યુવા બાબતો અને રમત મંત્રાલય
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી. દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના પુણેમાં છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ પર ‘જય શિવાજી જય ભારત’ પદયાત્રા યોજી
છત્રપતિ શિવાજી મહારાજના ભવ્ય વારસાની ઉજવણી માટે 20,000થી વધુ MY Bharat યુવા સ્વયંસેવકો પદયાત્રામાં જોડાયા
છત્રપતિ શિવાજી મહારાજનું જીવન આપણને શીખવે છે કે સાચું નેતૃત્વ નિઃસ્વાર્થ સેવા અને રાષ્ટ્ર માટે અતૂટ સમર્પણ છે: ડૉ. માંડવિયા
છત્રપતિ શિવાજી મહારાજના સન્માન માટે મહારાષ્ટ્રના તમામ 36 જિલ્લાઓમાં એક સાથે પદયાત્રાઓ યોજાઈ
Posted On:
19 FEB 2025 4:00PM by PIB Ahmedabad
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ તથા રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસે આજે મહારાષ્ટ્રના પૂણેમાં છત્રપતિ શિવાજી મહારાજની 395મી જયંતીના ઐતિહાસિક પ્રસંગે ભવ્ય 'જય શિવાજી જય ભારત' પદયાત્રાનું નેતૃત્વ કર્યું હતું. તેમની સાથે 20,000થી વધુ MY Bharat યુથ વોલન્ટિયર્સ જોડાયા હતા, જેમાં છત્રપતિ શિવાજી મહારાજના વારસા પ્રત્યે અપાર ઉત્સાહ અને આદર દર્શાવવામાં આવ્યો હતો.

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી શ્રીમતી રક્ષા ખડસે, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી શ્રી મુરલીધર મોહોલ સહિત કેટલાક રાજ્ય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને એમએલસીએ પણ આ ભવ્ય પદયાત્રામાં ભાગ લીધો હતો, જેનાથી આ દૂરંદેશી મરાઠા નેતાને નોંધપાત્ર શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ યુવાનોને છત્રપતિ શિવાજી મહારાજના વારસામાંથી તાકાત મેળવવા અપીલ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજના સ્વાભિમાન અને સન્માનના સિદ્ધાંતો ભારતના યુવાનોને આત્મનિર્ભર અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણમાં માર્ગદર્શન આપતા રહે છે. ભારતના સમૃદ્ધ વારસા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે, છત્રપતિ શિવાજી મહારાજ જેવા નેતાઓએ દેશનાં મૂલ્યોને આકાર આપ્યો છે અને તેમનાં સાહસ, નેતૃત્વ અને માતૃભૂમિ પ્રત્યેની અતૂટ કટિબદ્ધતાથી પેઢીઓને પ્રેરિત કરી છે. "છત્રપતિ શિવાજી મહારાજનું જીવન આપણને શીખવે છે કે સાચું નેતૃત્વ નિ:સ્વાર્થ સેવા અને રાષ્ટ્ર પ્રત્યેના અવિરત સમર્પણ વિશે છે," તેમણે જણાવ્યું હતું.

ડૉ. માંડવિયાએ છત્રપતિ શિવાજી મહારાજના દીર્ઘદ્રષ્ટા શાસન, તેમના કાર્યક્ષમ વહીવટ અને સમાજના તમામ વર્ગો માટે તેમના ઊંડા આદર વિશે વાત કરી હતી. આ આદર્શોમાંથી પ્રેરણા લઈને તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુશાસન, સમાજ કલ્યાણ અને આર્થિક વિકાસ પર કેન્દ્રિત પ્રગતિશીલ નીતિઓ દ્વારા રાષ્ટ્રને મજબૂત કરવા માટે કામ કરી રહ્યા છે. તેમણે યુવાનોને સશક્ત બનાવવા, નવીનતાને પ્રોત્સાહન આપવા અને રાષ્ટ્રીય ગૌરવ - એવા સિદ્ધાંતો કે જે છત્રપતિ શિવાજી મહારાજના સ્થિતિસ્થાપક અને આત્મનિર્ભર સમાજની કલ્પના સાથે સુસંગત છે - પેદા કરવાની સરકારની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે યુવાનોને છત્રપતિ શિવાજી મહારાજે તેમના સમયની જેમ જવાબદારી લેવા અને ભારતને વિકસિત ભારત બનાવવામાં યોગદાન આપવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે, "યુવાનો માત્ર ભવિષ્ય જ નથી, પરંતુ તેઓ વર્તમાન પરિબળ છે, જે ભારતને મહાનતા તરફ દોરી જશે."

