પ્રધાનમંત્રીનું કાર્યાલય

મન કી બાત 2.0ના 17મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (25.10.2020)

Posted On: 25 OCT 2020 11:51AM by PIB Ahmedabad

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે વિજયાદશમી એટલે કે દશેરાનું પર્વ છે. આ પાવન અવસરે આપ સૌને અનેક અનેક શુભેચ્છા... દશેરાનું આ પર્વ અસત્ય પર સત્યની જીતનું પર્વ છે. પરંતુ સાથે જ, એક રીતે એ સંકટો પર ધૈર્યના વિજયનું પર્વ પણ છે. આજે આપ સૌ ખૂબ સંયમપૂર્વક જીવી રહ્યાં છો. મર્યાદામાં રહીને પર્વો, તહેવારો ઉજવી રહ્યાં છો, માટે જે લડાઇ આપણે લડી રહ્યાં છીએ તેમાં જીત પણ નક્કી છે. પહેલાં, દુર્ગા મંડપોમાં, માં ના દર્શન માટે એટલી ભીડ એકઠી થતી હતી, બિલકુલ મેળા જેવું વાતાવરણ રહેતું હતું. પરંતુ આ વખતે એવું નથી બની શક્યું. પહેલાં, દશેરાએ પણ મોટામોટા મેળા થતા  હતા, પરંતુ આ વખતે તેમનું સ્વરૂપ પણ અલગ જ છે. રામલીલાનો તહેવાર પણ, કે જેનું બહું મોટું આકર્ષણ હતું, પરંતુ તેમાં પણ અંકુશ મૂકાયેલાં છે. પહેલાં, નવરાત્રીમાં ગુજરાતના ગરબાનો ગુંજારવ ચારે તરફ છવાયેલો રહેતો હતો, આ વખતે બધાં મોટાં મોટાં આયોજન બંધ છે. હજી આગળ પણ કેટલાંય પર્વ આવવાનાં છે. હમણાં જ ઇદ આવશે, શરદપૂર્ણિમા છે, વાલ્મીકી જયંતી છે. પછી, ધનતેરસ, દિવાળી, ભાઇબીજ, છઠી માતાની પૂજા છે, ગુરૂ નાનકદેવજીની જયંતી છે, કોરોનાના આ સંકટકાળમાં આપણે સંયમથી જ કામ લેવાનું છે. મર્યાદામાં જ રહેવાનું છે.

  સાથીઓ, આપણે જયારે તહેવારની વાત કરીયે છીએ, તે માટેની તૈયારીઓ કરીયે છીએ, ત્યારે સૌથી પહેલાં મનમાં એ જ થાય કે બજારે ક્યારે જવાનું છે ? શું શું ખરીદવાનું છે ? ખાસ કરીને, બાળકોમાં તો એનો વિશેષ ઉત્સાહ હોય છે, તહેવારોમાં આ વખતે નવું શું મળવાનું છે ? તહેવારોના ઉમંગ અને બજારની રોનક એક-બીજા સાથે જોડાયેલાં છે. પરંતુ આ વખતે તમે જયારે ખરીદી કરવા જાવ ત્યારે વોકલ ફોર લોકલનો પોતાનો સંકલ્પ ચોક્કસ યાદ રાખજો. બજારમાં સામાન ખરીદતી વખતે આપણે સ્થાનિક ઉત્પાદનોને પ્રાથમિકતા આપવાની છે.

        સાથીઓ, તહેવારોના આ હર્ષોલ્લાસ વચ્ચે આપણે લોકડાઉનના સમયને પણ યાદ કરવો જોઇએ. લોકડાઉનના સમયમાં આપણે સમાજના તે સાથીઓને વધુ નિકટતાથી જાણ્યા છે, કે જેમના વિના આપણું જીવન ખૂબ જ મુશ્કેલ બની જાત. સફાઇ કર્મચારી, ઘરમાં કામ કરનારાં ભાઇઓ-બહેનો, સ્થાનિક શાકભાજીવાળા, દૂધવાળા, ચોકીદાર, આ બધાંની આપણા જીવનમાં શું ભૂમિકા છે તે આપણે સારી રીતે અનુભવ્યું છે. મુશ્કેલ સમયમાં, તેઓ આપણી સાથે હતા, આપણાં બધાંની સાથે હતાં. હવે, આપણાં પર્વોમાં, આપણાં આનંદમાં પણ, આપણે તેમને સાથે રાખવાનાં છે. મારો આગ્રહ છે કે જે પણ રીતે શક્ય હોય, તેમને પોતાના આનંદમાં ચોક્કસ સામેલ કરજો. પરિવારના સભ્યની જેમ સામેલ કરજો, પછી તમે જોજો, તમારો આનંદ પણ કેટલો વધી જાય છે !...

        સાથીઓ, આપણે આપણા એ ઝાંબાજ વીર સૈનિકોને પણ યાદ રાખવાના છે, જે આ તહેવારોમાં પણ સરહદે અડીખમ ઉભા છે. ભારત માતાની સેવા અને રક્ષણ કરી રહ્યા છે. આપણે તેમને યાદ કરીને જ આપણા તહેવાર ઉજવવાના છે. આપણે ઘરમાં એક દીવડો ભારત માતાનાં આ વીર દીકરા-દીકરીઓના સન્માનમાં પણ પ્રગટાવવાનો છે. હું, આપણા વીરજવાનોને પણ કહેવા માગું છું કે આપ ભલે સરહદે છો, પરંતુ પૂરો દેશ તમારી સાથે છે. તમારા માટે પ્રાર્થના કરી રહ્યો છે. એવી હર કોઇ વ્યક્તિ કે જેમના દીકરા-દીકરીઓ આજે સરહદ પર છે, તે પરિવારોના ત્યાગને પણ હું નમન કરૂં છું. જે દેશ સાથે જોડાયેલી કોઇને કોઇ જવાબદારીના કારણે પોતાના ઘરે નથી, પોતાના પરિવારથી દૂર છે, હું હ્રદયથી તેમનો આભાર વ્યક્ત કરૂં છું.

