સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતનાં આદરણીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ વર્ચ્યુઅલ રીતે આયુષ્માન ભવ અભિયાનની શરૂઆત કરી


આ ઐતિહાસિક શરૂઆત યુનિવર્સલ હેલ્થ કવરેજ (યુએચસી) હાંસલ કરવા અને બધા માટે આરોગ્યસંભાળ સુનિશ્ચિત કરવાની દિશામાં નોંધપાત્ર હરણફાળ છે. તે ખાસ કરીને વંચિત લોકો માટે આરોગ્ય સેવાઓની સુલભતા અને પરવડે તેવી ક્ષમતાને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરે છેઃ માનનીય રાષ્ટ્રપતિ

"ભારતના છેવાડા સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવાના મહત્વાકાંક્ષી લક્ષ્યને હાંસલ કરવા માટે આયુષ્માન ભવન અભિયાન દ્વારા અપનાવવામાં આવેલ બહુ-મંત્રાલય અભિગમ આ પ્રયાસની સફળ સિદ્ધિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે"

"સબકા સાથ સબકા વિકાસ" સાથે આયુષ્માન ભવ હેલ્થકેરનાં ક્ષેત્રમાં એક મોટી પહેલ તરીકે ઉભરી આવશે. આ પહેલ દરેકને સાથે લઈને અને કોઈને પાછળ ન છોડવાના ધ્યેયને અનુરૂપ અમલમાં મૂકવામાં આવી રહી છેઃ ડૉ. માંડવિયા

"આયુષ્માન ભવ: પહેલ સાથે, ભારત આરોગ્ય સંભાળને પરવડે તેવી અને સુલભ બનાવવા માટે એક નવો અધ્યાય લખવા જઈ રહ્યું છે. આયુષ્માન ભવ: હેઠળ, આરોગ્ય મેળાઓ અને તબીબી શિબિરો એક મહત્વપૂર્ણ ઘટક છે જે તમામ એચડબ્લ્યૂસી અને સીએચસી ખાતે અઠવાડિયામાં એક વાર સ્થાપિત કરવામાં આવશે

આયુષ્માન ભવ અભિયાન બધા માટે વધુ સારું સ્વાસ્થ્ય અને બધા માટે સારવાર હાંસલ કરવાનો પ્રયાસ કરે છેઃ ડૉ. માંડવિયા

17 સપ્ટેમ્બરથી 2 ઑક્ટોબર, 2023 સુધી સેવા પખવાડા આવશ્યક આરોગ્ય સેવાઓની પરિપૂર્ણતા સુનિશ્ચિત કરશે

Posted On: 13 SEP 2023 4:22PM by PIB Ahmedabad

માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે રાજભવન ગાંધીનગર ગુજરાતથી દૂરદર્શી 'આયુષ્માન ભવ:' અભિયાન તેમજ આયુષ્માન ભવ પોર્ટલનો વર્ચ્યુઅલ શુભારંભ કર્યો હતો. રાષ્ટ્રપતિની સાથે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યોના રાજ્યપાલો, કેન્દ્રીય મંત્રીઓ, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રીઓ ડૉ. ભારતી પ્રવીણ પવાર અને પ્રો. એસ. પી. સિંહ બઘેલ, ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી શ્રી કનુભાઇ મોહનલાલ દેસાઇ, નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી. કે. પૌલ અને રાજ્યોના આરોગ્ય મંત્રીઓ જોડાયા હતા.

