રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ
azadi ka amrit mahotsav

એનએચઆરસી (NHRC), ઇન્ડિયા દ્વારા ‘શહેરી વિસ્તારોમાં હીટ વેવ અને તેનું શમન’ વિષય પર પર્યાવરણ અને આબોહવા કોર ગ્રુપની બેઠકનું આયોજન કરવામાં આવ્યું


​​​​​​​અધ્યક્ષ, જસ્ટિસ વી. રામસુબ્રમણિયને હાલની કુદરતી જીવસૃષ્ટિના મજબૂત સંરક્ષણ, જળાશયોની આસપાસના બાંધકામના કડક નિયમન અને ટકાઉ શહેરી વિકાસ પર કેન્દ્રિત અમલ કરી શકાય તેવી ભલામણોની જરૂરિયાત પર ભાર મૂક્યો

સભ્ય, જસ્ટિસ (ડૉ.) બિદ્યુત રંજન સારંગીએ પ્રકૃતિના સંરક્ષણ માટે સામૂહિક પ્રક્રિયાની વિનંતી કરતા, પર્યાવરણીય સંરક્ષણ સાથે શહેરી વિકાસને સંતુલિત કરવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો

મહામંત્રી, શ્રી ભરત લાલે હીટ વેવની અસરને ઓછી કરવાના પ્રયાસો છતાં દેશભરમાં તેના કારણે થતા મૃત્યુની વધતી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી

વિવિધ સૂચનો પૈકી, એકીકૃત, વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત રિપોર્ટિંગ અને ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા હીટ વેવ મૃત્યુદર અને બિમારીની દેખરેખમાં સુધારો કરવા પર પ્રકાશ પાડવામાં આવ્યો

प्रविष्टि तिथि: 04 JUN 2026 12:13PM by PIB Ahmedabad

નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (NHRC), ઇન્ડિયાએ માનવ અધિકાર ભવન, નવી દિલ્હી ખાતે હાઇબ્રિડ મોડમાં શહેરી વિસ્તારોમાં હીટ વેવ અને તેનું શમનથીમ પર પર્યાવરણ અને આબોહવા પરના તેના કોર ગ્રુપની બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકે વિવિધ હિસ્સેદારોમાં ઘણો રસ જગાડ્યો અને ખૂબ જ અર્થપૂર્ણ ભાગીદારી જોવા મળી. અધ્યક્ષ, જસ્ટિસ વી. રામસુબ્રમણિયને બેઠકની અધ્યક્ષતા કરતી વખતે જણાવ્યું હતું કે આ કટોકટીની અસરોથી માનવ જીવનને બચાવવા માટેના શમનના પ્રયાસોની કોઈ દૃશ્યમાન અસરો વિના છેલ્લા કેટલાક સમયથી શિયાળામાં પ્રદૂષણ અને ઉનાળામાં હીટ વેવ પર વાર્ષિક વાર્તાલાપ પુનરાવર્તિત થઈ રહ્યો છે. એનએચઆરસી (NHRC) ના સભ્યો, જસ્ટિસ (ડૉ.) બિદ્યુત રંજન સારંગી, શ્રીમતી વિજયા ભારતી સાયની; મહામંત્રી, શ્રી ભરત લાલ; ડીજી (I), શ્રીમતી અનુપમા નિલેકર ચંદ્રા; સંયુક્ત સચિવ, શ્રીમતી સાઇદિંગપુઇ છાકછુઆક; કોર ગ્રુપના સભ્યો, વિશેષ અહેવાલકર્તાઓએ (રેપોર્ટર્સ), વિશેષ મોનિટર્સ, ભારત સરકારના વરિષ્ઠ પદાધિકારીઓ અને વિવિધ અર્ધ-સરકારી (પેરાસ્ટેટલ) સંસ્થાઓ; અમદાવાદ અને ઇન્દોરના મ્યુનિસિપલ કમિશનરો, અગ્રણી ક્ષેત્રના નિષ્ણાતો અને નાગરિક સમાજ સંસ્થાઓના સભ્યો બેઠકમાં હાજર હતા.