        મારા વ્હાલા દેશવાસીઓ, આજે જયારે આપણે લોકલ માટે વોકલ બની રહ્યા છીએ તો દુનિયા પણ આપણી લોકલ ચીજવસ્તુઓની ચાહક બની રહી છે. આપણી કેટલીયે લોકલ ચીજવસ્તુઓમાં ગ્લોબલ બનવાની બહુ મોટી શક્તિ છે. જેમ કે એક ઉદાહરણ છે - ખાદીનું. દીર્ઘકાળ સુધી ખાદી, સાદાઇની ઓળખ રહી છે, પરંતુ આપણી ખાદી આજે પર્યાવરણ અનુરૂપ કાપડના રૂપમાં ઓળખાવા લાગી છે. આરોગ્યની દ્રષ્ટિએ તે શરીર સાનુકૂળ કાપડ છે. બારમાસી કાપડ છે. અને આજે ખાદી ફેશનની અભિવ્યક્તિ ફેશન સ્ટેટમેન્ટ તો બની જ રહી છે. ખાદીની લોકપ્રિયતા તો વધી જ રહી છે, સાથે જ, દુનિયામાં અનેક જગ્યાએ, ખાદી બનાવાઇ પણ રહી છે, મેક્સિકોમાં એક સ્થળ છે ઓહાકા, આ વિસ્તારમાં કેટલાંય ગામ એવાં છે, જયાં સ્થાનિક ગ્રામજનો ખાદી વણવાનું કામ કરે છે. આજે ત્યાંની ખાદી ઓહાકા ખાદીના નામથી વિખ્યાત બની ચૂકી છે. ઓહાકામાં ખાદી કેવી રીતે પહોંચી તે પણ ઓછું રસપ્રદ નથી. હકીકતમાં મેક્સિકોના એક યુવાન, માર્ક બ્રાઉને એક વાર મહાત્મા ગાંધી પર એક ફિલ્મ જોઇ. બ્રાઉન આ ફિલ્મ જોઇને બાપુથી એટલા પ્રભાવિત થયા કે તેઓ ભારતમાં બાપુના આશ્રમે આવ્યા અને બાપુ વિષે ઊંડાણથી જાણ્યુ – સમજ્યું. બ્રાઉનને ત્યારે અહેસાસ થયો કે ખાદી માત્ર એક કપડું નથી, પરંતુ એ તો એક પૂરી જીવન જીવવાની રીત છે. ગ્રામીણ અર્થતંત્ર અને આત્મનિર્ભરતાનું દર્શન તેની સાથે કેવી રીતે જોડાયેલું છે તે જાણી બ્રાઉન તેનાથી ખૂબ પ્રભાવિત થયા. અહીંથી જ બ્રાઉને નક્કી કર્યુ કે મેક્સિકો જઇને તેઓ ખાદીનું કામ શરૂ કરશે. તેમણે મેક્સિકોના ઓહાકામાં ગ્રામજનોને ખાદીનું કામ શીખવ્યું, તેમને તાલીમ આપી, અને આજે ઓહાકા ખાદી એક બ્રાન્ડ બની ગઇ છે. આ પ્રોજેક્ટની વેબસાઇટ પર લખ્યું છે The Symbol of Dharma in motion “ગતિમાન ધર્મનું પ્રતીક. આ વેબસાઇટ પર માર્ક બ્રાઉનનો ખૂબ રસપ્રદ ઇન્ટરવ્યુ પણ મળશે. તેઓ કહે છે કે શરૂમાં લોકોને ખાદીમાં શંકા હતી. પરંતુ છેવટે તેમાં લોકોની રૂચી વધી અને તેનું બજાર તૈયાર થઇ ગયું. તેઓ કહે છે, આ રામરાજય સાથે જોડાયેલી બાબતો છે, જયારે તમે લોકોની જરૂરીયાતો પૂરી કરો છો, તો પછી લોકો પણ તમારી સાથે જોડાતા જાય છે.

        સાથીઓ, દિલ્હીના કોનોટ પ્લેસના ખાદીભંડારમાં આ વખતે ગાંધી જયંતીએ એક જ દિવસમાં એક કરોડ રૂપિયાથી વધુની ખરીદી થઇ. એ જ રીતે કોરોનાકાળમાં ખાદીના માસ્ક પણ ખૂબ લોકપ્રિય બની રહ્યાં છે. આખા દેશમાં કેટલાંય સ્થળે સ્વસહાય જૂથો અને બીજી સંસ્થાઓ ખાદીનાં માસ્ક બનાવી રહ્યાં છે. ઉત્તરપ્રદેશના બારાબંકીમાં એક મહિલા છે - સુમનદેવીજી. સુમનજીએ સ્વસહાય જૂથની પોતાની સાથી મહિલાઓ સાથે મળીને ખાદીના માસ્ક બનાવવાનું શરૂ કર્યું. ધીરે ધીરે અન્ય મહિલાઓ પણ તેમની સાથે જોડાતી ગઇ. હવે તેઓ બધાં મળીને ખાદીનાં હજારો માસ્ક બનાવી રહ્યાં છે. આપણી સ્થાનિક ચીજોની ખૂબી છે કે તેની સાથે મોટાભાગે એક આખું દર્શન જોડાયેલું હોય છે.

