ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે લોકસભામાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન (સંશોધન) વિધેયક 2021 પર ચર્ચામાં જવાબ આપ્યો


જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની બાબતને આ વિધેયક સાથે કોઇ સંબંધ નથી

જમ્મુ કાશ્મીરના લોકોને ફરી વચન આપીએ છીએ કે, રાજ્યના અટકી ગયેલા વિકાસને ફરી પાટે લાવ્યા પછી યોગ્ય સમયે જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યને દરજ્જો આપવામાં આવશે

જમ્મુ કાશ્મીર અને લદાખને રાજનીતિનો હિસ્સો ના બનાવશો, રાજનીતિ કરવા માટે ઘણી બધી બાબતો છે પરંતુ આ દેશનો એક સંવેદનશીલ હિસ્સો છે

તેમને અનેક ઘા વાગ્યા છે, તેમના મનમાં આશંકાઓ પડી છે જેના પર મલમ લગાવવાનું કામ આ ગૃહનું છે

જમ્મુ અને કાશ્મીર અમારા દિલમાં છે

નરેન્દ્ર મોદી સરકાર પરિપત્રો, કાયદા અને યોજનાઓથી નથી ચાલતી પરંતુ ભાવનાથી ચાલે છે અને અમે માનીએ છીએ કે જમ્મુ કાશ્મીર અમારું છે, તમે અમારા છો, આખો દેશ તમારો છે અને આખો દેશ તમારી પડખે ઉભો છે

ડૉ. આંબેડકરે કહ્યું હતું કે, રાજા, રાણીના ઉદરમાંથી જન્મ નહીં લે, દલિત, ગરીબ અને પછાતોના મતથી જન્મ લેશે, તે આજે સાકાર થઇ રહ્યું છે

જ્યારથી મોદીજી પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી જમ્મુ-કાશ્મીર ઉચ્ચતમ પ્રાથમિકતાનું ક્ષેત્ર છે, તેનું વર્ણન અમુક જ શબ્દોમાં કરવું શક્ય નથી

પ્રધાનમંત્રી વિકાસ પેકેજ પ્રધાનમંત્રી દ્

Posted On: 13 FEB 2021 10:53AM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે લોકસભામાં જમ્મુ- કાશ્મીર પુનર્ગઠન (સંશોધન) વિધેયક 2021 પર ચર્ચાનો જવાબ આપ્યો હતો. શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, સાંસદો માને છે કે, આ વિદેશ લાવવાનો મતલબ એવો છે કે, જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો નહીં મળે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની બાબતને આ વિધેયક સાથે કોઇ સંબંધ નથી. તેમણે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરના લોકોને ફરીથી અમે વચન આપીએ છીએ કે, રાજ્યનો વિકાસ અટકી ગયો હતો તેને ફરીથી પાટે લાવ્યા પછી યોગ્ય સમયે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, જમ્મુ-કાશ્મીર અને લદાખને રાજનીતિનો હિસ્સો ના બનાવશો. રાજનીતિ કરવા માટે બીજી ઘણી બાબતો છે પરંતુ આ દેશનો સંવેદનશીલ હિસ્સો છે. તેમને ઘણા ઘા લાગ્યા છે, તેમના મનમાં ઘણી આશંકાઓ પડી છે જેના પર મલમ લગાવવાનું કામ આ ગૃહનું છે. શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીર અમારા દિલમાં છે. નરેન્દ્ર મોદીની સરકાર પરિપત્રો, કાયદા અને યોજનાઓથી નથી ચાલતી પરંતુ ભાવનાઓથી ચાલે છે અને અમે માનીએ છીએ કે જમ્મુ-કાશ્મીર અમારું છે, તમે અમારા છો, આખો દેશ તમારો છે અને આખો દેશ તમારી પડખે ઉભો છે.   

