ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ફિટ ઇન્ડિયા ફ્રીડમ રાઇડર બાઇકર રેલીને લીલી ઝંડી આપી
Posted On:
09 SEP 2022 4:00PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં દેશ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે અને તેમણે આ તહેવારને માત્ર સ્વતંત્રતા સાથે જ નથી જોડ્યો, પરંતુ તેને બહુઆયામી પણ બનાવ્યો છે
આ વર્ષે 15 ઑગસ્ટના રોજ સમાજના દરેક વર્ગના લોકો હર ઘરઘર તિરંગા અભિયાનમાં જોડાયા હતા અને લોકોની દેશભક્તિની ભાવનાએ દર્શાવ્યું કે શ્રી નરેન્દ્ર મોદી આઝાદી કા અમૃત મહોત્સવને જન જન સુધી પહોંચાડવામાં સફળ રહ્યા છે
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ કાર્યક્રમમાં આજે 75 મોટર સાયકલો પર 10 મહિલાઓ સહિત 120 વ્યક્તિઓ 75 દિવસના દેશવ્યાપી પ્રવાસ પર આગળ વધી રહ્યા છે
આ મોટરસાયકલ સવારો આઝાદી કા અમૃત મહોત્સવને પ્રોત્સાહન આપવા માટે છ આંતરરાષ્ટ્રીય સરહદો સહિત 34 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રવાસ કરશે અને 75 મહત્વપૂર્ણ સ્થળોએ 75 દિવસમાં 18,000 કિલોમીટરની મુસાફરી કરશે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં છેલ્લાં આઠ વર્ષમાં ભારત વિશ્વની 11મી અર્થવ્યવસ્થાથી પાંચમા નંબરની સૌથી મોટી વૈશ્વિક અર્થવ્યવસ્થા બની ગયું છે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચીંધેલા માર્ગ પર ચાલીને આઝાદીની શતાબ્દીના સમયે આપણો દેશ જરૂર દરેક ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ બની જશે
ગઈકાલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુલામીનું પ્રતીક એવું નામ બદલીને કર્તવ્ય પથનું ઉદ્ઘાટન કર્યું હતું. શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, 130 કરોડ નાગરિકોના તેમનાં કર્તવ્યો પ્રત્યે સમર્પણભાવ થકી જ નવા ભારતનું નિર્માણ થઈ શકે છે
જ્યારે 130 કરોડ લોકો દેશભક્તિની ભાવનાથી પોતાની બંધારણીય ફરજો અદા કરે ત્યારે દેશને પ્રગતિ કરતા કોઈ રોકી નહીં શકે
શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં દેશને નવી દિશા અને ઊર્જા મળી છે અને ભારતે આઠ વર્ષમાં અનેક ક્ષેત્રોમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં 'ફિટ ઇન્ડિયા ફ્રીડમ રાઇડર બાઇકર રેલી'ને લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે ગૃહ અને રમતગમત તથા યુવા બાબતોના રાજ્ય મંત્રી શ્રી નિશિથ પ્રામાણિક તથા સાંસ્કૃતિક અને વિદેશ રાજ્ય મંત્રી શ્રીમતી મીનાક્ષીલેખી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
![https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001GPK1.jpg](https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001GPK1.jpg)
પોતાનાં સંબોધનમાં શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં દેશ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે અને શ્રી મોદીએ આ અમૃત મહોત્સવને આઝાદી સાથે જોડવાની સાથે તેને બહુઆયામી પણ બનાવ્યો છે. આ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની નવી અને બહુઆયામી વિચારસરણી દર્શાવે છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે પ્રધાનમંત્રીએ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીનો વિચાર રાષ્ટ્રની સમક્ષ મૂક્યો હતો, ત્યારે કોણે વિચાર્યું હશે કે, આ મહોત્સવની આટલી મોટી અસર થશે. પરંતુ, આ વર્ષે 15 ઑગસ્ટના રોજ કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી લઈને કામાખ્યા સુધી, હર ઘર તિરંગા અભિયાનમાં સમાજના દરેક વર્ગના લોકો જોડાયા અને દેશભક્તિની જે ભાવના દેખાઈ રહી હતી તે દર્શાવે છે કે શ્રી નરેન્દ્ર મોદી અમૃત મહોત્સવને જનસમૂહ સુધી પહોંચાડવામાં સફળ રહ્યા છે. આઝાદી કા અમૃત મહોત્સવ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ત્રણ લક્ષ્યો આપ્યાં છે. પહેલું, નવી પેઢી, યુવાનો, તરુણો અને બાળકોને લાંબા અને કઠિન સ્વાતંત્ર્ય સંગ્રામથી પરિચિત કરવા. 