        મારા વ્હાલા દેશવાસીઓ, આપણને જયારે પોતાની ચીજવસ્તુઓ પર ગર્વ થાય છે, તો દુનિયામાં પણ તેના પ્રત્યેની જિજ્ઞાશા વધી જાય છે. જેવી રીતે આપણા આધ્યાત્મે, યોગે, આયુર્વેદે પૂરી દુનિયાને આકર્ષિત કરી છે. આપણી કેટલીયે રમતો પણ દુનિયાને આકર્ષિત કરી રહી છે. આજકાલ આપણું મલખમ્બ પણ અનેક દેશોમાં પ્રચલિત થઇ રહ્યું છે. અમેરિકામાં ચિન્મય પાટણકર અને પ્રજ્ઞા પાટણકરે જયારે પોતાના ઘરેથી જ મલખમ શીખવવાનું શરૂ કર્યું હતું, ત્યારે એમણે પણ ધાર્યું નહોતું કે તેને આટલી સફળતા મળશે. અમેરિકામાં આજે કેટલાંય સ્થળોએ મલખમ તાલીમ કેન્દ્રો ચાલી રહ્યાં છે. અમેરિકાના યુવાનો મોટી સંખ્યામાં તેની સાથે જોડાઇ રહ્યા છે, મલખમ શીખી રહ્યાં છે. આજે જર્મની હોય, પોલેન્ડ હોય, મલેશિયા હોય, એવા લગભગ 20 અન્ય દેશોમાં પણ મલખમ ખૂબ જાણીતું બની રહ્યું છે. હવે તો તેની વિશ્વ સ્પર્ધા શરૂ કરાઇ છે, જેમાં કેટલાય દેશોના હરીફો ભાગ લે છે. ભારતમાં તો પ્રાચીનકાળથી એવી કેટલીયે રમતો રહી છે જે આપણી અંદર, એક અસાધારણ વિકાસ કરે છે. આપણા મન, શરીર સંતુલનને એક નવા આયામ પર લઇ જાય છે. પરંતુ બની શકે કે નવી પેઢીના આપણા યુવા સાથીઓ મલખમથી એટલા પરિચીત નહીં હોય. તમે એને ઇન્ટરનેટ પર ચોક્કસ સર્ચ કરજો અને જોજો.

        સાથીઓ, આપણા દેશમાં કેટલાય પ્રકારની માર્શલ આર્ટ છે. હું ઇચ્છું છું કે આપણા યુવા સાથીઓ તેના વિશે પણ જાણે, તે શીખે અને સમય અનુસાર તેમાં નવીનતા પણ લાવે. જીવનમાં જયારે મોટા પડકારો નથી હોતા, ત્યારે વ્યક્તિત્વનું સર્વશ્રેષ્ઠ પણ બહાર નીકળીને નથી આવતું. એટલા માટે પોતાની જાતને હંમેશાં પડકારો ફેંકતા રહો.

        મારા વ્હાલા દેશવાસીઓ, કહેવાય છે કે Learning is Growing - શીખવું એ વૃદ્ધિ પામવું છે. આજે મન કી બાતમાં હું આપનો પરિચય એક એવી વ્યક્તિ સાથે કરાવીશ જેમનામાં એક અનોખું ઝનૂન છે. આ ઝનૂન છે બીજા સાથે વાંચન અને શીખવાના આનંદને વહેંચવાનું. તે છે પોન મરિયપ્પન. પોન મરિયપ્પન તમિલનાડુના તુતુકુડીમાં રહે છે. તુતુકુડીને પર્લ સિટી એટલે કે મોતીઓના શહેરના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. એક સમયે તે પાંડિયન સામ્રાજયનું એક મહત્વનું કેન્દ્ર હતું. ત્યાં રહેતાં મારા દોસ્ત પોન મરિયપ્પન વાળ કાપવાના વ્યવસાય સાથે જોડાયેલા છે અને એક સલૂન ચલાવે છે. બહુ નાનું એવું સલૂન છે. તેમણે એક અનોખું અને પ્રેરણાદાયક કામ કર્યું છે. પોતાના સલૂનના એક ભાગને જ પુસ્તકાલય બનાવી દીધું છે. જો કોઇ વ્યક્તિ સલૂનમાં પોતાના વારાની રાહ જોતી વખતે ત્યાં કંઇક વાંચે છે અને જે વાંચ્યું છે તેના વિશે થોડું લખે છે, તો પોન મરિયપ્પનજી તે ગ્રાહકને વળતર આપે છે. છે ને મજેદાર ! ! આવો તુતુકુડી જઇએ અને પોન મરિયપ્પનજી સાથે વાત કરીએ.

પ્રધાનમંત્રીઃ- પોન મરિયપ્પનજી. વણક્કમ.. નલ્લા ઇર કિંગડા ? કેમ છો ?

પોન મરિયપ્પનઃ- માનનીય પ્રધાનમંત્રીજી, વણક્કમ..

પ્રધાનમંત્રીઃ- વણક્કમ, વણક્કમ.. ઉન્ગલકકે ઇન્દ લાઇબ્રેરી આઇડિયા, યેપ્પડી વન્દદા ? આપને પુસ્તકાલયનો આ જે વિચાર છે, તે કેવી રીતે આવ્યો

પોન મરિયપ્પન:- માનનીય પ્રધાનમંત્રીજી હું આઠમા ધોરણ સુધી ભણેલો છું. તેનાથી આગળ મારી કૌટુંબિક પરિસ્થિતિના લીધે હું મારૂં ભણવાનું આગળ વધારી ના શક્યો, હું જયારે ભણેલા-ગણેલા લોકોને જોતો, ત્યારે મારા મનમાં એક ઉણપ અનુભવાઇ રહી હતી. એટલે મારા મનમાં થયું કે કેમ આપણે એક પુસ્તકાલય ના બનાવી દઇએ ?  અને તેનાથી ઘણ બધા લોકોને તેનો લાભ થશે. આ જ વાત મારા માટે એક પ્રેરણા બની.

પ્રધાનમંત્રીઃ- ઉન્ગલક્કે યેન્દ પુત્તહમ પિડિક્કુમ ? તમને ક્યું પુસ્તક ખૂબ ગમે છે ?  

