પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 11 ડિસેમ્બરના રોજ મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાત લેશે


પ્રધાનમંત્રી મહારાષ્ટ્રમાં રૂ. 75,000 કરોડનાં મૂલ્યના વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે

પ્રધાનમંત્રી નાગપુર અને શિરડીને જોડતા સમૃદ્ધિ મહામાર્ગના પ્રથમ તબક્કાનું ઉદ્‌ઘાટન કરશે

સમૃદ્ધિ મહામાર્ગ અથવા નાગપુર-મુંબઈ સુપર કોમ્યુનિકેશન એક્સપ્રેસવે, સમગ્ર દેશમાં કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવાનાં પ્રધાનમંત્રીનાં વિઝનને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે

નાગપુરમાં શહેરી અવરજવરમાં ક્રાંતિ લાવવા પ્રધાનમંત્રી નાગપુર મેટ્રોનો પ્રથમ તબક્કો દેશને અર્પણ કરશે અને નાગપુર મેટ્રોના બીજા તબક્કાનો શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી એઈમ્સ નાગપુર દેશને અર્પણ કરશે – જુલાઈ, 2017માં પ્રધાનમંત્રીએ જ તેનો શિલાન્યાસ પણ કર્યો હતો
પ્રધાનમંત્રી નાગપુર અને બિલાસપુરને જોડતી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે

પ્રધાનમંત્રી નાગપુર રેલવે સ્ટેશન અને અજની રેલવે સ્ટેશનના પુનર્વિકાસ માટે શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી નાગપુરમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વન હેલ્થ અને નાગપુરમાં નાગ નદીનાં પ્રદૂષણ નિવારણ પ્રોજેક્ટનું શિલારોપણ કરશે

પ્રધાનમંત્રી 'સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પેટ્રોકે

Posted On: 09 DEC 2022 7:30PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 ડિસેમ્બર, 2022ના રોજ મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાત લેશે.

સવારે લગભગ 9:30 વાગ્યે પ્રધાનમંત્રી નાગપુર રેલવે સ્ટેશન પહોંચશે, જ્યાં તેઓ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે.  પ્રધાનમંત્રી સવારે 10 વાગે ફ્રીડમ પાર્ક મેટ્રો સ્ટેશનથી ખાપરી મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોની સવારી કરશે, જ્યાં તેઓ ‘નાગપુર મેટ્રોનો પ્રથમ તબક્કો’ રાષ્ટ્રને અર્પણ કરશે. કાર્યક્રમ દરમિયાન તેઓ 'નાગપુર મેટ્રો ફેઝ-2'નો શિલાન્યાસ પણ કરશે. પ્રધાનમંત્રી સવારે 10:45 વાગ્યે નાગપુર અને શિરડીને જોડતા સમૃદ્ધિ મહામાર્ગના પ્રથમ તબક્કાનું ઉદ્‌ઘાટન કરશે તથા હાઇવેની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 11:15 વાગ્યે નાગપુરની એઈમ્સ દેશને અર્પણ કરશે.

નાગપુરમાં સવારે 11:30 વાગ્યે આયોજિત એક જાહેર સમારંભમાં પ્રધાનમંત્રી 1500 કરોડથી વધારે મૂલ્યની રેલવે પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે અને દેશને સમર્પિત કરશે. તેઓ નાગપુરમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વન હેલ્થ (એનઆઇઓ) અને નાગપુરમાં નાગ નદીનાં પ્રદૂષણ નિવારણ પ્રોજેક્ટનું શિલારોપણ પણ કરશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી ચંદ્રપુરની સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પેટ્રોકેમિકલ્સ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (સીપેટ) દેશને અર્પણ કરશે તથા 'સેન્ટર ફોર રિસર્ચ, મેનેજમેન્ટ એન્ડ કન્ટ્રોલ ઑફ હિમોગ્લોબિનોપેથીઝ, ચંદ્રપુર'નું ઉદ્‌ઘાટન કરશે.

