પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય

મંત્રીમંડળે ડીપ ઓશન મિશનને મંજૂરી આપી

Posted On: 16 JUN 2021 3:34PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની ડીપ ઓશન મિશનની દરખાસ્તને મંજૂરી આપી છે, જે સંસાધનો માટે દરિયામાં ઊંડે શોધખોળ કરવા તથા દરિયાઈ સંસાધનોનો પર્યાવરણને અનુરૂપ ઉપયોગ કરવા ડીપ સી ટેકનોલોજીઓ વિકસાવવા સાથે સંબંધિત છે.

આ મિશનનો અમલ પાંચ વર્ષમાં તબક્કાવાર રીતે થશે અને એની પાછળ અંદાજે રૂ. 4077 કરોડનો ખર્ચ થશે. 3 વર્ષના પ્રથમ તબક્કા (2021-2024) માટેનો અંદાજિત ખર્ચ રૂ. 2823.4 કરોડ છે. ડીપ ઓશન મિશન ભારત સરકારના દરિયા સાથે સંબંધિત આર્થિક પ્રવૃત્તિઓ માટેની પહેલોને ટેકો આપવા યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવશે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (એમઓઇસી) આ બહુસંસ્થાકીય મહત્વાકાંક્ષી મિશનનો અમલ કરવા માટે નોડલ મંત્રાલય હશે.

ડીપ ઓશન મિશનમાં નીચેના છ મુખ્ય ઘટકો સામેલ છેઃ

  1. દરિયામાં ઊંડે ખાણકામ કરવા અને માનવસહિત સબમર્સિબ્લ માટે ટેકનોલોજીનો વિકાસઃ વૈજ્ઞાનિક સેન્સર્સ અને સાધનસામગ્રીને અનુરૂપ દરિયામાં 6000 મીટરની ઊંડાઈ ત્રણ લોકોને લઈ જવા માનવસહિત સબમર્સિબલ વિકસાવવામાં આવશે. આ ક્ષમતા દુનિયાના અતિ ઓછા દેશો ધરાવે છે. હિંદ મહાસાગરની મધ્યમમાં 6000 મીટરની ઊંડાઈએથી પોલીમેટલિક નોડ્યુલ્સનું ખાણકામ કરવા ઇન્ટિગ્રેટેડ માઇનિંગ સિસ્ટમ પણ વિકસાવવામાં આવશે. દરિયાઈ ખનીજોના સંશોધનાત્મક અભ્યાસો નજીકના ભવિષ્યમાં વાણિજ્યિક ઉત્ખનન માટેનો માર્ગ મોકળો કરશે, જ્યારે સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા ઇન્ટરનેશનલ સીબેડ ઓથોરિટી દ્વારા વાણિજ્યિક ઉત્ખનનની આચારસંહિતા બદલાશે. આ ઘટક દરિયામાં ઊંડે રહેલા ખનીજો અને ઊર્જાની શોધખોળ અને ઉપયોગ કરવાના દરિયાઈ આર્થિક પ્રવૃત્તિ સાથેના પ્રાથમિક ક્ષેત્રને મદદ કરશે.
  1. દરિયાઈ આબોહવામાં પરિવર્તન અંગે સલાહસૂચન સેવાઓનો વિકાસઃ અવધારણા ધરાવતા ઘટકના આ પાસાં અંતર્ગત સીઝનલથી લઈને દાયકાના સમયના આધારે દરિયાઈ આબોહવાના મહત્વપૂર્ણ પરિવર્તનોની ભવિષ્યલક્ષી ધારણાઓને સમજવા અને એને અનુરૂપ મદદ પ્રદાન કરતા અવલોકનો અને મોડલના એક સમૂહને વિકસાવવામાં આવશે. આ ઘટક દરિયા સાથે સંબંધિત આર્થિક પ્રવૃત્તિઓમાં પ્રાથમિકતા ધરાવતા દરિયાકિનારાના પર્યટનને વિકસાવવામાં મદદરૂપ થશે.

 