જસ્ટિસ રામસુબ્રમણિયને જણાવ્યું હતું કે પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ પછી માનવ અધિકારોના વિકાસમાં શરૂઆતમાં નાગરિક, રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક અધિકારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જ્યારે પર્યાવરણીય અધિકારો મોટાભાગે ઉપેક્ષિત રહ્યા હતા. જો કે માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણા (UDHR) ને 1948માં અપનાવવામાં આવી હતી, તેમ છતાં પર્યાવરણીય અધોગતિ અને મોટી ઇકોલોજીકલ આપત્તિઓ અંગે વધતી જતી જાગૃતિને પગલે 1970ની આસપાસ પર્યાવરણીય અધિકારો પર ગંભીર સંવાદ શરૂ થયો હતો.

 

તેમણે જણાવ્યું હતું કે ઔદ્યોગિક ક્રાંતિએ આબોહવા પરિવર્તન અને તેના પરિણામે આવતા હીટ વેવમાં એટલો મોટો ફાળો આપ્યો છે કે આપણા જીવન પર તેની ખરેખર અસર થયા પછી આપણે તેનો અહેસાસ કરવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે જો તમે ગાંધીવાદી અર્થતંત્ર વિશે વાંચો, તો તેમણે ક્યારેય સમગ્ર દેશના ઔદ્યોગિકીકરણની કલ્પના કરી ન હતી. તેઓ વિચારતા હતા કે દરેક ગામ આત્મનિર્ભર હોવું જોઈએ, પરંતુ તેનાથી વિપરીત થયું, પરિણામે ગામડાઓમાંથી શહેરી વિસ્તારોમાં સ્થળાંતર થયું. તેમણે જણાવ્યું હતું કે રહેવા લાયક ન હોય તેવી ગ્રામીણ પરિસ્થિતિઓ અને શહેરોમાં કોંક્રિટના જંગલોના વિકાસથી તાપમાનમાં વધારો અને હીટ વેવ સંબંધિત પડકારોમાં વધુ ફાળો મળ્યો છે. દાયકાઓથી પર્યાવરણને થયેલું નુકસાન ઉલટાવી શકાતું નથી અને ધ્યાન તેની અસર ઘટાડવા પર હોવું જોઈએ. આપણા માટે ઘડિયાળના કાંટા પાછળ ફેરવવાનું શક્ય નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જળાશયો અને જંગલોનો વિનાશ એ વધતા જતા હીટ સ્ટ્રેસનું મુખ્ય કારણ છે, અને હાલની કુદરતી જીવસૃષ્ટિનું મજબૂત સંરક્ષણ, જળાશયોની આસપાસના બાંધકામનું કડક નિયમન અને ટકાઉ શહેરી વિકાસ પર કેન્દ્રિત અમલ કરી શકાય તેવી ભલામણોની હિમાયત કરી હતી.

એનએચઆરસી (NHRC) ના સભ્ય, જસ્ટિસ (ડૉ.) બિદ્યુત રંજન સારંગીએ જણાવ્યું હતું કે પર્યાવરણીય સંરક્ષણ સાથે શહેરી વિકાસને સંતુલિત કરવાની જરૂરિયાત છે, અને પ્રકૃતિના સંરક્ષણ, હરિયાળા વિસ્તારોના વિસ્તરણ અને ભાવી પેઢીઓ માટે સંસાધનોને સુરક્ષિત રાખવા માટે સામૂહિક પ્રક્રિયાની વિનંતી કરી હતી.