ગોવામાં પ્રધાનમંત્રી બપોરે 3:15 વાગ્યે 9મી વિશ્વ આયુર્વેદ કૉંગ્રેસનાં સમાપન સમારંભને સંબોધન કરશે. આ કાર્યક્રમ દરમિયાન તેઓ ત્રણ રાષ્ટ્રીય આયુષ સંસ્થાઓનું ઉદ્‌ઘાટન પણ કરશે. પ્રધાનમંત્રી સાંજે 5:15 વાગ્યે ગોવાનાં મોપા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્‌ઘાટન કરશે.

પ્રધાનમંત્રી નાગપુરમાં

સમૃદ્ધિ મહામાર્ગ

પ્રધાનમંત્રી સમૃદ્ધિ મહામાર્ગના પ્રથમ તબક્કાનું ઉદ્‌ઘાટન કરશે, જે 520 કિલોમીટરનું અંતર આવરી લઈને નાગપુર અને શિરડીને જોડશે.

સમૃદ્ધિ મહામાર્ગ અથવા નાગપુર-મુંબઈ સુપર કમ્યુનિકેશન એક્સપ્રેસવે પ્રોજેક્ટ, સમગ્ર દેશમાં કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવાનાં પ્રધાનમંત્રીનાં વિઝનને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આશરે 55,000 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલો 701 કિલોમીટરનો આ એક્સપ્રેસ વે ભારતના સૌથી લાંબા એક્સપ્રેસવેઝમાંનો એક છે, જે મહારાષ્ટ્રના 10 જિલ્લાઓ અને અમરાવતી, ઔરંગાબાદ તેમજ નાસિકના અગ્રણી શહેરી પ્રદેશોમાંથી પસાર થાય છે. આ એક્સપ્રેસવેને પગલે નજીકના 14 અન્ય જિલ્લાઓની કનેક્ટિવિટી સુધારવામાં પણ મદદ મળશે, જેથી વિદર્ભ, મરાઠાવાડા અને ઉત્તર મહારાષ્ટ્રના વિસ્તારો સહિત રાજ્યના આશરે 24 જિલ્લાઓના વિકાસમાં મદદ મળશે.

પીએમ ગતિ શક્તિ હેઠળ માળખાગત કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સનાં સંકલિત આયોજન અને સંકલિત અમલીકરણનાં પ્રધાનમંત્રીનાં વિઝનને સમર્થન આપતો આ સમૃદ્ધિ મહામાર્ગ દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે, જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ અને અજંતા ઇલોરાની ગુફાઓ, શિરડી, વેરુલ, લોનાર વગેરે જેવાં પ્રવાસન સ્થળો સાથે જોડાશે. સમૃદ્ધિ મહામાર્ગ મહારાષ્ટ્રના આર્થિક વિકાસને મોટો વેગ આપવા માટે ગેમ-ચૅન્જર સાબિત થશે.

નાગપુર મેટ્રો

શહેરી પરિવહનમાં ક્રાંતિ લાવનારાં વધુ એક પગલાંમાં પ્રધાનમંત્રી નાગપુર મેટ્રોનો પ્રથમ તબક્કો દેશને સમર્પિત કરશે. તેઓ ખાપરી મેટ્રો સ્ટેશન પર ખાપરીથી ઓટોમોટિવ સ્ક્વેર (ઓરેન્જ લાઇન) અને પ્રજાપતિ નગરથી લોકમાન્ય નગર (એક્વા લાઇન) સુધીની બે મેટ્રો ટ્રેનોને લીલી ઝંડી આપશે. નાગપુર મેટ્રોનો પ્રથમ તબક્કો ૮૬૫૦ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસિત કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નાગપુર મેટ્રો ફેઝ-2નો શિલાન્યાસ પણ કરશે, જેને રૂ. 6700 કરોડથી વધારેના ખર્ચે વિકસાવવામાં આવશે.

