સહકાર મંત્રાલય

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ તથા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતિમાં સહકારિતા મંત્રાલય, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય, નાબાર્ડ અને સીએસસી ઇ-ગવર્નન્સ સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ) પર હસ્તાક્ષર થયા



આ એમઓયુ પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (પીએસીએસ)ને કોમન સર્વિસ સેન્ટર્સ (સીએસસી) દ્વારા ઓફર કરવામાં આવતી સેવાઓ પૂરી પાડવા સક્ષમ બનાવશે

કેન્દ્રીય સહકારિતા મંત્રીએ આ એમઓયુને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં "સહકાર સે સમૃદ્ધિ"નાં સ્વપ્નને સાકાર કરવાંની દિશામાં લેવામાં આવેલા ઐતિહાસિક નિર્ણય તરીકે ઓળખાવ્યો હતો

આજે થયેલા કરાર મુજબ, પીએસીએસ હવે કોમન સર્વિસ સેન્ટર તરીકે કામ કરી શકશે, તેની સાથે જ પીએસીએસના 13 કરોડ ખેડૂત સભ્યો સહિત ગ્રામીણ વસ્તીને 300થી વધુ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે

દેશની અડધાથી વધુ વસ્તી એક યા બીજી રીતે સહકારી મંડળીઓ સાથે જોડાયેલી છે, આ કારણોસર પીએસીએસની કોમન સર્વિસ સેન્ટર (સીએસસી) તરીકેની કામગીરી, દેશનાં નાનાંમાં નાનાં ગામડાં સુધી પણ તેની સેવાઓ પૂરી પાડવાની સુવિધા આપશે

પીએસીએસ સહકારી મંડળીઓનો આત્મા છે, લગભગ 20 સેવાઓને જોડીને તેમને બહુહેતુક બનાવવાથી ગ્રામીણ વિસ્તારોમાં રોજગારની તકો વધશે

આ નિર્ણયથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું 'સહકાર સે સમૃદ્ધિ'નું સપનું સાકાર કરવામાં અને સહકારી મંડળીઓને ગ્રામીણ વિકાસની કરોડરજ્જુ બનાવવામાં મદદ મળશે, આ સ

Posted On: 02 FEB 2023 7:04PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં 'સહકાર સે સમૃદ્ધિ'નાં સ્વપ્નને સાકાર કરવાની દિશામાં એક ઐતિહાસિક નિર્ણય લઈને, પ્રાઇમરી એગ્રિકલ્ચરલ ક્રેડિટ સોસાયટીઝ (પીએસીએસ)ને કોમન સર્વિસ સેન્ટર્સ દ્વારા ઓફર કરવામાં આવતી સેવાઓ પ્રદાન કરવા સક્ષમ બનાવવા માટે આજે એક સમજૂતીકરાર (એમઓયુ) પર કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ અને કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવની હાજરીમાં હસ્તાક્ષર થયાં હતાં. નવી દિલ્હીમાં સહકારિતા મંત્રાલય, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય, નાબાર્ડ અને સીએસસી ઇ-ગવર્નન્સ સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ) પર હસ્તાક્ષર થયા હતા. આ પ્રસંગે સહકારિતા રાજ્યમંત્રી શ્રી બી.એલ.વર્મા, સહકારિતા મંત્રાલય અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ, સહકારિતા મંત્રાલય, નાબાર્ડ અને એનસીડીસીના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અને સહકારિતા મંત્રીશ્રીએ પોતાનાં સંબોધનમાં જણાવ્યું હતું કે, પીએસીએસ સહકારી મંડળીઓનો આત્મા છે અને તેમને આશરે 20 સેવાઓ પૂરી પાડનારાઓ તરીકે બહુહેતુક બનાવવાથી ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની તકોમાં વધારો થશે. તેમણે જણાવ્યું હતું કે, ગ્રામીણ અને કૃષિ વિકાસમાં પીએસીએસની ભૂમિકા અને યોગદાન અતિ મહત્ત્વપૂર્ણ છે.

