ્યું. તેના પુત્રએ ક્યારેય તેને રેશનકાર્ડ મેળવવા દીધું નહોતું, કારણ કે તે પોતાનું આતંકનું શાસન ચલાવવા માંગતો હતો. આવી અસંખ્ય ઘટનાઓ છે. હું સ્તબ્ધ થઈ ગયો હતો. અને તે સમયની સરકાર બંધારણ પ્રત્યે આંખ આડા કાન કરીને ચૂપચાપ બેસી રહી હતી. પરંતુ આ તમામ પ્રયાસોનું પરિણામ એ આવ્યું કે લોકોમાં વિશ્વાસની નવી લહેર જોવા મળી. આજે બસ્તરને જુઓ - બોમ્બ અને બંદૂકોના બદલે ત્યાં બસ્તર ઓલિમ્પિક્સ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. બે આવૃત્તિઓ યોજાઈ ચૂકી છે. પ્રથમમાં 1.5 લાખથી વધુ યુવાનોએ ભાગ લીધો હતો અને બીજામાં લગભગ 4 લાખ યુવાનો જોડાયા હતા. જ્યાં ક્યારેક આતંક હતો, ત્યાં હવે પ્રતિભાને તક મળી રહી છે અને રમતગમત ખીલી રહી છે.

સાથીઓ,

સેવાના આ 12 વર્ષોની સૌથી મોટી સિદ્ધિઓમાંની એક એ રહી છે કે નિરાશામાંથી બહાર આવીને આશા અને આકાંક્ષાથી ભરેલા ભારતનું નિર્માણ થયું છે.

સાથીઓ,

નક્સલવાદ કદાચ અમુક વિસ્તારોમાં કેન્દ્રિત હતો, પરંતુ તેની પીડા ભારતના ખૂણે-ખૂણે અનુભવાતી હતી. અને જ્યારે નક્સલવાદ ખતમ થઈ રહ્યો હોવાના સમાચાર ફેલાવા લાગ્યા, ત્યારે વિશ્વાસની ભાવના માત્ર તે પ્રભાવિત વિસ્તારો પૂરતી સીમિત ન રહી - તે સમગ્ર રાષ્ટ્રમાં ફેલાઈ ગઈ. 2014 પહેલાના દસ વર્ષમાં, કોંગ્રેસ સરકારના શાસનમાં, અસંતોષ માત્ર શાસન વ્યવસ્થા વિશે નહોતો. નિરાશા ઘણી ઊંડી હતી. દેશે આશા ગુમાવી દીધી હતી. લોકોને લાગતું હતું કે કંઈ બદલાઈ શકે તેમ નથી, કંઈ સુધરી શકે તેમ નથી.

સાથીઓ,

છેલ્લા 12 વર્ષોમાં, ભારતે નિરાશાને આશામાં પરિવર્તિત કરી છે, અને આ મને સૌથી વધુ સંતોષ આપે છે. આજે, દરેક વ્યક્તિ એવું અનુભવે છે કે થોડી વધુ મહેનતથી, વસ્તુઓ પ્રાપ્ત કરી શકાય છે. એ દિવસો ગયા જ્યારે એકમાત્ર વાત હતી કે "આ થઈ શકતું નથી, તે થઈ શકતું નથી." તે યુગ પસાર થઈ ગયો છે. આજે, ભાવના "આ થઈને રહેશે" ની છે. આ નવો આત્મવિશ્વાસ ભારતની સાચી સિદ્ધિ છે, અને આ જ વાસ્તવિક શક્તિ છે. પડકારો રહે છે, અને હંમેશા રહેશે. પડકારો આકાર બદલનારા છે, નવા સ્વરૂપોમાં દેખાય છે. પરંતુ તે ગમે તે સ્વરૂપ લે, આપણે લડીશું અને જીતીશું. જ્યારે રાષ્ટ્ર "તે કરી શકાય છે અને આપણે તે કરીશું" એવી શ્રદ્ધા સાથે આગળ વધે છે, ત્યારે સપના પૂર્ણ થાય છે.