એઈમ્સ નાગપુર

સમગ્ર દેશમાં સ્વાસ્થ્ય સાથે સંબંધિત માળખાગત સુવિધાઓને મજબૂત કરવાની પ્રધાનમંત્રીની કટિબદ્ધતાને નાગપુરની એઈમ્સ દેશને સમર્પિત કરીને મજબૂત કરવામાં આવશે. જુલાઈ, 2017માં પ્રધાનમંત્રીએ આ હૉસ્પિટલનો શિલાન્યાસ પણ કર્યો હતો, જેની સ્થાપના કેન્દ્રીય ક્ષેત્રની યોજના પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ થઈ છે.

એઈમ્સ નાગપુરને રૂ. 1575 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવી રહી છે, જે અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી હૉસ્પિટલ છે, જેમાં ઓપીડી, આઇપીડી, નિદાન સેવાઓ, ઓપરેશન થિયેટરો અને મેડિકલ સાયન્સના તમામ મુખ્ય સ્પેશિયાલિટી અને સુપરસ્પેશિયાલિટી વિષયોને આવરી લેતા 38 વિભાગો છે. આ હૉસ્પિટલ મહારાષ્ટ્રનાં વિદર્ભ ક્ષેત્રને આધુનિક આરોગ્ય સંભાળ સુવિધાઓ પ્રદાન કરે છે અને તેની આસપાસના ગઢચિરોલી, ગોંદિયા અને મેલઘાટ જેવા આદિવાસી વિસ્તારો માટે વરદાનરૂપ છે. 

રેલ પરિયોજનાઓ

નાગપુર રેલવે સ્ટેશન પર પ્રધાનમંત્રી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે, જે નાગપુર અને બિલાસપુર વચ્ચે દોડશે.

નાગપુરમાં આયોજિત જાહેર સમારંભમાં પ્રધાનમંત્રી નાગપુર રેલવે સ્ટેશન અને અજની રેલવે સ્ટેશનના પુનર્વિકાસ માટે શિલારોપણ કરશે, જેને અનુક્રમે રૂ. 590 કરોડ અને રૂ. 360 કરોડના ખર્ચે પુનઃવિકસિત કરવામાં આવશે. પ્રધાનમંત્રી સરકારી મેઇન્ટેનન્સ ડેપો, અજની (નાગપુર) અને નાગપુર– ઇટારસી ત્રીજી લાઇનની યોજનાનો કોહલી-નરખેર સેક્શન દેશને અર્પણ કરશે.  આ પ્રોજેક્ટ્સ અનુક્રમે આશરે ૧૧૦ કરોડ રૂપિયા અને લગભગ ૪૫૦ કરોડના ખર્ચે વિકસિત કરવામાં આવ્યા છે.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વન હેલ્થ, નાગપુર

નાગપુરની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વન હેલ્થ (એનઆઇઓ)નો પ્રધાનમંત્રી દ્વારા શિલાન્યાસ 'વન હેલ્થ' અભિગમ હેઠળ દેશમાં ક્ષમતા અને માળખાગત સુવિધાઓનું નિર્માણ કરવાની દિશામાં એક પગલું છે.

'વન હેલ્થ' અભિગમથી માનવીનું આરોગ્ય પ્રાણીઓનાં આરોગ્ય અને પર્યાવરણ સાથે જોડાયેલું છે તે બાબતને માન્યતા આપે છે. આ અભિગમ એ વાતની કદર કરે છે કે મનુષ્યને અસર કરતા મોટા ભાગના ચેપી રોગો પ્રકૃતિમાં ઝૂનોટિક (પ્રાણીથી મનુષ્યમાં) હોય છે. રૂ. 110 કરોડથી વધુના ખર્ચે સ્થપાનારી આ સંસ્થા તમામ હિતધારકો સાથે સહયોગ અને સંકલન સાધશે તથા દેશભરમાં 'વન હેલ્થ' અભિગમમાં સંશોધન અને ક્ષમતા નિર્માણમાં સુધારો કરવા માટે ઉત્પ્રેરક તરીકે કામ કરશે.

