કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય
રાજ્ય મંત્રી (PP) ડૉ. જિતેન્દ્ર સિંહે CPGRAMS AI-સક્ષમ વોઇસ 'ચેટબોટ' ‘સમાધાન દીદી’ લોન્ચ કર્યો; તેને ભારતમાં જાહેર ફરિયાદ નિવારણ વ્યવસ્થાનું લોકશાહીકરણ ગણાવ્યું
ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે, આ સુધારો સરકારના ‘હોલ ઓફ ધ નેશન એપ્રોચ’ (Whole of the Nation Approach) ને દર્શાવે છે; તેમણે રાજ્યો અને અન્ય હિતધારકોને તેમના ફરિયાદ પોર્ટલ પર AI-સંચાલિત, વોઇસ-આસિસ્ટેડ સાધનો અપનાવવા અને સંકલિત કરવા વિનંતી કરી
નાગરિકો હવે પોતાની માતૃભાષામાં માત્ર બોલીને પણ ફરિયાદો નોંધાવી શકશે; સિસ્ટમ આપમેળે યોગ્ય મંત્રાલય અને વિભાગની ઓળખ કરશે
પોસ્ટેડ ઓન:
30 MAY 2026 4:37PM by PIB Ahmedabad
કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી તથા પૃથ્વી વિજ્ઞાન, અને PMO, પરમાણુ ઊર્જા વિભાગ, અંતરિક્ષ વિભાગ અને પર્સનલ, પબ્લિક ગ્રીવન્સિસ એન્ડ પેન્શન રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આજે કર્તવ્ય ભવન, નવી દિલ્હી ખાતે ભાષિની (Bhashini) ના સહયોગથી વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગ (DARPG) દ્વારા વિકસાવવામાં આવેલ CPGRAMS AI-સક્ષમ વોઇસ "ચેટબોટ" “સમાધાન દીદી” લોન્ચ કર્યો છે.

આ પ્રસંગે મુખ્ય પ્રવચન આપતાં ડૉ. જિતેન્દ્ર સિંહે CPGRAMS AI-સક્ષમ વોઇસ ચેટબોટના પરિવર્તનને દેશમાં “જાહેર ફરિયાદ વ્યવસ્થાનું લોકશાહીકરણ” ગણાવ્યું હતું, જે નાગરિકો માટે જાહેર સેવાઓનો ઉપયોગ કરવાની સરળતા (“Ease of Using”) ને વધારવા માટે સરકારની અડગ પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે નોંધ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શાસન સુધારાના કેન્દ્રમાં નાગરિક-કેન્દ્રીય અભિગમ રહ્યો છે.
જાહેર વહીવટમાં ટેક્નોલોજીની પરિવર્તનકારી ભૂમિકા પર ભાર મૂકતા મંત્રીએ નોંધ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ફરિયાદ નિવારણના લોકશાહીકરણને આગળ ધપાવી રહ્યું છે — જે તેને વધુ સુલભ, પ્રતિભાવશીલ અને કાર્યક્ષમ બનાવે છે — અને AI-સક્ષમ સાધનો નાગરિકોની ભાગીદારીને મજબૂત કરી રહ્યા છે તથા ફરિયાદ નિવારણની ગુણવત્તા અને ગતિમાં સુધારો કરી રહ્યા છે.

આ પગલાં સરકારના 'હોલ ઓફ ધ નેશન' અભિગમની સાક્ષી છે તેમ જણાવતાં મંત્રીએ રાજ્યો અને અન્ય હિતધારકોને વિનંતી કરી હતી કે તેઓ 'સમાધાન દીદી' જેવા AI-સંચાલિત, વોઇસ-આસિસ્ટેડ સાધનોને તેમના પોતાના રાજ્ય સ્તરના ફરિયાદ પોર્ટલમાં અપનાવે અને સંકલિત કરે જેથી છેવાડાના માણસ સુધી પહોંચી શકાય.
મોદી સરકારના છેલ્લા 12 વર્ષમાં દેશમાં જાહેર ફરિયાદ નિવારણ પ્રણાલીમાં આવેલા વ્યાપક પરિવર્તન (પેરાડાઈમ શિફ્ટ) પર પ્રકાશ પાડતા ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે જ્યારે 2014 માં સરકારે કાર્યભાર સંભાળ્યો ત્યારે ફરિયાદ નિવારણ પ્રણાલીમાં જાહેર ભાગીદારી મર્યાદિત હતી, જેમાં વાર્ષિક માત્ર 2 લાખ જેટલી ફરિયાદો નોંધાતી હતી, જો કે, CPGRAMS સુધારાઓ હાથ ધરવામાં આવ્યા પછી, સિસ્ટમ દ્વારા પ્રાપ્ત થતી ફરિયાદોની સંખ્યા હવે અનેકગણી વધીને દર વર્ષે 25 લાખથી વધુ થઈ ગઈ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ બદલાવ સરકારના પ્રતિભાવશીલ અને નાગરિક-કેન્દ્રીય અભિગમમાં વધી રહેલા જાહેર વિશ્વાસને દર્શાવે છે, જ્યારે ફરિયાદ નિકાલનો દર હવે 95% ને વટાવી ગયો છે.

