પ્રધાનમંત્રીનું કાર્યાલય

જામનગરમાં પરંપરાગત ઔષધિઓ માટેના વૈશ્વિક કેન્દ્રના ખાત મૂહૂર્ત પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોઘનનો મૂળપાઠ

Posted On: 19 APR 2022 7:41PM by PIB Ahmedabad

નમસ્કાર
મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિંદ કુમાર જોગનાથ જી, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (
WHO)ના ડાયરેક્ટર જનરલ, ડૉક્ટર ટેડ્રોસ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી શ્રી સર્વાનંદ સોનોવાલ જી, ડૉક્ટર મનસુખ માંડવિયા, શ્રી મુંજપારા મહેન્દ્રભાઈ, અહીં ઉપસ્થિત સર્વે મહાનુભાવો, દેવીઓ તથા સજ્જનો.

આજે આપણે સૌ, સમગ્ર દુનિયામાં હેલ્થ અને વેલનેસ માટે એક ખૂબ જ મોટા આયોજનના સાક્ષી બની રહ્યા છીએ. હું WHOના ડાયરેક્ટર જનરલ ડૉક્ટર ટેડ્રોસનો વિશેષ રૂપથી આભારી છું. હમણાં જ ડૉક્ટર ડેટ્રોસે ભારતની પ્રશંસામાં જે શબ્દો કહ્યા તે માટે હું પ્રત્યેક ભારતીય તરફથી તેમનો આભાર વ્યક્ત કરું છું. અને જે રીતે તેમણે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એક રીતે ત્રિવેણીનો અનુભવ કરાવ્યો તથા દરેક ભારતીયના હૃદયને સ્પર્શી લીધું છે. તે માટે પણ હું તેમનું વિશેષરૂપથી અભિવાદન કરું છું. ડૉ. ટેડ્રોસ સાથેનો મારો પરિચય ઘણો પુરાણો છે અને જ્યારે પણ અમે મળ્યા છીએ ત્યારે તેમણે ભારતના ગુરુઓએ તેમને કેવી રીતે શિક્ષણ આપ્યું, તેઓ એટલા ગૌરવથી તેનો ઉલ્લેખ કરે છે અને એટલા પ્રસન્નચિત્તે પોતાની ભાવના વ્યક્ત કરે છે અને તેમનો ભારત પ્રત્યેનો જે લગાવ છે આજે એક સંસ્થાનના રૂપમાં તે પ્રગટ થઈ રહ્યો છે. અને તેઓ મને કહે છે કે તે મારું બાળક છે, હું આપને આપી રહ્યો છું, હવે તમારી જવાબદારી છે કે તમારે તેનું પાલન પોષણ કરવાનું છે. હું ડૉ. ટેડ્રોસને ખાતરી આપું છું કે તમે જે ભરોસા સાથે ભારતને આ જવાબદારી સોંપી છે અને જે ઉત્સાહ અને ઉમંગથી આપણા અહીંના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈએ આ સમગ્ર જવાબદારી પોતાના ખભા પર લઈ લીધી છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તમારી આશા અને અપેક્ષાઓ અનુસાર અમે ખરા ઉતરીશું.

હું મારા અભિન્ન મિત્ર અને મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી જુગનાથ જીનો પણ આભાર વ્યક્ત કરું છું. તેમના પરિવાર સાથે પણ મારો લગભગ ત્રણ દાયકાથી સંબંધ રહ્યો છે. જ્યારે પણ મોરેશિયસ ગયો, તેમના ઘરે જવું, તેમના પિતાજીને મળવું, તેમના પરિવારના સૌ સાથેના સંપર્ક, ત્રણ દાયકાના આ પુરાણા સંબંધ અને મને આનંદ છે કે આજે મારા આમંત્રણ પર તેઓ મારા ગૃહ રાજ્ય ગુજરાત આવ્યા છે. અને તેમણે પણ ગુજરાતની સાથે, ગુજરાતી ભાષાની સાથે પોતાના સંબંધો જોડીને આપણા સૌનું દિલ જીતી લીધું છે. તાજેતરમાં જ આપણે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી, ભૂતાનના પ્રધાનમંત્રી અને નેપાળના પ્રધાનમંત્રીના વિચારો સાંભળ્યા. WHOના પરંપરાગત ઔષધિઓ માટેના વૈશ્વિક કેન્દ્ર માટે તમામે પોતાની શુભકામના પાઠવી છે. હું તે તમામનો આભારી છું.

