પ્રધાનમંત્રીનું કાર્યાલય

જાપાનમાં ભારતીય સમૂદાય સાથે પ્રધાનમંત્રીના વાર્તાલાપનો મૂળપાઠ

Posted On: 23 MAY 2022 8:19PM by PIB Ahmedabad

ભારત માતા કી જય, ભારત માતા કી જય, જ્યારે પણ હું જાપાન આવું છું તો દર વખતે જોઉં છું કે આપ સૌની સ્નેહ વર્ષા દર વખતે વધતી જાય છે. આપમાંથી ઘણા સાથી એવા છે જે અનેક વર્ષોથી અહીં વસેલા છે. જાપાનની ભાષા, અહીંની વેશભૂષા, સંસ્કૃતિ, ખાણીપીણી એક રીતે આપ સૌના જીવનનો હિસ્સો બની ગયો છે અને હિસ્સો બનવાનું એક કારણ એ પણ છે કે ભારતીય સમૂદાયના સંસ્કાર સમાવેશી રહ્યા છે. પરંતુ સાથે સાથે જાપાનમાં પોતાની પરંપરા, પોતાના મૂલ્યો, પોતાના જીવનની ધરતી પ્રત્યેની જે વચનબદ્ધતા છે તે ખૂબ ઉંડી છે. અને આ બંનેનું મિલન થયું છે. આથી જ સ્વાભાવિકપણે એક પોતીકાપણાનો અનુભવ થવો તે ખૂબ જ સ્વાભાવિક છે.

સાથીઓ,

આપ અહીં રહ્યા છો, ઘણા લોકો આપ સૌ લોકો અહીં વસી ગયા છો. હું જાણું છું કે ઘણાએ અહીં લગ્ન પણ કરી લીધા છે પરંતુ એ વાત પણ સાચી છે કે વર્ષોથી અહીં સંકળાયેલા રહ્યા છતાં પણ ભારત પ્રત્યે આપની શ્રદ્ધા, ભારતના સંબંધમાં જ્યારે પણ કોઈ સારા સમાચાર આવે છે તો આપના આનંદની સીમા રહેતી નથી. થાય છે ને ? અને ક્યારેક કોઈ માઠા સમાચાર આવી જાય તો તમે દુઃખી પણ થતા હો છો. આપણા લોકોની આ વિશેષતા છે કે આપણે સૌ કર્મભૂમિથી તન મનથી જોડાઈ જઈએ છીએ. હોમાઈ જઇએ છીએ પરંતુ માતૃભૂમિથી જે લગાવ છે તેનાથી ક્યારેય દૂર થતા નથી અને આ જ તો આપણું સૌથી મોટું સામર્થ્ય છે.

સાથીઓ,
સ્વામી વિવેકાનંદજી જ્યારે પોતાના ઐતિહાસિક સંબોધન માટે શિકાગો જઈ રહ્યા હતા તો તેના પહેલા તેઓ જાપાન આવ્યા હતા અને જાપાને તેમના મન મંદીરમાં, તેમના મન મસ્તિક પર એક ઉંડો પ્રભાવ છોડ્યો હતો. જાપાનના લોકોની દેશભક્તિ, જાપાનના લોકોનો આત્મવિશ્વાસ, અહીંની શિસ્ત, સ્વચ્છતા માટેની જાપાનના લોકોની જાગરૂકતા, વિવેકાનંદજીએ તેની ભારોભાર પ્રશંસા કરી હતી. ગુરુદેવ રવીન્દ્રનાથજી ટાગોર એમ પણ કહેતા હતા કે જાપાન એક એવો દેશ છે જે એક જ સાથે પ્રાચીન પણ છે અને આધુનિક પણ છે. અને ટાગોરે કહ્યું હતું કે
, “Japan has come out of the immemorial east like a lotus blossoming in easy grace, all the while keeping its firm hold upon the profound depth for which it has sprung”. એટલે કે તેઓ કહેવા માગતા હતા કે જાપાન કમળના ફૂલોની માફક એટલી મજબૂતીથી પોતાના મૂળિયા સાથે જોડાયેલો છે એટલી જ ભવ્યતાથી તે દરેક જગ્યાએ સુંદરતાને પણ વધારે છે. આપણા આ મહાપુરુષોની આવી જ પવિત્ર ભાવનાઓ જાપાન સાથેના આપણા સંબંધોના ઉંડાણને સ્પષ્ટ કરે છે.