મંત્રીએ અવલોકન કર્યું કે આ ચેટબોટ એવા શાસન પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે જે છેલ્લા નાગરિક સુધી પહોંચે છે. તેમણે જણાવ્યું કે હતું ભારતની ભાષાકીય વિવિધતા સુલભતામાં અવરોધ બનવાને બદલે સક્ષમ બનાવનારી હોવી જોઈએ — જે એક આત્મનિર્ભર, તકનીકી રીતે સાર્વભૌમ ભારતની ભાવનાને મૂર્ત કરે છે જેમાં દરેક નાગરિકનો અવાજ તેમના પોતાના શબ્દોમાં અને તેમની પોતાની ભાષામાં સાંભળવામાં આવે છે.
મંત્રીએ વધુમાં માહિતી આપી હતી કે CPGRAMS પ્લેટફોર્મ પર ભાષાકીય સુલભતા વિસ્તારવાના પ્રયાસો ચાલુ છે. બંધારણની આઠમી અનુસૂચિની 22 ભાષાઓ જે પહેલેથી જ ઉપલબ્ધ છે તે ઉપરાંત, ભોજપુરી, ગારો, ખાસી, મિઝો અને બોધી જેવી પ્રાદેશિક અને સ્વદેશી ભાષાઓને તબક્કાવાર રીતે સામેલ કરવામાં આવી રહી છે, જે વિવિધ ભાષાકીય પૃષ્ઠભૂમિ ધરાવતા નાગરિકો માટે વધુ સર્વસમાવેશીતા સુનિશ્ચિત કરે છે.

ડૉ. જિતેન્દ્ર સિંહે વધુમાં ઉમેર્યું હતું કે CPGRAMS નાગરિક-કેન્દ્રીય શાસન માટે વૈશ્વિક રોલ મોડેલ તરીકે ઉભરી આવ્યું છે, જે દર્શાવે છે કે કેવી રીતે ટેક્નોલોજી-સક્ષમ શાસન નાગરિકો અને સરકાર વચ્ચેના વિશ્વાસને મજબૂત કરવાની સાથે પારદર્શિતા, જવાબદારી અને પ્રતિભાવશીલતા વધારી શકે છે.
આ ચેટબોટ જાહેર ફરિયાદ નિવારણને સરળ, વધુ સુલભ અને સાચા અર્થમાં બહુભાષી બનાવવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. નાગરિક હવે પોતાની ભાષામાં માત્ર બોલીને, સાદા શબ્દોમાં ચિંતાનું વર્ણન કરીને ફરિયાદ નોંધાવી શકે છે — તેમાં તે કયા મંત્રાલય, વિભાગ, કેટેગરી કે સબ-કેટેગરીની છે તે જાણવાની જરૂર નથી. ચેટબોટ તે ચિંતાને સમજે છે, થોડા સુસંગત સ્પષ્ટતા કરતા પ્રશ્નો પૂછે છે, આપમેળે યોગ્ય મંત્રાલય, વિભાગ, કેટેગરી અને સબ-કેટેગરીની ઓળખ કરે છે અને યોગ્ય સત્તાધિકારી પાસે ફરિયાદ દાખલ કરે છે.
આ સિસ્ટમ CPGRAMS ડેટા પર પ્રશિક્ષિત ફરિયાદ-વર્ગીકરણ મોડલ્સ સાથે ભાષિની (Bhashini) ની ભાષા ક્ષમતાઓને એકીકૃત કરે છે, જે ભારતીય ભાષાઓમાં એક સીમલેસ (સરળ) અનુભવ સક્ષમ બનાવે છે. તેને સુરક્ષિત સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર વિકસાવવામાં આવ્યું છે, જે ડેટાની ગોપનીયતા સુનિશ્ચિત કરે છે.
લોન્ચિંગ ઇવેન્ટમાં, ચેટબોટનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને વિવિધ ભારતીય ભાષાઓમાં તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે DARPG ના સચિવ નિવેદિતા શુક્લા વર્મા; DARPG ના અધિક સચિવ પુનીત યાદવ; DARPG ના વરિષ્ઠ અધિકારીઓ અને ભાષિનીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
SM/JD
(રીલીઝ આઈડી: 2266996)
મુલાકાતી સંખ્યા : 19