સાથીઓ,
WHOએ પરંપરાગત ઔષધિના આ કેન્દ્રના રૂપમાં ભારત સાથે એક નવી ભાગીદારી કરી છે. આ પરંપરાગત ઓષધિના ક્ષેત્રમાં ભારતના યોગદાન અને ભારતની શક્યતાઓ બંને એક સમાન છે. ભારત આ ભાગીદારીને સંપૂર્ણ માનવતાની સેવા માટે ખૂબ જ મોટી જવાબદારીના રૂપમાં લઈ રહ્યું છે. આ કેન્દ્ર દુનિયાભરમાં ફેલાયેલી પારંપરિક ચિકિત્સાના સહયોગથી દુનિયાભરના લોકોને બહેતર તબીબી ઉકેલ માટે મદદરૂપ બનશે. અને હું એ પણ કહેવા માગીશ કે જામનગરની ધરતી પર ડૉ. ટેડ્રોસ અને પ્રવિંદ જીની હાજરીમાં આ માત્ર એક ભવનનો શિલાન્યાસ જ થયો નથી, આ માત્ર એક સંસ્થાનનો શિલાન્યાસ થયો નથી પરંતુ હું વિશ્વભરમાં નૈસર્ગિક ચિકિત્સામાં ભરોસો રાખનારા, પરંપરાગત ચિકિત્સામાં ભરોસો કરનારા, દરેકને કહેવા માગું છું કે આજે જ્યારે ભારત આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યું છે, આ કાળખંડમાં આ જે શિલાન્યાસ થયો છે તે શિલાન્યાસ આવનારા 25 વર્ષ માટે વિશ્વભરમાં પરંપરાગત ચિકિત્સાના યુગનો પ્રારંભ કરી રહ્યો છે.

હું મારા નજર સમક્ષ જોઈ રહ્યો છું કે હોલિસ્ટિક હેલ્થ કેરના વધતા જતા આકર્ષણને કારણે આવનારા 25 વર્ષમાં જ્યારે દેશ આઝાદીની શતાબ્દિ મનાવશે ત્યારે પરંપરાગત ઔષધિ દુનિયાના પ્રત્યેક પરિવાર માટે અત્યંત મહત્વનું કેન્દ્ર બની જશે. તેનો આ શિલાન્યાસ છે. અને આયુર્વેદમાં તો અમૃત કળશનું ખૂબ જ મહત્વ છે અને અમૃત કાળમાં આ કાર્યક્રમનો પ્રારંભ થઈ રહ્યો છે તેથી હું એક નવા ભરોસા સાથે એક દૂરગામી પ્રભાવોની અસર જોઇ રહ્યો છું અને મારા માટે અંગત રીતે આ ખૂબ જ સુખદ છે કે આ વૈશ્વિક કેન્દ્રની સ્થાપના આપણા જામનગરમાં થઈ રહી છે. આયુર્વેદ સાથે જામનગરનો એક ખાસ સંબંધ રહ્યો છે. પાંચ દાયકા કરતાં પણ અગાઉ જામનગરમાં વિશ્વની સૌ પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી. અહીં એક શાનદાર આયુર્વેદ સંસ્થાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ છે. હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું આ વૈશ્વિક કેન્દ્ર વેલનેસના ક્ષેત્રમાં જામનગરની ઓળખ વેશ્વિક સ્તર પર એક નવી ઉંચાઈ પ્રદાન કરશે. રોગ મુક્ત રહેવું, નિરોગી રહેવું, જીવનની યાત્રાનો એક મહત્વપૂર્ણ હિસ્સો બની શકે છે પરંતુ વેલનેસ જ અંતિમ લક્ષ્યાંક હોવું જોઇએ.