સાથીઓ,
આ વખતે જ્યારે હું જાપાન આવ્યો છું તો આપણા રાજદ્રારી સંબંધોને 70 વર્ષ થવા આવ્યા છે, સાત દાયકા. સાથીઓ આપ પણ અહીં રહેતા રહેતા અનુભવ કરતા હશો. હિન્દુસ્તાનમાં પણ દરેક વ્યક્તિ અનુભવી રહ્યો છે કે ભારત અને જાપાન નૈસર્ગિક જોડીદાર છે. ભારતની વિકાસયાત્રામાં જાપાનની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. જાપાન સાથેનો આપણો સંબંધ આત્મીયતાનો છે, આધ્યાત્મિકતાનો છે. જાપાન સાથેનો આપણો સંબધ સહયોગનો છે, પોતીકાપણાનો છે. અને તેથી જ એક રીતે આપણા સંબંધો આપણા સામર્થ્યના છે. આ સંબંધ સન્માનના છે. અને આ સંબંધ વિશ્વ માટે મજબૂત સંકલ્પના પણ છે. જાપાન સાથેના આપણા સંબંધો બુદ્ધના છે, બૌદ્ધના છે, જ્ઞાનના છે. આપણા મહાકાલ છે તો જાપાનમાં ડૈકોયુટેન છે. આપણે બ્રહ્મા છે તો જાપાનમાં બોન્ટેન છે, આપણી માતા સરસ્વતી છે તો જાપાનમાં બેન્ઝેઇનટેન છે. આપણી મહાદેવી લક્ષ્મી છે તો જાપાનમાં કિચિજોટેન છે. આપણા ગણેશ છે તો જાપાનમાં કાંગીટેન છે. જાપાનમાં જો જૈનની પરંપરા છે તો આપણે ધ્યાનને મેડીટેશનને આત્માથી સાક્ષાત કાર્યનું માધ્યમ માનીએ છીએ.

21મી સદીમાં ભારત અને જાપાનના આ સાંસ્કૃતિક સંબંધોને આપણે સંપૂર્ણ પ્રતિબદ્ધતાથી આગળ ધપાવી રહ્યા છીએ, અને હું તો કાશીનો સાંસદ છું અને અત્યંત ગર્વ સાથે કહેવા માગું છું કે જાપાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શિયા પી જ્યારે કાશી આવ્યા હતા ત્યારે તેમણે એક ખૂબ જ ઉત્તમ ભેટ કાશીને આપી હતી. કાશીમાં જાપાનના સહયોગથી બનેલું રૂદ્રાક્ષ અને જે ક્યારેક મારી કર્મભૂમિ રહી છે તે અમદાવાદમાં જૈન ગાર્ડન છે અને કૈઝન એકેડમી આ એવી વાતો છે જે આપણને નજીક લાવે છે. અહીં આપ સૌ જાપાનમાં રહીને એક ઐતિહાસિક બંધનને વધુ મજબૂત બનાવી રહ્યા છો અને સશક્ત કરી રહ્યા છો.