સાથીઓ,

હું અહીં ભારતના 100થી વધુ જિલ્લાઓ અને 500થી વધુ બ્લોક્સ વિશે વાત કરવા માંગુ છું. આ વિસ્તારો વિકાસના દરેક માપદંડમાં પાછળ રહી ગયા હતા અને અગાઉની સરકારોએ તેમના પર "પછાત જિલ્લાઓ" અને "પછાત વિસ્તારો" નો સિક્કો મારી દીધો હતો. અમે આ વિશાળ પ્રદેશોને પછાતપણાની નિરાશામાંથી બહાર કાઢ્યા અને વિકાસની આકાંક્ષાઓ જગાડી. સૌથી પહેલા અમે તેમની ઓળખ બદલી. અમે કહ્યું કે આ "આકાંક્ષી જિલ્લાઓ છે, આ "એસ્પિરેશનલ બ્લોક્સ" (આકાંક્ષી બ્લોક્સ) છે. અમે આકાંક્ષી જિલ્લાઓ અને આકાંક્ષી બ્લોક્સ માટે કાર્યક્રમો બનાવ્યા અને સરકારે વિકાસના દરેક માપદંડ પર બારીકાઈથી કામ કરવાનું શરૂ કર્યું. દરેક જિલ્લામાં, અમે કમનસીબીને દૂર કરવા માટે ત્રણ પાસાઓ નક્કી કર્યા, તો અન્યમાં છ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને લક્ષિત પ્રયાસો શરૂ થયા. આજે, આ આકાંક્ષી જિલ્લાઓ અને બ્લોક્સ રાજ્યોના એકંદર વિકાસના ચાલક બળ બની રહ્યા છે. અગાઉ, તેઓ વિકાસને પાછળ ખેંચતા હતા. આ જિલ્લાઓમાં મોટી વસ્તી ગરીબી અને વંચિતતામાં જીવતી હતી. તાજેતરના વર્ષોમાં, 25 કરોડ ગરીબ લોકોએ ગરીબીને હરાવી છે, અને આકાંક્ષી જિલ્લાઓએ આમાં મોટી ભૂમિકા ભજવી છે.

સાથીઓ,

આપણે જોઈએ છીએ કે જ્યારે કોઈ એક વ્યક્તિ બીમારીમાંથી સાજી થાય છે, ત્યારે માત્ર તે વ્યક્તિ જ સાજી નથી થતી - આખો પરિવાર રાહત અનુભવે છે. તેવી જ રીતે, જ્યારે કોઈ દીકરો કે દીકરી કંઈક હાંસલ કરે છે, ત્યારે તે માત્ર તેમની સિદ્ધિ નથી હોતી, પરંતુ આખો પરિવાર ગર્વ અને આત્મવિશ્વાસથી ભરાઈ જાય છે. એ જ રીતે, જ્યારે કોઈ ગરીબીમાંથી બહાર આવે છે, ત્યારે આખા સમાજને ફાયદો થાય છે, રાષ્ટ્રને ફાયદો થાય છે. જ્યારે 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવીને નવ-મધ્યમ વર્ગમાં પ્રવેશ્યા છે, ત્યારે તેનો લાભ માત્ર તે પરિવારો પૂરતો સીમિત નથી. મધ્યમ વર્ગને પણ ફાયદો થાય છે, કારણ કે આ નવા ગ્રાહકો છે જે અર્થતંત્રને ગતિ આપે છે, જે આખરે મધ્યમ વર્ગ માટે તકો ઊભી કરે છે. આમ, ગરીબી નાબૂદી એ માત્ર કલ્યાણનો વિષય નથી - તે તકોના વિસ્તરણની વાર્તા છે, નવી આકાંક્ષાઓનો સ્ત્રોત છે.