 

કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર સંશોધન વિધેયક હાલમાં અદાલતમાં છે અને સર્વોચ્ચ અદાલતે 5 ન્યાયધીશોની ખંડપીઠ બનાવી છે, જરૂર પડશે ત્યારે સરકાર પોતાનો પક્ષ રજૂ કરશે પરંતુ તેના કારણે સરકાર અહીંના વિકાસના કાર્યો અટકાવી દે યોગ્ય નથી. તેમણે ઉમેર્યું હતું કે, અરુણાચલ, ગોવા અને મિઝોરમ પણ એવા રાજ્યો છે જ્યાં વિશેષ પ્રકારની ભૌગોલિક અને પ્રશાસનિક પરિસ્થિતિઓ હોય છે અને ત્યાં રાજ્યના વિકાસ માટે અધિકારીઓ મોકલવા પડે છે. શ્રી શાહે એક સભ્ય દ્વારા ગૃહમાં ઉઠાવવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, ધર્મના આધારે સરકારી અધિકારીઓની સંખ્યામાં વહેંચણી કરવી તે ઉચિત નથી. શ્રી શાહે જણાવ્યું હતુંકે, દેશભરમાં અન્ય રાજ્યોમાં પણ IAS અને IPS અધિકારીઓ છે તેમના કારણે સ્થાનિક અધિકારીઓના અધિકારો છીનવાતા નથી તો પછી જમ્મુ-કાશ્મીરમાં કેવી રીતે છીનવાશે. તેમણે કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં કોઇ બહારના અધિકારી નથી પરંતુ બધા જ આ દેશના અધિકારી છે. કાશ્મીરના યુવાનોને પણ ઓલ ઇન્ડિયા કેડરમાં આવવાનો અધિકાર છે.

 

શ્રી શાહે જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્ર મોદી સરકારમાં દેશના નિર્ણયો દેશની સંસદ કરે છે અને કોઇ બહારના લોકો કોઇપણ પ્રકારનું દબાણ લાવી શકતા નથી. અફવાઓ રોકવા માટે સમયની આવશ્યકતા હતી તેથી 4Gમાંથી 2G કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, સુખ, શાંતિ અને સલામતીથી રહેવું એ દરેક નાગરિકનો સૌથી મોટો અધિકાર છે. શ્રી અમિત શાહે કહ્યું હતું કે, કલમ 370 અને 35A ટેમ્પરરી એગ્રીમેન્ટ (હંગામી સમય માટેના કરાર) હતા પરંતુ તેને વર્ષો સુધી ચલાવવામં આવ્યા. મોદી સરકાર વોટ બેંકની રાજનીતિથી નથી ચાલતી પરંતુ દેશના હિતમાં નિર્ણયો લે છે. શ્રી શાહે કહ્યું હતુ કે, દેશની જનતાને 1950થી વચન આપેલું હતું કે, દેશમાં બે બંધારણ, બે નિશાન અને બે કાયદા નહીં રહે અને મોદી સરકારે તે વચન પૂરું કરી બતાવ્યું છે.

 

કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કલમ 370 નાબૂદ કર્યા પછી મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાં સૌથી પહેલા પંચાયતી રાજની પુનઃસ્થાપના કરી છે. ડૉ. આંબેડકરે કહ્યું હતું કે, રાજ રાણીના ઉદરથી જન્મ નહીં લે, દલિત, ગરીબ અને પછાતોના મતથી જન્મ લેશે અને આ બાબત આજે સાકાર થઇ છે. શ્રી શાહે ગૃહને જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 51.7% મતદાન થયું હતું અને એકપણ ગોળી ચલાવવાની જરૂર નહોતી પડી તેમજ ચૂંટણીમાં કોઇ જ ગોટાળા અથવા અંશાતિની સ્થિતિ નહોતી સર્જાઇ અને લોકોએ નિર્ભય થઇને મતદાન કર્યું હતું. શ્રી શાહે જણાવ્યું હતું કે, કલમ 370 નાબૂદ કરવાનો વિરોધ કર્યો તેમનો સાથ પણ કાશ્મીરની જનતાએ છોડી દીધો. શ્રી શાહે ઉમેર્યું હતું કે, સફળ ચૂંટણીઓ માટે ત્યાંની જનતા, સુરક્ષાદળો અને ચૂંટણી પંચને તેઓ ખૂબ અભિનંદન પાઠવવા માંગે છે કે, મોદીજીએ જે કરવાની ઇચ્છા રાખી હતી તેને સૌએ સાથે મળીને પૂરી કરી છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, કુલ 4483 સરપંચ ચૂંટણી ક્ષેત્રોમાંથી 3650 સરપંચની ચૂંટણી થઇ છે અને 35029 પંચ ચૂંટણી ક્ષેત્રોમાંથી 23660 પંચની ચૂંટણી થઇ છે. 3395 પંચાયતોની વિધિવત રચના કરવામાં આવી છે અને 1088 પ્રશાસકોની નિયુક્તિ કરવામાં આવી છે. વિતેલા મહિનાઓમાં પંચાયતોને સુદૃઢ બનાવવામાં આવી છે અને 21 વિષય પંચાયતોને સોંપવામાં આવ્યા છે. સાથે જ પંદરસો કરોડ રૂપિયા તેમના ખાતામાં જમા કરાવીને તેમને મજબૂત બનાવવામાં આવી છે જેમાં ICDS, આંગણવાડી, મનરેગાનું મોનિટરિંગ અને ખાણકામના અધિકાર સંબંધિત વિષયો સામેલ છે. તેનાથી તેઓ આત્મનિર્ભર બની શકશે, તેમના ગામડાંઓનો વિકાસ કરી શકશે અને આ બધુ જ કલમ 370 નાબૂદ કરવાથી શક્ય બન્યું છે. 01 જૂન 2020-21થી સરપંચોએ મનરેગા યોજના માટે ચુકવણી કરવાનું શરૂ કરી દીધું છે જેના પરિણામે આ વર્ષ વધુ રૂપિયા 1000 કરોડ (અંદાજે) સોંપવામાં આવશે. તાજેતરમાં જ એક અન્ય નિર્ણયમાં જમ્મુ અને કાશ્મીરે ખાણકામનો અધિકાર પણ પંચાયતીરાજ સંસ્થાઓને સોંપી દીધો છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓને માનદ અને પ્રાથમિકતાની યાદીમાં ઔપચારિક સ્થાન આપવામાં આવ્યું- BDC અધ્યક્ષને DMની સમકક્ષ સ્થાન આપવામાં આવ્યું. પંચ- સરપંચની ક્ષમતા વધારવા માટે તાલીમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યના પદાધિકારીઓને ફાળવવામાં આવેલી પંચાયતોની અંદર બે દિવસ, એક રાતનો પ્રવાસ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.

 