સાથીઓ,
આજની દુનિયાને ભઘવાન બુદ્ધના વિચારો પર, તેમણે રટેલા માર્ગ પર ચાલવાની કદાચ અગાઉ કરતાં પણ વધુ જરૂરિયાત છે. આ જ માર્ગ છે જે આજે દુનિયાના કોઇ પણ પડકાર હોય પછી તે હિંસા હોય, અરાજકતા હોય, આતંકવાદ હોય, આબોહવા પરિવર્તન હોય આ તમામથી માનવતાને બચાવવાનો આ એક જ માર્ગ છે. ભારત નસીબદાર છે કે તેને ભગવાન બુદ્ધના પ્રત્યક્ષ આશીર્વાદ મળ્યા છે. તેમના વિચારોને આત્મસાત કરતા કરતાં ભારત સતત માનવતાની સેવા કરી રહ્યો છે. પડકાર ભલે ગમે તે સ્વરૂપમાં હોય, ગમે તેટલો મોટો કેમ ન હોય ભારત તેનો ઉકેલ શોધે જ છે. કોરોનાને કારણે જે દુનિયાની સામે 100 વર્ષનું સૌથી મોટું સંકટ પેદા થયું હતું તે આપણી સામે જ છે. અને તે જ્યારે શરૂ થયો હતો ત્યારે કોઇને પણ ખબર ન હતી કે આગળ જતાં શું થશે. શરૂઆતમાં તો એમ જ લાગતું  હતુ કે ત્યાં આવ્યો છે, અહીં શું છે. કોઇને ખબર ન હતી કે તેનો સામનો કેવી રીતે કરી શકાય
? એ વખતે કોઈ વેક્સિન પણ ન હતી કે ના તો તેના વિશે કોઈ આઇડિયા હતો કે વેક્સિન ક્યાં સુધીમાં આવશે. એટલે સુધી કે એ વાત પર પણ શંકા હતી કે વેક્સિન આવશે કે નહીં આવે. ચારે તરફ અનિશ્ચિતતાનો જ માહોલ હતો. એવી પરિસ્થિતિઓમાં પણ ભારતે દુનિયાના દેશોમાં દવાઓ મોકલી. જ્યારે વેક્સિન ઉપલબ્ધ બની ત્યારે ભારતે મેઇડ ઇન ઇન્ડિયા વેક્સિન પોતાના કરોડો નાગરિકોને તો આપી પણ સાથે સાથે દુનિયાના 100 કરતાં વધારે દેશોમાં પણ મોકલી હતી.

સાથીઓ,
પોતાની આરોગ્ય સેવાઓને વધુ બહેતર બનાવવા માટે ભારત અભૂતપૂર્વ રોકાણ કરી રહ્યું છે. દૂર દૂરના અંતરિયાળ ક્ષેત્રોમાં પણ આરોગ્ય સુવિધા પહોંચે તેના માટે દેશમાં લાખો નવા વેલનેસ સેન્ટર બનાવવામાં આવી રહ્યા છે. આપને એ જાણીને પણ આનંદ થશે કે કદાચ આજે આપે પણ સાંભળ્યું હશે કે વિશ્વ આરોગ્ય સંસ્થા (
WHO)એ ભારતની આશા વર્કર્સ, આશા બહેનોને ડાયરેક્ટર જનરલ ગ્લોબલ હેલ્થ એવોર્ડથી સન્માનિત કરી છે. ભારતની લાખો આશા બહેનો માતૃત્વ સંભાળથી લઈને વેક્સિનેશન સુધી, પોષણથી લઈને સ્વચ્છતા સુધી દેશના સ્વાસ્થ્ય અભિયાનને ગામડાઓની અંદર વેગ આપી રહી છે. હું આજે જાપાનની ધરતી પરથી આપણી તમામ આશા વર્કર્સ બહેનોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. તેમના સલામ કરું છું.

સાથીઓ,
ભારત આજે જે રીતે વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં મદદ કરી રહ્યો છે તેનું અન્ય એક ઉદાહરણ  પર્યાવરણ પણ છે. આજે આબોહવા પરિવર્તન વિશ્વ સમક્ષ એક મહત્વપૂર્ણ સંકટ બની ગયું છે. અમે ભારતમાં આ પડકારને જોયો પણ અને આ પડકારના ઉકેલ માટે માર્ગો શોધવાની દીશામાં પણ આગળ ધપ્યા છીએ. ભારતે 2070 સુધી નેટ ઝીરો માટે વચન આપ્યું છે. અમે આંતરરાષ્ટ્રીય સોલાર જોડાણ જેવી વૈશ્વિક પહેલની પણ આગેવાની લીધી છે. આબોહવા પરિવર્તનને કારણે દુનિયા પર કુદરતી હોનારત જેવું જોખમ પણ વધી ગયું છે. આ હોનારત, આફતના જોખમ, તેના પ્રદૂષણના દુષ્પ્રભાવને જાપાનના લોકોથી વધુ બીજુ કોણ સમજી શકે છે.કુદરતી આપત્તિઓ સામે લડવાની ક્ષમતા જાપાને અપનાવી લીધી છે. જે રીતે જાપાનના લોકોએ આ પડકારોનો સામનો કર્યો છે. દરેક સમસ્યાથી કાંઇકને કાંઇક શીખ્યા છે. તેનો ઉકેલ શોધ્યો છે અને તે માટેની વ્યવસ્થાઓ પણ વિકસીત કરી છે. વ્યક્તિઓને પણ આ પ્રકારે તાલીમ આપી છે. સંસ્કાર આપ્યા છે. આ દીશામાં પણ ભારતે
CDRI (કુદરતી હોનારતનો સામનો કરવા માટેનું માળખું)માં આગેવાની લીધી છે.