પોન મરિયપ્પનઃ- મને તિરુકુરૂલ બહુ પ્રિય છે.

પ્રધાનમંત્રીઃ- ઉન્ગકિટ્ટ પેસિયાદિલ – યેનકક. રોમ્બા મગિલચી નલવાડ તુક્કલ. તમારી સાથે વાત કરવામાં મને ખૂબ આનંદ થયો. તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

પોન મરિયપ્પનઃ- હું પણ માનનીય પ્રધાનમંત્રીજી સાથે વાત કરતાં અતિ આનંદ અનુભવ કરી રહ્યો છું.

પ્રધાનમંત્રીઃ- નલવાડ તુક્કલ. ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

પોન મરિયપ્પનઃ- ધન્યવાદ પ્રધાનમંત્રીજી.

પ્રધાનમંત્રીઃ- તમારો આભાર.

        આપણે હમણાં જ પોન મરિયપ્પનજી સાથે વાત કરી. જૂઓ, કેવી રીતે તેઓ લોકોનું કેશકર્તન તો કરે છે જ, તેમને પોતાનું જીવન સુધારવાની તક પણ આપે છે. થિરૂકુરલની લોકપ્રિયતા વિશે સાંભળીને બહુ સારૂં લાગ્યું, થિરૂકુરલની લોકપ્રિયતા વિશે આપ સૌએ પણ સાંભળ્યું. આજે હિંદુસ્તાનની તમામ ભાષાઓમાં થિરૂકુરલ ઉપલબ્ધ છે. જો તક મળે તો જરૂર વાંચવું જોઇએ. જીવન માટે તે એક પ્રકારે માર્ગદર્શક છે.

        સાથીઓ, પંરતુ તમને એ જાણીને આનંદ થશે કે સમગ્ર ભારતમાં અનેક લોકો એવા છે જેમને જ્ઞાનનો પ્રસાર કરવાથી અપાર આનંદ મળે છે, આ એવા લોકો છે જે હંમેશા એ બાબતે તત્પર રહે છે કે દરેક જણ ભણવા માટે પ્રેરિત થાય. મધ્યપ્રદેશના સિંગરૌલીનાં શિક્ષિકા – ઉષા દુબેજીએ તો સ્કૂટીને જ હરતાફરતા પુસ્તકાલયમાં ફેરવી નાખ્યું છે. તેઓ દરરોજ પોતાના હરતા-ફરતા પુસ્તકાલય સાથે કોઇ ને કોઇ ગામમાં પહોંચી જાય છે અને ત્યાં બાળકોને ભણાવે છે. બાળકો તેમને પ્રેમથી ચોપડીઓવાળાં દીદી કહીને બોલાવે છે. આ વર્ષે ઓગસ્ટમાં અરૂણાચલ પ્રદેશમાં નિરજૂલીના રેયો ગામમાં એક સ્વસહાય પુસ્તકાલય બનાવવામાં આવ્યું છે. બન્યું એવું કે ત્યાંની મીના ગુરૂંગ અને દિવાંગ હોસાઇને જયારે જાણવા મળ્યું કે ગામમાં કોઇ પુસ્તકાલય નથી તો તેમણે તેનું ભંડોળ ઉભું કરવા હાથ લંબાવ્યા. તમને એ જાણીને અચરજ થશે કે આ પુસ્તકાલય માટે સભ્યપદની કોઇ આવશ્યકતા જ નથી. કોઇ પણ વ્યક્તિ બે અઠવાડિયા માટે પુસ્તક લઇ જઇ શકે છે. વાંચ્યા પછી તે પરત આપવાનું હોય છે. આ પુસ્તકાલય સાતેય દિવસ, ચોવીસેય કલાક ખુલ્લું રહે છે. આસપાસના વાલીઓ આ જોઇને ઘણા ખુશ છે કે, એમનાં બાળકો પુસ્તક વાંચવામાં વ્યસ્ત છે. ખાસ કરીને એવા સમયે કે જયારે શાળાઓએ પણ ઓનલાઇન વર્ગો શરૂ કરી દીધા છે. તે જ રીતે  ચંડીગઢમાં એક સ્વૈચ્છિક સંસ્થા ચલાવતા સંદીપ કુમારજીએ એક મીની વેનમાં હરતું ફરતું પુસ્તકાલય બનાવ્યું છે. તેના દ્વારા ગરીબ બાળકોને વાંચવા માટે મફત પુસ્તકો આપવામાં આવે છે. તેની સાથે જ ગુજરાતના ભાવનગરની પણ બે સંસ્થાઓ વિશે હું જાણું છું જે ખૂબ સુંદર કામ કરી રહી છે. તેમાંથી એક છે વિકાસ વર્તુંળ ટ્રસ્ટ. આ  સંસ્થા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાનાર વિદ્યાર્થીઓ માટે ખૂબ મદદરૂપ છે. આ ટ્રસ્ટ 1975થી કામ કરી રહ્યું છે અને તે 5 હજાર પુસ્તકોની સાથે 140થી વધુ સામયિક ઉપલબ્ધ કરાવે છે. એવી જ એક સંસ્થા પુસ્તક પરબ  છે. આ નવિનતાસભર યોજના છે જે સાહિત્યનાં પુસ્તકોની સાથે જ બીજાં પુસ્તકો પણ મફત ઉપલબ્ધ કરાવે છે. આ પુસ્તકાલયમાં આધ્યાત્મિક, આયુર્વેદિક ઉપચાર, અને કેટલાંયે અન્ય વિષયોને લગતાં પુસ્તકો પણ સામેલ છે. આપને જો આવા પ્રકારના પ્રયાસો વિષે કંઇ પણ જાણ હોય તો મારો આગ્રહ છે કે તમે તેને સોશિયલ મીડિયા પર જરૂર શેર કરજો. આ ઉદાહરણો પુસ્તક વાંચવા કે પુસ્તકાલય ખોલવા પૂરતાં મર્યાદિત નથી. બલ્કે એ નવા ભારતની તે ભાવનાનું પણ પ્રતીક છે જેમાં સમાજના વિકાસ માટે દરેક ક્ષેત્ર અને દરેક વર્ગના લોકો નવી-નવી અને ઇનોવેટીવ રીતો અપનાવી રહ્યા છે.