સાથીઓ,

છેલ્લા 12 વર્ષમાં દેશમાં જે વિશાળ મધ્યમ વર્ગ ઉભરી આવ્યો છે તે સરકાર માટે મોટી પ્રાથમિકતા રહ્યો છે. મધ્યમ વર્ગના પરિવારોના જીવનની સરળતા માટે સરકારે દરેક સ્તરે કામ કર્યું છે. પોતાનું ઘર હોવાના સપનાની વાત લો. દરેક મધ્યમ વર્ગના પરિવારની ઈચ્છા હોય છે કે પોતાનું ઘર હોય. 2014 માં, જો કોઈ પરિવાર ઘર ખરીદવા માંગતો હોય, તો હોમ લોન બે આંકડામાં ના વ્યાજ દરો સાથે મળતી હતી. આજે બેંકોમાંથી 7-8 ટકા વ્યાજે લોન ઉપલબ્ધ છે. અગાઉ લોન મેળવવી એ યુદ્ધ જીતવા જેવું હતું, જેના માટે અપાર પ્રયાસો કરવા પડતા હતા. આજે તે પોતાના ઘરના ખૂણે બેસીને સંભવ છે. અહીં દિલ્હી-NCR માં લોકો જાણે છે કે કેવી રીતે શહેરી મધ્યમ વર્ગના હજારો ઘરો અધૂરા અટકી પડ્યા હતા. પરિવારોએ બિલ્ડરોને પોતાની જિંદગીભરની બચત આપી દીધી હતી, જેમણે ચળકતા પૅમ્ફલેટ્સ અને સપના બતાવ્યા હતા, પરંતુ ઘરો ક્યારેય સોંપવામાં આવ્યા નહોતા. પરિવારોએ પોતાના ઘરની અવિરત રાહ જોવાની સાથે ભાડું પણ ચૂકવવું પડતું હતું. તે બહુ ભયાનક પરિસ્થિતિ હતી. આ અટકેલા પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવા માટે, અમે ₹25,000 કરોડનું ખાસ ભંડોળ ઊભું કર્યું. તમને જાણીને આનંદ થશે કે દેશભરમાં લગભગ 60,000 લાંબા સમયથી વિલંબિત ઘરો હવે સોંપી દેવામાં આવ્યા છે.

સાથીઓ,

બીજું પાસું જે રોજિંદા જીવનને અસર કરે છે તે કનેક્ટિવિટી અને પરિવહન છે. આજે જો તમે સોશિયલ મીડિયા પર જુઓ તો દુનિયાભરના પ્રવાસીઓ આપણી મેટ્રો સિસ્ટમ જોઈને દંગ રહી જાય છે.

સાથીઓ,

2014માં, લગભગ 28 લાખ લોકો રોજ મેટ્રોમાં મુસાફરી કરતા હતા. આજે દરરોજ આશરે 1.28 કરોડ લોકો મેટ્રોમાં મુસાફરી કરે છે. હવે વંદે ભારત, નમો ભારત અને અમૃત ભારત જેવી હાઇ-સ્પીડ રેલવે ટ્રેનો દેશને જોડી રહી છે. સારા રસ્તાઓ અને હાઇવેને કારણે માત્ર સમયની બચત જ નથી થતી, પરંતુ વાહનોના મેન્ટેનન્સનો ખર્ચ પણ ઘટ્યો છે. તાજેતરના વર્ષોમાં એરપોર્ટની સંખ્યા બમણી થઈ ગઈ છે. આનાથી ઘણા નાના શહેરોના મધ્યમ વર્ગને પહેલીવાર વિમાનમાં ઉડવાની તક મળી છે.