આ અગાઉ, એનએચઆરસી (NHRC)ના મહામંત્રી શ્રી ભરત લાલે તેમની પ્રારંભિક ટિપ્પણીમાં, પર્યાવરણ અને આબોહવા પરના કોર ગ્રુપની બેઠક બોલાવવાના પૃષ્ઠભૂમિ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે પર્યાવરણીય અધોગતિ અને આબોહવા પરિવર્તન સાથે જોડાયેલા વધતા જતા માનવ અધિકારોની ચિંતા તરીકે હીટ વેવ્સને રેખાંકિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તેની અસર બાંધકામ કામદારો, બહાર કામ કરતા મજૂરો, ગીગ કામદારો, વૃદ્ધો, સગર્ભા સ્ત્રીઓ અને જેઓ પાસે પૂરતો આવાસ કે ઠંડકની સુવિધાઓ સુધી પહોંચ નથી તેવા સંવેદનશીલ જૂથો પર વધુ થાય છે. તેમણે જણાવ્યું હતું કે શહેરી વિસ્તારોમાં હીટ વેવ્સ એક વધુને વધુ ગંભીર પડકાર બની રહ્યા છે અને તાજેતરના વર્ષોમાં દેશભરમાં ગરમી સંબંધિત મૃત્યુની વધતી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

જીવન, આરોગ્ય અને સ્વચ્છ પર્યાવરણના અધિકારો એ સહજ માનવ અધિકારો છે તેના પર ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે એનએચઆરસી (NHRC) રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સક્રિય પગલાં લેવા વિનંતી કરી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે કેટલાક રાજ્યો અને મ્યુનિસિપલ કોર્પોરેશનોએ અતિશય ગરમીની અસરને ઓછી કરવા માટે પહેલ કરી છે. જો કે, આ હોવા છતાં, એનસીઆરબી (NCRB) ના ડેટા અનુસાર હીટ વેવના કારણે થતા મૃત્યુની સંખ્યા સતત વધી રહી છે.

તેમણે બેઠકના ત્રણ વિષયવાર સત્રોનું વિહંગાવલોકન પણ આપ્યું હતું જેમાં અ.) હીટ વેવ્સને સમજવું અને માનવ અધિકારો પર તેની અસર; .) ગવર્નન્સ ફ્રેમવર્ક અને શહેરી વિસ્તારોમાં હીટ વેવ્સ સામે શહેર-સ્તરનો પ્રતિભાવ; અને ક.) શહેરી વિસ્તારોમાં સ્થિતિસ્થાપક અને સર્વસમાવેશી કૂલિંગ (ઠંડક) માટે અધિકાર-આધારિત માર્ગોનો સમાવેશ થાય છે. તેમણે સહભાગીઓને હીટવેવ્સને હળવી કરવા અને ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોના જીવન અને તેમની આજીવિકા બચાવવા માટે ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાના પગલાં સૂચવવા વિનંતી કરી હતી.

પ્રો. (નિવૃત્ત) એન. એચ. રવીન્દ્રનાથ, સેન્ટર ફોર સસ્ટેનેબલ ટેકનોલોજી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ, બેંગલુરુએ વોર્ડ-સ્તરની આગાહી, AI-સંચાલિત સંવેદનશીલતા મેપિંગ, મજબૂત હીટ એક્શન પ્લાન, સમર્પિત હીટ ઓફિસર્સ અને સંવેદનશીલ કામદારો માટે સંરક્ષણની સાથે સાથે ભેજ, વનસ્પતિ અને જમીનની સપાટીના પરિબળોને સમાવતી વ્યાપક હીટ વેવ વ્યાખ્યાની હાકલ કરી હતી. આઇએમડી (IMD) ના ડીજી, ડૉ. અખિલ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે જૂન મહિનામાં કેટલાક રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ હીટ વેવના દિવસો અપેક્ષિત છે અને આઇએમડી (IMD) ની બહુસ્તરીય આગાહી અને ચેતવણી પ્રણાલીની રૂપરેખા આપી હતી અને શેરી વિક્રેતાઓ અને ગીગ કામદારો જેવા સંવેદનશીલ જૂથોને સીધી હીટ એલર્ટ અને એડવાઇઝરી પહોંચાડવાના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો.