        ગીતામાં કહેવામાં આવ્યું છે.—

        ન હિ જ્ઞાનેન સદ્દશં પવિત્રમ્ ઇહ વિદ્યતે.

        અર્થાત્ જ્ઞાનને સમાન, સંસારમાં કશું પણ પવિત્ર નથી. જ્ઞાનનો પ્રસાર કરનારા, આવા ઉમદા પ્રયાસ કરનારા, બધા મહાનુભાવોને હું દિલથી અભિનંદન આપું છું.

        મારા વ્હાલા દેશવાસીઓ, થોડાક જ દિવસો પછી સરદાર વલ્લભભાઇ પટેલજીની જન્મજયંતી, 31 ઓકટોબરને આપણે સૌ, રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવીશું.  મન કી બાતમાં આપણે અગાઉ પણ સરદાર પટેલ વિષે વિસ્તારપૂર્વક વાત કરી છે. આપણે તેમનાં વિરાટ વ્યક્તિત્વનાં કેટલાંય પાસાં વિષે ચર્ચા કરી છે. બહુ ઓછા લોકો મળશે જેમનાં વ્યક્તિત્વમાં એક સાથે કેટલાંય ગુણો હાજર હોય. વૈચારિક ઊંડાણ, નૈતિક સાહસ, રાજનૈતિક વિલક્ષણતા, કૃષિ  ક્ષેત્રનું ઊંડું જ્ઞાન અને રાષ્ટ્રીય એકતા પ્રત્યે સમર્પણ ભાવ. શું તમે સરદાર પટેલ વિશેની એ વાત જાણો છો જે તેમની રમૂજવૃત્તિ દર્શાવતી હોય. તે લોહપુરૂષની છબીની જરા કલ્પના કરો કે જે રાજા-રજવાડાં સાથે મંત્રણા કરી રહ્યા હતા, પૂજય બાપુના લોક આંદોલનનું વ્યવસ્થાપન કરી રહ્યા હતા, સાથોસાથ અંગ્રેજો સામે લડાઇ પણ લડી રહ્યા હતા. અને આ બધાં વચ્ચે પણ તેમની રમૂજવૃત્તિ પૂરા રંગમાં રહેતી હતી. બાપુએ સરદાર પટેલ વિશે કહ્યું હતું – તેમની વિનોદપૂર્ણ વાતો મને એટલું હસાવતી હતી કે હસતાં હસતાં પેટમાં આંટી પડી જતી હતી. આવું દિવસમાં એકાદ વાર નહીં, કેટલીયે વાર થતું હતું. આમાં આપણા માટે પણ એક શીખ છે, પરિસ્થિતિઓ ગમે તેટલી વિષમ કેમ ના હોય, પોતાની રમૂજવૃત્તિને જીવતી રાખો. તે આપણને સહજ તો રાખશે જ, આપણે પોતાની સમસ્યાનો ઉકેલ પણ કાઢી શકીશું. સરદાર સાહેબે આ જ તો કર્યું હતું.

        મારા પ્યારા દેશવાસીઓ, સરદાર પટેલે પોતાનું પુરૂં જીવન દેશની એકતા માટે સમર્પિત કરી દીધું. તેમણે ભારતીય જનમાનસને સ્વતંત્રતા આંદોલન સાથે જોડ્યું.  તેમણે સ્વતંત્રતાની સાથે ખેડૂતોના મુદ્દાઓને પણ જોડવાનું કામ કર્યું. તેમણે રાજા-રજવાડાઓને આપણા રાષ્ટ્રની સાથે એક કરવાનું કામ કર્યું. વિવિધતામાં એકતાના મંત્રને તેઓ દરેક ભારતીયના મનમાં જગાડી રહ્યા હતા.

        સાથીઓ, આજે આપણે પોતાની વાણી, પોતાનો વ્યવહાર, પોતાના કર્મથી તે તમામ બાબતોને આગળ વધારવાની છે જે આપણને એક કરે. જે દેશના એક ભાગમાં રહેતા નાગરિકના મનમાં, બીજા ખૂણામાં રહેતા નાગરિક માટે સહજતા અને પોતાપણાનો ભાવ પેદા કરી શકે. આપણા પૂર્વજોએ સદીઓથી આવા પ્રયાસ નિરંતર કર્યા છે. હવે જૂઓ, કેરળમાં જન્મેલા પૂજય આદિ શંકરાચાર્યજીએ ભારતની ચારે દિશાઓમાં ચાર મહત્વપૂર્ણ મઠોની સ્થાપના કરી, ઉત્તરમાં બદ્રિકાશ્રમ, પૂર્વમાં પૂરી, દક્ષિણમાં શ્રૃંગેરી અને પશ્ચિમમાં દ્વારકા. તેમણે શ્રીનગરની યાત્રા પણ કરી, એ જ કારણ છે કે ત્યાં એક શંકરાચાર્ય હિલ’  છે. તીર્થાટન પોતે જ ભારતને એક તાંતણે બાંધે છે. જયોતિર્લિંગો અને શક્તિપીઠોની શ્રૃંખલા ભારતને એક તાંતણે બાંધે છે. ત્રિપુરાથી લઇને ગુજરાત સુધી, જમ્મુ-કાશ્મીરથી લઇને તમિલનાડુ સુધી સ્થપાયેલાં આપણા શ્રધ્ધાનાં કેન્દ્રો આપણને એક કરે છે. ભક્તિ આંદોલન સમગ્ર ભારતમાં એક મોટું લોકઆંદોલન બની ગયું, જેણે આપણને ભક્તિના માધ્યમથી એકસંપ કર્યા. આપણા રોજીંદાજીવનમાં પણ આ બાબતો કેવીક તો ઓગળી ગઇ છે, જેમાં એકતાની તાકાત છે. દરેક અનુષ્ઠાન પહેલાં વિભિન્ન નદીઓનું આહવાન કરવામાં આવે છે. જેમાં છેક ઉત્તરમાં સ્થિત સિંધુ નદીથી લઇને દક્ષિણ ભારતની જીવનદાયીની કાવેરી નદી સુધી સામેલ છે. મોટેભાગે આપણે ત્યાં લોકો કહે છે, સ્નાન કરતી વખતે પવિત્ર ભાવથી એકતાનો મંત્ર બોલે છે –

        ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતિ

        નર્મદે સિન્ધુ કાવેરી, જલેડસ્મિન સન્નિધિમ્ કુરૂ..

        આ જ રીતે શીખોનાં પવિત્ર સ્થળોમાં નાંદેડ સાહિબ અને પટના સાહિબ ગુરૂદ્વારા સામેલ છે. આપણા શીખ ગુરૂઓએ પણ પોતાના જીવન અને સત્કાર્યોના માધ્યમથી એકતાની ભાવનાને પ્રગાઢ બનાવી છે. ગઇ શતાબ્દિમાં આપણા દેશમાં ડોકટર બાબાસાહેબ આંબેડકર જેવી મહાન વિભૂતીઓ થઇ છે, જેમણે આપણને સૌને બંધારણના માધ્યમથી એકસંપ કર્યા.

        સાથીઓ, Unity is power, Unity is Strength. એકતા શક્તિ છે, એકતા મજબૂતાઇ છે. Unity is Progress, Unity is empowerment. એકતા પ્રગતિ છે, એકતા સશક્તિકરણ છે. United we will scale new heights. એક રહીને જ આપણે નવી ઉંચાઇઓ સર કરીશું.

        જો કે, એવી શક્તિઓ પણ હાજર હોય છે, જે સતત આપણા મનમાં શંકાનાં બીજ વાવવાની કોશિશ કરતી રહે છે, દેશને વહેંચવાનો પ્રયાસ કરે છે. દેશે પણ દર વખતે આ બદ-ઇરાદાઓનો જડબાતોડ જવાબ આપ્યો છે. આપણે સતત પોતાની સર્જનાત્મકતાથી, પ્રેમથી, હરપળ પ્રયાસપૂર્વક પોતાના નાનામાં નાનાં કામોમાં, એક ભારત – શ્રેષ્ઠ ભારતના સુંદર રંગોને સામે લાવવાના છે, એકતાના નવા રંગો પૂરવાના છે, અને દરેક નાગરિકે પૂરવાના છે. આ સંદર્ભમાં હું આપ સૌને એક વેબસાઇટ જોવાનો આગ્રહ કરૂં છું. એક ભારત ડોટ ગોવ ડોટ ઇન ’ - તેમાં રાષ્ટ્રીય અખંડિતતાની આપણી ઝુંબેશને આગળ વધારવાના અનેક પ્રયાસ જોવા મળશે. એનો એક રસપ્રદ કોર્નર છે - ‘ આજ કા વાક્ય ’. આ વિભાગમાં આપણે દરરોજ એક વાક્યને અલગ અલગ ભાષાઓમાં કેવી રીતે બોલી શકીએ તે શીખી શકીએ છીએ. તમે આ વેબસાઇટમાં યોગદાન પણ કરો. જેમ કે, દરેક રાજય અને સંસ્કૃતિમાં અલગ અલગ ખાનપાન હોય છે. આ વાનગીઓ સ્થાનિક ખાસ ચીજવસ્તુઓ એટલે કે અનાજ અને મસાલા વડે બનાવવામાં આવે છે. શું આપણે આ સ્થાનિક ખાદ્યચીજની બનાવવાની રીત – રેસીપીને તેનાં ઘટકોનાં સ્થાનિક નામો સાથે એક ભારત – શ્રેષ્ઠ ભારત વેબસાઇટ પર શેર કરી શકીએ ? Unity અને Immunity એકતા અને રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે આનાથી વધુ સારી રીત બીજી કઇ હોઇ શકે?

        સાથીઓ, આ મહિનાની 31 તારીખે કેવડિયામાં ઐતિહાસિક સ્ટેચ્યુ ઓફ યુનિટી પર યોજાનારા અનેક કાર્યક્રમોમાં સામેલ થવાનો મને મોકો મળશે. તમે લોકો પણ જરૂર જોડાજો.

        મારા વ્હાલા દેશવાસીઓ, 31 ઓકટોબરે આપણે વાલ્મીકી જયંતી પણ ઉજવીશું. મહર્ષિ વાલ્મીકીને હું નમન કરૂં છું અને આ ખાસ પ્રસંગ માટે દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. મહર્ષિ વાલ્મીકીના મહાન વિચારો કરોડો લોકોને પ્રેરીત કરે છે, બળ આપે છે. લાખો-કરોડો ગરીબો અને દલિતો માટે તેઓ બહુ મોટી આશા છે. તેમની અંદર આશા અને વિશ્વાસનો સંચાર કરે છે. તેઓ કહે છે – કોઇપણ મનુષ્યની ઇચ્છાશક્તિ જો તેની સાથે હોય, તો તે કોઇપણ કામ બહુ સરળતાથી કરી શકે છે. આ ઇચ્છાશક્તિ જ છે જે કેટલાય યુવાનોને અસાધારણ કાર્ય કરવાની તાકાત આપે છે. મહર્ષિ વાલ્મીકીએ હકારાત્મક વિચારસરણી પર ભાર મૂક્યો. તેમના માટે સેવા અને માનવીય ગૌરવનું સ્થાન સર્વોપરી છે. મહર્ષિ વાલ્મીકીના આચાર, વિચાર અને આદર્શ આજે  ‘ન્યૂ ઇન્ડિયા ના આપણા સંકલ્પ માટે પ્રેરણા પણ છે અને દિશા-સૂચન પણ છે. ભાવિ પેઢીઓના માર્ગદર્શન માટે રામાયણ જેવા મહાગ્રંથની તેમણે રચના કરી તે માટે આપણે મહર્ષિ વાલ્મીકીના સદાય ઋણી રહીશું.