સાથીઓ,
વેલનેસનું આપણા જીવનમાં શું મહત્વ છે તેનો આપણે કોવિડ મહામારી દરમિયાન અનુભવ કરેલો છે. આથી જ વિશ્વને આજે હેલ્થ કેર ડિલિવરીના એક નવા શિખરની શોધ છે. મને આનંદ છે કે આ વર્ષ માટે
“Our planet Our health” નો આ નારો આપીને WHOએ ભારતના ‘One Earth, One Health’ આ વિઝનને આગળ ધપાવ્યું છે.

સાથીઓ,
આપણે ત્યાં હજારો વર્ષ અગાઉ રચાયેલા અથર્વવેદમાં કહેવામાં આવ્યું છે કે જીવેમ શરદઃ શતમ. એટલે કે 100 વર્ષ સુધી જીવો. આપણી પરંપરામાં 100 વર્ષના આયુષ્યની મનોકામના ખૂબ જ સહજ રહી છે કેમ કે 100 વર્ષનું આયુષ્ય પ્રાપ્ત કરવું અચંબિત કરતું નથી. અને તેમાં ઘણી મોટી ભૂમિકા આપણી પારંપૃપરિક ચિકિત્સા પદ્ધતિઓની રહેતી હતી. ભારતની પારંપરિક ચિકિત્સા પદ્ધતિ માત્ર ઇલાજ ધી જ મર્યાદિત રહી નથી પરંતુ તે જીવનનું એક હોલિસ્ટિક સાયન્સ છે. તમારામાંથી ઘણા બધા લોકો જાણે છે કે આયુર્વેદમાં ઉકેલ અને સારવાર ઉપરાંત સામાજિક આરોગ્ય, માનસિક સ્વાસ્થ્ય, ખુશી, પર્યાવરણ આરોગ્ય, કરૂણા, સહાનુભૂતિ, સંવેદનશીલતા અને ફળદ્રુપતા તમામ ચીજો આ અમૃત કળશમાં સામેલ છે. તેથી જ આપણા આયુર્વેદને જીવનના જ્ઞાનના સ્વરૂપે સમજવામાં આવે છે. અને આપણે ત્યાં જેટલી પ્રતિષ્ઠા ચાર વેદોની છે એટલી જ આયુર્વેદને પાંચમો વેદ કહેવામાં આવે છે.

સાથીઓ,
આજે આધુનિક વિશ્વની જે જીવનશૈલી છે, જે નવી નવી બીમારીઓ આપણે જોઈ રહ્યા છીએ તેમાંથી બહાર આવવા આપણું પરંપરાગત જ્ઞાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેવી રીતે સારા આરોગ્યનો સીધો જ સંબંધ  સારા સંતુલન આહાર પર છે. આપણઆ પૂર્વજો એમ માનતા હતા કે કોઈ પણ રોગનો અડધો ઉપચાર સંતુલન આહારમાં છુપાયેલો હોય છે. આપણી પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ આ જાણકારીઓથી ભરેલી છે  કે કઈ ઋતુમાં શું ખાવું જોઇએ અને શું ન ખાવું જોઇએ. અને આ જાણકારીને આધારે સેંકડો વર્ષોનો અનુભવ છે, સેંકડો વર્ષોના અનુભવનું સંકલન છે. જેવી રીતે આપણે ત્યાં ભારતમાં એક સમય હતો જ્યારે અનાજના, મિલેટ્સના ઉપયોગ અંગે આપણા વડીલો ખૂબ ભાર આપતા હતા. સમયની સાથે આપણે તેનો ઉપયોગ ઘટતો જોયો અને આજકાલ ફરીથી મિલેટ્સની ચર્ચા વધી રહેલી પણ જોઈ રહ્યા છીએ. મને એ વાતનો પણ સંતોષ છે કે મિલેટ્સના ઉપયોગને વેગ આપવા માટે પણ ભારતો પ્રસ્તાવ યુનાઇટેડ નેશન્સે સ્વિકાર્યો છે. 2023ના વર્ષને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ જાહેર કરવું તે માનવતા માટે ખૂબ જ હિતકારી પગલું છે.