શ્રી શાહે જણાવ્યું હતું કે, આ લોકોને અહીં અટકેલા વિકાસના કાર્યોને ગતિ આપવા માટે પંચાયતોનું સશક્તિકરણ કરવાનું કાર્ય આપવામાં આવ્યું છે. લોકો દ્વારા પ્રત્યક્ષરૂપે 20,000 વિકાસ પરિયોજનાઓની ઓળખ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ત્રણ વખત આ કાર્યક્રમ ચલાવવામાં આવ્યો છે. આખા જન અભિયાન અને બ્લોક દિવસ દરમિયાન, પાંચ લાખથી વધારે પ્રમાણપત્રો જેમાં અધિવાસ, જન્મ અને મૃત્યુ તેમજ દિવ્યાંગતા સામેલ છે તેને બહાર પાડવામાં આવ્યા છે. લગભગ 50,000 પરિવારોને આરોગ્ય વીમા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. રોજગાર કાર્યક્રમ અંતર્ગત 10,000 યુવાનોને આવરી લેવામાં આવ્યા છે અને લગભગ 6,000 કાર્યો શરૂ કરી દેવામાં આવ્યા છે. યુવાનોમાં 4,400 રમતની કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે. દર બધવારે બ્લોક દિવસનું આયોજન કરવામાં આવે છે જેને હવે કાયમી સંસ્થાગત રૂપ આપવામાં આવ્યું છે અને કેન્દ્રશાસિત રાજ્ય ક્ષેત્રમાં 82 સ્થળેઓ તેનું આયોજન કરવામાં આવે છે. ગામડાંઓ તરફ પાછા જવાની બાબતને ધ્યાનમાં રાખીને શહેરી વિસ્તારો માટે ભાગીદારી કાર્યક્રમ – કેન્દ્રશાસિત રાજ્ય ક્ષેત્રના તમામ શહેરી સ્થાનિક એકમોમાં લગભગ 6 લાખ લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતુ કે, જ્યારથી મોદીજી પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી જમ્મુ-કાશ્મીર ઉચ્ચતમ પ્રાથમિકતાનું ક્ષેત્ર રહ્યું છે અને અમુક જ શબ્દોમાં તેનું વર્ણન કરવું શક્ય નથી. પ્રધાનમંત્રીનું વિકાસ પેકેજ પ્રધાનમંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલું એક મેગા વિકાસ અને પુનર્નિર્માણ પેકેજ છે. તેમાં જમ્મુ-કાશ્મીર માટે 58627 કરોડ રૂપિયાના મૂડી ખર્ચની 54 પરિયોજનાઓ સામેલ છે. તેમણે કહ્યું હતું કે, ત્વરિત PMDP યોજનામાં જૂન 2018માં ખર્ચ 26 ટકાથી વધારીને ડિસેમ્બર 2020માં 54 ટકા થઇ ગયો છે. તેમાંથી 20 પરિયોજનાઓ જેમાં 7 કેન્દ્રીય ક્ષેત્ર અને 13 કેન્દ્રશાસિત રાજ્ય ક્ષેત્ર દ્વારા કાર્યાન્વિત પરિયોજનાઓ સામેલ છે જે પૂર્ણ થઇ ગઇ છે અથવા ઘણા અંશે પૂરી થઇ ગઇ છે. આ નાણાકીય વર્ષના અંત સુધીમાં 8 પરિયોજનાઓ પૂરી થઇ જશે તેવી સંભાવના છે. બંને એઇમ્સનું નિર્માણ કાર્ય શરૂ થઇ ગયું છે. 8.45 કિમીની બનિહાલ સુરંગને ઝડપથી ખોલવામાં આવશે. ચિનાબ નદી પર 359 મીટર ઊંચા પુલનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. વિશ્વસ્તરીય, સુરક્ષિત, વિશ્વસનીય અને ટકાઉ સાર્વજનિક પરિવહન સુવિધા પૂરી પાડવા માટે શ્રીનગર અને જમ્મુ શહેરો માટે એલિવેટેડ લાઇટ રેલ પ્રણાલીની યોજના બનાવવામાં આવી રહી છે. આ પરિયોજના માટે 10,599 કરોડ રૂપિયાના DPR તૈયાર કરવામાં આવ્યા છે. લાઇટ રેલ ટ્રાન્ઝિટ સિસ્ટમ (એલઆરટીએસ) જેમાં જમ્મુમાં એક કોરિડોર અને શ્રીનગરમાં બે કોરિડોર રહેશે તેને 4 વર્ષમાં પૂરી કરવામાં આવશે. પરિયોજનાના ડીપીઆરને અંતિર રૂપ આપવામાં આવ્યું છે અને મૂલ્યાંકન તેમજ નાણાકીય સહાય માટે ભારત સરકારને મોકલવામાં આવી છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર રાજ્યમાં હાઇડ્રોપાવરથી ખૂબ જ મોટી સંભાવનાઓ છે. તેમણે કહ્યું હતું કે, અમે તમારી જેમ જમ્મુ-કાશ્મીરમાં મંથર ગતિએ કામ કરવા નથી માંગતા પરંતુ વિકાસને ઝડપી ગતિએ આગળ વધારવા માંગીએ છીએ. જમ્મુ અને કાશ્મીરમાં પ્રચૂર માત્રામાં જળ સંસાધન છે – 14867 મેગાવોટની કુલ જાણીતી વિદ્યુત ક્ષમતામાંથી છેલ્લા 70 વર્ષમાં માત્ર 3504.90 મેગાવોટ મેળવવામાં આવી છે. કેન્દ્રશાસિત પ્રદેશે હવે 2025 સુધીમાં લગભગ 3498 મેગાવોટની વધારાની ક્ષમતા તૈયાર કરવાની યોજના ઘડી છે. છેલ્લા 2 વર્ષમાં જ લગભગ 3000 મેગાવોટની ક્ષમતાની પરિયોજનાને ફરી શરૂ કરવામાં આવી છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, સૌભાગ્ય યોજના અંતર્ગત જમ્મુ-કાશ્મીરમાં સો ટકા લોકોના ઘરમાં વીજળી પહોંચાડવાનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં આવ્યું છે અને 3,57,405 લોકોને 70 વર્ષથી વીજળી નહોતી મળી રહી તેમને 17 મહિનામાં જ વીજળી આપવામાં આવી છે. આ વર્ષે 36 કિમી લાંબી 33 કેવીની લાઇન પાથરીને LOC પર સ્થિત કેરન અને મુન્દિઆન ગામને ગ્રીડ સાથે જોડવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, સપ્ટેમ્બર 2022 સુધીમાં તમામ 18.16 લાખ ગ્રામીણ પરિવારોને પાઇપ દ્વારા 100 ટકા પીવાના પાણીના પૂરવઠા હેઠળ આવરી લેવામાં આવશે. બે જિલ્લામાં સો ટકા ઘરોને આ યોજનામાં આવરી લીધા છે; માર્ચ 2021 સુધીમાં વધુ બે જિલ્લામાં 100 ટકા ઘરોને આવરી લેવામાં આવશે. માર્ચ 2022 સુધીમાં નવ જિલ્લાને આવરી લેવામાં આવસે અને બાકીના સાત જિલ્લાને સપ્ટેમ્બર 2022 સુધીમાં આવરી લેવામાં આવશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMJSY) અંતર્ગત જમ્મુ અને કાશ્મીરમાં 2020-21માં 5300 કિમીના માર્ગોનું નિર્માણ કરવામાં આવશે.

