પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને વિયેતનામના પ્રધાનમંત્રી મહામહિમ ફામ મિન્હ ચિન્હ વચ્ચે ટેલિફોનિક સંવાદ થયો

Posted On: 10 JUL 2021 1:14PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને વિયેતનામના પ્રધાનમંત્રી મહામહિમ ફામ મિન્હ ચિન્હ વચ્ચે આજે ટેલિફોનિક સંવાદ થયો હતો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહામહિમ ફામ મિન્હ ચિન્હને વિયેતનામના પ્રધાનમંત્રી તરીકે તેમણે હોદ્દો સંભાળવા બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, તેમના માર્ગદર્શન હેઠળ ભારત અને વિયેતનામ વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી ચાલુ જ રહેશે અને બંને દેશોના સંબંધો વધુ મજબૂત થશે.

પ્રધાનમંત્રી શ્રી મોદીએ એ તથ્યને પણ આવકાર્યું હતું કે બંને દેશો મુક્ત, સહિયારો, શાંતિપૂર્ણ અને નિયમો આધારિત હિન્દ મહાસાગર પ્રદેશ બંને તેવી એકસમાન દૂરંદેશી ધરાવે છે અને આથી ભારત અને વિયેતનામની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી પ્રાદેશિક સ્થિરતા, સમૃદ્ધિ અને વિકાસમાં સારું યોગદાન આપી શકે છે. આ સંદર્ભમાં, પ્રધાનમંત્રીએ એવું પણ નોંધ્યું હતું કે, ભારત અને વિયેતનામ બંને હાલમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ સુરક્ષા પરિષદના સાથી સભ્યો છે.

ભારતમાં કોવિડ-19 મહામારીના બીજા ચરણ દરમિયાન વિયેતનામના લોકો અને સરકારે જે પ્રકારે સહકાર આપ્યો તે બદલ પ્રધાનમંત્રીએ વિયેતનામના પ્રધાનમંત્રી ચિન્હનો આભાર વ્યક્ત કર્યો હતો. બંને નેતાઓ સંમત થયા હતા કે, બંને દેશોએ એકબીજાને મહામારી સામેના તેમના પ્રયાસોમાં પારસ્પરિક સહકાર આપવાનું ચાલુ રાખવા માટે વાટાઘાટો અને સહકાર યથાવત્ રાખવા જોઇએ.

બંને પ્રધાનમંત્રીએ દ્વિપક્ષીય સંબંધોની સ્થિતિની સમીક્ષા કરી હતી અને વિવિધ ક્ષેત્રોમાં સહકાર આપવા માટે પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા. વર્ષ 2022 બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોની 50મી વર્ષગાંઠ હશે તેને ધ્યાનમાં રાખીને તેઓ આ મહત્વપૂર્ણ સીમાચિહ્નની વિવિધ સ્મૃતિ પ્રવૃત્તિઓનું આયોજન કરીને યોગ્ય રીતે ઉજવણી કરવા માટે સંમત થયા હતા.

પ્રધાનમંત્રી મોદીએ પ્રધાનમંત્રી ચિન્હને વહેલી તકે તેમની અનુકૂળતાએ ભારતની સત્તાવાર મુલાકાત લેવા માટે તેમને આમંત્રણ આપ્યું હતું.

 

SD/GP/BT



(Release ID: 1734426) Visitor Counter : 317