સાથીઓ,

છેલ્લા 12 વર્ષમાં ભારતે મધ્યમ વર્ગની માત્ર કમાણી જ નથી વધારી પરંતુ તેમની બચત પણ વધારી છે. 2013-14 માં, લગભગ ₹2 લાખ સુધીની આવક કરપાત્ર હતી, અને મધ્યમ વર્ગ તે બોજો ઉઠાવતો હતો. આજે ₹12 લાખ સુધીની આવક કરમુક્ત છે. બીજા શબ્દોમાં કહીએ તો, કરમુક્ત આવકમાં અગાઉની સરખામણીએ અનેક ગણો વધારો થયો છે.

સાથીઓ,

GST સુધારા પણ મધ્યમ વર્ગ માટે મોટી સુવિધા લાવ્યા છે. ટેક્સ ભરવાનું સરળ બન્યું છે, જેનાથી સમય અને નાણાં બંનેની બચત થાય છે. ઇન્કમ ટેક્સ રિટર્ન હવે ઘરેથી ફાઇલ કરી શકાય છે, અને સેટલમેન્ટની સમસ્યાઓ પણ ફેસલેસ રીતે હેન્ડલ કરવામાં આવે છે.

સાથીઓ,

મધ્યમ વર્ગના પરિવારો માટે એક મોટો ખર્ચ ડાયાબિટીસ અને અન્ય જીવનશૈલી સંબંધિત બિમારીઓની સારવારનો છે. જન ઔષધિ કેન્દ્રો પર આવી દવાઓ 80 ટકા ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે. જો પહેલા તમે ₹1,000 ખર્ચતા હતા, તો આજે તમે માત્ર ₹200 ખર્ચો છો, એટલે કે ₹800 ની બચત થાય છે. વર્ષો જતાં, આનાથી અસંખ્ય પરિવારોને લગભગ ₹40,000 કરોડની બચત થઈ છે. મધ્યમ વર્ગના બજેટનો બીજો એક મોટો હિસ્સો વૃદ્ધોની સ્વાસ્થ્ય સંભાળ પાછળ જાય છે. આજે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક નાગરિકને વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ ₹5 લાખ સુધીની મફત સારવાર મેળવવાનો અધિકાર છે.

સાથીઓ,

જ્યારે સુવિધાઓ નિયમિત બની જાય ત્યારે ભૂતકાળની મુશ્કેલીઓને ભૂલી જવી એ માનવ સ્વભાવ છે. અગાઉ તમે ₹2 લાખની આવક પર ટેક્સ ચૂકવતા હતા; હવે ₹12 લાખ સુધી કરમુક્ત છે. તેમ છતાં જ્યારે યાદ અપાવવામાં આવે ત્યારે જ તાળીઓ પડે છે. બીજી તરફ, જો બસ કે ટ્રેન મોડી પડે, તો ફરિયાદોનો પૂર આવે છે. આ સૌથી વધુ અવાજ ઉઠાવતો વર્ગ છે.

સાથીઓ,

મેં કહ્યું તેમ, લોકો જૂની મુશ્કેલીઓ ભૂલી જાય છે. ડ્રાઇવિંગ લાયસન્સ કે પાસપોર્ટ મેળવવામાં ક્યારેક કેટલી મુશ્કેલીઓ પડતી હતી તે કદાચ તમને યાદ પણ નહીં હોય. અગાઉ તે એક સંઘર્ષ હતો. આજે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું સરળ છે, અને પાસપોર્ટ સામાન્ય રીતે ત્રણ દિવસમાં ઇશ્યૂ થઈ જાય છે.

સાથીઓ, હું જાણું છું કે અમારી સરકાર જે રીતે કામ કરે છે તેનાથી લોકોની આકાંક્ષાઓ વધી છે. એકવાર માંગ પૂરી થઈ જાય પછી લોકો તરત જ કંઈક વધુ સારું, અપગ્રેડ ઈચ્છે છે. જો પહેલા નવા રસ્તાની માંગ હતી, તો એકવાર તે બની ગયા પછી આગામી પ્રશ્ન એ હોય છે કે: મેટ્રો ક્યારે આવશે? અગાઉ અપેક્ષાઓ એવી હતી કે ટ્રેનો સમયસર આવે અને સ્વચ્છ બેઠકો પૂરી પાડે. આજે માંગ એ છે કે: વંદે ભારત અમારા રૂટ પર કેમ નથી ચાલી રહી?