સાથીઓ,
ભારત આજે ગ્રીન ફ્યુચર, ગ્રીન જોબ કરિયર રોડમેપ માટે પણ ઝડપથી આગળ ધપી રહ્યો છે. ભારતમાં ઇલેક્ટ્રિક મોબિલિટીને વ્યાપક પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ગ્રીન હાઇડ્રોજનને હાઇડ્રોકાર્બનનો વિકલ્પ બનાવવા માટે એક ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. બાયો ફ્યુલ સાથે સંકળાયેલા સંશોધનો તથા માળખાગત સવલતોના નિર્માણ પર પણ બહોળા સ્તરે કાર્ય થઈ રહ્યું છે. ભારતે આ દાયકાના અંત સુધીમાં સમગ્ર ઇન્સ્ટોલ પાવર ક્ષમતાના 50 ટકા નોન ફોઝિલ ફ્યુઅલ પૂરો કરવાનો સકલ્પ કર્યો છે.

સાથીઓ,
સમસ્યાઓના ઉકેલને લઈને ભારતીયોમાં આ જે આત્મવિશ્વાસ છે તે આત્મવિશ્વાસ આજે તમામ ક્ષેત્રમાં, તમામ દીશામાં, ડગલે ને પગલે દેખાઈ રહ્યો છે. ગ્લોબલ ચેઇન સપ્લાયને છેલ્લા બે વર્ષમાં જે રીતે નુકસાન થયું છે. સમગ્ર સપ્લાય ચેઇન સામે શંકા સેવવામાં આવી રહી છે. આજે સમગ્ર દુનિયામાં આ બાબત એક રીતે સૌથી મોટું જોખમ બની ગઈ છે. ભવિષ્યમાં આ પ્રકારની સ્થિતિથી બચવા માટે અમે આત્મનિર્ભરતાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છીએ, અને આત્મનિર્ભરતાનો આ અમારો સંકલ્પ માત્ર ભારત માટે જ છે તેવું નથી. આ એક સ્થિર, ભરોસાપાત્ર વૈશ્વિક સપ્લાય ચેઇન માટે પણ એક મોટું રોકાણ છે. આજે સમગ્ર દુનિયાને એ અનુભૂતિ થઈ રહી છે કે જે ઝડપ અને વ્યાપ પર ભારત કામ કરી શકે છે તે અભૂતપૂર્વ છે. દુનિયાને આજે એ પણ દેખાઈ રહ્યું છે કે જે કક્ષાએ ભારત પોતાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંસ્થાકીય ક્ષમતા વિકાસ પર કામ કરી રહ્યું છે તે પણ અભૂતપૂર્વ છે. મને આનંદ છે કે અમારી આ ક્ષમતાનું નિર્માણ કરવામાં જાપાન એક મહત્વનું ભાગીદાર છે. મુંબઈ અમદાવાદ હાઇ સ્પીડ રેલવે હોય, દિલ્હી મુંબઈ ઔદ્યોગિક કોરિડોર હોય, ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર હોય આ તમામ બાબતો ભારત જાપાન સહયોગના સૌથી મોટા ઉદાહરણ છે.