 

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લા 17 મહિનામાં સ્વાસ્થ્ય સંબંધિત સંખ્યાબંધ પરિયોજનાઓ પૂરી કરવામાં આવી છે અને બાકીની યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે. PMDP અંતર્ગત સ્વાસ્થ્ય મંત્રાલય પાસેથી કુલ રૂપિયા 881.17 કરોડની રકમ પ્રાપ્ત થઇ છે જેમાંથી 754.13 કરોડ રૂપિયાની રકમ અત્યાર સુધીમાં ખર્ચવામાં આવી છે. PMDP અંતર્ગત 140 ચાલુ/નવી સ્વાસ્થ્ય પરિયોજનાઓ શરૂ કરવામાં આવી છે અને 75 પરિયોજનાઓ પૂરી થઇ ગઇ છે, 26 યોજનાઓને ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં અને બાકીની 39ને વર્ષ 2021-22 દરમિયાન પૂરી કરવામાં આવશે તેવી સંભાવના છે. તેમાં શ્રીનગરમાં 500 બેડ વાળી નવી હોસ્પિટલ, જમ્મુમાં 200 બેડ વાળી નવી માતૃત્વ હોસ્પિટલ, જમ્મુમાં નવી હાડકા અને સાંધાની હોસ્પિટલ, JMC જમ્મુમાં 100 બેડનો આકસ્મિક સારવાર બ્લોક, જમ્મુમાં છોકરાઓ અને છોકરીઓ માટે હોસ્ટેલનું નિર્માણ, જેએમસી શ્રીનગરમાં નર્સિંગ યુનિવર્સિટીનું નિર્માણ, 17 જિલ્લા હોસ્પિટલોનું નિર્માણ જવી મહત્વપૂર્ણ યોજનાઓ તેમાં સામેલ છે.