સાથીઓ, કેટલાક આને અસંતોષ તરીકે જુએ છે, પરંતુ આ આકાંક્ષા છે. હકીકતમાં, કોંગ્રેસ પક્ષ પણ સતત કહે છે કે, "મોદીજી, આ થવું જોઈએ, પેલું થવું જોઈએ." તેઓ ભરોસો રાખે છે કે જો કોઈ આ કરી શકે તેમ છે, તો તે આ જ સરકાર છે.

સાથીઓ,

આકાંક્ષાઓ ત્યાં જ જન્મે છે જ્યાં લોકોને ખાતરી હોય કે સપના પૂરા થઈ શકે છે. આ ભારતના યુવાનો, ગરીબો અને મધ્યમ વર્ગની આકાંક્ષા છે. આજે તે ભાજપ-એનડીએ સરકારોની ચાલક ઊર્જા છે.

સાથીઓ,

એક તરફ દેશનો મોટો હિસ્સો આકાંક્ષી છે. બીજી તરફ, એક એવું રાજકીય જૂથ છે જેનો જીવનમંત્ર "હંમેશા વિરોધબની ગયો છે. આ જૂથ કાયમી અસંતોષથી ભરેલું છે. હું કેટલાક લક્ષણો શેર કરું જેથી રિપબ્લિક ટીવીના દર્શકો તેમને ઓળખી શકે. તેઓ કહેશે, "આ જગ્યાએ 24 કલાક વીજળી કેમ નથી?" પરંતુ બીજા જ દિવસે, તેઓ ડેમ, સોલાર પાર્ક, થર્મલ પ્લાન્ટ અથવા ન્યુક્લિયર પ્રોજેક્ટ્સનો વિરોધ કરવા પ્રદર્શન કરશે. એક દિવસ તેઓ પૂછે છે કે વીજળી કેમ નથી, બીજા દિવસે તેઓ વીજ ઉત્પાદનનો વિરોધ કરે છે. આ એ જ લોકો છે જેમણે ક્યારેક ખનિજ ખનનનો વિરોધ કર્યો હતો, પરંતુ આજે પૂછે છે કે ભારતની રેર અર્થ મિનરલ અનામત અને સપ્લાય ચેઈન ક્યાં છે, અને ભારત પાસે અન્ય દેશોની જેમ ઇવી ઇકોસિસ્ટમ કેમ નથી. તેઓએ ક્યારેક "ડેટા વર્સિસ લોટ" (ડેટા કે લોટ) ની ચર્ચા કરી હતી, પરંતુ હવે પૂછવા માંગે છે કે ભારતે એઆઈમાં શું કર્યું છે. એક શ્વાસે તેઓ કહે છે કે AI વધુ આગળ વધવું જોઈતું હતું, અને બીજા જ શ્વાસે તેઓ ડેટા સેન્ટર્સ અને સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સનો વિરોધ કરે છે, સોશિયલ મીડિયા, ટીવી ડિબેટ્સ અને અખબારોમાં અનંત ખામીઓની યાદી આપે છે.

સાથીઓ,

આ લોકો ભારતને કઠેડામાં ઊભું કરવા માટે દુનિયાભરમાંથી ભ્રષ્ટાચારના સૂચકાંકો લાવે છે. તેમની ઇકોસિસ્ટમનું મીડિયા તેને 24/7 એમ્પ્લીફાય કરે છે. પરંતુ જ્યારે ભ્રષ્ટાચાર સામે પગલાં લેવામાં આવે છે, ત્યારે તેઓ સૌથી પહેલા બૂમો પાડે છે અને દાવો કરે છે કે દરોડા અને તપાસ એ હેરાનગતિ છે. તેઓ પ્રશ્ન કરે છે કે અત્યારે જ કેમ કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે કેમ નહોતી કરાઈ, A સામે કેમ અને B સામે કેમ નહીં. આ તેમની રમત છે.