સાથીઓ,
ભારતમાં થઈ રહેલા પરિવર્તનોમાં એક ખાસ વાત છે. અમે ભારતમાં એક મજબૂત, ભરોસાપાત્ર, જવાબદાર લોકશાહીની ઓળખ બનાવી છે. તેને છેલ્લા આઠ વર્ષમાં અમે લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તનનું માધ્યમ બનાવી છે. ભારતની લોકશાહી પ્રક્રિયાથી આજે સમાજના એ લોકો પણ જોડાઈ રહ્યા છે જેઓ ક્યારેય ગૌરવ સાથે આ અનુભવી કરી રહ્યા ન હતા કે તેઓ પણ તેનો હિસ્સો છે. દર વખતે, દરેક ચૂંટણીમાં વિક્રમી મતદાન અને તેમાં પણ અહીં જે અમારી માતાઓ બહેનો છે તેમને આનંદ થશે. જો તમે ભારતની ચૂંટણીઓની વિગતો જોતા હશો તો તમારા ધ્યાનમાં આવતું હશે કે પુરુષો કરતાં મહિલાઓ વધારે મતદાન કરી રહી છે. આ તો એ વાતનું પ્રમાણ છે કે ભારતમાં લોકશાહી સામાન્યમાં સામાન્ય નાગરિકોના અધિકારો પ્રત્યે કેટલી સજાગ છે, કેટલી સમર્પિત છે અને દરેક નાગરિકને કેટલો સામર્થ્યવાન બનાવી દે છે.

સાથીઓ,
મૂળભૂત સવલતોની સાથે સાથે અમે ભારતની આકાંક્ષાઓને પણ એક નવી બુલંદી પ્રદાન કરી રહ્યા છીએ એક નવો પડાવ આપી રહ્યા છીએ. ભારતમાં સમગ્રતાનો, પુરાવામાં ખામીના સંચાલનનો એટલે કે એક એવી ડિલિવરી વ્યવસ્થા, ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ કરતાં કરતાં એક એ સિસ્ટમનો વિકાસ કરવામાં આવી રહ્યો છે જેથી જે વ્યક્તિ જે ચીજનો હકદાર હોય તેને કોઈ મુશ્કેલી કે કોઈ ભલામણ, કોઈ ભ્રષ્ટાચાર કર્યા વિના તેને તેનો અધિકાર પ્રાપ્ત થાય. અને આ બાબતમાં અમે સંપૂર્ણ તાકાતથી સંકળાયેલા છીએ. અને ટેકનોલોજીના આ ઉપયોગે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી)ની આ પરંપરાએ કોરોનાના આ કાળખંડમાં છેલ્લા બે વર્ષમાં ભારતના અને ખાસ કરીને ભારતના અંતરિયાળ ગામડાઓમાં રહેનારા, જંગલોમાં રહેનારા અમારા નાગરિકોને અધિકારનું ઘણું રક્ષણ કર્યું છે. તેમની ઘણી મદદ કરી છે.

સાથીઓ,
ભારતની બેન્કિંગ સિસ્ટમ આ કપરા સમયમાં સતત ચાલતી રહી છે અને તેનું એક કારણ ભારતમાં જે ડિજિટલ ક્રાંતિ આવી છે તે છે. ડિજિટલ નેટવર્કની એક તાકાત બની છે તેનું આ પરિણામ મળી રહ્યું છે. અને આપ સૌ સાથીઓને એ જાણીને આનંદ થશે કે સમગ્ર દુનિયામાં જે ડિજિટલ ટ્રાન્ઝેક્શન થાય છે ને એટલે કે કેશલેસ અહી જાપાનમાં તો આપ સૌ ટેકનોલોજીથી સારી રીતે પરિચિત હશો પરંતુ આ વાત સાંભળીને તમને આનંદ થશે, આશ્ચર્ય થશે કે ગૌરવ થશે કે સમગ્ર દુનિયામાં જેટલા ડિજિટલ ટ્રાન્ઝેકશન થાય છે તેમાંથી 40 ટકા તો માત્ર ભારતમાં જ થાય છે. કોરોનાના પ્રારંભિક દિવસોમાં જ્યારે બધુ જ બંધ હતું તો તે સંકટના સંજોગોમાં પણ ભારત સરકાર એક ક્લિક બટન દબાવીને એક સાથે કરોડો ભારતીયો સુધી આસાનીથી તેમના માટે મદદ પહોંચાડવી છે તો પહોંચાડી શકતી હતી. અને જેમના માટે મદદ નક્કી હતી તેમને જ મદદ મળતી હતી, સમયસર મળી અને આ સમસ્યાનો સામનો કરવામાં તેમને સામર્થ્ય પ્રદાન થયું. ભારતમાં આજે સાચા અર્થમાં પ્રજાની આગેવાની ધરાવતી સરકાર કામ કરી રહી છે. સંચાલનનું આ જ મોડેલ ડિલિવરીને સક્ષમ બનાવી રહ્યું છે. આ જ બાબત લોકશાહી પર સતત મજબૂત થઈ રહેલા વિશ્વાસનું સૌથી મોટું કારણ છે.

