PIB Headquarters
વિકસિત ભારત- G RAM G બિલ 2025
“વિકસિત ભારત માટે મનરેગા (MGNREGA)માં સુધારા”
प्रविष्टि तिथि:
18 DEC 2025 11:59AM by PIB Ahmedabad
મુખ્ય મુદ્દાઓ
· વિકસિત ભારત- G RAM G બિલ, 2025 એ મનરેગા (MGNREGA)ના સ્થાને વિકસિત ભારત 2047 સાથે સુસંગત નવું વૈધાનિક માળખું લાવે છે.
· ગ્રામીણ પરિવારો માટે રોજગારની ગેરંટી વધારીને 125 દિવસ કરવામાં આવી છે, જે આવકની સુરક્ષાને મજબૂત બનાવે છે.
· વેતન રોજગારીને 4 અગ્રતા ધરાવતા ક્ષેત્રોમાં ટકાઉ ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડે છે.
· વિકસિત ગ્રામ પંચાયત યોજનાઓ દ્વારા વિકેન્દ્રિત આયોજનને મજબૂત બનાવે છે અને 'વિકસિત ભારત નેશનલ રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેક' દ્વારા રાષ્ટ્રીય સ્તરે સંકલિત કરે છે.
· નોર્મેટિવ ફંડિંગ અને કેન્દ્ર પુરસ્કૃત માળખા તરફનો બદલાવ અનુમાનિતતા, જવાબદારી અને કેન્દ્ર-રાજ્ય ભાગીદારીમાં સુધારો કરે છે.
પરિચય
ગ્રામીણ રોજગાર લગભગ બે દાયકાથી ભારતના સામાજિક સુરક્ષા માળખાનો પાયાનો પથ્થર રહ્યો છે. 2005 માં તેના અમલીકરણ પછી, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (MGNREGA) એ વેતન રોજગારી પૂરી પાડવામાં, ગ્રામીણ આવકને સ્થિર કરવામાં અને પાયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જોકે, સમય જતાં ગ્રામીણ ભારતની રચના અને ઉદ્દેશ્યો નોંધપાત્ર રીતે બદલાયા છે. વધતી આવક, વિસ્તૃત કનેક્ટિવિટી, વ્યાપક ડિજિટલ પહોંચ અને વિવિધલક્ષી આજીવિકાએ ગ્રામીણ રોજગારની જરૂરિયાતોનું સ્વરૂપ બદલી નાખ્યું છે.
આ પૃષ્ઠભૂમિમાં, સરકારે વિકસિત ભારત- ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) બિલ, 2025 પ્રસ્તાવિત કર્યું છે, જેને વિકસિત ભારત- G RAM G બિલ, 2025 તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બિલ મનરેગાના વ્યાપક વૈધાનિક સુધારાનું પ્રતિનિધિત્વ કરે છે, જે ગ્રામીણ રોજગારને વિકસિત ભારત 2047 ના લાંબા ગાળાના વિઝન સાથે જોડે છે, જ્યારે જવાબદારી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિણામો અને આવકની સુરક્ષાને મજબૂત બનાવે છે.