તેમણે આ સમજૂતીને તમામ માટે લાભદાયક સ્થિતિ ગણાવતાં કહ્યું હતું કે, તેનાથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં 'સહકાર સે સમૃદ્ધિ'નાં સ્વપ્નને સાકાર કરવામાં અને સહકારી મંડળીઓને ગ્રામીણ વિકાસની કરોડરજ્જુ બનાવવામાં મદદ મળશે જ, પણ સાથે-સાથે સહકાર અને ખેડૂતો બંનેને પણ મજબૂત કરવામાં મદદ મળશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, તેનાથી કોમન સર્વિસ સેન્ટર (સીએસસી)ની વિભાવનાને દેશનાં સૌથી નાનાં એકમ સુધી સરળતાથી પહોંચાડવામાં મદદ મળશે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, દેશની લગભગ 50 ટકા વસતિ એક યા બીજી રીતે સહકારી મંડળીઓ સાથે સંકળાયેલી છે અને આટલાં મોટાં ક્ષેત્રનાં વિકાસને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અલગ સહકારિતા મંત્રાલયની રચના કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે, સહકારી ક્ષેત્રની સામે પીએસીએસને વ્યવહારિક બનાવવું એ સૌથી મોટી સમસ્યા છે અને અત્યારે પીએસીએસની કામગીરીમાં ઘણાં નવાં આયામો ઉમેરીને નવી શરૂઆત થઈ છે. શ્રી શાહે ઉમેર્યું હતું કે, પેક્સ હવેથી પાણી વિતરણ, સંગ્રહ, બૅન્ક મિત્ર સહિત 20 વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી શકશે. તેમણે જણાવ્યું હતું કે, સૌથી પહેલું અને મુખ્ય કાર્ય સામાન્ય સેવા કેન્દ્રો દ્વારા પ્રદાન કરવામાં આવતી સેવાઓને પીએસીએસ મારફતે ગ્રામીણ વસતિને ઉપલબ્ધ કરાવવાનું છે.

 

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, આ વર્ષનાં બજેટમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સહકારી ક્ષેત્ર માટે ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષનાં અંદાજપત્રમાં આગામી પાંચ વર્ષમાં 2 લાખ પીએસીએસ કરવાની અને દરેક પંચાયતમાં બહુહેતુક પીએસીએસ ઊભી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત સહકારી ક્ષેત્ર માટે બજેટમાં વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજનાનો પાયો પણ નાખવામાં આવ્યો છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, સહકારી ક્ષેત્ર માટે રાષ્ટ્રીય ડેટાબેઝનું નિર્માણ 70 ટકા પૂર્ણ થયું છે. આ ઉપરાંત મૉડલ પેટા કાયદાઓ તૈયાર કરી તમામ હિતધારકો સાથે ચર્ચા કર્યા બાદ તમામ રાજ્યોમાં મોકલી દેવામાં આવ્યા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, આજે થયેલા કરાર મુજબ, પીએસીએસ હવે કોમન સર્વિસ સેન્ટર તરીકે કામ કરી શકશે, આ સાથે જ પીએસીએસના 13 કરોડ ખેડૂત સભ્યો સહિત ગ્રામીણ વસ્તીને 300થી વધુ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેનાથી પીએસીએસની વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં વધારો થશે અને તેમને સ્વનિર્ભર આર્થિક સંસ્થાઓ બનવામાં મદદ મળશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, આ પહેલથી પીએસીએસ નાગરિકોને સીએસસી યોજનાનાં ડિજિટલ સેવા પોર્ટલ પર લિસ્ટેડ તમામ સેવાઓ પ્રદાન કરવા સક્ષમ બનશે, જેમાં બૅન્કિંગ, વીમો, આધાર નોંધણી/અપડેટ, કાયદાકીય સેવાઓ, કૃષિ ઉપકરણો જેવા કૃષિ ઇનપુટ્સ, પેન કાર્ડ, આઇઆરસીટીસી, રેલવે, બસ અને એર ટિકિટ સાથે સંબંધિત સેવાઓ વગેરે સામેલ છે. તેમણે જણાવ્યું હતું કે, પીએસીએસ કમ્પ્યુટરાઇઝેશનની હાલ ચાલી રહેલી કેન્દ્ર પ્રાયોજિત યોજના હેઠળ વિકસાવવામાં આવી રહેલા રાષ્ટ્રીય સોફ્ટવેરનો ઉપયોગ પીએસીએસ માટે સીએસસી તરીકે કામ કરવા માટે પણ થશે, જે મોટી સિદ્ધિ હશે.

YP/GP/JD



(Release ID: 1895887) Visitor Counter : 275