ડૉ. માંડવિયાએ વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતનાં યુવાનોમાં રાષ્ટ્રીય પ્રગતિનું પ્રેરક બળ બનવાની સંભવિતતા છે. તેમણે દ્રઢ નિશ્ચય, પ્રામાણિકતા અને દેશ પ્રત્યેની ફરજની ભાવના જેવા ગુણો અપનાવવા પ્રોત્સાહન આપ્યું હતું. જે રીતે છત્રપતિ શિવાજી મહારાજે એક મજબૂત અને આત્મનિર્ભર રાષ્ટ્રની કલ્પના કરી હતી, તેવી જ રીતે આજના યુવાનોએ પણ નવીનતા, સામાજિક સમરસતા અને સર્વસમાવેશક વિકાસની દિશામાં કામ કરવું જોઈએ. "છત્રપતિ શિવાજી મહારાજના આદર્શોને અનુસરીને, આપણે એક એવા રાષ્ટ્રનું નિર્માણ કરી શકીએ છીએ જે ગૌરવ, સ્થિતિસ્થાપકતા અને એકતા સાથે ઊંચું ઉભું રહે છે," તેમણે પુષ્ટિ કરી.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસે છત્રપતિ શિવાજી મહારાજ પ્રત્યે વિશ્વભરમાં આદરભાવ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, તેમની જન્મજયંતી માત્ર ભારતમાં જ નહીં પરંતુ 20 દેશોમાં પણ ઉજવવામાં આવે છે. તેમણે શાસન, કરવેરા, કલ્યાણકારી નીતિઓ, સંરક્ષણ અને નૌકાદળનાં વ્યવસ્થાપનમાં શિવાજી મહારાજનાં વિઝનરી નેતૃત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે છત્રપતિ શિવાજી મહારાજ સાથે સંકળાયેલા 12 કિલ્લાઓને યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજના દરજ્જા માટે નામાંકિત કરવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોને પણ બિરદાવ્યા હતા અને તેમની આગામી મંજૂરીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે યુવાનોને શિવાજી મહારાજના સિદ્ધાંતોને જાળવવા અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવા હાકલ કરી હતી.

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી શ્રીમતી રક્ષા ખડસેએ પોતાનાં સંબોધનમાં છત્રપતિ શિવાજી મહારાજનાં સ્થાયી વારસાને બહાદુરી, શાણપણ અને ન્યાયનાં દીવાદાંડી સમાન ગણાવ્યાં હતાં. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમનું નેતૃત્વ અને સ્વરાજ્ય પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા રાષ્ટ્રને એકતા અને ન્યાયીપણાને જાળવવા માટે પ્રેરિત કરવાનું ચાલુ રાખે છે. શિવાજી મહારાજના આદર્શો સાથે મહારાષ્ટ્રના ઊંડાં મૂળિયાં ધરાવતાં જોડાણનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, જે રીતે તેમણે યુવાનોને એકત્રિત કરીને ક્રાંતિનું નેતૃત્વ કર્યું હતું, તેવી જ રીતે યુવા પેઢીને એકતાંતણે બાંધીને વિકસિત ભારતનું વિઝન સાકાર કરી શકાય છે. દેશના ભવિષ્યને આકાર આપવા માટે યુવાનોની શક્તિમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની માન્યતાની પુષ્ટિ કરતા, તેમણે દરેકને છત્રપતિ શિવાજી મહારાજના સિદ્ધાંતો દ્વારા સંચાલિત વિકસિત ભારતના નિર્માણ માટે તેમની પ્રતિબદ્ધતાની પ્રતિજ્ઞા લેવા હાકલ કરી હતી.

ભવ્ય 'જય શિવાજી જય ભારત' પદયાત્રાની શરૂઆત કરતા પહેલા, આદરણીય મહેમાનોએ "એક પેડ મા કે નામ" પહેલમાં એક રોપાનું વાવેતર કરીને ભાગ લીધો હતો, જે પર્યાવરણીય ટકાઉપણું અને પ્રકૃતિ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. આ સાર્થક ચેષ્ટાને પગલે, તેઓએ છત્રપતિ શિવાજી મહારાજના વારસાને શ્રદ્ધાંજલિ આપીને ભવ્ય શોભાયાત્રાનું નેતૃત્વ કર્યું હતું.



4 કિ.મી.ના માર્ગને આવરી લેતી આ પદયાત્રા સીઓઇપી કોલેજથી શરૂ થઈ હતી અને ફર્ગ્યુસન કોલેજ ખાતે સમાપન કરતા પહેલા AISSPMS કોલેજ પુણે (છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પર), રાણી લક્ષ્મીબાઈ ચોક અને ગુડલક ચોક ખાતે રોકાઈ હતી.

દરેક તબક્કે, મહારાષ્ટ્રની જીવંત સંસ્કૃતિનું સંપૂર્ણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનો પરંપરાગત નૃત્યો અને ગીતો રજૂ કરતા હતા. મલ્લખંબાની પરંપરાગત રમતનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે રાજ્યના સમૃદ્ધ વારસાને પ્રતિબિંબિત કરે છે. ભવ્યતામાં વધારો કરતા, ઢોલ નગારાના કાર્યક્રમોમાં પદયાત્રાને દરેક સ્ટોપ પર આવકારવામાં આવી હતી, જેણે સમગ્ર પ્રવાસ દરમિયાન પદયાત્રાને ઉત્સાહિત રાખી હતી.


મહારાષ્ટ્રના પૂણેમાં 'જય શિવાજી જય ભારત' પદયાત્રા, બંધારણના 75 વર્ષ પૂર્ણ થવા અને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને વિવિધતાની ઉજવણી માટે દેશભરમાં આયોજિત 24 પદયાત્રાઓની શ્રેણીમાં છઠ્ઠું સ્થાન ધરાવે છે. આ ભવ્ય સમારંભમાં માત્ર પૂણેમાં જ 20,000થી વધારે યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વધુમાં, મહારાષ્ટ્રના તમામ 36 જિલ્લાઓમાં એક સાથે પદયાત્રા યોજવામાં આવી હતી, જેમાં દરેક જિલ્લામાં આશરે 3,000 સહભાગીઓની સક્રિય સહભાગીતા જોવા મળી હતી, જેમાં સામૂહિક રીતે છત્રપતિ શિવાજી મહારાજના કાયમી વારસાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
AP/JY/GP/JD
(Release ID: 2104727)
Visitor Counter : 107