સાથીઓ,

દેશ માટે તેમના ચરિત્રને સમજવું બહુ જરૂરી છે. ખાસ કરીને આપણા યુવાનોએ અને તેમાં પણ ખાસ કરીને Gen Zએ તેમને ઝડપથી ઓળખવા જોઈએ. નહિંતર, જેમ હું કહું છું, "સૂર્યવંશી આવી ગયા છે," અને તેઓ ઝડપથી સમજાવે છે.

સાથીઓ,

આ લોકો દાવો કરે છે કે સશસ્ત્ર દળો પાસે સ્વતંત્રતા અને હથિયારો નથી. પરંતુ જ્યારે સરકાર કોઈ સંરક્ષણ સોદો કરે છે અથવા આધુનિક હથિયારો ખરીદે છે, ત્યારે તેઓ સૌથી પહેલા પ્રશ્નો ઉઠાવે છે. તેઓ વિશ્વભરમાં ભારતની મુત્સદ્દીગીરીને પડકારે છે, પરંતુ જ્યારે ભારત ડિપ્લોમસી અને સુરક્ષા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ બનાવે છે, ત્યારે તેઓ જોરશોરથી વિરોધ કરે છે.

સાથીઓ,

આ નિર્ણાયક તબક્કે, ભારતે આવા લોકોને ઓળખવા જોઈએ, તેમની ખામીયુક્ત દલીલોને સમજવી જોઈએ અને સતર્ક રહેવું જોઈએ. કમનસીબે, આજે મુખ્ય વિપક્ષી પક્ષ, કોંગ્રેસ, આવા તત્વોના કબજામાં આવી ગઈ છે. ગાંધીજીના સમયમાં કોંગ્રેસ રાષ્ટ્ર પ્રથમની વાત કરતી હોય તેવી કલ્પના કરવી હવે એક ખોટા સ્વપ્ન સમાન છે.

સાથીઓ,

આજે વિશ્વ જૂની પ્રણાલીઓને પડકારી રહ્યું છે અને વિક્ષેપનો સ્કેલ ઘણો મોટો છે. પરંતુ આ પડકારો નવી તકો પણ લાવે છે. ભારતના દરેક યુવાન, ઉદ્યોગસાહસિક, ઇનોવેટર અને સ્ટાર્ટઅપે આ તકો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સરકાર 'નેશન ફર્સ્ટ' ની ભાવના સાથે જનતાની સાથે મક્કમતાથી ઉભી છે. ભારત હવે સુધારા એક્સપ્રેસ પર સવાર છે. આ ગતિ માત્ર વેગ પકડશે. આ રિપબ્લિક ટીવીના પ્લેટફોર્મ પરથી હું ફરીથી કહું છું: આપણા સપના વિશાળ છે અને આપણા પ્રયત્નો પણ એટલા જ ભવ્ય હશે. 140 કરોડ ભારતીયોના સામૂહિક પ્રયાસોથી વિકસિત ભારતનું નિર્માણ થશે. અને હું તમને ખાતરી આપું છું કે તમે આ વિકસિત ભારતને પોતાની આંખોથી જોશો. ભવિષ્યની પેઢીઓએ તેના માટે રાહ જોવી નહીં પડે. આ જ વિશ્વાસ સાથે, હું ફરી એકવાર રિપબ્લિક ટીવી, તેના દર્શકો અને આપ સૌને મારી શુભેચ્છાઓ પાઠવું છું. ખૂબ ખૂબ ધન્યવાદ!

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2276908) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Telugu , Kannada