સાથીઓ,
આજે જ્યારે ભારત આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. તો તે આવનારા 25 વર્ષ એટલે કે આઝાદીના 100મા વર્ષ સુધીમાં હિન્દુસ્તાનને આપણે ક્યાં પહોંચાડવો છે, કઈ ઉંચાઈ પ્રાપ્ત કરવાની છે. વિશ્વમાં આપણો ધ્વજ ક્યાં ક્યાં કેવી કેવી રીતે લહેરાવવાનો છે. આજે હિન્દુસ્તાન એ રોડમેપ તૈયાર કરવામાં લાગેલો છે. આઝાદીનો આ અમૃતકાળ ભારતની સમૃદ્ધિનો, સંપન્નતાનો એક બુલંદ ઇતિહાસ લખનારો છે. દોસ્તો. હું જાણું છું કે આ જે સંકલ્પ અમે લીધા છે તે સંકલ્પ ઘણા મોટા છે. પરંતુ સાથીઓ, મારો જે રીતે ઉછેર થયો છે, મને તો સંસ્કાર મળ્યા છે, જે જે લોકોએ મને ઘડ્યો છે તેમને કારણે મારી પણ એક આદત બની ગઈ છે. મને માખણ પર લીટી દોરવામાં મજા નથી આવતી હું પથ્થર પર લીટી તાણું છું. પરંતુ સાથીઓ સવાલ મોદીનો નથી, આજે હિન્દુસ્તાનના 130 કરોડ લોકો અને હું જાપાનમાં બેઠેલા લોકોની આંખોમાં પણ જોઈ રહ્યો છું એક આત્મવિશ્વાસ, 130 કરોડ દેશવાસીઓનો આત્મવિશ્વાસ, 130 કરોડ સંકલ્પ, 130 કરોડ સપનાઓને પૂરા કરવાનું આ વિરાટ સામર્થ્ય ચોક્કસપણે પરિણામ લાવશે દોસ્તો. આપણા સપનાનું ભારત આપણે જોઇને રહીશું. આજે ભારત પોતાની સભ્યતા, પોતાની સંસ્કૃતિ, પોતાના ગુમાવેલા વિશ્વાસને ફરીથી પ્રાપ્ત કરી રહ્યો છે. દુનિયાભરમાં કોઇ પણ ભારતીય આજે છાતી કાઢીને, આંખમાં આંખ મિલાવીને હિન્દુસ્તાનની વાત ખૂબ જ ગર્વ સાથે કરી રહ્યો છે. આ પરિવર્તન આવ્યું છે. આજે મને અહીં આવતા અગાઉ ભારતની મહાનતાથી પ્રભાવિત કેટલાક લોકો જે પોતાના જીવનનું બલિદાન આપી રહ્યા છે તેવા લોકોના દર્શન કરવાની તક મળી છે. અને ખૂબ જ ગર્વથી તેઓ કહી રહ્યા હતા યોગની વાતો. તેઓ યોગને સમર્પિત છે. જાપાનમાં પણ ભાગ્યે જ કોઈ એવો હશે જેને યોગની કલ્પના ન હોય. આપણું આયુર્વેદ, આપણી પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ, આજકાલ તો આપણા મસાલાની દૂર દૂર સુધી માગણી વધી રહી છે. લોકો આપણા હળદર મગાવી રહ્યા છે. એટલું જ નહીં સાથીઓ આપણી ખાદી જે આઝાદી બાદ તો માત્ર નેતાઓનો પહેરવેશ બનીને રહી ગઈ હતી, આજે ખાદીનું પુનર્જીવન થઈ ગયું છે.  ખાદી વૈશ્ક બની રહી છે. આ જ તો ભારતની બદલાઈ રહેલી તસવીર છે દોસ્તો. આજનું ભારત તેના અતીતને લઇને જેટલું ગૌરવાન્વિત છે એટલું જે ટેકનોલોજી, સાયન્સ, ઇનોવેશન, પ્રતિભાશાળી ભાવિને લઈને આશાવાન છે. જાપાનથી પ્રભાવિત થઈને સ્વામી વિવેકાનંદજીએ એક વાર કહ્યું હતું કે આપણે ભારતીય નવયુવાનોએ કમસે કમ એક વાર જાપાનનો પ્રવાસ ચોક્કસ કરવો જોઇએ. આ પ સૌ આ વાક્ય વાંચીને આવ્યા હશો તેવું તો હું જાણતો નથી પરંતુ વિવેકાનંદજીએ ભારતના લોકોને કહ્યું હતું કે ભાઈ એક વાર જોઇને તો આવો જાપાન દેશ કેવો છે.