 

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, એબી-પીએજેએવાય સ્વાસ્થ્ય યોજના અંતર્ગત જમ્મુ અને કાશ્મીરના લોકોને પાંચ લાખ રૂપિયા સુધીની વિનામૂલ્યો સારવાર સુરક્ષા આપવા માટે અને સ્વાસ્થ્ય વીમાને સમાવેશી બનાવવા માટે સરકારે આ સ્વાસ્થ્ય વીમા યોજનાની પરિકલ્પના કરી છે. આ કવરેજ આ કેન્દ્રશાસિત પ્રદેશના તમામ રહેવાસીઓને આપવામાં આવી છે. તે અંતર્ગત જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ રાજ્ય વિસ્તારમાં તમામ રહેવાસીઓને ફ્લોટર આધાર પર પ્રત્યેક પરિવાર દીઠ 5 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો આપવામાં આવ્યો છે. પીએમ-જેએવાયનો પરિચાલન વિસ્તાર એબી-પીએમજેએવાય અંતર્ગત પહેલાંથી જ આવરી લેવામાં આવેલા 5.97 લાખ પરિવારો ઉપરાંત 15 લાખ વધારાના પરિવારો સુધી કરવામાં આવ્યો છે અને તે દેશમાં પોતાની રીતે પહેલી યોજના છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 20.02 લાખ લાભાર્થીની નોંધણી કરવામાં આવી છે જેમાંથી 1.91 લાખ લાભાર્થીનું ગોલ્ડન કાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં લગભગ 41% પરિવારોને જેમાંથી ઓછામાં ઓછા એક સભ્યની નોંધણી કરવામાં આવી હોય તેમની ખરાઇનું કામ કરી દેવામાં આવ્યું છે. પીએમ-જેએવાય યોજના અંતર્ગત સૂચિબદ્ધ હોસ્પિટલ આ યોજના હેઠળ પણ સેવાઓ આપશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં એલજીના નેતૃત્વમાં કોરોના સામેની લડાઇમાં સફળતાપૂર્વક લડી શક્યા છીએ અને રસીકરણનું કામ પણ ચાલી રહ્યું છે. 17 મહિનામાં 7 નવી મેડિકલ કોલેજો શરૂ કરી દેવામાં આવી છે જેમાં લગભગ 1100 બાળકો જમ્મુ-કાશ્મીરના ડૉક્ટર બનીને સ્વાસ્થ્ય સેવાઓમાં આગળ આવશે. ભારત સરકાર દ્વારા પંદર બીએસસી નર્સિંગ કોલેજોને મંજૂરી આપવામાં આવી છે જેમાંથી 5 નવી નર્સિંગ કોલેજ અને 10 હાલની એએનએમ/જીએનએમ સ્કૂલોને ઉન્નત કરવાનું સામેલ છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે અલગ અલગ લગભગ 115 યોજનાઓ દેશના દલિતો, ગરીબો, પછાત વર્ગો, આદિવાસીઓ માટે બનાવી છે જે અહીં લાગુ કરવામાં આવી નહોતી પરંતુ રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યા પછી આ યોજનાઓનો અહીં અમલ કરવામાં આવી રહ્યો છે. ઘરે ઘરે વીજળી પહોંચાડવી, ગેસ સિલિન્ડર આપવા સહિત સ્વચ્છ ભારત મિશન હેઠળ જમ્મુ અને કાશ્મીર 100% ઓડીએફ થઇ ગયું છે. નાણાકીય વર્। 2019-20માં વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિનું કવરેજ ત્રણ ગણું કરવામાં આવ્યું છે – લગભગ 8 લાખ વિદ્યાર્થીઓને ડીબીટી માધ્યમથી પ્રી-પોસ્ટ અને યોગ્યતા સહ સાધન શિષ્યવૃત્તિ તેમજ અન્ય શિષ્યવૃત્તિઓ આપવામાં આવી છે જેનાથી ગત નાણાકીય વર્ષની સરખામણીએ 250%નો વિક્રમી વધારો નોંધાય છે. તેમણે ઉમેર્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ડિસેમ્બર 2020 સુધીમાં વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ અંતર્ગત 9.5 લાખ નવી અરજીઓ પ્રાપ્ત થઇ છે. પ્રધાનમંત્રી કિસાન યોજનાનું લક્ષ્ય પૂરું કરવામાં આવ્યું છે અને ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમતી ખેડૂતોને રૂપિયા 6000 મળી રહ્યાં છે.