એનડીએમએ (NDMA) ના સલાહકાર (પોલિસી એન્ડ પ્લાન અને CBT) શ્રી એસ. રાકેશ કુમારે જણાવ્યું હતું કે હીટ વેવ માટે સંવેદનશીલ તમામ 23 રાજ્યોમાં હવે હીટ એક્શન પ્લાન છે અને તેમણે મજબૂત જિલ્લા અને શહેર-સ્તરના આયોજન, અમલીકરણ પદ્ધતિના સંસ્થાકીયકરણ, ઉન્નત વહેલી ચેતવણી પ્રણાલીઓ, મજબૂત રિપોર્ટિંગ પદ્ધતિઓ અને હીટ વેવ શમન માટે સમર્પિત ભંડોળની હિમાયત કરી હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના પબ્લિક હેલ્થના સંયુક્ત સચિવ શ્રીમતી જી. એસ. ચિત્રાએ જણાવ્યું હતું કે મંત્રાલય એડવાઇઝરી અને ક્લાઇમેટ-હેલ્થ પ્રોગ્રામ્સ દ્વારા આરોગ્ય ક્ષેત્રની સજ્જતાને મજબૂત કરી રહ્યું છે, સાથે જ આબોહવા પરિવર્તન અને હીટ વેવ્સની વધતી જતી આરોગ્ય અસરોને પહોંચી વળવા માટે સંકલિત પ્રક્રિયાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના એડિશનલ ડાયરેક્ટર ડૉ.આકાશ શ્રીવાસ્તવે ચેતવણી આપી હતી કે 2035 સુધીમાં ગરમી સંબંધિત આરોગ્યના જોખમો નોંધપાત્ર રીતે વધવાની ધારણા છે અને મૃત્યુઆંક ઘટાડવા માટે વિસ્તૃત હીટ હેલ્થ એક્શન પ્લાન્સ, મજબૂત સર્વેલન્સ સિસ્ટમ્સ, વધુ આરોગ્યસંભાળ ક્ષમતા, તબીબી કર્મચારીઓની વ્યાપક તાલીમ અને હોસ્પિટલની સુધારેલી સજ્જતાની હાકલ કરી હતી. મોહુઆ (MoHUA) ના સલાહકાર શ્રી વી. કે. ચૌરસિયાએ કૂલિંગ એક્શન પ્લાન, જળાશયોના પુનર્જીવન, શહેરી હરિયાળી, ઠંડી છતો (Cool Roofs), ટકાઉ પરિવહન અને આબોહવા-સ્થિતિસ્થાપક શહેરી માળખાકીય સુવિધાઓ દ્વારા આ હેતુ સિદ્ધ કરવાની ભલામણ કરી..

સીએસઈ (CSE) ના સસ્ટેનેબલ બિલ્ડિગ એન્ડ હેબિટેટ પ્રોગ્રામના પ્રોગ્રામ ડાયરેક્ટર શ્રી રજનીશ સરીને શહેરી ગરમી ઘટાડવા અને આબોહવા સ્થિતિસ્થાપકતા સુધારવા માટે કામદાર-કેન્દ્રિત હીટ સેફ્ટી પ્રોટોકોલ, વિસ્તૃત શહેર-સ્તરની તાપમાન વેધશાળાઓ, વિતરિત ગ્રીન અને બ્લુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રદર્શન-આધારિત ધોરણોની હાકલ કરી હતી. નેશનલ રેઇનફેડ એરિયા ઓથોરિટીના એડિશનલ સેક્રેટરી ડૉ. અનિલ કુમાર મિશ્રાએ તીવ્ર ગરમીના સંપર્કથી બચવા માટે કામના કલાકોમાં ફેરફાર કરવા, શહેરી હરિયાળી જગ્યાઓને ઠંડી રાખવા માટે ટ્રીટેડ વેસ્ટવોટર ના ઉપયોગનો વિસ્તાર કરવા, વરસાદી પાણીના સંગ્રહ અને ભૂગર્ભ જળ રિચાર્જને વધારવા અને શહેરોમાં ગરમી ઘટાડતી વનસ્પતિના આવરણને વધારવાનું સૂચન કર્યું હતું.