રાષ્ટ્રને સંબોધતા, માનનીય રાષ્ટ્રપતિએ ભારતના છેવાડા સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવાનાં મહત્વાકાંક્ષી લક્ષ્યને હાંસલ કરવા માટે આયુષ્માન ભવ અભિયાન દ્વારા અપનાવવામાં આવેલા બહુ-મંત્રાલય અભિગમની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે આ પ્રયાસની સફળ સિદ્ધિમાં તે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, "આ અભિયાન અને પોર્ટલની આ ઐતિહાસિક શરૂઆત સાર્વત્રિક આરોગ્ય કવરેજ (યુએચસી) હાંસલ કરવા અને બધા માટે આરોગ્યસંભાળ સુનિશ્ચિત કરવાની દિશામાં નોંધપાત્ર હરણફાળ છે કેમ કે તે ખાસ કરીને વંચિત લોકો માટે આરોગ્યસંભાળ સેવાઓની સુલભતા અને પરવડે તેવી ક્ષમતાને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરે છે.”

"અંત્યોદય" જેનો અર્થ થાય છે "બધા માટે સારું સ્વાસ્થ્ય અને કોઈને પાછળ ન છોડો"ની ફિલસૂફી પર ભાર મૂકતા શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આ પ્રયાસમાં સ્થાનિક શાસનની સામેલગીરી અને સમર્થનની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે જે ગ્રામ પંચાયતો તેમનાં લક્ષ્યોને સફળતાપૂર્વક હાંસલ કરશે તેમને આયુષ્માન ગ્રામ પંચાયતો તરીકે જાહેર કરવામાં આવશે. નિયત સમયમાં નિર્ધારિત ટકાઉ વિકાસ લક્ષ્યાંકો હાંસલ કરવા માટે સરકારની ભૂમિકા અને તેની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડતા તેમણે સેવા પખવાડા (17 સપ્ટેમ્બરથી 2 ઑક્ટોબર, 2023 સુધી)ની પહેલની પ્રશંસા કરી હતી, જે દરેક વ્યક્તિને આવશ્યક આરોગ્ય સેવાઓ મળે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે.

માનનીય રાષ્ટ્રપતિએ આયુષ્માન કાર્ડ્સની પહોંચ વધુ સરળ બનાવવા, એબીએચએ આઈડી જનરેટ કરવા અને બિન-ચેપી રોગો, ક્ષય રોગ અને સિકલ સેલ રોગ જેવી મહત્વપૂર્ણ આરોગ્ય યોજનાઓ અને રોગની સ્થિતિઓ વિશે જાગૃતિ લાવવા માટે આયુષ્માન ભવનાં લક્ષ્યોની પ્રશંસા કરી હતી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આયુષ્માન ભવના ત્રણ ઘટકો-આયુષ્માન-આપકે દ્વાર 3.0, આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો (HWC) અને સામુદાયિક આરોગ્ય ક્લિનિક (CHC) ખાતે આયુષ્માન મેળા અને અને દરેક ગામ અને પંચાયતમાં આયુષ્માન સભાઓ દ્વારા આરોગ્ય સેવાઓ પાયાનાં સ્તરે આરોગ્ય સેવાઓની પહોંચમાં નોંધપાત્ર વધારો કરશે, જેનાથી સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ સુનિશ્ચિત થશે. તેમણે દરેક ગામ અને જિલ્લાના ડિજિટલ સમાવેશમાં ભારતે મેળવેલી પ્રશંસા પર પણ પ્રકાશ પાડ્યો હતો, જે આરોગ્ય સુવિધાઓની પહોંચમાં નોંધપાત્ર રીતે મદદ કરે છે.

