નાણા મંત્રાલય

મંત્રીમંડળે વધારાની જમીનનું મુદ્રીકરણ હાથ ધરવા માટે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV) તરીકે રાષ્ટ્રીય ભૂમિ મુદ્રીકરણ નિગમની સ્થાપનાને મંજૂરી આપી

Posted On: 09 MAR 2022 1:33PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય ભૂમિ મુદ્રીકરણ નિગમ (NLMC)ને એક સંપૂર્ણપણે ભારત સરકારની માલિકીની કંપની તરીકે સ્થાપવા માટે મંજૂરી આપી છે. તેના માટે પ્રારંભિક તબક્કે રૂપિયા 5000 કરોડનો મૂડી હિસ્સો અધિકૃત કરવામાં આવ્યો છે અને રૂપિયા 150 કરોડની પેઇડ-અપ શેર મૂડીને મંજૂરી આપવામાં આવી છે. NLMC દ્વારા વધારાની જમીનના મુદ્રીકરણ અને કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉદ્યોગો (CPSE) તેમજ અન્ય સરકારી એજન્સીઓની અસ્કયામત નિર્માણનું કામ કરવામાં આવશે. આ દરખાસ્ત 2021-22 માટે અંદાજપત્રીય જાહેરાતના અનુસંધાનમાં રાખવામાં આવી છે.

બિન-મુખ્ય અસ્કયામતોના મુદ્રીકરણથી, સરકાર બિનવપરાશ (ફાજલ)ની તેમજ ઓછા વપરાશ વાળી અસ્કયામતોના મુદ્રીકરણ દ્વારા નોંધપાત્ર પ્રમાણમાં આવકનું સર્જન કરી શકશે.

હાલમાં, CPSE પાસે નોંધપાત્ર પ્રમાણમાં વધારાની, બિનવપરાશની અને ઓછા વપરાશ વાળી બિન-મુખ્ય અસ્કયામતો જમીન અને ભવનોના સ્વરૂપમાં છે. વ્યૂહાત્મક વિનિવેશ અથવા ક્લોઝરમાંથી પસાર થઇ રહેલા CPSE માટે, આ બિનવપરાશની જમીન અને બિન-મુખ્ય અસ્કયામતોનું મુદ્રીકરણ તેમના મૂલ્યને અનલૉક કરવા માટે મહત્વપૂર્ણ છે. આનાથી ખાનગી ક્ષેત્રના રોકાણો, નવી આર્થિક પ્રવૃત્તિઓ, સ્થાનિક અર્થતંત્રને વેગ આપવા અને આર્થિક તેમજ સામાજિક માળખાકીય સુવિધાઓ માટે નાણાકીય સંસાધનો ઉત્પન્ન કરવા માટે આ ઓછા ઉપયોગમાં લેવાયેલી અસ્કયામતોનો ઉત્પાદક ઉપયોગ કરવાનું પણ સક્ષમ થઇ શકશે.

NLMC વ્યૂહાત્મક વિનિવેશ હેઠળ સરકારી માલિકીની CPSEની ક્લોઝર અને વધારાની બિન-મુખ્ય જમીન અસ્કયામતો હેઠળ CPSEની વધારાની જમીન અને ભવન અસ્કયામતોની માલિકી ધરાવે, તેને રાખે, સંચાલન કરે અને તેનું મુદ્રીકરણ કરે તેવી પણ અપેક્ષા છે. આનાથી CPSEની ક્લોઝર પ્રક્રિયા વધુ ઝડપથી બનશે અને સરકારી માલિકીની CPSEના વ્યૂહાત્મક વિનિવેશની પ્રક્રિયા વધુ સરળ બની શકશે. NLMC અન્ય સરકારી સંસ્થાઓ (CPSE સહિત)ને તેમની વધારાની બિન-મુખ્ય અસ્કયામતોને ઓળખવામાં અને પ્રોફેશનલ તેમજ કાર્યદક્ષ રીતે તેનું મુદ્રીકરણ કરવામાં પણ સલાહ અને સહાકર આપશે જેથી મહત્તમ મૂલ્ય ઉપાર્જન થઇ શકે. આવા કિસ્સાઓમાં (જેમ કે, હાલમાં ચાલી રહેલ CPSE અને વ્યૂહાત્મક વિનિવેશ હેઠળ સૂચિબદ્ધ CPSE), NLMC વધારાની જમીન અસ્કયામતના મુદ્રીકરણની કામગીરીને એજન્સી કાર્ય તરીકે હાથ ધરશે. NLMC જમીન મુદ્રીકરણની શ્રેષ્ઠ પદ્ધતિઓના સંગ્રાહક તરીકે કાર્ય કરશે, સરકારને અસ્કયામત મુદ્રીકરણ કાર્યક્રમના અમલીકરણમાં સહાય કરશે અને ટેકનિકલ સલાહ આપશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

NLMC પાસે CPSE અને અન્ય સરકારી એજન્સીઓ વતી જમીન અસ્કયામતોનું પ્રોફેશનલ ધોરણે સંચાલન કરવા અને મુદ્રીકરણ કરવા માટે જરૂરી ટેકનિકલ કૌશલ્ય હશે. NLMCના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ જાણીતા નિષ્ણાતોનો સમાવેશ થશે જેથી કંપનીના વ્યવસાયિક પરિચાલન અને સંચાલનને સક્ષમ કરી શકાય. NLMCના અધ્યક્ષ, બિન-સરકારી નિદેશકોની નિયુક્તિ ગુણવત્તા આધારિત પસંદગી પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે.

રીઅલ એસ્ટેટ માર્કેટ રિસર્ચ, કાનૂની અનુપાલન, મૂલ્યાંકન, માસ્ટર પ્લાનિંગ, ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ, જમીન વ્યવસ્થાપન વગેરેમાં અસ્કયામત મુદ્રીકરણ માટે જરૂરી વિશિષ્ટ કૌશલ્યો અને તજજ્ઞતાની વ્યાપક શ્રેણીને ધ્યાનમાં રાખીને, નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (NIIF) અને ઇન્વેસ્ટ ઇન્ડિયા જેવી અન્ય વિશિષ્ટ સરકારી કંપનીઓની જેમ આમાં પણ ખાનગી ક્ષેત્રના વ્યવસાયિકોને રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. NLMCમાં લઘુતમ માત્રામાં પૂર્ણકાલિન સ્ટાફ રાખવામાં આવશે અને મોટાભાગનો સ્ટાફ કોન્ટ્રાક્ટના આધારે સીધા બજારમાંથી નિયુક્ત કરવામાં આવશે. NLMC બોર્ડને ખાનગી ક્ષેત્રના અનુભવી વ્યાવસાયિકોને નિયુક્ત કરવા, તેમને ચૂકવણી કરવા અને તેમને જાળવી રાખવા માટે પૂરતી સુગમતા આપવામાં આવશે.

આ દિશામાં આગળ વધીને, નાણાં મંત્રાલયના જાહેર ઉદ્યોગ વિભાગ દ્વારા કંપની ઉભી કરવામાં આવશે અને તેના પ્રશાસનિક મંત્રાલય તરીકે કામ કરશે.

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1804347) Visitor Counter : 220