મહાનુભાવો, હજી થોડા સમય અગાઉ ભારતમાં જે ‘નેશનલ ન્યુટ્રીશન મિશન’ શરૂ થયું છે તેમાં પણ અમારી પ્રાચીન અને પારંપરિક વિદ્યાને ધ્યાનમાં રાખવામાં આવી છે. કોવિડ-19ની મહામારી દરમિયાન પણ અમે આયુષ પ્રણાલિનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કર્યો. “આયુષ કાઢા” આ નામથી આયુર્વેદ આધારિત કાઢા ખૂબ જ પ્રચલિત થયો. આયુર્વેદ, સિદ્ધ, યુનાની મિશ્રણની સમગ્ર વિશ્વમાં પણ માંગ જોવા મળી રહી છે. દુનિયાના અનેક દેશ આજે મહામારીના બચાવ માટે પરંપરાગત હર્બલ સિસ્ટમના ઉપયોગ પર ભાર મૂકી રહી છે.

સાથીઓ,
આયુર્વેદ અને એકત્રિત ઔષધિના ક્ષેત્રમાં ભારતના જે અનુભવ છે, તેને દુનિયા સાથે  વહેંચવો તે ભારત પોતાની જવાબદારી સમજે છે. ડાયાબીટીસ, ઓબેસીટી, ડિપ્રેશનજેવી અનેક બીમારીઓ સામે લડવામાં ભારતની યોગ પરંપરા દુનિયાના ખૂબ કામમાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના માધ્યમથી યોગ પ્રચલિત થઇ રહ્યા છે અને દુનિયાભરના લોકોમાં માનસિક તનાવ ઓછો કરવામાં, મન-શરીરચેતનામાં સંતુલન રાખવામાં પણયોગ મદદ કરી રહ્યું છે.યોગના ક્ષેત્રનો વિસ્તાર કરવામાં પણ નવી સંસ્થાઓ મહત્વની ભૂમિકા નિભાવે તે જરૂરી છે.

મહાનુભાવો,આજે  આ અવસર પર હું આ વૈશ્વિક કેન્દ્ર સેન્ટર માટે પાંચ લક્ષ્યાંક પણ રાખવા ઇચ્છું છું. પહેલું લક્ષ્યાંક ટેકનોલોજીનો ઉપયોગ કરવાની સાથે પરંપરાગત વિદ્યાઓના સંકલનનો છે, તેનો ડેટાબેઝ બનાવવાનો છે, અલગ અલગ દેશોમાં પરંપરાગત ઔષધિની અલગ અલગ પરંપરા રહી છે. આ કેન્દ્રમાં તે પરંપરાઓનું સંકલન કરીને એક વેશ્વિક સંગ્રહ અથવા રિપોઝિટરી બનવી જોઇએ. આ કેન્દ્ર આવી પરંપરાઓના જાણકારો, મુળ પદ્ધતિઓના સૂત્રોનો અભ્યાસ કરીને પણ તેનું એક સંકલન કરી શકે છે. આમ કરવું એટલા માટે પણ જરૂરી છે કે અલગ અલગ દેશોમાં ઉપલબ્ધ પારંપારિક ચિકિત્સાની મહત્વપૂર્ણ જાણકારી, આવનારી પેઢીઓને મદદ કરતી રહે.