ભારતમાં ગ્રામીણ રોજગાર અને વિકાસ નીતિની પૃષ્ઠભૂમિ
સ્વતંત્રતા પછી, ભારતની ગ્રામીણ વિકાસ નીતિઓએ ગરીબી ઘટાડવા, કૃષિ ઉત્પાદકતામાં સુધારો કરવા અને ગ્રામીણ મજૂરો માટે રોજગાર સર્જન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વેતન રોજગાર કાર્યક્રમો ધીમે ધીમે ગ્રામીણ આજીવિકાને ટેકો આપવા માટેના મુખ્ય સાધનો તરીકે વિકસ્યા છે.
ભારતની વેતન રોજગાર પહેલ અનેક તબક્કાઓમાંથી પસાર થઈ છે, જેની શરૂઆત 1960 ના દાયકાના ગ્રામીણ માનવબળ કાર્યક્રમ અને 1971 ની ગ્રામીણ રોજગાર માટેની ક્રેશ સ્કીમથી થઈ હતી. ત્યારબાદ 1980 અને 1990 ના દાયકામાં રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર કાર્યક્રમ અને ગ્રામીણ ભૂમિહીન રોજગાર ગેરંટી કાર્યક્રમ જેવા વધુ માળખાગત પ્રયાસો થયા, જે પાછળથી 1993 માં જવાહર રોજગાર યોજનામાં ભળી ગયા અને 1999 માં સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજનામાં એકીકૃત થયા. મહારાષ્ટ્ર રોજગાર ગેરંટી અધિનિયમ, 1977 દ્વારા કામના કાનૂની અધિકારનો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ તમામ અનુભવોના પરિણામે 2005 માં મનરેગા (MGNREGA) અમલમાં આવ્યું.
મનરેગાની ઉત્ક્રાંતિ અને સુધારાની મર્યાદાઓ
મનરેગા એ અકુશળ શારીરિક કામ કરવા ઈચ્છતા ગ્રામીણ પરિવારોને વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસની ગેરંટીવાળી વેતન રોજગારી પૂરી પાડવા માટેનો ફ્લેગશિપ પ્રોગ્રામ હતો. વર્ષોથી, વહીવટી અને તકનીકી સુધારાઓએ તેના અમલીકરણને મજબૂત બનાવ્યું છે. નાણાકીય વર્ષ 2013-14 થી 2025-26 વચ્ચે મહિલાઓની ભાગીદારી 48 ટકાથી વધીને 58.15 ટકા થઈ છે. આધાર સીડિંગ અને આધાર-આધારિત પેમેન્ટ સિસ્ટમ વ્યાપકપણે અપનાવવામાં આવી છે.
જોકે, આ લાભોની સાથે કેટલીક માળખાગત સમસ્યાઓ પણ ચાલુ રહી હતી. ઘણા રાજ્યોમાં ગ્રાઉન્ડ લેવલ પર કામ ન મળવું, ખર્ચ અને ભૌતિક પ્રગતિ વચ્ચે અસમાનતા, શ્રમ-સઘન કામોમાં મશીનોનો ઉપયોગ અને ડિજિટલ હાજરી સિસ્ટમની અવગણના જેવી ખામીઓ જોવા મળી હતી. આ વલણો સૂચવે છે કે મનરેગાનું માળખું તેની મર્યાદાએ પહોંચી ગયું હતું.
વિકસિત ભારત- G RAM G બિલ આ અનુભવોના આધારે વ્યાપક કાયદાકીય ફેરફાર કરે છે. તે વહીવટી ખર્ચની ટોચમર્યાદા 6 ટકાથી વધારીને 9 ટકા કરીને અમલીકરણ માળખાને મજબૂત બનાવે છે, જે સ્ટાફિંગ, તાલીમ અને તકનીકી ક્ષમતા માટે વધુ ટેકો પૂરો પાડે છે.
નવા વૈધાનિક માળખા માટેનો તર્ક
સુધારાની જરૂરિયાત વ્યાપક સામાજિક-આર્થિક ફેરફારોમાં રહેલી છે. મનરેગા 2005 માં બનાવવામાં આવ્યું હતું, પરંતુ ગ્રામીણ ભારત હવે બદલાઈ ગયું છે. ગરીબીનું સ્તર 2011-12 માં 27.1 ટકાથી ઘટીને 2022-23 માં 5.3 ટકા થયું છે. ગ્રામીણ આજીવિકા હવે વધુ વૈવિધ્યસભર અને ડિજિટલ રીતે સંકલિત બની છે, તેથી મનરેગાની જૂની ડિઝાઇન હવે વર્તમાન ગ્રામીણ વાસ્તવિકતાઓ સાથે પૂર્ણપણે સુસંગત નથી.
વિકસિત ભારત- G RAM G બિલ, 2025 ની મુખ્ય લાક્ષણિકતાઓ