ક્લાઇમેટ ટ્રેન્ડ્સના સ્થાપક-નિર્દેશક ડૉ. આરતી ખોસલાએ હીટ એક્શન પ્લાનની સંવેદનશીલતા-આધારિત અગ્રતા, સસ્તા અને માળખાકીય કૂલિંગ સોલ્યુશન્સને પ્રોત્સાહન આપવા, ગીગ અને અનૌપચારિક કામદારોને ગરમી સંબંધિત અસરોથી બચાવવા, ગરમી સંબંધિત આરોગ્ય અસરો પર બહેતર ડેટા પારદર્શિતા અને વધતા જતા આબોહવા અને ગરમીને લગતા જોખમોને પહોંચી વળવા માટે મજબૂત ક્રોસ-સેક્ટર સંકલન અને જાહેર જાગૃતિની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. રીઝનલ લેબર ઇન્સ્ટિટ્યુટ, ફરીદાબાદના ડાયરેક્ટર (સેફ્ટી) અને HOO શ્રી વિમલ મીનાએ કામદારોના કલ્યાણ માટે ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન્સ કોડ અને સોશિયલ સિક્યુરિટી કોડ હેઠળની જોગવાઈઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કરાર આધારિત અને અસંગઠિત કામદારો માટે સમાન કાર્યસ્થળ સંરક્ષણ પર ભાર મૂક્યો હતો અને હીટ સ્ટ્રેસ અને હીટસ્ટ્રોકના પ્રારંભિક લક્ષણો અને અટકાવવા વિશે વધુ જાગૃતિ લાવવાની હાકલ કરી હતી.

સીઈઈડબલ્યુ (CEEW) ના રિસર્ચ એનાલિસ્ટ સુશ્રી પ્રેરણા ઓઝાએ જોખમ-આધારિત મેપિંગ, સજ્જતા આયોજન, સંવેદનશીલ વોર્ડ માટે લક્ષિત હસ્તક્ષેપ, દેખરેખ અને મૂલ્યાંકન માળખાં, લિંગ-સંવેદનશીલ અભિગમો, સ્થાનિક વાસ્તવિકતાઓ પર આધારિત ગતિશીલ અપડેટ્સ અને હીટ રેઝિલિઅન્સ સુધારવા માટે હાલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના રેટ્રોફિટિંગ દ્વારા હીટ એક્શન પ્લાન વિકસાવવા પરના તેમના કાર્ય પર પ્રકાશ પાડ્યો હતો. પર્યાવરણવિદ્ શ્રી સુંદરમ વર્માએ વન-નાબૂદીના મુદ્દા પર ધ્યાન દોર્યું અને વનીકરણના પ્રયાસો વધારવા હાકલ કરી. ઇન્દોરના મ્યુનિસિપલ કમિશનર શ્રી ક્ષિતિજ સિંઘલે શહેરી સ્થાનિક સંસ્થાઓ દ્વારા સામનો કરવામાં આવતા પડકારોની રૂપરેખા આપી હતી, જેમાં ઝડપી શહેરીકરણ, નાણાકીય અને માનવબળની મર્યાદાઓ અને સ્પર્ધાત્મક નાગરિક પ્રાથમિકતાઓનો સમાવેશ થાય છે, જ્યારે સંવેદનશીલ આવાસ વિસ્તારોમાં સોલાર-રિફ્લેક્ટિવ રૂફ કોટિંગ્સ જેવા ઓછા ખર્ચે પગલાં દ્વારા હીટ રેઝિલિઅન્સ સુધારવા માટેના ઇન્દોરના પ્રયાસો અંગે માહિતગાર કર્યા હતા.