 

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં ઉદ્યોગ જગત માટે સૌથી મોટો અવરોધ એ હતો કે, કોઇ જો અહીં ઉદ્યોગ ચાલવવા માંગે તો તેમને જમીન નહોતી મળતી. પરંતુ 370 નાબૂદ કર્યા પછી ઉદ્યોગોને લાવવા માટે પ્રોત્સાહન પેકેજ શ્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભારત સરકારે રજૂ કર્યું છે. જે લોકો અહીં એમ કહી રહ્યાં છે કે અહીં ઇન્ડસ્ટ્રી નથી આવી તે લોકો અફવા ફેલાવે છે કે તમારી જમીનો જતી રહેશે. તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના લોકોને હું આશ્વાસન આપુ છુ કે, ઉદ્યોગો લાવવાથી કોઇની જમીન નહીં જાય. સરકારે જમ્મુ અને કાશ્મીરના ઔદ્યોગિક વિકાસ માટે નવી કેન્દ્રીય યોજના મંજૂર કરી છે. પહેલી વખત કોઇપણ ઔદ્યોગિક પ્રોત્સાહન યોજના ઔદ્યોગિક વિકાસ બ્લોક સ્તરે લાવવામાં આવી રહી છે અને તેનાથી જમ્મુ-કાશ્મીરમાં દૂરના વિસ્તારોમાં પ્રોત્સાહન મળશે. આ યોજનાની અવધિ 28,400 કરોડ રૂપિયાના કુલ ખર્ચ સહિત અધિસૂચનની તારીખથી વર્ષ 2037 સુધી રહેશે. આ યોજના નવા રોકાણ, પુરતા વિસ્તરણને પ્રોત્સાહન આપશે અને જમ્મુ-કાશ્મીરના વર્તમાન ઉદ્યોગને પોષશે. તેનો ઉદ્દેશ 4.5 લાખથી વધારે લોકોને રોજગારી આપવાનો અને વિસ્તારનું સર્વાંગી અને સંતુલિત તેમજ સતત સામાજિક આર્થિક વિકાસ કરવાનો છે. તેનાથી જમ્મુ-કાશ્મીરમા વિનિર્માણનું ક્ષેત્ર તેમજ સેવા ક્ષેત્રના એકમોને લાભ થશે. આ યોજનાથી જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત રાજ્ય વિસ્તારની સ્થાનિક શક્તિઓનો શ્રેષ્ઠ ઉપયોગ થશે.  

 