આ બિલ દરેક નાણાકીય વર્ષમાં ગ્રામીણ પરિવાર દીઠ 125 દિવસની વેતન રોજગારીની ગેરંટી આપે છે. ખેતીની સિઝન (વાવણી અને લણણી) દરમિયાન ખેતમજૂરોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે કુલ 60 દિવસનો 'નો-વર્ક પિરિયડ' (કામ બંધ રહેવાનો સમયગાળો) રાખવામાં આવ્યો છે. બાકીના 305 દિવસોમાં કામદારોને 125 દિવસની રોજગારી મળતી રહેશે, જેથી ખેડૂતો અને મજૂરો બંનેને ફાયદો થાય. વેતનની ચુકવણી સાપ્તાહિક ધોરણે અથવા વધુમાં વધુ પંદર દિવસમાં કરવાની રહેશે. રોજગાર સર્જનને ચાર અગ્રતા ધરાવતા ક્ષેત્રો દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ સાથે જોડવામાં આવ્યું છે:
- પાણી સંબંધિત કામો દ્વારા જળ સુરક્ષા
- મુખ્ય ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર
- આજીવિકા સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર
- અતિશય હવામાનની ઘટનાઓને ઘટાડવા માટેના વિશેષ કામો

તમામ નિર્મિત અસ્કયામતોને 'વિકસિત ભારત નેશનલ રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેક' માં એકીકૃત કરવામાં આવશે. આયોજન 'વિકસિત ગ્રામ પંચાયત યોજનાઓ' દ્વારા વિકેન્દ્રિત કરવામાં આવ્યું છે, જે સ્થાનિક રીતે તૈયાર કરવામાં આવશે અને પીએમ ગતિ શક્તિ જેવી રાષ્ટ્રીય પ્રણાલીઓ સાથે જોડવામાં આવશે.
મનરેગા વિરુદ્ધ વિકસિત ભારત- G RAM G બિલ, 2025
નવું બિલ રોજગાર, પારદર્શિતા, આયોજન અને જવાબદારીમાં વધારો કરીને મનરેગાની માળખાગત નબળાઈઓને દૂર કરે છે.

નાણાકીય માળખું
સેન્ટ્રલ સેક્ટર સ્કીમમાંથી કેન્દ્ર પુરસ્કૃત માળખા (centrally sponsored framework) તરફનો બદલાવ ગ્રામીણ રોજગારની સ્થાનિક પ્રકૃતિને પ્રતિબિંબિત કરે છે. નવા માળખા હેઠળ, રાજ્યો ખર્ચ અને જવાબદારી બંને વહેંચશે, જે અસરકારક અમલીકરણ માટે પ્રોત્સાહન પૂરું પાડશે અને દુરુપયોગ અટકાવશે.

વેતન, સામગ્રી અને વહીવટી ઘટકો પર અંદાજિત વાર્ષિક ભંડોળની જરૂરિયાત ₹1,51,282 કરોડ છે, જેમાં રાજ્યના હિસ્સાનો સમાવેશ થાય છે. આમાંથી કેન્દ્રનો અંદાજિત હિસ્સો ₹95,692.31 કરોડ છે. ભંડોળનું માળખું રાજ્યની ક્ષમતા મુજબ નક્કી કરવામાં આવ્યું છે, જેમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે 60:40 નો પ્રમાણભૂત ખર્ચ-શેરિંગ રેશિયો છે. ઉત્તર પૂર્વીય અને હિમાલયના રાજ્યો માટે 90:10 નો રેશિયો અને વિધાનસભા વિનાના કેન્દ્રશાસિત પ્રદેશો માટે 100 ટકા કેન્દ્રીય ભંડોળ રહેશે.

વિકસિત ભારત- G RAM G બિલના ફાયદા

આ બિલ રોજગાર સર્જનને ઉત્પાદક અસ્કયામતોના નિર્માણ સાથે જોડીને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવે છે. પાણી સંબંધિત કામોને અગ્રતા આપવાથી કૃષિ અને ભૂગર્ભ જળ રિચાર્જને ટેકો મળશે. રસ્તાઓ અને કનેક્ટિવિટીમાં રોકાણથી બજાર સુધીની પહોંચ સુધરશે. 125 દિવસની રોજગારીની ગેરંટીથી પરિવારોની કમાણી વધશે અને આજીવિકા માટે થતું સ્થળાંતર ઘટશે.