સાથીઓ,
GCTM એ પારંપારિક ઔષધિઓની ટેસ્ટિંગ અને સર્ટિફિકેશન માટે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પણ બનાવવા જોઇએ. આ તમારી સંસ્થાનું બીજુ લક્ષ્યાંક બની શકે છે. તેનાથી દરેક દેશના લોકોનો ભરોસો આ ઔષધિઓ પર વધશે  આપણે જોઇએ છીએ કે ભારતની કેટલીય પારંપારિક દવાઓ, વિદેશીઓને પણ ખૂબ પ્રભાવી લાગે છે. પરંતુ વૈશ્વિક ધોરણો નહીં હોવાને કારણે તેમનો નિયમિત વેપાર મર્યાદિત રહે છે અને તેની ઉપલબ્ધતા પણ ઓછી રહે છે. મને લાગે છે કેકેટલાક અન્ય દેશોને પણ આવી જ મુશ્કેલીઓ આવતી હશે. આ વૈશ્વિક કેન્દ્રે તેના સમાધાન માટે પણ કામ કરવું જોઇએ. WHOએ પણ હાલમાં આયુર્વેદ, પંચકર્મ અને યૂનાની માટે સીમાચિહ્ન દસ્તાવેજો (Benchmark Documents)તૈયાર કર્યા છે તેનો વિસ્તાર થાય તે જરૂરી છે. GCTM  એક એવું પ્લેટફોર્મ બનવું જોઇએ જયાં વિશ્વની પારંપરિક ચિકિત્સા પદ્ધતિઓના નિષ્ણાત એકસાથે આવે, એકસાથે મળે, પોતાના અનુભવોની પરસ્પર આપ-લે કરે, આ પ્રયાસોને આ કેન્દ્ર પોતાનું ત્રીજું લક્ષ્યાંક બનાવી શકે છે. શું આ સંસ્થા, એક વાર્ષિક સમારોહ કરી શકે  છે, કોઇ વાર્ષિક પરંપરાગત મેડિસિન ફેસ્ટીવલ કરી શકે છે જેમાં દુનિયાના વધુમાં વધુ નિષ્ણાતો ચિંતન કરે, પોતાની પદ્ધતિઓની ભાગીદારી કરે.

સાથીઓ,
હું સમજું છું
, આ કેન્દ્રનો ચોથો લક્ષ્યાંક રિસર્ચમાં રોકાણ સાથે જોડાયેલો હોવો જોઇએ. GCTM ને ટ્રેડિશનલ મેડિસિનના ક્ષેત્રમાં રિસર્ચ -સંશોધન માટે મોબિલાઇઝ કરવું જોઇએ આપણે જોઇએ છીએ કે, આધુનિક ફાર્મા કંપનીઓ માટે રિસર્ચ-સંશોધન ક્ષેત્રમાં અબજો-ખરબો ડોલર્સ તૈયાર રાખવામાં આવે છે. આપણે આવી જ રીતે સંસાધનોને પરંપરાગત ઔષધિઓમાં સંશોધન માટે તૈયાર કરવા જોઇએ. પાંચમું લક્ષ્યાંક ટ્રીટમેન્ટ પ્રોટોકોલ સાથે જોડાયેલું છે. શું GCTM કેટલીક ખાસ, સુનિશ્ચિત બીમારીઓ માટે હોલિસ્ટિક ટ્રીટમેન્ટ પ્રોટોકોલ વિકસિત કરી શકે છે જેમાં દર્દીને આધુનિક તથા પરંપરાગત ઔષધિ બંનેનો લાભ મળે.આપણી આરોગ્ય સિસ્ટમમાં આ પ્રાચીન વિદ્યાઓનો અસરકારક અમલથી અનેક બીમારીઓ સામે લડવામાં મદદ મળી શકે તેમ છે.

સાથીઓ,
આપણે ભારતીય 
वसुधैवकुटुंबकमઅને सर्वेसंतुनिरामयઆ ભાવનાથી જીવનારા લોકો છીએ. સમગ્ર દુનિયા એક જ પરિવાર છે અને સમગ્ર પરિવાર નિરોગી રહે તેવી ભાવના રહી છે.. આજે  WHO GCTMની સ્થાપનાથી ભારતની આ પરંપરા વધુ સમૃદ્ધ થઇ રહી છે. WHOનું આ કેન્દ્ર, વિશ્વભરમાં લોકોના સ્વસ્થ્ય વધુ સારા બનાવશે, આજ કામના સાથે હું મારી વાત પૂરી કરું છું અને હું હવે આ બંને મહેમાનોનો સમય કાઢવા માટે, આ સમારંભને ઉંચાઇ આપવા માટે, તેનું મહત્વ વધારવા માટે, હ્વદયથી ખૂબખૂબ આભાર વ્યક્ત કરું છું. એકવાર ફરીથી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર, નમસ્કાર.


 



(Release ID: 1818197) Visitor Counter : 323