આઈસીએફઆરઈ (ICFRE), દેહરાદૂનના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડૉ. એચ. એસ. ગીનવાલે જણાવ્યું હતું કે ગરમી ઘટાડવા માટે શહેરી ગ્રીન કવર વધારવાની અને રિફ્લેક્ટિવ રૂફટોપ પગલાંનો ઉપયોગ કરવાની જરૂરિયાત છે. તેમણે વહેલી ચેતવણી પ્રણાલીને મજબૂત કરવા પણ વિનંતી કરી. ગ્લોબલ ફાઉન્ડેશન ફોર એડવાન્સમેન્ટ ઓફ એન્વાયર્નમેન્ટ એન્ડ હ્યુમન વેલનેસના વિશિષ્ટ સલાહકાર શ્રી નિરંજન દેવ ભારદ્વાજે વોર્ડ-સ્તરના હીટ-રિસ્ક મેપિંગ, હાઇપરલોકલ હીટ ઇન્ટેલિજન્સ, ડિજિટલ એલર્ટ સિસ્ટમ્સ, બહાર કામ કરતા કામદારોના સંરક્ષણ, શહેરી આયોજનમાં હીટ રેઝિલિઅન્સના સંકલન અને હીટ વેવ્સ માટે સમર્પિત નાણાકીય અને સંસ્થાકીય સજ્જતા દ્વારા રિએક્ટિવ (પ્રતિક્રિયાત્મક) માંથી પ્રિડિક્ટિવ (આગાહીયુક્ત) હીટ ગવર્નન્સ તરફ સ્થાનાંતરિત થવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો.

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર શ્રી બંચ્છાનિધિ પાનીએ અમદાવાદના અગ્રણી હીટ એક્શન પ્લાન પર પ્રકાશ પાડ્યો હતો, જેમાં વહેલી ચેતવણી પ્રણાલીઓ, શહેરી હરિયાળી, કૂલ રૂફ, છાયાવાળી જાહેર જગ્યાઓ, માઇક્રો-લેવલ હીટ-રિસ્ક મેપિંગ, કામદાર સંરક્ષણ પગલાં, જાહેર જાગૃતિ ઝુંબેશ અને આબોહવા-સ્થિતિસ્થાપક શહેરી આયોજન દ્વારા ગરમી સંબંધિત મૃત્યુ ઘટાડવામાં તેની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. એડવાન્સ્ડ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન, ચેન્નાઇના એડજંક્ટ પ્રોફેસર ડૉ. પ્રોમોદ કાંતે રિફ્લેક્ટિવ રૂફ અને પેઇન્ટ્સ જેવા સસ્તા સ્પેસ-કૂલિંગ પગલાં, તાત્કાલિક ઠંડકના લાભો માટે મોટા છોડના પ્રત્યારોપણ (ટ્રાન્સપ્લાન્ટેશન) અને શાળાઓ અને જાહેર જગ્યાઓની આસપાસ છાયાના આવરણને વિસ્તારવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. એનઆઈડીએમ (NIDM) ના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. પ્રેરણા જોશીએ બહાર કામ કરતા કામદારો માટે હીટ-પ્રોટેક્શન પગલાંના કાનૂની અમલીકરણ, ઓછી આવક ધરાવતા જૂથો માટે પેસિવ અને ઉર્જા-કાર્યક્ષમ (એનર્જી-એફિશિયન્ટ) કૂલિંગ સોલ્યુશન્સને પ્રોત્સાહન આપવા, હીટ વેવ એલર્ટ્સની વ્યાપક સુલભતા અને વિકેન્દ્રિત ગ્રીન સ્પેસ અને માઇક્રો-ફોરેસ્ટ્સ દ્વારા શહેરી ગ્રીન કવરના ધોરણોના અસરકારક અમલીકરણની હાકલ કરી હતી.

ધ શિલોંગ ટાઇમ્સના તંત્રી શ્રીમતી પેટ્રિશિયા મુખીમે ભારપૂર્વક જણાવ્યું હતું કે પર્યાવરણીય કાયદાઓનો નબળો અમલ, નદીઓ, વેટલેન્ડ્સ અને જંગલોનું અધોગતિ અને કુદરતી જીવસૃષ્ટિ પર અતિક્રમણ એ ઉત્તર-પૂર્વમાં આબોહવાની સંવેદનશીલતાના મુખ્ય ચાલકો છે, અને જળાશયો, ગ્રીન સ્પેસ અને ફોરેસ્ટ કવરના મજબૂત સંરક્ષણની હાકલ કરી હતી. વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાના વૈજ્ઞાનિક શ્રી ગૌતમ તાલુકદારે હીટ એસેસમેન્ટમાં જમીનની સપાટીના તાપમાનને સામેલ કરવા, મોટા પ્રતિષ્ઠાનોમાંથી ગરમીના ઉત્સર્જનની દેખરેખ રાખવા, શહેરી બ્લુ-ગ્રીન સ્પેસને ટ્રેક કરવા માટે સિટી બાયોડાયવર્સિટી ઇન્ડેક્સનો ઉપયોગ કરવા અને મેલાડેપ્ટિવ (ખોટા અનુકૂલનશીલ) પગલાં ટાળવાની હિમાયત કરી હતી.