1857થી 1947 સુધી જાણ્યે-અજાણ્યે લાખો શહીદોએ દેશની આઝાદીની 90 વર્ષની લડતમાં પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. આપણી નવી પેઢીને તેમનાં બલિદાનથી પરિચિત કરવી અને દેશ પ્રત્યે સમર્પણની ભાવના કેળવવી, જે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓનાં મનમાં હતી. તેમનું બીજું લક્ષ્ય ૭૫ વર્ષમાં આપણા દેશ દ્વારા પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ વિશે ગૌરવની ભાવના ઉભી કરવાનું છે. ત્રીજું લક્ષ્ય છે, 2047માં ભારત માટેનાં લક્ષ્યો નક્કી કર્યા પછી જ્યારે આપણે આપણી આઝાદીનાં શતાબ્દી વર્ષની ઉજવણી કરવાના છીએ, ત્યારે આપણે 25 વર્ષના આ 'અમૃત કાલ'માં ભારતની યાત્રાનો માર્ગ નિર્ધારિત કરવાનો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નક્કી કરેલો અમૃત કાલનો આ સમયગાળો દરેક ભારતીયનાં મનમાં એક નવી ભાવના અને સાહસનું સર્જન કરી રહ્યો છે કે, તે સમયે જ્યારે આઝાદીની શતાબ્દીની ઉજવણી થશે, ત્યારે ભારત દરેક ક્ષેત્રમાં સૌથી શ્રેષ્ઠ બની રહેશે. આ જ લક્ષ્ય સાથે 130 કરોડ દેશવાસીઓ ભારતને મહાન બનાવવા માટે એક યાત્રા પર નીકળ્યા છે.
![https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0022PCD.jpg](https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0022PCD.jpg)
કેન્દ્રીય ગૃહ પ્રધાને કહ્યું કે દેશભક્તિની લહેર 'હર ઘર તિરંગા અભિયાન' દરમિયાન અનુભવાઈ હતી, જેનો અનુભવ ભાગ્યે જ કોઈ દેશે કર્યો હશે. દરેક ઘર, વાહન, સ્મારક પર તિરંગો ફરકાવવામાં આવ્યો હતો અને લોકો તિરંગો લહેરાવતી વખતે ગર્વથી તેમના ફોટા અપલોડ કરી રહ્યા હતા. તે લોકોમાં પ્રેમ અને દેશભક્તિ દર્શાવે છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજે 10 મહિલાઓ સહિત 120 લોકો 75 મોટર સાઇકલ પર 75 દિવસ સુધી દેશના પ્રવાસે જઇ રહ્યા છે. આ મોટર સાયકલ સવારો છ આંતરરાષ્ટ્રીય સરહદો સહિત 34 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રવાસ કરશે, 250થી વધુ જિલ્લાઓની મુસાફરી કરશે અને 75 દિવસમાં 18,000 કિ.મી.નું લાંબું અંતર કાપશે, 75 મહત્વપૂર્ણ સ્થળોએ આઝાદી કા અમૃત મહોત્સવને પ્રોત્સાહન આપશે અને રાષ્ટ્રીય રાજધાની પરત ફરશે. આ પ્રયાસ રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવામાં અને આઝાદી કા અમૃત મહોત્સવના ઉદ્દેશોને લોકો સુધી પહોંચાડવામાં ચોક્કસપણે સફળ સાબિત થશે. આ યાત્રા યુવાનોને 'ફિટ ઇન્ડિયા'નો સંદેશ આપવામાં પણ સફળ રહેશે. ફ્રીડમ મોટર રાઈડર્સ વિવિધતામાં એકતાનો સંદેશ દેશમાં પહોંચાડશે અને આ યુવાનો જે રાજ્યો કે શહેરોની મુલાકાત લેવાના છે ત્યાં નાની-નાની બાઈક રેલી કાઢી યુવાનો સાથે જોડાશે. હજારો યુવાનોને આ કાર્યક્રમ સાથે જોડવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે. જ્યારે તેઓ 24 નવેમ્બરે દિલ્હી પાછા ફરશે, ત્યારે યુવાનો સુધી એક નવી ઉર્જા ચોક્કસ પહોંચશે. 18,000 કિ.મી.નો પ્રવાસ કરીને અને વિવિધ ભાષાઓ, આહાર અને વસ્ત્રોના સંપર્કમાં આવ્યા બાદ દેશને જાણ્યા પછી આ તમામ મોટર સાઇકલ સવારોનું જીવન પણ બદલાઈ જશે.
