પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વેટિકન સિટીની મુલાકાત લીધી

Posted On: 30 OCT 2021 6:04PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને શનિવાર, 30 ઓક્ટોબર 2021ના રોજ વેટિકન ખાતે ઓપોસ્ટોલિક પેલેસમાં જૂજ વ્યક્તિગત પ્રેક્ષકોની ઉપસ્થિતિમાં આદરણીય પોપ ફ્રાન્સિસે આવકાર્યા હતા.
બે દાયકા કરતાં વધારે સમયગાળા પછી ભારતના પ્રધાનમંત્રી અને પોપ વચ્ચે આ પ્રથમ મુલાકાત યોજાઇ હતી. છેલ્લે, જૂન 2000માં ભારતના દિવંગત પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીએ વેટિકનની મુલાકાત લીધી હતી અને તત્કાલિન પોપ આદરણીય જ્હોન પૌલ દ્વિતિય સાથે મુલાકાત કરી હતી. ભારત અને આ પવિત્ર વેટિકન સિટી વચ્ચે 1948માં રાજદ્વારી સંબંધોની સ્થાપના થઇ ત્યારથી મૈત્રીપૂર્ણ સંબંધો રહ્યાં છે. ભારત સમગ્ર એશિયામાં કેથોલિક વસતી સમુદાયનું બીજું સૌથી મોટું ગૃહસ્થાન છે.
આજની મુલાકાત દરમિયાન, બંને અગ્રણીઓએ કોવિડ-19 મહામારી અંગે અને દુનિયાભરના લોકો પર તેના પરિણામોના પ્રભાવ અંગે ચર્ચા કરી હતી. તેમણે આબોહવા પરિવર્તનના કારણે ઉભા થયેલા પડકારો વિશે પણ ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ ભારતમાં આબોહવા પરિવર્તનને નાથવા માટે હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલો અને કોવિડ-19ની રસીના એક અબજ ડોઝ સફળતાપૂર્વક આપવા અંગે પોપને માહિતી આપી હતી. આદરણીય પોપે મહામારી દરમિયાન જરૂરિયાતમંદ દેશોને ભારતે કરેલી સહાયતાની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ આદરણીય પોપ ફ્રાન્સિસને વહેલી તકે ભારતની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું હતું, જેને પોપે સહર્ષ સ્વીકાર્યું હતું.
પ્રધાનમંત્રીએ આ દરમિયાન સેક્રેટરી ઓફ સ્ટેટ મહાનુભાવ કાર્ડિનલ પીટ્રો પેરોલીન સાથે પણ મુલાકાત કરી હતી.

 



(Release ID: 1767991) Visitor Counter : 210