સાથીઓ,
એ જમાનામાં વિવેકાનંદજીએ જે કહ્યું હતું આજના યુગને અનુરૂપ એ જ વાતને એવી જ સદભાવના સાથે આગળ ધપાવીને હું કહેવા માગું છું કે જાપાનનો દરેક યુવાન પોતાના જીવનમાં કમસે કમ એક વાર ભારતનો પ્રવાસ જરૂર કરે. આપે તમારા કૌશલ્યથી,, તમારી પ્રતિભાથી, તમારા આંતરપ્રિન્યોરશીપથી જાપાનની આ મહાન ધરતીને મંત્રમુગ્ધ કરી છે, ભારતીયતાના રંગોથી, ભારતની સંભાવનાઓથી પણ આપે જાપાનને સતત પરિચિત કરાવવાનું છે. આસ્થા હોય કે એડવેન્ચર (સાહસ), જાપાન માટે તો ભારત એક સ્વાભાવિક પ્રવાસન સ્થળ છે. અને તેથી જ ભારત ચાલો, ભારત જૂઓ, ભારત સાથે જોડાઓ, આ સંકલ્પથી જાપાનના તમામ ભારતીયોને હું આગ્રહ કરીશ કે તેઓ ભારતથી જોડાય. મને વિશ્વાસ છે કે તમારા સાર્થક પ્રયાસોથી ભારત જાપાનની મિત્રતાને નવી બુલંદી મળશે. આ અદભૂત સ્વાગત માટે અને હું જોઈ રહ્યો હતો, અંદર આવી રહ્યો હતો. ચારે તરફ જોશ, નારા, ઉત્સાહ અને જેટલું તમે ભારતને પોતાનામાં જીવવાનો પ્રયાસ કરતા દેખાઈ રહ્યા છો તે બાબત ખરેખર દિલને સ્પર્શી જનારી છે. આપનો આ પ્રેમ, સ્નેહ હંમેશાં જળવાઈ રહે. આટલી મોટી સંખ્યામાં આવીને અને મને કહેવામાં આવ્યું છે  કે જાપાનમાં પણ માત્ર ટોક્યોથી જ નહીં પરંતુ બહારથી પણ કેટલાક સાથીઓ આવ્યા છે. અગાઉ હું આવતો રહેતો હતો પણ આ વખતે આવી શક્યો નથી. તમે પણ આવી ગયા પરંતુ મને સારું લાગ્યું આપ સૌના દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો. હું ફરી એક વાર આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. હૃદયથી આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી જય, ભારત માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ.


SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1827834) Visitor Counter : 334