આ પ્રસંગે બોલતા ડૉ. માંડવિયાએ આરોગ્યસંભાળના પ્રયાસોમાં આદરણીય રાષ્ટ્રપતિનાં સમર્થનની પ્રશંસા કરી હતી. આરોગ્ય સંભાળ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે, ""સબકા સાથ સબકા વિકાસ "સાથે, આયુષ્માન ભવ આરોગ્ય સંભાળનાં ક્ષેત્રમાં એક મોટી પહેલ તરીકે ઉભરી આવશે. આ પહેલ "દરેકને સાથે લઈને અને કોઈને પાછળ ન છોડો"નાં સૂત્રને અનુરૂપ અમલમાં મૂકવામાં આવી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "આયુષ્માન ભવ પહેલ સાથે ભારત આરોગ્ય સંભાળને પરવડે તેવી અને સુલભ બનાવવા માટે એક નવો અધ્યાય લખવા જઈ રહ્યું છે. આયુષ્માન ભવ હેઠળ, આરોગ્ય મેળાઓ અને તબીબી શિબિરો એક મહત્વપૂર્ણ ઘટક છે જે તમામ એચડબ્લ્યૂસી અને સીએચસી ખાતે અઠવાડિયામાં એક વાર સ્થાપિત કરવામાં આવશે. "તેમણે વધુમાં ઉમેર્યું હતું કે", આયુષ્માન ભવ પહેલની શરૂઆત ઉપરાંત, અંગદાન અને રક્તદાન પ્રતિજ્ઞા અભિયાનોનું પણ આયોજન કરવામાં આવશે જે ઉમદા પહેલ છે જે દરેક વ્યક્તિએ લેવી જોઈએ.”

પ્રધાનમંત્રીનાં સ્વસ્થ ભારત અને સ્વસ્થ વિશ્વનાં વિઝનને યાદ કરતા અને તેનું પુનરાવર્તન કરતા ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે, "પ્રધાનમંત્રીએ માનવતાની સેવાને સૌથી વધુ મહત્વ આપ્યું છે અને દેશમાં આરોગ્ય સેવાઓ સુધારવાની તેમની પ્રતિબદ્ધતાથી વધુ સારું પ્રદર્શન બીજું કંઈ હોઈ શકે નહીં. અગાઉ લોકોને સુપર સ્પેશિયાલિટી સેવાઓનો લાભ લેવા માટે લાંબા અંતરની મુસાફરી કરવી પડતી હતી. પ્રધાનમંત્રીનાં નેતૃત્વ હેઠળ, આ સુપર-સ્પેશિયાલિટી સેવાઓ હવે સી. એચ. સી. સ્તરે જ આપવામાં આવશે જેમાં લોકોને બિન-ચેપી રોગો, ટેલિ-પરામર્શ, મફત દવાઓ અને નિદાન વગેરે માટે સ્ક્રીનીંગ દ્વારા લાભ થશે.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, "આજે, લગભગ 1 લાખ નિ-ક્ષય મિત્રો 10 લાખ ટીબી દર્દીઓની સંભાળ લઈ રહ્યા છે, જેમણે આ પહેલ માટે તેમની સંમતિ આપી હતી. આ આપણને 2025 સુધીમાં ટીબીનો અંત લાવવાના માનનીય પ્રધાનમંત્રીનાં લક્ષ્યની નજીક લઈ ગયું છે.

તેમણે આરોગ્ય સેવાઓની નોંધપાત્ર અસરની પ્રશંસા કરતા કહ્યું હતું કે, "છેલ્લાં 9 વર્ષમાં દેશના આરોગ્ય સંભાળ પરિદ્રશ્યમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે, જેની જી-20 શિખર સંમેલનમાં મુલાકાતી મહાનુભાવોએ પણ પ્રશંસા કરી હતી. આજે દેશમાં એક લાખથી વધુ કાર્યરત એબી-એચડબ્લ્યૂસી છે જ્યાં લોકો મફત પ્રાથમિક સંભાળ સુવિધાઓ, નિદાન અને દવાઓનો લાભ લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં, અમે એબી-એચડબ્લ્યૂસીમાં 195 કરોડથી વધુ મુલાકાતીઓનો આંકડો હાંસલ કર્યો છે.”

આ મીટિંગમાં સંસદ સભ્યો, વિધાનસભાના સભ્યો, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. 50 લાખથી વધુ લોકો જોડાયેલા હતા અને લૉન્ચિંગ ઇવેન્ટને ઓનલાઇન નિહાળી હતી.

CB/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1956999) Visitor Counter : 176