        31 ઓકટોબરે ભારતનાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીને આપણે ગુમાવ્યાં હતાં. હું આદરપૂર્વક તેમને શ્રધ્ધાંજલિ આપું છું.

        મારા વ્હાલા દેશવાસીઓ, કાશ્મીરનું પુલવામા આજે પૂરા દેશને ભણાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી રહ્યું છે. સમગ્ર દેશમાં બાળકો આજે પોતાનું Home Work ઘરકામ કરે છે, નોટ્સ બનાવે છે ત્યારે ક્યાંકને ક્યાંક તેની પાછળ પુલવામાના લોકોની સખત મહેનત પણ છે. કાશ્મીર ખીણ, આખા દેશની લગભગ ૯0 ટકા પેન્સીલ સ્લેટની- લાકડાની પટ્ટીની માગ પૂરી કરે છે. અને તેમાં બહુ મોટી ભાગીદારી પુલવામાની છે. એક સમયે આપણે વિદેશમાંથી પેન્સીલ માટે લાકડું મંગાવતા હતા. પરંતુ હવે આ ક્ષેત્રમાં આપણું પુલવામા દેશને આત્મનિર્ભર બનાવી રહ્યું છે. હકીકતમાં પુલવામાની આ પેન્સીલ સ્લેટ્સ રાજયો વચ્ચેનું અંતર ઓછું કરી રહી છે. ખીણના ચીનારનું લાકડું ભેજના વધુ પ્રમાણવાળું અને પોચું હોય છે. જે તેને પેન્સીલના ઉત્પાદન માટે સૌથી અનૂકુળ બનાવે છે. પુલવામામાં ઉક્ખૂને પેન્સીલ વિલેજના નામથી ઓળખવામાં આવે છે. અહીં પેન્સીલ સ્લેટના ઉત્પાદનનાં કેટલાંય એકમો છે. જે રોજગાર પૂરો પાડી રહ્યા છે. અને તેમાં સારી એવી સંખ્યામાં મહિલાઓ કામ કરે છે.

        સાથીઓ, પુલવામાની પોતાની આ ઓળખ ત્યારે સ્થાપિત થઇ છે, જયારે ત્યાંના લોકોએ કંઇક નવું કરવાનો નિર્ધાર કર્યો, કામની બાબતમાં જોખમ ઉઠાવ્યું અને પોતાની જાતને તેના પ્રત્યે સમર્પિત કરી દીધી. આવા જ કર્મઠ લોકોમાંના એક છે – મંજૂર અહમદ અલાઇ. મંજૂરભાઇ પહેલાં લાકડા કાપનારા એક સામાન્ય મજૂર હતા. મંજૂરભાઇ કંઇક નવું કરવા ઇચ્છતા હતા જેથી એમની આવનારી પેઢીઓ ગરીબીમાં ના જીવે. તેમણે પોતાની વારસાગત જમીન વેચી નાખી અને એપલ વૂડન બોકસ એટલે કે સફરજન ભરવાની લાકડાની પેટીઓ બનાવવાનું એકમ શરૂ કર્યું. તેઓ પોતાના નાનકડા બિઝનેસમાં લાગેલા હતા. ત્યારે મંજૂરભાઇને કયાંકથી ખબર પડી કે પેન્સીલના ઉત્પાદનમાં Poplar Wood એટલે કે ચિનારના લાકડાનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. આ જાણકારી મળ્યા પછી મંજૂરભાઇએ પોતાની ઉદ્યોગસાહસિકતાનો પરિચય આપતાં કેટલાંક વિખ્યાત પેન્સીલ ઉત્પાદન એકમોને poplar wood પૂરૂં પાડવાનું શરૂ કર્યું. મંજૂરજીને આ ખૂબ ફાયદાકારક લાગ્યું અને તેમની આવક પણ સારી એવી વધવા લાગી. સમય વીતતાં તેમણે પેન્સીલ સ્લેટ ઉત્પાદનની મશીનરી લઇ લીધી અને ત્યાર પછી તેમણે દેશની મોટીમોટી કંપનીઓને પેન્સીલ સ્લેટ પૂરી પાડવાનું શરૂ કરી દીધું. આજે મંજૂરભાઇના આ બિઝનેસનું ટર્નઓવર કરોડોમાં છે અને તેઓ લગભગ બસો લોકોને આજીવિકા પણ પૂરી પાડી રહ્યા છે. આજે મન કી બાતના માધ્યમથી બધા દેશવાસીઓ તરફથી હું મંજૂરભાઇ સહિત પુલવામાના મહેનતુ ભાઇઓ-બહેનોની અને તેમના પરિવારજનોની પ્રશંસા કરૂં છું. આપ સૌ દેશના young minds ને શિક્ષિત કરવા માટે પોતાનું કિંમતી યોગદાન આપી રહ્યાં છો.