સીએસઆઈઆર-નીરી (CSIR-NEERI) ના સાયન્ટિસ્ટ-E ડૉ. શાલિની ધ્યાની, ડૉ. શાલિની ધ્યાનીએ શહેરી ગ્રીન સ્પેસના અસમાન વિતરણને સંબોધવા, ઇકોલોજીકલ કોરિડોર અને વેટલેન્ડ બફર્સને પુનઃસ્થાપિત કરવા, ઇકોસિસ્ટમ-આધારિત શહેરી આયોજન અપનાવવા, સુલભ જાહેર ગ્રીન સ્પેસનો વિસ્તાર કરવા અને સંવેદનશીલ કામદારો માટે હીટ-સેન્સિટિવ કામના સમયપત્રક રજૂ કરવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો. એમઓએફસીસી (MoEFCC) ના જોઈન્ટ ડાયરેક્ટર (વાઈલ્ડલાઈફ) શ્રી સુનિલ શર્માએ પણ હીટ સ્ટ્રેસ ઘટાડવા માટે અસમપ્રમાણ (સ્ટેગર્ડ) વર્ક શિફ્ટ, બહેતર શહેરી જીવન પરિસ્થિતિઓ, શહેરી ઉદ્યાનોમાં વધુ રોકાણ અને પર્યાવરણીય અને આયોજનના પગલાંના કડક અમલીકરણના સૂચનને સમર્થન આપ્યું હતું. પર્યાવરણ અને આબોહવા પરિવર્તન માટેના એનએચઆરસી (NHRC) ના વિશેષ મોનિટર શ્રી વી. બી. કુમારે બિલ્ડિંગ અને શહેરી આયોજનના ધોરણોના પાલનનું ઓડિટ કરવા, ફરજિયાત અને પ્રોત્સાહન-આધારિત પગલાં દ્વારા ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવા, વિવિધ હીટ-સંબંધિત પ્લાન્સને એક જ મોનિટરિંગ પ્લેટફોર્મ પર સંકલિત કરવા અને હીટ વેવ ઇન્ડેક્સ વિકસાવવા હાકલ કરી હતી.

ચર્ચામાંથી બહાર આવેલા મુખ્ય સૂચનો નીચે મુજબ હતા:

