નવા અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય

મંત્રીમંડળે ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન યોજના 'ઉચ્ચ કાર્યદક્ષતા સૌર PV મોડ્યૂલ પર રાષ્ટ્રીય કાર્યક્રમ'ને મંજૂરી આપી

Posted On: 07 APR 2021 3:54PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નવી અને અક્ષય ઉર્જા મંત્રાલય દ્વારા ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન (PLI) યોજના 'ઉચ્ચ કાર્યદક્ષતા સૌર PV (ફોટો વોલ્ટિક) મોડ્યૂલ પર રાષ્ટ્રીય કાર્યક્રમ'ના અમલીકરણ માટે રાખવામાં આવેલા પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ઉચ્ચ કાર્યદક્ષતાના સૌર PV મોડ્યૂલની ગીગા વૉટ (GW) સ્તરની વિનિર્માણ ક્ષમતા પ્રાપ્ત કરવા માટે રૂપિયા 4,500 કરોડના ખર્ચની આ યોજનાને મંજૂરી આપવામાં આવી છે.

સૌર ક્ષમતા મોટાપાયે આયાતી સૌર PV સેલ્સ અને મોડ્યૂલ્સ પર નિર્ભર છે કારણ કે ઘરેલું વિનિર્માણ ઉદ્યોગો પાસે સૌર PV સેલ્સ અને મોડ્યૂલનું ઉત્પાદન કરવા માટે મર્યાદિત પરિચાલન ક્ષમતા છે. ઉચ્ચ કાર્યદક્ષતાના સૌર PV મોડ્યૂલ પર રાષ્ટ્રીય કાર્યક્રમથી વિદ્યુત જેવા વ્યૂહાત્મક ક્ષેત્રમાં આયાત પરની નિર્ભરતામાં ઘટાડો આવશે. તેનાથી આત્મનિર્ભર ભારત પહેલને પણ સમર્થન મળી રહેશે.

સૌર PV ઉત્પાદકોની પસંદગી પારદર્શક સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે. PLIની ચુકવણી સૌર PV વિનિર્માણ પ્લાન્ટ્સ કાર્યરત થયા પછી, ઉચ્ચ કાર્યદક્ષતા સૌર PV મોડ્યૂલના વેચાણ પર આગામી 5 વર્ષ સુધી કરવામાં આવશે. ઉત્પાદકોને સૌર PV મોડ્યૂલ્સની ઉચ્ચ કાર્યદક્ષતા માટે વળતર આપવામાં આવશે અને ઘરેલું બજારમાંથી તેમની સામગ્રી પ્રાપ્ત કરવા બદલ પણ વળતર આપવામાં આવશે. આમ, જેમ જેમ મોડ્યૂલની કાર્યદકક્ષતામાં વધારો થશે અને સ્થાનિક મૂલ્યવર્ધન વધશે તેમ PLI ની રકમમાં પણ વધારો થશે.

આ યોજનાના અપેક્ષિત પરિણામો/ લાભો નીચે ઉલ્લેખ કર્યા અનુસાર છે:

  1. એકીકૃત સૌર PV વિનિર્માણ પ્લાન્ટ્સની વધારાની 10,000 MVની ક્ષમતા,
  2. સૌર PV વિનિર્માણ પ્રોજેક્ટ્સમાં અંદાજે રૂપિયા 17,200 કરોડનું પ્રત્યક્ષ રોકાણ
  3. 'સામગ્રીના સંતુલન' માટે 5 વર્ષમાં રૂપિયા 17,500 કરોડની માંગ,
  4. અંદાજે 30,000 લોકોને પ્રત્યક્ષ રોજગારી અને અંદાજે 1,20,000 લોકોને પરોક્ષ રોજગારીની તકો,
  5. દર વર્ષે અંદાજે રૂપિયા 17,500 કરોડની આયાતનો વિકલ્પ મળશે અને
  6. સૌર PV મોડ્યૂલ્સમાં ઉચ્ચ કાર્યદક્ષતા પ્રાપ્ત કરવા માટે સંશોધન અને વિકાસને વેગ પ્રાપ્ત થશે.


(Release ID: 1710146) Visitor Counter : 205