        મારા પ્યારા દેશવાસીઓ, લોકડાઉન દરમ્યાન ટેકનોલોજી આધારિત સેવા પૂરી પાડવાના અનેક પ્રયોગ આપણા દેશમાં થયા છે. અને હવે એવું નથી રહ્યું કે બહુ મોટી ટેકનોલોજી અને માલ પરિવહન કંપનીઓ જ આ કરી શકે છે. ઝારખંડમાં આ કામ મહિલાઓના સ્વસહાયજૂથે કરી બતાવ્યું છે. આ મહિલાઓએ ખેડૂતોના ખેતરમાંથી શાકભાજી અને ફળ લીધાં અને સીધાં જ ઘરો સુધી પહોંચાડ્યાં. આ મહિલાઓએ આજીવિકા ફાર્મ ફ્રેશ નામની એક એપ બનાવડાવી, જેના દ્વારા લોકો સહેલાઇથી શાકભાજી મંગાવી શકતા હતા. આ પૂરા પ્રયાસથી ખેડૂતોને પોતાનાં શાકભાજી અને ફળોના સારા ભાવ મળ્યા અને લોકોને પણ તાજાં શાકભાજી મળતાં રહ્યાં. ત્યાં આજીવિકા ફાર્મ ફ્રેશ એપનો વિચાર ખૂબ લોકપ્રિય થઇ રહ્યો છે. લોકડાઉનમાં તેમણે 50 લાખ રૂપિયાથી પણ વધુનાં ફળ અને શાકભાજી લોકો સુધી પહોંચાડ્યાં છે. સાથીઓ, કૃષિ ક્ષેત્રમાં નવી સંભાવનાઓ ઉભી થતી જોઇ, આપણા યુવાનો પણ સારી એવી સંખ્યામાં તેમાં જોડાઇ રહ્યા છે. મધ્યપ્રદેશના બડવાનીમાં અતુલ પાટીદાર પોતાના વિસ્તારના 4 હજાર ખેડૂતોને ડીજીટલ રૂપે જોડી ચૂકયા છે. આ ખેડૂતો અતુલ પાટીદારના ઇ-પ્લેટફોર્મ ફાર્મકાર્ડ દ્વારા ખાતર, બિયારણ, જંતુનાશક, ફૂગનાશક વગેરે ખેતી માટે જરૂરી સામાન ઘરે બેઠાં જ મેળવી રહ્યા છે. એટલે કે ખેડૂતોને ઘર સુધી તેમની જરૂરીયાતની વસ્તુઓ મળી રહી છે. આ ડીજીટલ પ્લેટફોર્મ પર આધુનિક કૃષિ ઉપકરણો પણ ભાડે મળી રહે છે. લોકડાઉનના સમયે પણ આ ડીજીટલ પ્લેટફોર્મના માધ્યમથી ખેડૂતોને હજારો પેકેટ પહોંચાડવામાં આવ્યાં. જેમાં કપાસ અને શાકભાજીનાં બિયારણ પણ હતાં. અતુલજી અને તેમની ટીમ ખેડૂતોને ટેકનિકની બાબતમાં પણ જાગૃત કરી રહી છે, ઓનલાઇન પેમેન્ટ તથા ખરીદી શીખવી રહી છે.

        સાથીઓ, હાલમાં મહારાષ્ટ્રની એક ઘટના પર મારૂં ધ્યાન ગયું. ત્યાં એક ખેડૂત ઉત્પાદક કંપનીએ મકાઇની ખેતી કરનારા ખેડૂતો પાસેથી મકાઇ ખરીદી. કંપનીએ આ વખતે ખેડૂતોને ભાવ ઉપરાંત બોનસ પણ આપ્યું. ખેડૂતોને પણ એક સુખદ આશ્ચર્ય થયું. જયારે તે કંપનીને પૂછ્યું તો તેણે કહ્યું કે ભારત સરકારે જે નવા કૃષિ કાનૂન બનાવ્યા છે તે અંતર્ગત ખેડૂત પોતાની જણસ ભારતમાં કયાંય પણ વેચી શકે છે, અને તેમને સારા ભાવ મળી રહ્યા છે. એટલે તેમણે વિચાર્યું કે આ વધારાનો નફો ખેડૂતોને પણ વહેંચવો જોઇએ. તેના પર ખેડૂતોનો પણ હક છે, અને તેમણે ખેડૂતોને આ રીતે બોનસ આપ્યું છે, સાથીઓ, અત્યારે આ બોનસ ભલે થોડું હોય, પણ આ શરૂઆત  બહુ મોટી છે. તેનાથી આપણને એ ખબર પડે છે કે નવા કૃષિ-કાનૂનથી પાયાના સ્તરે કેવા પ્રકારનું પરિવર્તન ખેડૂતોના પક્ષમાં આવવાની સંભાવનાઓ ભરેલી છે.

        મારા વ્હાલા દેશવાસીઓ, મન કી બાતમાં આજે દેશવાસીઓની અસાધારણ ઉપલબ્ધીઓ, આપણા દેશ, આપણી સંસ્કૃતિના અલગઅલગ પાસાંઓ વિશે આપ સૌ સાથે વાત કરવાની તક મળી. આપણો દેશ પ્રતિભાશાળી લોકોથી ભરેલો છે. જો તમે પણ એવા લોકોને જાણતા હો તો તેમના વિશે વાત કરો, લખો અને તેમની સફળતાઓને શેર કરો. આવનારા તહેવારોના આપને અને આપના પૂરા પરિવારને ખૂબખૂબ અભિનંદન. પરંતુ એક વાત યાદ રાખજો, અને તહેવારોમાં જરા વિશેષ રીતે યાદ રાખજો, કે માસ્ક પહેરવાનો છે, હાથ સાબુથી ધોતા રહેવાનું છે અને બે ગજનું અંતર જાળવી રાખવાનું છે.

        સાથીઓ, આવતા મહિને ફરી આપની સાથે મન કી બાત થશે. ખૂબ ખૂબ ધન્યવાદ... !

SD/GP/BT



(Release ID: 1667429) Visitor Counter : 297