ખેડૂતોને વાવણી અને લણણીની પીક સીઝન દરમિયાન મજૂરોની ઉપલબ્ધતાની ખાતરી મળશે. મજૂરોને વધુ કમાણીની સંભાવના, સુરક્ષિત ડિજિટલ વેતન ચુકવણી અને ફરજિયાત બેરોજગારી ભથ્થાનો લાભ મળશે. જો 15 દિવસમાં કામ પૂરું પાડવામાં ન આવે, તો દૈનિક બેરોજગારી ભથ્થું ચૂકવવાપાત્ર બનશે, જેની જવાબદારી રાજ્યોની રહેશે.

અમલીકરણ અને દેખરેખ સત્તાધિકારીઓ
બિલ રાષ્ટ્રીય, રાજ્ય, જિલ્લા, બ્લોક અને ગ્રામીણ સ્તરે સંકલિત અને પારદર્શક અમલીકરણ સુનિશ્ચિત કરવા માટે સંસ્થાકીય માળખું સ્થાપિત કરે છે:
· કેન્દ્રીય અને રાજ્ય ગ્રામીણ રોજગાર ગેરંટી કાઉન્સિલ નીતિ વિષયક માર્ગદર્શન આપશે.
· રાષ્ટ્રીય અને રાજ્ય સ્ટીયરિંગ કમિટીઓ વ્યૂહાત્મક દિશા અને કામગીરીની સમીક્ષા કરશે.
· પંચાયતી રાજ સંસ્થાઓ આયોજન અને અમલીકરણનું નેતૃત્વ કરશે, જેમાં ગ્રામ પંચાયતો ખર્ચની દ્રષ્ટિએ ઓછામાં ઓછા અડધા કામોનો અમલ કરશે.
· ગ્રામ સભાઓ સોશિયલ ઓડિટ કરવામાં અને પારદર્શિતા સુનિશ્ચિત કરવામાં મજબૂત ભૂમિકા ભજવશે.
પારદર્શિતા, જવાબદારી અને સામાજિક સુરક્ષા
આ બિલ કેન્દ્ર સરકારને અમલીકરણમાં ગંભીર ગેરરીતિઓ જણાય તો ભંડોળ અટકાવવાની અને સુધારાત્મક પગલાં લેવાની સત્તા આપે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનનો ઉપયોગ ગેરરીતિઓ ઓળખવા માટે કરવામાં આવશે. રીઅલ-ટાઇમ MIS ડેશબોર્ડ અને સાપ્તાહિક જાહેર ખુલાસાઓ જાહેર જનતા માટે ઉપલબ્ધ રહેશે, જ્યારે દર છ મહિને ઓછામાં ઓછું એકવાર સોશિયલ ઓડિટ કરવામાં આવશે.

નિષ્કર્ષ
વિકસિત ભારત- ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) બિલ, 2025 એ ભારતની ગ્રામીણ રોજગાર નીતિમાં એક નિર્ણાયક પરિવર્તન છે. નવું બિલ મનરેગાની ખામીઓને દૂર કરીને આધુનિક, જવાબદાર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર-કેન્દ્રિત માળખું પૂરું પાડે છે. ગેરંટીવાળી રોજગારીનો વિસ્તાર કરીને અને તેને રાષ્ટ્રીય વિકાસની અગ્રતાઓ સાથે જોડીને, આ બિલ ગ્રામીણ રોજગારને ટકાઉ વિકાસ માટેના વ્યૂહાત્મક સાધન તરીકે પુનઃસ્થાપિત કરે છે, જે 'વિકસિત ભારત 2047' ના વિઝન સાથે પૂર્ણપણે સુસંગત છે.
સંદર્ભો
Ministry of Rural Development
https://mnregaweb4.nic.in/netnrega/SocialAuditFindings/SAU_FMRecoveryReport.aspx?lflag=eng&fin_year=2024-2025&source=national&labels=labels&rep_type=SoA&Digest=3uRMVt6308BGCW2QZYttXQ
Lok Sabha Bill
https://sansad.in/getFile/BillsTexts/LSBillTexts/Asintroduced/As intro1216202512439PM.pdf?source=legislation
News on Air
https://www.newsonair.gov.in/indias-extreme-poverty-falls-to-5-3-in-2022-2023-says-world-bank/
PIB Press Releases
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?id=155090&NoteId=155090&ModuleId=3®=3&lang=2
Click here to see pdf
SM/NP/GP/JD
(रिलीज़ आईडी: 2206291)
आगंतुक पटल : 28