![https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003CPT9.jpg](https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003CPT9.jpg)
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, 18,000 કિલોમીટરની આ યાત્રાથી અસંખ્ય અપ્રસિદ્ધ શહીદોની અમર ગાથાને પુનઃજીવિત કરવામાં આવશે તેમજ યુવાનોમાં દેશભક્તિની ભાવનાનું સિંચન થશે. તેમણે ઉમેર્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વસાહતીકરણનાં પ્રતીકને દૂર કરીને 'કર્તવ્ય માર્ગ' દેશને સમર્પિત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ યાત્રાથી દરેક નાગરિકનાં મનમાં ફરજ પ્રત્યે જાગૃતિ પણ આવશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે તેમનાં ભાષણમાં કહ્યું હતું કે, 130 કરોડ નાગરિકોના તેમની ફરજો પ્રત્યેના સમર્પણભાવ થકી જ નવા ભારતનું નિર્માણ થઈ શકે છે. એક રીતે અધિકારો કર્તવ્યોમાંથી જન્મે છે અને જ્યારે આપણે આપણી ફરજોનું પાલન કરીએ છીએ, ત્યારે તે જ ક્ષણે આપણે બીજાના અધિકારોને પણ પરિપૂર્ણ કરીએ છીએ. અધિકારોને પરિપૂર્ણ કરવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે, દરેક વ્યક્તિએ પોતાની ફરજો અદા કરવી જોઈએ અને જ્યારે 130 કરોડ લોકો દેશભક્તિની ભાવનાની પોતાની બંધારણીય ફરજો અદા કરે છે, ત્યારે રાષ્ટ્રને પ્રગતિ કરતા કોઈ રોકી શકતું નથી.
![https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00457UU.jpg](https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00457UU.jpg)
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં દેશને એક નવી દિશા અને ઊર્જા મળી છે અને જેની કલ્પના પણ ન કરી શકાય એવાં ઘણાં ક્ષેત્રોમાં, છેલ્લાં 8 વર્ષમાં દેશે પ્રગતિ હાંસલ કરી છે. તેમણે કહ્યું હતું કે, આઠ વર્ષ અગાઉ ભારત 11મું સૌથી મોટું અર્થતંત્ર હતું અને છેલ્લાં આઠ વર્ષમાં જ 11મા સ્થાનેથી અત્યારે તેને પાંચમું સૌથી મોટું વૈશ્વિક અર્થતંત્ર બનવાનું સૌભાગ્ય મળ્યું છે. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રીએ ચીંધેલા માર્ગ અને તેમણે દેશની પ્રગતિ માટે જે માર્ગ ચીંધવાનો પ્રયાસ કર્યો છે, તેને અનુસરીને આઝાદીનાં શતાબ્દી વર્ષમાં આ માર્ગ આપણને દુનિયામાં સર્વોચ્ચ સ્થાન પર લઈ જશે.
YP/GP/JD
(Release ID: 1858072)
Visitor Counter : 181