શ્રી અમિત શાહે જણાવ્યું હતુંકે, ઉદ્યોગ જગતના વિકાસ માટે અહીં આવનારી ઇન્ડસ્ટ્રીમાં 500 કરોડ સુધીના ધિરાણને સરકાર દ્વારા 6 ટકા વ્યાજ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવશે અને નાના ઉદ્યોગને સબસિડી આપવાની જોગવાઇ છે. જીએસટી સંબંધે પ્રોત્સાહન: પ્લાન્ટ અને મશીનરી (વિનિર્માણમાં) અથવા ભવન નિર્માણ તેમજ અન્ય ટકાઉ ભૌતિક પરિસંપત્તિઓમાં (સેવા ક્ષેત્રમાં) 10 વર્ષ માટે વાસ્તવિક રોકાણના યોગ્ય મૂલ્યનું 300% રહેશે. એક નાણાકીય વર્તમાં પ્રોત્સાહનની રકમ પ્રોત્સાહનની કુલ યોગ્ય રકમના દસમા ભાગથી વધારે રહેશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર આર્થિક આધારે આત્મનિર્ભર રાજ્ય બનવવાનો પ્રયાસ કરી રહ્યું છે. શ્રી અમિત શાહે ગૃહને જણાવ્યું હતું કે, ગ્રામીણ બીપીઓ, આઇટી ટાવર સ્થાપિત કરાશે. હાલમાં જમ્મુ-કાશ્મીરમાં એલજી સ્તરે વૈજ્ઞાનિક રીતે નાનામાં નાના લોકોની ફરિયાદો સાંભળવામાં આવે તેવા પ્રયાસ કરવામાં આવે છે.

 

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, નવા જમીન કાયદાના કારણે ઉદ્યોગો માટે એક સકારાત્મક માહોલ બન્યો છે જેને જમ્મુ કાશ્મીરની જનતાએ આવકાર્યો છે. શ્રી શાહે કહ્યું કે, અમે માનવ અધિકારને મતબેંક નહીં પરંતુ માનવ અધિકારની નજરથી જ જોઇએ છીએ. શ્રી અમિત શાહે કહ્યુ કે, વિસ્થાપિત કાશ્મીરી પંડિતો જેમની પાસે રેશન કાર્ડ છે તેમને રૂ. 13000 ગુજરાન ભથ્થુ આપવામાં આવે છે, વિનામૂલ્યે રેશન અને 3000 નોકરી આપવામાં આવ્યા છે. બાકીની પસંદગીની પ્રક્રિયા ચાલુ છે જે 2022 સુધીમાં પૂરી થઇ જશે.

 

શ્રી અમિત શાહે કહ્યું હતું કે, લદાખને બે નવી ડિગ્રી કોલેજ આપી, પર્યટનને પ્રોત્સાહન માટે નવી 5 ટુરિસ્ટ સર્કિટ, દૂરના વિસ્તારોમાં સબસિડીના આધારે હેલિકોપ્ટરની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે અને લગભગ 7500 મેગાવોટની ક્ષમતાનો દેશનો સૌથી મોટો સૌર ઉર્જા પ્લાન્ટ લગાવવા આવ્યો છે જેથી મોટી સંખ્યામાં લોકોને રોજગારી મળે. કારગીલ હવાઇમથકની ફિઝિબલિટી સ્ટડી માટે પ્રશાસન અને ઉડ્ડયન વિભાગ વચ્ચે એગ્રીમેન્ટ કરવામાં આવ્યું છે. મિશન એગ્રીમેન્ટ ઓફ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ હેઠળ ઠંડીમાં મુશ્કેલીનો સામનો ના કરવો પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ઇ-ગવર્નન્સ ગામડા સુદી પહોંચાડવા માટે સંખ્યાબંધ સુવિધા કરી છે. પ્રધાનમંત્રીજી દ્વારા ટેકનિકલ યુનિવર્સિટીનું અનુમોદન કરવામાં આવ્યું છે. 70 વર્ષ પછી લદાખને પણ દિલ્હીમાં પોતાના ભવનો બનવવાની મંજૂરી મળી છે. તેમણે કહ્યું કે, રોડ કનેક્ટિવિટીમાં સુધારા માટે 578 કિમીના માર્ગો બનાવવા મંજૂરી આપી છે. શ્રી શાહે કહ્યું કે લગભગ 50000 કરોડનું પેકેજ પ્રધાનમંત્રીજી દ્વારા આવનારા દિવસોમાં મળવાનું છે.

SD/GP/JD

***

 



(Release ID: 1697829) Visitor Counter : 279