અન્ય પરિયોજનાઓ

પ્રધાનમંત્રી નાગપુરમાં નાગ નદીનાં પ્રદૂષણને દૂર કરવાના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. નેશનલ રિવર કન્ઝર્વેશન પ્લાન (એનઆરસીપી) હેઠળ આ પ્રોજેક્ટ રૂ. 1925 કરોડથી વધુના ખર્ચે કાર્યરત થશે.

વિદર્ભ વિસ્તારમાં, ખાસ કરીને આદિવાસી વસ્તીમાં સિકલ સેલ રોગનું પ્રમાણ પ્રમાણમાં વધારે છે. થેલેસેમિયા અને એચબીઇ જેવા અન્ય હિમોગ્લોબિનોપેથીઝ સાથે આ રોગ દેશમાં નોંધપાત્ર રોગનો ભાર પેદા કરે છે. આ સમસ્યાનું સમાધાન કરવા પ્રધાનમંત્રીએ ફેબ્રુઆરી, 2019માં 'સેન્ટર ફોર રિસર્ચ, મેનેજમેન્ટ એન્ડ કન્ટ્રોલ ઑફ હિમોગ્લોબિનોપેથીઝ, ચંદ્રપુર'નો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રી હવે દેશમાં હિમોગ્લોબિનોપેથીઝનાં ક્ષેત્રમાં નવીન સંશોધન, ટેકનોલોજી વિકાસ, માનવ સંસાધન વિકાસ માટે ઉત્કૃષ્ટતાનું કેન્દ્ર બનવાની કલ્પના ધરાવતું આ કેન્દ્ર દેશને સમર્પિત કરશે.

પ્રધાનમંત્રી ચંદ્રપુરની સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પેટ્રોકેમિકલ્સ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (સીપેટ) દેશને અર્પણ કરશે. આ સંસ્થાનો ઉદ્દેશ પોલિમર અને આનુષંગિક ઉદ્યોગોની જરૂરિયાતો પૂર્ણ કરવા કુશળ માનવ સંસાધન વિકસાવવાનો છે.

પ્રધાનમંત્રી ગોવામાં

મોપા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, ગોવા

પ્રધાનમંત્રીનો સતત પ્રયાસ રહ્યો છે કે તેઓ દેશભરમાં વિશ્વ સ્તરીય માળખાગત સુવિધાઓ અને પરિવહન સુવિધાઓ પ્રદાન કરે. આ દિશામાં વધુ એક પગલું ભરતાં પ્રધાનમંત્રી ગોવામાં મોપા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્‌ઘાટન કરશે. પ્રધાનમંત્રીએ નવેમ્બર ૨૦૧૬માં આ એરપોર્ટનો શિલાન્યાસ કર્યો હતો.

આશરે રૂ.૨,૮૭૦ કરોડના ખર્ચે તૈયાર થયેલું આ એરપોર્ટ સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની થીમ પર બનાવવામાં આવ્યું છે અને તેમાં સોલર પાવર પ્લાન્ટ, ગ્રીન બિલ્ડિંગ્સ, રનવે પર એલઇડી લાઇટ્સ, રેઇન વૉટર હાર્વેસ્ટિંગ, રિસાયક્લિંગ સુવિધાઓ સાથે અત્યાધુનિક સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વગેરે છે. તેણે 3-ડી મોનોલિથિક પ્રિકાસ્ટ ઇમારતો, સ્ટેબિલરોડ, રોબોમેટિક હોલો પ્રિકાસ્ટ દિવાલો, 5જી સુસંગત આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી કેટલીક બેસ્ટ-ઇન-ક્લાસ ટેકનોલોજીઝને અપનાવી છે. આ એરપોર્ટની કેટલીક વિશેષતાઓમાં વિશ્વનાં સૌથી મોટાં વિમાનોનું સંચાલન કરવામાં સક્ષમ રનવે, એરક્રાફ્ટ્સ માટે નાઇટ પાર્કિંગ સુવિધાની સાથે 14 પાર્કિંગ બેઝ, સેલ્ફ-બૅગેજ ડ્રોપ સુવિધાઓ, અત્યાધુનિક અને સ્વતંત્ર એર નેવિગેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરેનો સમાવેશ થાય છે.

