રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

કેબિનેટે ગંગા નદી પર કનેક્ટિવિટી પ્રદાન કરવા, મુસાફરીમાં સરળતા લાવવા, લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા, ઓઇલની આયાત ઘટાડવા અને કાર્બન ડાયોકસાઇડના ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે નવા રેલ-કમ-રોડ પુલ સહિત વારાણસી-પંડિત દીનદયાળ ઉપાધ્યાય મલ્ટિટ્રેકિંગના નિર્માણને મંજૂરી આપી


સૂચિત પ્રોજેક્ટ સંપર્ક વિહોણા વિસ્તારોને જોડીને અને પરિવહન નેટવર્કમાં વધારો કરીને લોજિસ્ટિક કાર્યક્ષમતામાં સુધારો કરશે, જેના પરિણામે સપ્લાય ચેઇન સુવ્યવસ્થિત થશે અને આર્થિક વૃદ્ધિને વેગ મળશે

પ્રોજેક્ટનો કુલ અંદાજિત ખર્ચ રૂ. 2,642 કરોડ (અંદાજે) છે અને તે ચાર વર્ષમાં પૂર્ણ થશે

આ પ્રોજેક્ટ બાંધકામ દરમિયાન આશરે 10 લાખ માનવ-દિવસો માટે સીધી રોજગારીનું સર્જન પણ કરશે

Posted On: 16 OCT 2024 3:21PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે રેલવે મંત્રાલયનાં એક પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે, જેનો કુલ અંદાજિત ખર્ચ આશરે રૂ. 2,642 કરોડ (અંદાજે) છે. પ્રસ્તાવિત મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ કામગીરીને સરળ બનાવશે અને ગીચતામાં ઘટાડો કરશે, જે સમગ્ર ભારતીય રેલવેમાં સૌથી વ્યસ્ત વિભાગોને અત્યંત જરૂરી માળખાગત વિકાસ પ્રદાન કરશે. આ પ્રોજેક્ટ ઉત્તર પ્રદેશના વારાણસી અને ચંદૌલી જિલ્લામાંથી પસાર થાય છે.

વારાણસી રેલવે સ્ટેશન, ભારતીય રેલવેમાં એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે, જે મુખ્ય ઝોનને જોડે છે અને યાત્રાળુઓ, પ્રવાસીઓ અને સ્થાનિક લોકો માટે પ્રવેશદ્વાર તરીકે સેવા આપે છે. વારાણસી-પં. દીન દયાળ ઉપાધ્યાય (ડીડીયુ) જંકશન રૂટ, જે પેસેન્જર અને નૂર ટ્રાફિક બંને માટે મહત્વપૂર્ણ છે, તે કોલસો, સિમેન્ટ અને અનાજ જેવા માલના પરિવહનમાં તેની ભૂમિકાને કારણે તેમજ વધતા જતા પર્યટન અને ઔદ્યોગિક માંગને પહોંચી વળવા માટે ભારે ભીડનો સામનો કરે છે. આ સમસ્યાનું સમાધાન કરવા માટે માળખાગત સુવિધાઓમાં સુધારાની જરૂર છે, જેમાં ગંગા નદી પર નવો રેલ-કમ-રોડ પુલ અને ત્રીજી અને ચોથી રેલવે લાઇનનો ઉમેરો સામેલ છે. આ વૃદ્ધિનો ઉદ્દેશ ક્ષમતા, કાર્યદક્ષતામાં સુધારો કરવાનો અને પ્રદેશના સામાજિક-આર્થિક વિકાસને ટેકો આપવાનો છે. આ પટ્ટામાં ભીડમાં રાહત ઉપરાંત સૂચિત પટ્ટા પર 27.83 એમટીપીએ નૂરની અપેક્ષા છે.

આ પરિયોજના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નવા ભારતનાં વિઝનને અનુરૂપ છે, જે આ ક્ષેત્રનાં લોકોને તેમનાં રોજગાર/સ્વરોજગારીની તકોમાં વધારો કરવા માટે વિસ્તૃત વિકાસનાં માધ્યમથી "કુશળ" બનાવશે.

આ પ્રોજેક્ટ મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી માટે પીએમ-ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાનનું પરિણામ છે, જે સંકલિત આયોજન મારફતે શક્ય બન્યું છે અને લોકો, ચીજવસ્તુઓ અને સેવાઓની અવરજવર માટે અવિરત જોડાણ પ્રદાન કરશે.

ઉત્તર પ્રદેશના 2 જિલ્લાઓને આવરી લેતી આ પરિયોજનાથી ભારતીય રેલવેના વર્તમાન નેટવર્કમાં આશરે 30 કિલોમીટરનો વધારો થશે.

રેલવે પર્યાવરણને અનુકૂળ અને પરિવહનનું ઊર્જાદક્ષ માધ્યમ છે, જે આબોહવાનાં લક્ષ્યાંકો હાંસલ કરવામાં અને દેશનાં પરિવહન ખર્ચને લઘુતમ કરવામાં તથા કાર્બન ડાયોકસાઇડનું ઉત્સર્જન ઓછું કરવા (149 કરોડ કિ.ગ્રા.) એમ બંનેમાં મદદરૂપ થશે, જે 6 કરોડ વૃક્ષોનાં વાવેતરને સમકક્ષ છે.

AP/GP/JD



(Release ID: 2065353) Visitor Counter : 24