  1. ઊંડા સમુદ્રમાં જૈવવિવિધતા શોધવા અને એનું સંરક્ષણ કરવા માટે ટેકનોલોજી સંબંધિત ઇનોવેશનઃ સૂક્ષ્મ જીવો સહિત ઊંડા સમુદ્રની વનસ્પતિઓ અને જીવોની જૈવસંભવિતતા અને ઊંડા સમુદ્રમાં જૈવ-સંસાધનોના સતત ઉપયોગ પર અભ્યાસ એનું મુખ્ય હાર્દ હશે. આ ઘટક દરિયા સાથે સંબંધિત આર્થિક પ્રવૃત્તિઓમાં પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્ર દરિયાઈ મત્સ્યપાલન અને સંબંધિત સેવાઓ માટે મદદરૂપ થશે.
  1. ઊંડા દરિયામાં સર્વેક્ષણ અને ઉત્ખનન: આ ઘટકનો મુખ્ય ઉદ્દેશ હિંદ મહાસાગરના મધ્ય ભાગોની સાથે એકથી વધારે ધાતુઓ ધરાવતા હાઇડ્રોથર્મલ સલ્ફાઇડ્સના સંભવિત સ્થળોની જાણકારી મેળવવાનો અને એની ઓળખ કરવાનો છે. આ ઘટક દરિયા સાથે સંબંધિત આર્થિક પ્રવૃત્તિઓના પ્રાથમિક ક્ષેત્ર ધરાવતા ઊંડા સમુદ્રમાં દરિયાના સંસાધનોનું ઉત્ખનન કરવામાં મદદરૂપ થશે.
  1. દરિયામાંથી ઊર્જા અને તાજું મીઠું પાણીઃ આ વિભાવના દરખાસ્તમાં ઓફશોર દરિયાઈ થર્મલ ઊર્જા રૂપાંતરણ (ઓટીઈસી)થી સંચાલિત ડેસેલિનેશન પ્લાન્ટ માટે અભ્યાસ અને વિગતવાર એન્જિનીયરિંગ ડિઝાઇનનો વિચાર કરવામાં આવ્યો છે. આ ઘટક દરિયા સાથે સંબંધિત આર્થિક પ્રવૃત્તિઓના પ્રાથમિકતા ધરાવતા ઓફશોર ઊર્જા વિકાસમાં મદદરૂપ થશે.
  1. દરિયાઈ જીવવિજ્ઞાન માટે અદ્યતન દરિયાઈ મથકઃ આ ઘટકનો ઉદ્દેશ દરિયાઈ જીવવિજ્ઞાન અને ઇજેનરીમાં માનવક્ષમતા અને ઉદ્યોગસાહસિકતાનો વિકાસ કરવાનો છે. આ ઘટક ઓન-સાઇટ બિઝનેસ ઇન્ક્યુબેટર સુવિધાઓના માધ્યમથી સંશોધનને ઔદ્યોગિક ઉપયોગિતા અને ઉત્પાદન વિકાસમાં પરિવર્તિત કરશે. આ ઘટક દરિયા સાથે સંબંધિત આર્થિક પ્રવૃત્તિઓના પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રો, જેમ કે દરિયાઈ જીવવિજ્ઞાન, દરિયાઈ વેપાર અને દરિયાઈ ઉત્પાદનમાં મદદરૂપ થશે.

ઊંડા દરિયામાં ખાણકામ માટે આવશ્યક ટેકનોલોજીઓનો વ્યૂહાત્મક મહત્વ છે, પણ આ વાણિજ્યિક રીતે ઉપલબ્ધ નથી. એટલે ટોચની સંસ્થાઓ અને ખાનગી ઉદ્યોગોના સાથસહકાર સાથે ટેકનોલોજીઓને સ્વદેશમાં જ નિર્મિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. એક ભારતીય શિપયાર્ડમાં ઊંડા સમુદ્રમાં શોધખોળ માટે એક સંશોધક જહાજ બનાવવામાં આવશે, જે રોજગારીની તકો પેદા કરશે. આ મિશન દરિયાઈ જીવવિજ્ઞાનમાં ક્ષમતા વિકસાવવાની દિશામાં પણ કામ કરે છે, જે ભારતીય ઉદ્યોગોમાં રોજગારીની તકો પેદા કરશે. ઉપરાંત વિશેષ ઉપકરણો, જહાજોની ડિઝાઇન, વિકાસ અને નિર્માણ તથા આવશ્યક માળખાગત સુવિધાઓની સ્થાપનાથી ભારતીય ઉદ્યોગ, ખાસ કરીને એમએસએમઈ અને સ્ટાર્ટઅપના વિકાસને વેગ મળવાની આશા છે.

વિશ્વના લગભગ 70 ટકા વિસ્તારોમાં મહાસાગર પથરાયેલા છે, જે આપણાં જીવનનું એક અભિન્ન અંગ છે. ઊંડા દરિયાનો લગભગ 95 ટકા ભાગમાં હજુ સુધી સશોધન થયું નથી. ભારતની ત્રણ બાજુએ દરિયો છે અને દેશની લગભગ 30 ટકા વસ્તી દરિયાકિનારાના વિસ્તારોમાં રહે છે. મહાસાગર મત્સ્યપાલન અને દરિયાઈ ખેતી, પર્યટન, આજીવિકા અને દરિયાઈ વેપારને ટેકો આપતો એક મહત્વપૂર્ણ આર્થિક પરિબળ છે. મહાસાગર ભોજન, ઊર્જા, ખનીજો, ઔષધિઓ, હવામાન અને આબોહવોનું સંગ્રહસ્થાન હોવાની સાથે પૃથ્વી પર જીવનનો આધાર પણ છે. લાંબા ગાળાની દ્રષ્ટિએ મહાસાગરના મહત્વને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્ર (યુએન)એ 2021-2030ના દાયકાને સતત વિકાસ માટે મહાસાગર વિજ્ઞાનનો દાયકા સ્વરૂપે જાહેર કર્યો છે. ભારતની દરિયાઈ સ્થિતિ અદ્વિતીય છે. એના દરિયાકિનારાના નવ રાજ્યો 7,517 કિલોમીટરનો દરિયાકિનારો ધરાવે છે અને 1,382 ટાપુઓ ધરાવે છે. ફેબ્રુઆરી, 2019માં પ્રતિપાદિત કરેલા ભારત સરકારના 2030 સુધી ન્યૂ ઇન્ડિયાના વિકાસની ધારણાના મુખ્ય દસ પાસાંમાં દરિયાઈ અર્થવ્યવસ્થા પણ એક મુખ્ય પાસું છે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1727590) Visitor Counter : 227