શરૂઆતમાં એરપોર્ટનો પ્રથમ તબક્કો દર વર્ષે આશરે 4.4 મિલિયન મુસાફરો(એમપીપીએ)ને સેવા પૂરી પાડશે, જેને 33 એમપીપીએની સંતૃપ્તિ ક્ષમતા સુધી વિસ્તૃત કરી શકાશે. આ એરપોર્ટથી રાજ્યના સામાજિક-આર્થિક વિકાસને વેગ મળશે અને પ્રવાસન ઉદ્યોગની જરૂરિયાતો પૂર્ણ થશે. તે મુખ્ય લોજિસ્ટિક્સ હબ તરીકે સેવા આપવાની ક્ષમતા ધરાવે છે, જે ઘણાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્થળોને સીધી રીતે જોડે છે. એરપોર્ટમાં મલ્ટી મોડલ કનેક્ટિવિટી મળે તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે.

વિશ્વકક્ષાનું એરપોર્ટ હોવાની સાથે-સાથે આ એરપોર્ટ મુલાકાતીઓને ગોવાનો અનુભવ અને અનુભૂતિ પણ પ્રદાન કરશે. આ એરપોર્ટ પર અઝુલેજોસ ટાઇલ્સનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવ્યો છે, જે મૂળ ગોવાની છે. ફૂડ કૉર્ટ પણ ગોવાના લાક્ષણિક કાફેનાં કામણને પુન:સર્જિત કરે છે. તેમાં ક્યુરેટેડ શેરી બજાર માટે એક સમર્પિત ક્ષેત્ર પણ હશે જ્યાં સ્થાનિક કારીગરો અને કલાકારોને તેમનો માલ પ્રદર્શિત કરવા અને તેનું માર્કેટિંગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

9મી વિશ્વ આયુર્વેદ કૉંગ્રેસ અને રાષ્ટ્રીય આયુષ સંસ્થાઓ

પ્રધાનમંત્રી ત્રણ રાષ્ટ્રીય આયુષ સંસ્થાઓનું ઉદ્‌ઘાટન પણ કરશે અને 9મી વિશ્વ આયુર્વેદ કૉંગ્રેસનાં સમાપન સમારંભને સંબોધન પણ કરશે. આ ત્રણ સંસ્થાઓ – ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદ (એઆઇઆઇએ), ગોવા, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ યુનાની મેડિસિન (એનયુએમ), ગાઝિયાબાદ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હોમિયોપેથી (એનઆઇએચ), દિલ્હી – સંશોધન અને આંતરરાષ્ટ્રીય જોડાણોને વધારે મજબૂત બનાવશે તથા લોકો માટે વાજબી આયુષ સેવાઓ પણ સુલભ કરશે. આશરે રૂ. 970 કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલા આ સંસ્થાઓ સાથે મળીને આશરે 500 જેટલા હોસ્પિટલ બૅડ્સની સંખ્યા વધારવાની સાથે સાથે વિદ્યાર્થીઓની સંખ્યામાં આશરે 400નો વધારો કરશે.

વર્લ્ડ આયુર્વેદ કૉંગ્રેસ (ડબલ્યુએસી) અને આરોગ્ય એક્સ્પોની નવમી આવૃતિમાં 50થી વધારે દેશોનું પ્રતિનિધિત્વ કરતા 400થી વધારે વિદેશી પ્રતિનિધિઓ, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને આયુર્વેદના અન્ય વિવિધ હિતધારકોની સક્રિય ભાગીદારી જોવા મળી રહી છે. ડબ્લ્યુ.એ.સી.ની ૯મી આવૃત્તિની થીમ "એક આરોગ્ય માટે આયુર્વેદ" છે.

YP/GP/JD



(Release ID: 1882273) Visitor Counter : 226