  • સ્થાનિક આગાહી, વહેલી ચેતવણી પ્રણાલીઓ અને સંયુક્ત હીટ વલ્નરેબિલિટી ઇન્ડેક્સ દ્વારા સમર્થિત, GIS, રિમોટ સેન્સિંગ, AI, જમીનની સપાટીનું તાપમાન અને સામાજિક સંવેદનશીલતા સૂચકોનો ઉપયોગ કરીને વોર્ડ-સ્તરના હીટ વલ્નરેબિલિટી (સંવેદનશીલતા) અને રેઝિલિઅન્સ (સ્થિતિસ્થાપકતા) મેપ્સ વિકસાવવા;
  • સમર્પિત હીટ ઓફિસર્સ, સંકલિત ગવર્નન્સ ડેશબોર્ડ્સ, નિયમિત દેખરેખ અને આંતર-વિભાગીય સંકલન દ્વારા તમામ રાજ્યો, જિલ્લાઓ અને શહેરોમાં હીટ એક્શન પ્લાન્સ અને તેમના અમલીકરણને સંસ્થાકીય બનાવવું;
  • એકીકૃત, વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત રિપોર્ટિંગ અને ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા હીટ વેવ મૃત્યુદર અને બિમારીની દેખરેખમાં સુધારો કરવો;
  • વ્યવસાયિક હીટ-સેફ્ટી ધોરણો, સામાજિક સુરક્ષા પગલાં, સામુદાયિક કૂલિંગ સેન્ટર્સ, સુલભ જાહેર ગ્રીન સ્પેસ અને સ્થળાંતર કરનારાઓ, ગીગ કામદારો, મહિલાઓ, બાળકો, વૃદ્ધો અને વિકલાંગ વ્યક્તિઓ માટે લક્ષિત હસ્તક્ષેપ દ્વારા સંવેદનશીલ વસ્તીનું રક્ષણ કરવું;
  • વિશિષ્ટ હીટસ્ટ્રોક મેનેજમેન્ટ યુનિટ્સ, તાલીમબદ્ધ હેલ્થકેર કર્મચારીઓ, કટોકટીના કૂલિંગ સાધનો, એમ્બ્યુલન્સ અને મેડિકલ તથા પબ્લિક હેલ્થ અભ્યાસક્રમોમાં હીટ-હેલ્થ શિક્ષણના સંકલન દ્વારા હીટ-હેલ્થ સજ્જતાને મજબૂત કરવી;
  • પેસિવ કૂલિંગ, કૂલ રૂફ, રિફ્લેક્ટિવ મટિરિયલ્સ, હાલની ઇમારતોનું રેટ્રોફિટિંગ, વેન્ટિલેશન કોરિડોર અને આબોહવા-પ્રતિભાવશીલ બિલ્ડિંગ ધોરણો સહિત હીટ-સ્થિતિસ્થાપક અને આબોહવા-સંવેદનશીલ શહેરી ડિઝાઇનને ફરજિયાત બનાવવી;
  • શહેરી ગ્રીન કવર, દેશી વૃક્ષોનું વાવેતર, શહેરી જંગલો, ગ્રીન કોરિડોર, વેટલેન્ડ બફર્સ વધારીને અને નદીઓ, તળાવો, વેટલેન્ડ્સ અને અન્ય બ્લુ-ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પુનઃસ્થાપિત કરીને પ્રકૃતિ-આધારિત ઉકેલોનો વિસ્તાર કરવો;
  • વરસાદી પાણીના સંગ્રહ, ભૂગર્ભ જળ રિચાર્જ, વેસ્ટવોટરના પુનઃઉપયોગ અને શહેરી જળાશયો અને કેચમેન્ટ વિસ્તારોના સંરક્ષણ દ્વારા ટકાઉ જળ વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવું;
  • વેસ્ટ હીટ ઉત્સર્જનનું નિયમન કરવું, ઇમારતો અને રહેણાંક સંકુલો માટે હીટ-રેઝિલિઅન્સ રેટિંગ્સ દાખલ કરવા અને સામયિક પાલન ઓડિટ દ્વારા પર્યાવરણીય, બિલ્ડિંગ અને શહેરી આયોજન નિયમોના અમલીકરણને મજબૂત બનાવવું;
  • ડિજિટલી બાકાત વસ્તી માટે વૉઇસ-આધારિત એલર્ટ્સ સહિત બહુભાષી, સુલભ અને સમુદાય-આધારિત આઉટરીચ દ્વારા જાહેર જાગૃતિ અને જોખમ સંચારને મજબૂત બનાવવો; અને
  • સરકારના તમામ સ્તરે સમર્પિત ભંડોળ અને સંસ્થાકીય સહયોગ દ્વારા સમર્થિત, શહેરના માસ્ટર પ્લાન્સ, ડેવલપમેન્ટ પ્લાન્સ, મ્યુનિસિપલ બજેટ અને ક્લાઇમેટ એક્શન વ્યૂહરચનાઓમાં હીટ રેઝિલિઅન્સને મુખ્ય પ્રવાહમાં લાવવું.
  • કમિશન કેન્દ્ર અને રાજ્ય સરકારોને તેની ભલામણોને આખરી ઓપ આપવા માટે આ સૂચનો પર વધુ વિચાર-વિમર્શ કરશે.
     

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2268824) आगंतुक पटल : 25
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil , Kannada