પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 30 સપ્ટેમ્બરનાં રોજ 'સંકલ્પ સપ્તાહ' તરીકે ઓળખાતા આકાંક્ષી બ્લોક્સ માટે એક અઠવાડિયા સુધી ચાલનારા અનોખા કાર્યક્રમનો શુભારંભ કરશે


દેશભરના 329 જિલ્લાઓના તમામ 500 આકાંક્ષી બ્લોક્સમાં 'સંકલ્પ સપ્તાહ'ની ઉજવણી કરવામાં આવશે

'સંકલ્પ સપ્તાહ'માં દરેક દિવસ એક વિશિષ્ટ વિકાસ થીમને સમર્પિત છે, જેના પર તમામ આકાંક્ષી બ્લોક્સ કામ કરશે

Posted On: 28 SEP 2023 6:36PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બર, 2023ના રોજ સવારે 10 વાગ્યે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 'સંકલ્પ સપ્તાહ' નામના દેશના આકાંક્ષી બ્લોક્સ માટે એક સપ્તાહ સુધી ચાલનારા અનોખા કાર્યક્રમનો શુભારંભ કરશે.

'સંકલ્પ સપ્તાહ' એ આકાંક્ષી બ્લોક્સ પ્રોગ્રામ (એબીપી)ના અસરકારક અમલીકરણ સાથે જોડાયેલું છે. 7 જાન્યુઆરી, 2023ના રોજ પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. નાગરિકોના જીવનની ગુણવત્તાને વધારવા માટે બ્લોક સ્તરે શાસન સુધારવાનું લક્ષ્ય છે. તેનો અમલ દેશના ૩૨૯ જિલ્લાઓમાં ૫૦૦ આકાંક્ષી બ્લોક્સમાં કરવામાં આવી રહ્યો છે. આકાંક્ષી બ્લોક્સ કાર્યક્રમના અમલીકરણ માટે અને અસરકારક બ્લોક ડેવલપમેન્ટ સ્ટ્રેટેજી તૈયાર કરવા માટે દેશભરમાં ગ્રામ્ય અને બ્લોક સ્તરે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. 'સંકલ્પ સપ્તાહ' એ આ ચિંતન શિબિરની પરાકાષ્ઠા છે.

તમામ ૫૦૦ આકાંક્ષી બ્લોક્સમાં 'સંકલ્પ સપ્તાહ' મનાવવામાં આવશે. 3 ઓક્ટોબરથી 9 ઓક્ટોબર, 2023 સુધી 'સંકલ્પ સપ્તાહ'માં દરેક દિવસ એક વિશિષ્ટ વિકાસ થીમને સમર્પિત છે, જેના પર તમામ આકાંક્ષી બ્લોક્સ કામ કરશે. શરૂઆતના છ દિવસના વિષયોમાં 'સંપૂર્ણ સ્વાસ્થ્ય', 'સુપોષિત પરિવાર', 'સ્વચ્છતા', 'કૃષિ', 'શિક્ષા' અને 'સમૃદ્ધિ દિવસ'નો સમાવેશ થાય છે. અઠવાડિયાનો છેલ્લો દિવસ એટલે કે 9 ઓક્ટોબર, 2023 એ આખા અઠવાડિયા દરમિયાન 'સંકલ્પ સપ્તાહ - સંવાદ સમારંભ' તરીકે હાથ ધરવામાં આવેલા કાર્યની ઉજવણી હશે.

ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભારત મંડપમમાં સમગ્ર દેશમાંથી આશરે 3,000 પંચાયત અને બ્લોક સ્તરના જનપ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ ભાગ લેશે. આ ઉપરાંત બ્લોક અને પંચાયત કક્ષાના કાર્યકરો, ખેડૂતો અને અન્ય ક્ષેત્રના લોકો સહિત આશરે બે લાખ લોકો વર્ચ્યુઅલ રીતે આ કાર્યક્રમમાં જોડાશે.

CB/GP/JD



(Release ID: 1961818) Visitor Counter : 157